The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

Home Blog Page 227

ઝઘડીયા: બામલ્લા ગામે લગ્નમાં ગયેલ યુવકને ત્રણ ઇસમોએ માર્યો માર

•વઢવાણા ગામની યુવતી સાથેના પ્રેમસંબંધની રીષ રાખીને હુમલો કરાયો

ઝઘડીયા તાલુકાના બામલ્લા ગામે લગ્નમાં ગયેલા એક યુવકને અન્ય ત્રણ ઇસમોએ લોખંડની પાઇપથી માર મારી ઇજાગ્રસ્ત કરતા તેને સારવાર માટે ઉમલ્લા સરકારી દવાખાને લઇ જવાયો હતો. ઉમલ્લા પોલીસમાંથી મળતી વિગતો મુજબ ઝઘડીયા તાલુકાના વઢવાણા ગામે રહેતા દિનેશભાઇ દરૂભાઇ વસાવાને ચારેક વર્ષ પહેલા વઢવાણાની યુવતી સાથે પ્રેમ સંબંધ હતો.

દિનેશ વસાવા ગત તા.૨૦ મીના રોજ તેના મિત્ર સાથે રાતના નવેક વાગ્યાના સમયે મોટરસાયકલ લઇને બામલ્લા ગામે લગ્નનો પ્રસંગ હોઇ બામલ્લા ગયો હતો. ત્યારબાદ રાતના અગિયારેક વાગ્યાના સમયે તે મોટરસાયકલ એક જગ્યાએ મુકીને નજીકમાં આવેલ દુકાને જતો હતો ત્યારે તે વખતે હરેશભાઇ સોમસંગ વસાવા તથા ગણેશભાઇ સોમભાઇ વસાવા બન્ને રહે. ગામ સરસાડ તા.ઝઘડીયા તેમજ ગૌતમભાઇ શાંતિલાલ વસાવા રહે.ગામ સુથારપુરા તા.ઝઘડીયાનાએ તેને ઉભો રાખ્યો હતો અને મારવાનુ ચાલુ કરી દીધુ હતુ.

આ લોકો દિનેશને કહેતા હતા કે તુ વઢવાણાના સંદિપભાઇની બહેન સાથે પ્રેમસંબંધ કેમ રાખે છે? આ લોકોએ દિનેશને લોખંડની પાઇપથી માર મારીને પગ તેમજ કપાળના ભાગે તથા હાથ પર ઇજાઓ કરી હતી. ઇજાગ્રસ્ત દિનેશને સારવાર માટે ઉમલ્લા સરકારી દવાખાને લઇ જવાયો હતો. પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે રાજપીપલા લઇ જવાયો હતો.

આ અંગે દિનેશભાઇ દરૂભાઇ વસાવા રહે.ગામ વઢવાણા તા.ઝઘડીયાનાએ ગૌતમભાઇ શાંતિલાલ વસાવા રહે.સુથારપુરા તા.ઝઘડીયા તેમજ ગણેશભાઇ સોમભાઇ વસાવા અને હરેશભાઇ સોમસંગ વસાવા બન્ને રહે.ગામ સરસાડ તા.ઝઘડીયાના વિરુધ્ધ ઉમલ્લા પોલીસમાં ફરિયાદ લખાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

•જયશીલ પટેલ,ન્યુઝલાઇન, ઝઘડીયા

ભરૂચ: એસ.ટી. વિભાગના નવા ૨૯૦ ડ્રાઇવરોને અપાયા નીમણુંકપત્ર

•રાજ્ય કક્ષાના કેબિનેટ મંત્રી પૂર્ણેશ મોદી અને નાયબ મુખ્ય દંડક અને ભરૂચના ધારાસભ્ય દુષ્યંત ભાઈ પટેલ ના હસ્તે અપાયા નિમણુંકપત્ર

