The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

Home Blog Page 222

ગુજરાતના ગોધરાકાંડના આરોપી હાજી બિલાલનું સારવાર દરમિયાન મોત

ગોધરા શહેરમાં 2002માં ટ્રેનની બોગીમાં આગ લગાડવાના કેસના ગુનેગાર હાજી બિલાલનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. શનિવારે માહિતી આપતા એક અધિકારીએ જણાવ્યું કે દોષિત ઈસ્માઈલ અબ્દુલ મજીદ ઉર્ફે હાજી બિલાલ (61) વડોદરાની સેન્ટ્રલ જેલમાં આજીવન કેદની સજા ભોગવી રહ્યો હતો.

વડોદરાના મદદનીશ પોલીસ કમિશનર અલ્પેશ રાજગોરે જણાવ્યું હતું કે 22 નવેમ્બરે અચાનક બિલાલની તબિયત બગડી હતી. તેને વડોદરાની સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. શ્વાસની તકલીફને કારણે તેમને ઓક્સિજન સપોર્ટ પર મૂકવામાં આવ્યો હતો. સારવાર દરમિયાન શુક્રવારે રાત્રે તેનું મોત નીપજ્યું હતું. માહિતી મળતા પોલીસે જરૂરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી અને પોસ્ટમોર્ટમ બાદ હાજી બિલાલનો મૃતદેહ તેના સંબંધીઓને સોંપ્યો હતો. તેના મૃતદેહને ગોધરા લઈ જવામાં આવ્યો હતો, જ્યાં તેને દફનાવવામાં આવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, 2011 માં, SIT ની વિશેષ કોર્ટે હાજી બિલાલ સઈદ સહિત 11 દોષિતોને મૃત્યુદંડ અને 20 અન્યને આજીવન કેદની સજા ફટકારી હતી. પરંતુ ઓક્ટોબર 2017માં ગુજરાત હાઈકોર્ટે હાજીની ફાંસીની સજાને આજીવન કેદમાં ફેરવી હતી. ત્યારથી તે વડોદરાની મધ્યસ્થ જેલમાં સજા કાપી રહ્યો હતો.

પર્યાવરણની જાળવણી : SOUADTGA ખાતેથી ૪૫ ઇ-રીક્ષા પ્રવાસીઓની સેવામાં મુકાઇ

•તમામ ઇ-રીક્ષા ચાલક સ્થાનિક આદિવાસી મહિલાઓ.

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ અખંડ ભારતના ઘડવૈયા ભારતરત્ન લોખંડી પુરુષ,સરદાર સાહેબને યોગ્ય શ્રધ્ધાંજલી આપવા માટે તેમજ આવનાર પેઢી ભારત નિર્માણમાં સરદાર સાહેબે આપેલ યોગદાનને યાદ કરે તે માટે દુનિયાની સૌથી ઉંચી પ્રતિમાં કેવડીયામાં સ્થાપિત કરી છે,સાથેસાથે ઇકો-ટુરીઝમનાં વિકાસ થકી આ સમગ્ર આદિવાસી વિસ્તારની સામાજિક આર્થિક પ્રગતીને પ્રોત્સાહન આપવા અનેકવિધ પ્રવાસીય પ્રકલ્પ અમલમાં મુકયા છે,તેના કારણે આજે આ સ્થળ વિશ્વકક્ષાનું પ્રવાસન સ્થળ બન્યુ છે, સાથે સાથે સ્થાનિકોને રોજગારી આપવાનું ઉદાહરણરૂપ કાર્ય પણ થયુ છે.