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ ભરૂચ વિભાગ દ્વારા નવીન નિમણૂંક પામેલ ડ્રાયવરોના નિમણૂંકપત્ર આપવા અંગેનો કાર્યક્રમ વાહન વ્યવહાર, માર્ગ અને મકાન, યાત્રાધામ વિકાસ વિભાગના મંત્રી અને જિલ્લા પ્રભારી મંત્રી પૂર્ણેશભાઈ મોદીના અધ્યક્ષસ્થાને ભરૂચના પંડિત ઓમકારનાથ ઠાકુર કલાભવન હોલ ખાતે યોજાયો હતો. આ પ્રસંગે નાયબ મુખ્ય દંડક દુષ્યંતભાઈ પટેલ, ધારાસભ્ય અરૂણસિંહ રણા, જિલ્લા આગેવાન મારૂતિસિંહ અટોદરીયા, નગરપાલિકાના પ્રમુખ અમિતભાઈ ચાવડા, જિલ્લા વિકાસ અધિકારી યોગેશભાઈ ચૌધરી, નિવાસી અધિક કલેક્ટર જે.ડી.પટેલ, આગેવાન પદાધિકારીઓ વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.
આ વેળાએ ભરૂચ એસ.ટી વિભાગમાં ૨૯૦ જેટલાં ડ્રાયવરો નવી નિમણૂંક પામતા જિલ્લા પ્રભારીમંત્રી પૂર્ણેશભાઈ મોદી તથા નાયબ મુખ્ય દંડક દુષ્યંતભાઇ પટેલના તેમજ મહાનુભાવોના હસ્તે નવી નિમણૂંક પામેલ ડ્રાયવરોને નિમણૂંકપત્ર એનાયત કરાયા હતા.
મંત્રી પૂર્ણેશભાઇ મોદીએ જણાવ્યું હતું કે, યુગ અને પરિવર્તન ખુબ જ ઝડપથી આગળ વધી રહ્યું છે. લોકોની આશા-આકાંક્ષા-અપેક્ષા પુરી કરવા રાજ્ય સરકાર કટિબધ્ધ છે. ભારતના વિકાસને આગળ લઈ જવા માસ્ક ટ્રાન્સ્પોર્ટેશનની ભૂમિકા ખુબ મહત્વની રહેલી છે. રાજ્ય સરકારે નાનામાં નાના વર્ગની તેમજ અંતરિયાળ ડુંગરાળ વિસ્તારમાં રહેતા ગરીબ વ્યક્તિની ચિંતા કરી છે. ગરીબ વ્યક્તિ ધંધા વ્યાપાર માટે એમના સ્થળે ઝડપી અને સમયસર પહોંચી શકે તે માટે રાજ્ય સરકાર એસ.ટી. બસ ગામડે-ગામડે દોડાવી રહ્યા છે. તેમણે ઉમેર્યું હતું કે, એસ.ટી. નિગમના કર્મચારીઓ કુદરતી આપત્તિ તેમજ કોવિડ-૧૯ ની મહામારીમાં ખડેપગે હાજર રહી મુસાફરોને તેમના સ્થાન સુધી પહોંચાડવાની સેવા પુરી પાડવામાં આવેલ છે. એસ.ટી. વિભાગ નફા ધોરણે નહિં પરંતુ સેવાના ધોરણે બસો દોડાવી લોકોને સમયસર પહોંચાડવાની જવાબદારી પુરી પાડેલ છે.
તેમણે ઉમેર્યું હતું કે, સામાન્ય માનવીની સુખ – સુવિધાને કેન્દ્રસ્થાને રાખી એસ.ટી. વિભાગ સેવાના મુખ્ય ધ્યેય સાથે સરાહનીય કામગીરી કરવામાં આવે છે તેમ જણાવી તેમણે એસ.ટી. વિભાગની વિવિધ યોજનાઓની જાણકારી આપી હતી. છેવાડાના માનવીની સુવિધાઓ પુરી પાડવાનો એસ.ટી. નિગમનો મુખ્ય ઉદ્દેશ રહેલો છે તેમ પણ મંત્રીશ્રી જણાવ્યું હતું.
નાયબ મુખ્ય દંડક દુષ્યંતભાઈ પટેલે નવી નિમણૂંક પામેલ ડ્રાયવરોને શુભેચ્છા પાઠવી એસ.ટી. વિભાગ દ્વારા થઈ રહેલી કામગીરીની વિગતો જણાવી નિરામય આરોગ્ય યોજનાની વિગતો જણાવી એસ.ટી. વિભાગના પરિવારો આ યોજનાનો મહત્તમ લાભ લે તેવી હિમાયત કરી હતી.
વાગરાના ધારાસભ્ય અરૂણસિંહ રણા અને જિલ્લા આગેવાન મારૂતિસિંહ અટોદરીયાએ પ્રાસંગિક ઉદબોધનમાં એસ.ટી. વિભાગની કામગીરી બિરદાવી નવી નિમણૂંક પામતાં ડ્રાયવરોને શુભેચ્છાઓ પાઠવી હતી. આ વેળાએ મંત્રી પૂર્ણેશભાઈ મોદી અને નાયબ મુખ્યદંડક દુષ્યંતભાઈ પટેલનું એસ.ટી. યુનિયન દ્વારા શાલ ઓઢાડી સન્માન કરાયું હતું.
પ્રારંભે વિભાગીય નિયામક સી.ડી.મહાજને સ્વાગત પ્રવચન કરતાં ભરૂચ એસ.ટી. વિભાગ દ્વારા કરવામાં આવેલ કામગીરીની રૂપરેખા આપી હતી. અંતમાં આભારવિધિ નાયબ ઈજનેર અક્ષય મહેતાએ કરી હતી. આ પ્રસંગે લોક ગાયક અભેસિંહ રાઠોડ, નગરપાલિકા ઉપપ્રમુખ નીનાબા યાદવ, આગેવાન પદાધિકારીઓ. એસ.ટી. વિભાગના અધિકારી-કર્મચારીઓ અને નિમણૂંક પામેલ ડ્રાયવરો ઉપસ્થિત રહ્યા હતા.

ભરૂચ: વાલીઓની સંમતિ સાથે આજથી ધો.1 થી 5ના ઓફલાઇન વર્ગો થશે શરૂ

દિવાળી વેકેશન પુરૂ થતાં રાજ્યની માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓ તેમજ જિલ્લા પંચાયત હસ્તકની પ્રાથમિક શાળાઓ આજથી વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓના કલરવથી ગુંજી ઉઠશે. ત્યારે રાજ્યના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ ધોરણ 1થી 5ના ઓફલાઇન વર્ગોને લઇને મોટી જાહેરાત કરી છે.

આજથી ધોરણ 1થી 5 સુધીના વિદ્યાર્થીઓને ઓફલાઈન શિક્ષણ આપવાનું શરૂ થશે. અત્યાર સુધી ધોરણ 1થી 5 સુધીના વિદ્યાર્થીઓને ઓનલાઇન શિક્ષણ આપવામાં આવતું હતું. પરંતુ રાજ્યમાં કોરોનાનું સંક્રમણ ઘટતા હવે ઓફલાઇન વર્ગો પણ શરૂ થશે. આવતી કાલથી ધો.1થી 5ની સાથે ધોરણ 6 થી 12 સુધીના વિદ્યાર્થીઓને રાજ્યભરની શાળાઓ-હાઈસ્કૂલોમાં પ્રત્યક્ષ-ઓફલાઈન શિક્ષણ આપવામાં આવશે.

જૂની કોરોનાની ગાઈડ લાઈન હતી તેમાં થોડી રાહત આપીને શિક્ષણકાર્ય શરૂ કરવામાં આવશે. જોકે બાલમંદિર અને નર્સરી માટે હજી કોઈ નિર્ણય કરાયો નથી. વાલીઓની સંમતિ સાથે ધોરણ 1 થી 5 ના વર્ગો પણ શરૂ થશે.

સુરત શહેર પોલીસ દ્વારા ગૌરવ સમારોહ- ૨૦૨૧ યોજાયો

•અનેક ક્ષેત્રોમાં પોલીસ જવાનોએ કરેલી કામગીરી બદલ મંત્રી તથા અન્ય મહાનુભાવોના હસ્તે કરાયા સન્માનિત

સુરતમાં પોલીસના જાંબાજ પોલીસકર્મીઓએ કરેલી ઉત્તમ કામગીરી બદલ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને સાંસદ સી. આર.પાટીલ તથા અન્ય મહાનુભાવોના હસ્તે પોલીસ શૌર્ય પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે ગૃહરાજયમંત્રીએ જણાવ્યું હતું કે, ગુજરાત રાજયએ સમગ્ર દેશમાં પ્રથમ વાર ડ્રગ્સ રીવોર્ડ પોલીસી બનાવવાનુ કાર્ય કર્યું છે.કોરોના કપરા કાળ દરમિયાન પોલીસ જવાનોએ ખડેપગે રહીને કરેલી કામગીરીને યાદ કરીને સૌ પોલીસ જવાનોને અભિનંદન પાઠવ્યા હતા. આ તકે તેમણે ટ્રાફિક નિયમ તોડનારા નાગરિકો સાથે માનવતાપૂર્વક વ્યવહાર કરવાની ટકોર પણ કરી હતી. પોલીસ સ્ટેશનમાં આવતા સામાન્ય માનવી સાથે સારો સાલશભર્યો વ્યવહાર થાય તે જરૂરી હોવાનું તેમણે કહ્યું હતું. રાજયમાં ૬૩ દિવસમાં ૬૭ કેસોમાં ૧૩૫૦ કરોડનું ડ્રગ્સ પકડીને ગુજરાત પોલીસે શ્રેષ્ઠ કામગીરી કરી છે.રાજયની શાંતિ, સલામતી અને સુરક્ષાએ ગુજરાતની પોલિસને આભારી છે.