પ્રવાસન સ્થળનો વિકાસ પર્યાવરણીય જાળવણી તથા સંવર્ધન સાથે થાય તે માનનીય પ્રધાનમંત્રીની દુરંદેશીભરી નિતી રહી છે, આ દિશામાં અજોડ કદમ ઉઠાવતા ગત ૫ જુન ૨૦૨૧નાં રોજ વિશ્વ પર્યાવરણ દિવસ નાં રોજ માનનીય પ્રધાનમંત્રીએ SOUADTGA વિસ્તારમાં પ્રદુષણ ઓછુ થાય તેવા શુભ આશયથી બેટરી સંચાલિત વાહનો ચલાવવાનો નિર્ધાર વ્યકત કર્યો હતો જેને સાકાર કરતા અગાઉ ૧૦ જેટલી મહિલા સંચાલિત ઇ-રીક્ષાનું આજે પ્રાયોગિક ધોરણે અમલીકરણ કરવામાં આવ્યુ હતુ જેને પ્રવાસીઓ તરફથી ભારે પ્રતિસાદ પ્રાપ્ત થતા આજથી વધુ ૪૫ જેટલી ઇ-રીક્ષા આજથી પ્રવાસીઓની સેવામાં વ્ધુ ૪૫ જેટલી ઇ-રીક્ષા સેવામાં મુકવામાં આવી છે જેથી હવે કુલ મળીને મહિલા સંચાલિત ૫૫ જેટલી ઇ-રીક્ષા સેવામાં કાર્યરત છે. .
આ માટે કેવડીયા સ્થિત એકતા સ્કીલ ડેવલોપમેન્ટ કેન્દ્ર ખાતે મહિલાઓને રીક્ષા પરિચાલન અને પ્રવાસીઓને માહિતી આપવા સારૂ ગાઈડ તરીકે તાલીમ આપવામાં આવી હતી.

જાણવા મળેલ માહિતી પ્રમાણે ટુંક સમયમાં મહિલા સંચાલિત કુલ મળીને ૩૦૦ જેટલી ઇ-રીક્ષા પ્રવાસીઓની સેવામાં અમલમાં મુકવાનું આયોજન છે. આજે ઇ- રીક્ષાની આ સેવા ભારતભરમાં મહિલા સંચાલિત આ પ્રકારની પ્રથમ સેવા છે અને પ્રવાસીઓ મહિલા સંચાલિત ઇ-રીક્ષાને વિશ્વસનિયતાનું પ્રતિક માને છે.

અંકલેશ્વર: જૂની દીવી, જૂના દીવા સહિતના ત્રણ ગામની સીમમાંથી વીજ ટ્રાન્સફોર્મરની થઈ ચોરી

શિયાળાની શરૂઆત થતાં જ અંકલેશ્વર પંથકમાં ફરી વીજ ટ્રાન્સફોર્મર ચોરો સક્રિય થવા પામ્યા હતા.અંકલેશ્વર તાલુકાના જૂની દીવી, જૂના દીવા તેમજ જૂની સૂરવાડી સહિતના ત્રણ ગામોની સીમમાંથી વીજ ટ્રાન્સફોર્મરોને નિશાન બનાવી તસ્કરો ઈલેક્ટ્રિક કોઇલ મળી કુલ રૂ. 1.26 લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા.

અંકલેશ્વર દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા જૂની દીવી, જૂના દીવા તેમજ જૂની સૂરવાડી ગામોની સીમમાં ખેતીવાડી માટે વીજ ટ્રાન્સફોર્મર મૂકવામાં આવ્યા છે જે વીજ ટ્રાન્સફોર્મરોને ગત તારીખ 7, 9, 10, 15 અને 17 નવેમ્બરના રોજ તસ્કરોએ નિશાન બનાવ્યા હતા અને ટ્રાન્સફોર્મરોમાં રહેલા ઓઇલને ઢોળી સ્ટડ તોડી અંદર રહેલી કોઇલ મળી કુલ રૂ. 1.26 લાખથી વધુના મુદ્દામાલની ચોરી કરી હતી. આ ચોરીઓ અંગે પાંચ ખેડૂતોએ વીજ કચેરી ખાતે જાણ કરી હતી, જેને પગલે વીજ કંપનીના અધિકારીએ અંકલેશ્વર શહેર પોલીસ મથક ખાતે ચોરી અંગે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથધરી હતી.

અંકલેશ્વર: અડોલ ખાતે કાળભૈરવ જન્મજયંતિ ઉજવાઇ

અંકલેશ્વરના અડોલ ગામમાં આવેલા કાલ ભૈરવ મંદિર ખાતે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા, જેમનો ભાવિક ભક્તોએ લાભ લઈ ધન્યતા અનુભવી હતી.

અંકલેશ્વરના અડોલ ગામમાં આવેલા કાલ ભૈરવ દાદાના મંદિર ખાતે કાલ ભૈરવ જન્મ જયંતિ નિમિત્તે પૂજન, અર્ચન અને ભજન કીર્તન સહિતના કાર્યક્રમો યોજાયા હતા, જે ભાવિક ભક્તોએ ધાર્મિક કાર્યક્રમોનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી. નોંધનીય છે કે કારતક વદ આઠમના શુભ દિવસે ભગવાન શંકર કાળ ભૈરવ સ્વરૂપે પ્રગટ થયાં હતાં. જેથી આજના દિવસને કાલાષ્ટમી કે ભૈરવાષ્ટમી કે કાળ ભૈરવ જયંતિના નામે ઓળખવામાં આવે છે.

શાસ્ત્રોમાં ઉલ્લેખાયા મુજબ પૃથ્વી પરના પાપને નાશ કરવાની બ્રહ્માજીની અસમર્થતાને જોઈ શિવજીને ગુસ્સો આવતાં ભગવાન કાળ ભૈરવની ઉત્પત્તિ થઈ હતી. કાળ ભૈરવે બ્રહ્માજીના એક મસ્તકને પોતાના નખથી કાપી નાખ્યું હતું જેથી કાળ ભૈરવને બ્રહ્મ હત્યાનું પાપ લાગ્યું હતું. આ પાપમાંથી ભગવાન કાળ ભૈરવને કાશીમાંથી મુક્તિ મળી હોવાથી ભગવાન શિવે કાશીનું રક્ષણ કરવાની જવાબદારી ભગવાન કાળ ભૈરવને સોંપી હતી. જેને પગલે આજે પણ ભગવાન કાળ ભૈરવ કાશી નગરીની રક્ષા કરી રહ્યા હોવાની લોકમાન્યતા છે.

ચૂંટણી જાહેર થતાં જ ભરૂચ જિલ્લા ભાજપની કારોબારી બેઠક મળી

ગુજરાતમાં ગ્રામ પંચાયતની ચૂંટણી જાહેર થતાં જ રાજકીય પક્ષોમાં રાજકીય ગતિવિધિ તેજ બની ગઈ છે. જેમાં ભારતીય જનતા પાર્ટી આ ચૂંટણીને ધ્યાને રાખી સજ્જ પણ બની છે. જેનાં અનુસંધાને ભરૂચ જિલ્લા સંગઠન પ્રભારી જનકભાઈ બગદાણાજીની અધ્યક્ષતામાં ભરૂચ જિલ્લા ભાજપની કારોબારી બેઠક મળી હતી.

ભારતીય જનતા પાર્ટી ની ભરૂચ જિલ્લા સ્તરની મહત્વની કારોબારી બેઠક આત્મીય હોલ ભરૂચ ખાતે યોજાઈ હતી. રાજકીય દ્રષ્ટિએ મહત્વની આ બેઠકમાં 25કરતા વધુ આપ પાર્ટીના કાર્યકરો ભાજપમાં જોડાયા હતાં જેમને આવકારવામાં આવ્યા હતાં.

ભારતીય જનતા પાર્ટીની જિલ્લાની કારોબારી બેઠકમાં ઉપસ્થિત મહાનુભાવોનું સ્વાગત ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ મારૂતિ સિંહ અટોદરીયાએ કર્યુ હતું. સાથે જ તેમણે જિલ્લામાં ભાજપની આગેકૂચ અંગે માહિતી આપી હતી. આવનાર ચૂંટણીઓ માટે સૌને સંગઠન મજબૂત કરી પાર્ટી ને વધુ મજબૂત કરવા હાકલ અને અપીલ કરી હતી. જયારે પુર્વ સાંસદ ભરતસિંહ પરમારે હાલની રાજકીય પરિસ્થિતિ ની સમીક્ષા કરી હતી. સાંસદ મનસુખભાઈ વસાવાએ ભાજપ દ્વારા થતા વિકાસ ના કામો અને આવનાર દિવસોમાં થનાર કામો અંગે માહિતી આપી હતી. પુર્વ મંત્રી ઇશ્વર સિંહ પટેલ, વિધાનસભા ના ઉપ મુખ્ય દંડક અને ભરૂચના ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલ ભરૂચ જિલ્લા સહકારી બૅન્કના ચેરમેન અને વાગરાના ધારાસભ્ય અરૂણસિંહ રણા, પુર્વ ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી, પુર્વ મંત્રી છત્રસિંહ મોરી, પુર્વ ધારાસભ્ય કિરણ ભાઈ મકવાણા વગેરેએ પ્રાસંગિક વક્તવ્ય આપ્યું હતું.