આ પ્રસંગે સાંસદ સી. આર. પાટીલે જણાવ્યું હતું કે, પોલીસ કર્મયોગીઓ નોકરી દરમિયાન અને રિટાયર્ડ થયા બાદ રહેવા માટે મકાનો મળે તે દિશામાં પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. સાયબર ક્રાઇમ ડિટેકશન કરવા માટે અદ્યતન ટેકનોલોજી સાથેના સાધનો સુરતને મળે તે માટે વ્યવસ્થા કરવામાં આવશે.ગુજરાતમાં ૨૬ હજાર નવી પોલીસ ભરતીઓ સંપૂર્ણ પારદર્શિતા સાથે થાય તે માટે પણ કાર્ય થઈ રહ્યું છે. જો પોલીસ જવાનોના પ્રશ્નો હશે તો તેનું ચોક્કસ નિરાકરણ કરવામાં આવશે તેવી હૈયાધરપત તેમણે આપી હતી. આગામી સમયમાં નવી ટી.પી.સ્કીમો પડે ત્યારે પોલીસ સ્ટેશન માટેની જગ્યાની પણ ફાળવણી થાય તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવનાર હોવાનું સાંસદે જણાવ્યું હતું.
આ પ્રસંગે પોલીસ કમિશનર અજય તોમરે પોલીસ દ્વારા થઈ રહેલી કામગીરી બાબતે જણાવ્યું હતું કે, કોરોનાકાળ દરમિયાન સામાન્ય માનવીઓને ફ્રુટ પેકેટ, દવા વિતરણ જેવી સંવેદશીલ કામગીરી કરવામાં આવી હતી જયારે ગુનેગારો સામે કઠોર અને મક્કમતા સાથે પાસા હેઠળ કામગીરી કરી નવો રેકોર્ડ સ્થાપિત કર્યો છે. સામાન્ય માનવીને અભયદાન આપવાનું કાર્ય પોલીસ જવાનોએ મક્કમતાપૂર્વક કરવાનું છે. તેમ જણાવીને શહેર પોલીસ દ્વારા છેલ્લા વર્ષ દરમિયાન લેન્ડ માફીયાઓ વિરૂધ્ધ કરવામાં આવેલી કામગીરી, બળાત્કારીઓને ઝડપી ચાર્જશીટ, ગુજ સી ટોક હેઠળની કામગીરી, ડ્રગ્સ વિરૂધ્ધ અભિયાન, સાયબર સંજીવની હેઠળ ૩૦ લાખ નાગરિકોને તાલીમ જેવા અનેકક્ષેત્રોમાં પોલીસે કરેલી શ્રેષ્ઠ કામગીરીને વિગતો તેમણે આપી હતી.

સુરત શહેર પોલીસની વિવિધ શાખાઓ દ્વારા સમગ્ર વર્ષ દરમિયાન વિવિધ કેસોમાં કરેલી શ્રેષ્ઠ કામગીરી કરનારા પોલીસ અધિકારીઓ, સાયબર સુરક્ષા જાગૃતિ, અંગદાન માટે ગ્રીન કોરિડોર, સીટીઝન સેફટી એવોર્ડ, શ્રેષ્ઠ ઈન્વેસ્ટીગેશન કરનારા અધિકારી, નો ડ્રગ્સ ઈન સુરત સીટી અભિયાન, નાસતા ફરતા આરોપીઓને પકડવાની કામગીરી જેવા અનેક ક્ષેત્રોમાં પોલીસ જવાનોએ કરેલી કામગીરી બદલ મંત્રી તથા અન્ય મહાનુભાવોના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા.

ભરૂચ: શક્તિનાથ સર્કલથી શ્રવણ ચોકડી સુધીના ફોર લેન માર્ગના રિસરફેસિંગ કામગીરીનું કરાયું ખાતમુહૂર્ત

•માર્ગ બિસ્માર બનતા રૂપિયા 2.50 લાખની ગ્રાન્ટ મંજૂર કરવામાં આવી હતી
•વિધાનસભાના નાયબ મુખ્ય દંડક અને ધારાસભ્ય દુષ્યંત પટેલના હસ્તે કરાયું ખાતમુહૂર્ત

ભરૂચના શક્તિનાથ સર્કલથી શ્રવણ ચોકડી સુધીના ફોર લેન માર્ગના કામનું ખાતમુહૂર્ત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક અને ધારાસભ્ય દુષ્યંત પટેલના હસ્તે રિસરફેસિંગ કામગીરીનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.

ભરૂચના શક્તિનાથ સર્કલથી શ્રવણ ચોકડી સુધી શહેરી વિસ્તારથી દહેજ જી.આઈ.ડી.સી.ને જોડતો મહત્વનો માર્ગ છે. જે માર્ગ બિસ્માર બન્યો છે જેથી વાહન ચાલકોને હલાકીનો સામનો કરવાનો વારો આવી રહ્યો હતો. ત્યારે આ અંગે સ્થાનિક આગેવાનોએ ઉચ્ચાકક્ષાએ રજૂઆત કરી હતી. જેથી ગુજરાત સરકાર માર્ગ અને મકાન વિભાગ દ્વારા રૂપિયા 2.50 લાખની ગ્રાન્ટ મંજૂર કરવામાં આવી છે.

આ ફોર લેન માર્ગનું શક્તિનાથ સર્કલ ખાતે વિધાનસભાના નાયબ મુખ્ય દંડક અને ધારાસભ્ય દુષ્યંત પટેલના હસ્તે રિસરફેસિંગ કામગીરીનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.

આ ખાતમુહૂર્તના કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના બાંધકામ સમિતિના ચેરમેન ધર્મેશ મિસ્ત્રી, જિલ્લા ભાજપના ઉપ પ્રમુખ દિવ્યેશ પટેલ, જિગ્નેશ મિસ્ત્રી, દક્ષાબેન પટેલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

ભરૂચ: પરિણામ સુંદર આવતા મુન્શી મનુબરવાળા મેમોરિયલ ચેરીટેબલ ટ્રસ્ટ તથા PMET સુરત દ્વારા યોજાયો કાર્યક્ર્મ

આજ રોજ ગિફ્ટેડ-30 કે જેનું સંચાલન મુન્શી મનુબરવાળા મેમોરિયલ ચેરીટેબલ ટ્રસ્ટ ભરૂચ તથા PMET રાંદેર સુરતના સંયુક્ત ઉપક્રમે વિધાર્થીઓ માટે નિઃશુલ્ક NEET તથા JEE નું ગિફ્ટએડ 30 નું પરિણામ ખૂબ સુંદર આવતા પ્રોત્સાહનના ભાગ રૂપે એક કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવેલ હતું.
ગુજરાત રાજ્ય ના 28 કેન્દ્રો માંથી ગિફ્ટએડ 30 ના કો- ઓર્ડિનાટરો એ હાજરી આપી હતી.સંસ્થાના વડા મુહમ્મદભાઈએ જણાવ્યું હતું કે ગિફ્ટએડ 30 પ્રોગ્રામ માં વિના મૂલ્યે તૈયારી કરાવવામાં આવે છે. સતત 3 વર્ષથી 100 ટકા NEET નું પરિણામ આપતી તથા પ્રતિષ્ઠિત કોલેજમાં વિના ડોનેસને પ્રવેશ અપાવતી સંસ્થા છે.
જેમાં શ્રેષ્ઠ ઇન હોઉસ શિક્ષકોની ભરતી કરવામાં આવે છેજે સફળતાનો ખુબજ ટ્રેક રેકોર્ડ ધરાવે છે તથા વિધાર્થીઓ માટે (બોયસ) MMMCT ભરૂચ કેમ્પસ માં અને વિદ્યાર્થીનીઓ (ગર્લ્સ) માટે VCT કેમ્પસમાં હોસ્ટેલ સુવિધા ઉપલબ્ધ છે અને ટ્રાન્સપોર્ટસન તથા પુસ્તકો મફતમાં આપવામાં આવે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા ગિફ્ટએડ 30 ના 4 વર્ષ ના ઈતિહાસમાં 46 થી વધુ વિધાર્થીઓ પ્રતિષ્ઠિત MBBS કોલેજમાં ડોક્ટરી અભ્યાસ તથા 23 થી વધુ BHMS અને BAMS કોલેજો માં અભ્યાસ માટે વિના ડોનેસન એડમિશન મળેલ છે તથા એન્જીનિરિંગ માં 30 થી વધુ વિધાર્થીઓ IIT,8 થી વધુ વિધાર્થી NIT,37 થી વધુ વિધાર્થી પ્રતિષ્ઠિત એન્જીનિરિંગ કોલેજમાં એડમીસન મેળવેલ છે.

આમોદના કાંકરિયા ગામે ધર્માંતરણ ષડયંત્રનાં નવા રહસ્યો થયા ઉજાગર

•સુરતનો સાડીનો વેપારી બિલાલ મેમણ બાનવી આપતો મુસ્લિમ આધારકાર્ડ સહિતના દસ્તાવેજો

•મુસ્લિમ ધર્મનો અંગીકાર અને ત્યારબાદ ધર્મનું શિક્ષણ આપવા આમોદ , જંબુસર , પાલેજ , નડિયાદની મસ્જિદોના મૌલવી કે મુફ્તીઓ વારંવાર કાંકરીયા ગામે આવતા

•આમોદના કાંકરિયા ગામે ધર્માંતરણમાં આરોપીઓની સિન્ડિકેટે બનાવી દીધું રૂ. 14 લાખનું ઈબાદતગાહ અને રૂ. 4.5 લાખમાં કબ્રસ્તાન

આમોદ તાલુકાના કાંકરિયા ગામે 150 થી વધુ આદિવાસીઓના ધર્માંતરણમાં 4 આરોપીના 5 દિવસના રિમાન્ડ દરમિયાન રોજે રોજ આ ષડયંત્રમાં નવા રહસ્યો ઉજાગર થઈ રહ્યાં છે.

ધર્માંતરણ મુદ્દે તપાસ ચલાવી રહેલા DYSP એમ.પી. ભોજાણીએ રવિવારે પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં તપાસ અને આરોપીઓના રિમાન્ડમાં આવેલી ચોંકાવનારી હકીકતો જાહેર કરાઈ હતી. કાંકરિયા ગામે મુસ્લિમ ધર્મ અંગીકાર કરનારના બાળકો સુરત જિલ્લાના પલસાણા તાલુકાના સામરોદ ગામની મદ્રસ-એ-ઇસ્લામીયામાં ધાર્મિક શિક્ષણ મેળવવા દાખલ કરાયેલા છે, તેવા 5 બાળકો મળી આવ્યા છે. અને હજુ વધુ બાળકો મળવાની શક્યતા છે.

મુસ્લિમ ધર્મનો અંગીકાર કરતી વખતે અને ત્યારબાદ ધર્મનું શિક્ષણ આપવા આમોદ, જંબુસર, પાલેજ, નડિયાદ વિગેરે સ્થળોએથી મસ્જિદોના મૌલવી કે મુફ્તીઓ વારંવાર કાંકરીયા ગામે અને આમોદ મુકામે આવ્યા હતા. ધર્માંતરણના 9 આરોપીઓ પૈકી અબ્દુલ મજીદ નામના આરોપીએ મુસ્લિમ ધર્મનો અંગીકાર કરનારાઓને અવાર નવાર જંબુસરની મસ્જિદમાં નમાઝ પડવાનું શીખડાવવા સારુ લઈ જતો હતો.