કારોબારી માં મુખ્યત્વે દેશના લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીના નેતૃત્વ માં થયેલ વિક્રમ જનક કોરોના રસીકરણ, ખેડૂતોના હિતમાં કરાયેલ કાર્યો તેમજ દેશને સમૃદ્ધ અને સશક્ત બનાવવાના વડાપ્રધાનના સતત અને અવિરત કાર્યોને આવકારવા અંગે અગ્રણી દિવ્યજીત સિંહ ચુડાસમાએ ઠરાવ રજૂ કરતાં, ઠરાવ સર્વાનુમતે પસાર કરવામાં આવ્યો હતો. કારોબારી સભામાં ભાજપ જિલ્લા મહામંત્રી નિરલભાઈ પટેલે પાર્ટીના આગામી કાર્યક્રમોની વિગત આપી હતી. જિલ્લા પચાયત પ્રમુખ અલ્પાબેન મહામંત્રી, ફતેસિંહ ગોહિલ તેમજ અન્ય અપેક્ષિતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં. આ પ્રસંગે 25 કરતા વધુ આપ પાર્ટીના કાર્યકરો ભાજપમાં જોડાતા તેમને આવકાર આપવામાં આવ્યો હતો. સમગ્ર કારોબારી સભાનું સંચાલન ભાજપના જિલ્લા ઉપ પ્રમુખ દિવ્યેશભાઈ પટેલે કર્યુ હતું જયારે આભાર વિધિ પ્રતાપસિંહ પરમારે કરી હતી.

ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકામાં કોવિડ-૧૯ નું રસીકરણની મહાઝૂંબેશ

•સાંજના -૪.૦૦ વાગ્યા સુધીમાં ૨૫૩૭ વેકસીનેશનના ડોઝ

સરકાર દ્વારા કોવિડ-૧૯ મહામારી અન્વયે રસીકરણ કાર્યક્રમ હાલ ચાલુ છે જે અન્વયે ભરૂચ જિલ્લાના તમામ તાલુકામાં આ કાર્યક્રમ અંતર્ગત કલેકટર તુષાભાઇ સુમેરા અને જિલ્લા વિકાસ અધિકારી યોગશભાઇ ચૈાધરીના માર્ગદર્શન હેઠળ જિલ્લના નેત્રંગ તાલુકામાં કુલ-૨૩ રસીકરણ કેન્દ્રો ખાતે કોવિડ-૧૯ વેકસીનેશનના ડોઝ આપવાનું આયોજન કરેલ છે.

જેના ભાગરૂપેનેત્રંગ તાલુકાના ૨૩ રસીકરણ કેન્દ્રો ખાતે સાંજના ૪.૦૦ વાગ્યા સુધીમાં ૨૫૩૭ વેકસીનેશનના ડોઝ અપઇ ગયા છે. તેમ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ર્ડા.જે.એસ.દુલેરાએ જણાવ્યું હતું.

આરોગ્ય વિભાગ દ્વારા નેત્રંગ તાલુકામાં ૨૩ જેટલા વિકસીનેશન સેન્ટરો ઉભા કરી રસીકરણની કામગીરી હાથ ધરવામાં આવી હતી મોબાઇલ ટીમો દૃવારા પણ નેત્રંગ તાલુકામાં રહેતા લોકોને ડોઝ મળી રહે તેવુ; આયોજન કરવામાં આવીયું હતું. વધુમાં યુવા અનસ્ટોબલ સંસ્થા દૃવારા પ્રથમ અને બીજા ડોઝ લેનાર લાભાર્થીઓને ૧ લીટર તેલ આપવામાં આવ્યું હતું. તેમ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીએ ઉમેર્યું હતું.