મુસ્લિમ ધર્મના અંગીકાર બાદ જે તે નાગરિકના મુસ્લિમ નામ વાળા આધાર કાર્ડ સોગંદનામા તથા ગેઝેટની પ્રસિદ્ધિનું કામ સુરતનો સાડીનો વેપારી બિલાલ ઇકબાલ મેમણ નામની વ્યક્તિ કરી આપતો હતો. જેણે આજ દિન સુધીમાં કુલ અંદાજિત 25 લોકોના આધાર કાર્ડ સોગંદનામાં અને ગેજેટ પ્રસિદ્ધનું કામ કરી આપ્યા છે.

આરોપીઓએ સાથે મળી ભંડોળ એકત્ર કરી કાંકરીયા ગામે એક કબ્રસ્તાન અને ઈબાદતગાહનું નિર્માણ કર્યું છે. જેમાં ઈબાદત બનાવવા માટે આરોપી અજીજ ના રૂપિયા 12 થી 14 લાખ આપેલા છે. કબ્રસ્તાન માટે જમીન આછોદના હસન ટીસલી દ્વારા રૂપિયા સાડા ચાર લાખનો ખર્ચ કરી બનાવી આપેલ છે.

ભરૂચ: બળાત્કાર અને હત્યાની કોશીષના ગુનામાં ૧૦ વર્ષની કેદની સજા ફરમાવતી કોર્ટ

બાળકોને જાતિય શોષણથી રક્ષણ આપતા કાયદા અને ભારતીય દંડ સંહિતા હેઠળ બળાત્કાર અને હત્યાની કોશિષ કરવાના ગુના સબબ તકસીરવાર ઠેરવી ૧૦ વર્ષ ની સખત કેદ ની સજા ભરૂચ પોકસો કોર્ટે ફરમાવી છે.

ગત તારીખ ૧૦/૦૪/૨૦૧૮ ના રોજ મોજે ગામ મહુવડ, તા. ઝગડિયા, જી. ભરૂચ ખાતે ફરિયાદી (ભોગબનનાર) સવારના દસેક વાગ્યે તેણીની મોટી બહેન સાથે શેરડીના તથા મકાઈનાં ખેતરોમાં ચારો કાપવા માટે ગયેલા હતા અને આશરે અર્ધો કલાક બાદ ફરિયાદી (ભોગબનનાર) ની મોટી બહેન ઘરે પાણી ભરવા ગયેલ હોય ભોગબનનાર ખેતરમાં એકલી હતી.

તેવામાં આરોપી નિરવ કિરણભાઈ વસાવા ભોગબનનારની એકલતાનો લાભ લઈને તેણીની પાસે આવેલ અને ભોગબનનાર સાથે શારીરિક સબંધ બાંધવા છે તેમ માંગણી કરતાં ભોગબનનારે આરોપીને ના પાડતાં આરોપી ભોગ બનનારને ખેતરોમાં અંદરના ભાગે ખેંચીને લઈ ગયેલો અને ભોગબનનારને જમીન ઉપર પાડી આરોપી નિરવ ભોગબનનાર સાથે જબરજસ્તીથી બળાત્કાર કરતો હતો તે વખતે ભોગબનનાર આરોપીને તેવું ન કરવા આજીજી કરતાં હતા ત્યારે આરોપીએ ભોગબનનારનું મોઢું દબાવી દીધેલું અને તેના પેન્ટના ખિસ્સા માથી બ્લેડ કાઢી આરોપીએ ભોગબનનારને ગળાના ભાગે આઠ થી નવ ઘા મારી ભોગબનનારને જીવલેણ ઇજાઓ પહોચાડી હત્યાનો પ્રયાસ કરેલ.

તે વખતે ભોગબનનારે જોરથી બૂમાબૂમ કરતાં ભોગબનનારની બહેન ત્યાં આવી જતાં આરોપી બનાવવાળી જગ્યાએથી ભાગી ગયેલા. ત્યાર બાદ લોકો ભેગા થઈ જતાં ફરિયાદી(ભોગ બનનાર)ને ગંભીર ઇજાઓ હોય પ્રથમ રાજપીપળા સરકારી દવાખાને સારવાર અર્થે લઈ ગયેલ જ્યાં તેણીની પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર અર્થે વડોદરા લઈ જવા જણાવાતાં તેણીને વાઘોડિયા ખાતે આવેલ ધીરજ હોસ્પિટલ માં લઈ જવામાં આવેલ.
જ્યાં તેણીની સારવાર બાદ તેણી હોશમાં આવ્યા બાદ ઉમલ્લા પોલીસે હોસ્પિટલ ખાતે તેણીની પૂછપરછ કરી ફરિયાદ લીધેલી. સમગ્ર કેસની તપાસ પૂર્ણ થયેથી નામદાર કોર્ટમાં ચાર્જશીટ ફાઇલ થતાં ફરિયાદી પક્ષ તરફે આ કેસ ચલાવવા અર્થે મદદનીશ જિલ્લા સરકારી વકીલ અને વધારાના પબ્લિક પ્રોસિક્યુટર રૂગેશ. જે. દેસાઇ ને ફાળવવામાં આવતાં તેઓએ આ કેસ ચલાવેલ અને કેસના અંતે મૌખિક જુબાનીઓ તથા તેઓએ રજૂ કરેલ તબીબી અને વૈજ્ઞાનિક પુરાવાઓ તથા અન્ય દસ્તાવેજી પુરાવાઓ આધારે પોતાની દલીલો રજૂ કરેલ.