સુરત: પાંડેસરાની GIDCમાં આવેલી રાણી સતી મિલમાં લાગી ભીષણ આગ

સુરત શહેરમાં પાંડેસરા જીઆઈડીસીમાં આવેલી રાણી સતી નામની મિલમાં આજે સવારે 10 વાગ્યા આસપાસ આગ લાગી હતી. એની જાણ થતાં ફાયર વિભાગની 15 જેટલી ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. આગને કારણે બે કિલોમીટર સુધી ધુમાડો દેખાઈ રહ્યો છે. હાલ ફાયર વિભાગ દ્વારા ફોર્મયુક્ત પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

ત્રણ દિવસ બંધ રહ્યા બાદ આજે મિલ ચાલુ કરવા સમયે ઘટના બની હોવાનું બહાર આવ્યું છે. સવારે બોઇલર પાસે કામ ચાલતું હતું. દરમિયાન ઓઈલ લીકેજ થવાથી કેમિકલમાં ચિંગારી ઉડતા જોતજોતામાં ભીષણ આગ લાગી હતી. મિલ અંદાજે 30 વર્ષ કરતાં પણ જૂની હોવાથી સ્ટ્રક્ચર પણ ખૂબ નબળું થઇ ગયું છે. આ મિલમાં ફાયરના સાધનો હોવાનું ફાયર ઓફિસરે જણાવ્યું હતું.

પાંડેસરા જીઆઇડીસીની મિલમાં ભીષણ આગ લાગતાં ફાયર વિભાગ દોડતો થયો છે. ડાઇંગ પ્રિન્ટિંગની અંદર આગ એકાએક આગ ભભૂકી ઊઠતા જોતજોતાંમાં આગે આખી મિલને લપેટમાં લઈ લીધી હતી. આગ એટલી ભીષણ છે કે બે કિલોમીટર દૂરથી તેના ધુમાડા દેખાઈ રહ્યા છે. આગ લાગતાં આસપાસની મિલોમાં પણ ફફડાટ ફેલાયો છે. એકાએક આગ ભભૂકી ઊઠતાં વિસ્તારની દોડધામ મચી જવા પામી છે.

ભરૂચ: મારવાડી ટેકરા પર કારમાંથી 3.03 લાખનો વિદેશી દારૂ ઝડપાયો

ભરૂચ એ-ડિવિઝન પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેકટર એ.કે.ભરવાડ અને સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન બાતમી મળી હતી કે, ભરૂચ શહેરના રોટરી કલબ પાછળ આવેલા મારવાડી ટેકરા પર રહેતા કુખ્યાત બુટેલગર હનીફ ઉર્ફે હન્નુ મહેમુદ દીવાનના મકાનમાં અને કારમાં વિદેશી દારૂનો જથ્થો ભરેલો છે.

જે બાતમીના આધારે તપાસ કરી છાપો મારતા પોલીસને હનીફ ઉર્ફે હન્નુ મહેમુદ દીવાનના મકાનમાંથી વિદેશી દારૂ અને બિયરના ટીન નંગ-1243 કિંમત રૂ.3,03,960 અને કારની કિંમત રૂ.3 લાખ અને મોબાઈલ મળીને કુલ રૂ.6,04,460 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. ભરૂચ એ-ડિવિઝન પોલીસે સ્થળ પર હાજર આરોપી રાજેન્દ્ર હીરાભાઈ મિસ્ત્રીની અટકાયત કરીને કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.

ભરૂચ: બામસેફ-ઈન્સાફ BMG સંગઠન દ્વારા ઉજવાયો સંવિધાન દિવસ

ભરૂચમાં સ્વતંત્ર ભારતરાષ્ટ્ર ના સંવિધાન અર્પણ કર્યા ના 72 માં વર્ષ નિમિત્તે બામસેફ – ઈન્સાફ – બી.એમ.જી દ્વારા ફૂલહાર વિધિ – સંવિધાન પ્રતિજ્ઞા – તથા દિપોત્સવ કાર્યક્રમ અંતર્ગત આજે સવારે રાષ્ટ્રનિર્માતા ડૉ.બાબાસાહેબ આંબેડકર ની પ્રતિમા પાસે કાર્યકરો ઈન્સાફ રાષ્ટ્રીય અધ્યક્ષ મોહનભાઈ પરમારની અધ્યક્ષતામાં પ્રતિમા ને ફુલહાર વિધિ કરવામાં આવી તથા તમામ કાર્યકરોને વિભૂતિ રાણા એ સંવિધાનની પ્રસ્તાવનાની પ્રતિજ્ઞા લેવડાવી હતી.