જે પુરાવાઓ અને દલીલોને લક્ષ્યમાં લઈ મહેરબાન ભરૂચના સ્પે. પોકસો કોર્ટના ન્યાયાધીશ શ્રીમતિ માલતીબેન સોનીએ તારીખ ૨૦/૧૧/૨૦૨૧ નારોજ આરોપી નિરવ કિરણભાઈ વસાવાને તકસીરવાર ઠેરવી ભારતીય દંડ સંહિતાની કલમ ૩૭૬ હેઠળ ૧૦ વર્ષની સખત કેદ અને રૂ. ૧૦,૦૦૦/- દંડ અને દંડ ન ભરે તો વધુ ૬ માસની સાદી કેદ, તેજ કાયદાની કલમ ૩૦૭ હેઠળ ૭ વર્ષની સખત કેદ અને રૂ. ૮,૦૦૦/- દંડ અને દંડ ન ભરે તો વધુ ૫ માસની સાદી કેદ તેમજ બાળકોને જાતિય શોષણથી રક્ષણ આપતા કાયદા (પોકસો એક્ટ)ની કલમ ૫ સાથે કલમ ૬ ને લક્ષ્યમાં લઈ ૧૦ વર્ષની સખત કેદ અને રૂ. ૧૦,૦૦૦/- દંડ અને દંડ ન ભરે તો વધુ ૬ માસની સાદી કેદ ની સજા અને તમામ સજા સાથે ભોગવવા અર્થેનો હુકમ ફરમાવ્યો છે.

ભરૂચ: શુકલતીર્થ ગામે આત્મનિર્ભર ગ્રામયાત્રાનો જિલ્લા કક્ષાનો સમાપન સમારોહ યોજાયો

સમગ્ર રાજ્યમાં સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો મહત્તમ લાભ છેવાડાના લોકો સુધી પહોંચે તેવા આશયથી આત્મનિર્ભર ગ્રામ યાત્રાનુ આયોજન કરાયુ. જેના ભાગરૂપે ભરૂચ જિલ્લાના શુકલતીર્થ ગામે આત્મનિર્ભર ગ્રામ યાત્રાનો જિલ્લા કક્ષાનો સમાપન સમારોહ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક સી.વી.લતા તેમજ જિલ્લા ખેતીવાડી અધિકારી જીગરભાઇ ભટૃની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયો હતો. આ વેળાએ તાલુકા વિકાસ અધિકારી એમ.એમ.પટેલ, શુકલતીર્થ જિલ્લા પંચાયત બેઠકના સભ્ય ભાવનાબેન આર.વસાવા, સરપંચ શ્રીમતિ મંજૂલાબેન ઉપસ્થિત રહયા હતા. શુકલતીર્થ ગામે આત્મનિર્ભર રથ આવી પહોંચતા ગામ આગેવાનો- ગ્રામજનો દ્વારા ભવ્ય સ્વાગત કરાયું હતું.
આ પ્રસંગે મહાનુભાવો દ્વારા એમ.આર.એલ.એફ યોજના હેઠળ નવ બહેનોને પ્રમાણપત્ર,કુપોષણ બાળકોને સુખડીનું વિતરણ કરાયું હતું. સીઆરસી નિકોરા દ્વારા પ્રાથમિક શાળા- શુકલતીર્થને પુસ્તકદાન અર્પણ કરાયું હતું.
આ પ્રસંગે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક સી.વી.લતાએ પ્રાસંગિક ઉદબોધનમાં જણાવ્યું હતું કે આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત રાષ્ટ્રના વિકાસમાં ગ્રામીણ વિસ્તારોનું પણ યોગદાન વધે, ગ્રામ વિસ્તારોના લોકો ધરઆંગણે સરકારી અનેક સેવાઓનો લાભ મળી રહે અને ખરા અર્થમાં ગ્રામીણ વિસ્તારો આત્મનિર્ભર બને તે માટે રાજય સરકાર દ્વારા ત્રિદિવસીય આત્મનિર્ભર ગ્રામયાત્રાનું રાજયવ્યાપી આયોજન કર્યું હતું. ત્રિદિવસીય દરમ્યાન રથ ના માધ્યમથી સરકારની ૧૧ જેટલી મહત્વપૂર્ણ યોજનાઓની માહિતી આપીને આત્મનિર્ભર ગ્રામ બનાવવા માટે પ્રોત્સાહન અને માર્ગદર્શન અપાયું હતું. જિલ્લા ખેતીવાડી અધિકારી જીગરભાઇ ભટે પ્રાસંગિક પ્રવચનમાં ખેતીવાડી ખાતાની યોજનાઓ વિશે સૌને માહિતગાર કર્યા હતા.અન્ય મહાનુભાવોએ પણ પ્રાસંગિક ઉદબોધનમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી અને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં કેન્દ્ર-રાજ્ય સરકાર લોકસેવા અને વિકાસના નવા આયામો સર કરી રહી છે. ત્યારે ગ્રામ્ય વિસ્તારોને પ્રગતિના પંથે અગ્રેસર કરવા માટે નાગરિકોએ સરકારી યોજનાઓનો લાભ અચૂક મેળવવો જોઈએ તેમ જણાવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે ત્રિ-દિવસીય યાત્રાને ત્રણ રૂટમાં ભરૂચ જિલ્લા પંચાયતની ૩૪ બેઠકોના આવરી લઇ વિવિધ ગામોએ રથની ફેરણી થઇ હતી. દરેક ગામોમાં સમાવિષ્ટ ગામોમાં રથની ફેરણી વખતે સ્વચ્છતા રેલી, સ્વચ્છતા શપથ, અને પ્રસાર પ્રસાર અર્થે ભવાઇના કાર્યક્રમ યોજી વિવિધ યોજનાકીય બાબતોની જાણકારી પણ આપવામાં આવી હતી. જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના આઇઇસી કન્સલટન્ટ એસબીએમ (ગ્રામીણ) જયેશ આર.પટેલે આત્મનિર્ભર ગ્રામ યાત્રા દરમ્યાન પેમ્પલેટ તથા વિવિધ યોજનાકીય સાહિત્યનું વિતરણ કરી લોકોને જાણકારી આપી હતી.
આ કાર્યક્રમમાં તાલુકા પંચાયતના સભ્ય રણજીતસિંહ પરમાર,માજી સરપંચ નિલેશભાઇ વસાવા, આગેવાન પદાધિકારી યતિનભાઇ પટેલ, કમલેશભાઇ જોષી, જયરાજસિંહ પરમાર સહિત આગેવાન પદાધિકારીઓ, આત્મા પ્રોજેકટ સ્ટાફ, ખેતીવાડી ખાતા અધિકારી- કર્મચારીઓ, ગામ આગેવાનો,આંગણવાડીની બહેનો તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

ભરૂચ: અવિધા ગામમાં 1962ની ટીમે કુહાડીના ઘા થી પિડાતી ગાયની કરી સારવાર

ગુજરાત સરકાર દ્વારા જીવીકે EMRI મારફતે ચાલતું ફરતું પશુ દવાખાનું. ગ્રામણી વિસ્તારોમાં પશુપાલકોને ઘર બેઠા નિયત કરેલ ગામમાં નિશુલ્ક પશુ સારવાર મળી રહે તે માટે કાર્યરત છે. જેમાં ટોલ ફ્રી નંબર 1962 પર ફોન કરીને Emergency કેસ નોંધાવતા શીલ MVD ફરતું પશુ દવાખાનું તેમના ઘરે જઈ સારવાર આપી પશુઓના જીવ બચાવે છે.

સરકારની યોજના અંતર્ગત ફરતું દસ ગામ દીઠ એક પશુ દવાખાનાની યોજના ચાલે છે. જેમાં ભરૂચ જિલ્લાના અવિધા ગામમાં એક એમ્બ્યુલન્સ મુકાયેલી છે. જેમાં નજીકના 10 ગામ આવરી લેવામાં આવેલ છે. ગામમાં ફરતું પશુ દવાખાનામાં કાર્યરત ડોક્ટર દેવેન્દ્ર દેવીલાલ તથા pilot મહેશભાઈ પટેલ તેમના શિડયુલ મુજબ વિઝિટમાં હતા.

ત્યારે ગામમાં રહેતા માયાભાઈ વિઠ્ઠલભાઈ વસાવા ની ગાયને પાછળના પગમાં કુહાડીનો ઘા થયો હોવાથી તેમને 1962 પશુ દવાખાનું માં કેસ નોંધાવ્યો હતો. 1962 ના પશુચિકિત્સક ડોક્ટર દેવેન્દ્ર દેવીલાલ ત્યાં પહોંચ્યા હતા. ગાયની તપાસ કરતા જાણ્યું કે ઘણો ઊંડો ઘા હતો તેથી તેની એક કલાકની ભારે જહેમત બાદ ગાયના એબઝોરેબલ અને નોન એબઝોરેબલ ટાંકા લીધા હતા. અને ગાયને પીડામાંથી રાહત અપાવી હતી. ત્યારબાદ પશુપાલકે રાહતનો શ્વાસ લીધો અને ડોક્ટર અને પાઇલટની કામગીરીને બિરદાવી હતી.

error: Content is protected !!