રાતે બહુજનસમાજ ઘરે ઘરે દિવા સળગાવી સંવિધાન દિપોત્સવ ની ઉજવણી કરાઇ હતી. આ કાર્યક્રમમાં બામસેફ પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ બહેચરભાઈ રાઠોડ, ઈન્સાફ રાષ્ટ્રીય અધ્યક્ષ મોહનભાઈ પરમાર, બામસેફ ભરૂચ જિલ્લા યુનિટ ના શાંતિલાલ રાઠોડ, દેવેન્દ્રભાઈ પરમાર, આદિવાસી આગેવાન રાજેશ વસાવા (ટોપી) ઈન્સાફ ના જીવરાજભાઈ મકવાણા, અશોક મકવાણા, જે વી પરમાર, અશોક પરમાર, પ્રેમીકા જાદવ, મંજુબેન પરમાર, વિભૂતી રાણા, તથા મોટી સંખ્યામાં મહિલાઓ અને કાર્યકરો જોડાયા હતા

અંકલેશ્વર: દિવા ગામે એક્સપ્રેસ હાઇવેમાં જમીન ગુમાવનાર ખેડૂતોને વળતર ન મળતા ખેડૂતો વિફર્યા

•હાઈવે ઓથોરિટીના દક્ષિણ ગુજરાતના અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા

•પોલીસે મામલો થાળે પાડ્યો

અંકલેશ્વરના દિવા ગામે ખેડૂતો દ્વારા નેશનલ હાઇવે કામગીરી અટકાવવા ખેડૂતોએ રસ્તો બ્લોક કરી દીધો હતો. જિલ્લા કલેકટરની કોર્ટમાં 854 રૂપિયા ભાવ ચૂકવવાનું નક્કી કરાયા બાદ એન.એચ.આઈ તેને પડકારવાની નિર્ણયને લઈને ખેડૂતો રસ્તા પર આવ્યા હતા. કલેકટરે છ મહિના પહેલા જજમેન્ટ આપવા છતા ચુકવણું નહીં થતા ખેડૂતો દ્વારા રસ્તો ખોદી નાંખી કામ બંધ કરાવ્યું હતું.

નેશનલ હાઈવે દક્ષિણ ગુજરાતના એન.એચ.આઈ અધિકારી પણ સ્થળે પહોંચ્યા હતા. પોલીસે પહોંચી મામલો થાળે પાડ્યો હતો. સમગ્ર મામલો કલેક્ટર કચેરી પહોંચતા બે દિવસમાં નિવેડો લેવાની બાંહેધરી આપવામાં આવી હતી.

અંકલેશ્વરમાંથી પસાર થતા નેશનલ હાઇવે દ્વારા દિવા ગામના હદમાં સુપર ફાસ્ટ હાઇવેનું નિર્માણ કરી રહ્યા છે. જેમાં મહામૂલી જમીન ગુમાવનાર ખેડૂતો દ્વારા વળતર ના મુદ્દે દોઢ વર્ષની લડત બાદ અંતે છ મહિના પૂર્વે જિલ્લા કલેકટર ની આર્બિટ્રેટર કોર્ટમાં કેસ માં ખેડૂતોને ન્યાય મળે તેવા ઉદ્દેશ્ય સાથે રૂપિયા 854 ભાવ મુજબ ચુકવણું કરવાનું હાઇવે ઓથોરિટી હુકમ કર્યો હતો. જે હુકમ ને આજે છ મહિના વીતી ગયા છતાં વળતર ચૂકવવામાં આવ્યું નથી. વલસાડ-નવસારી માં ખેડૂતો એ રૂપિયા ચૂકવી દેવામાં આવ્યા છે.

ત્યારે ભરૂચ જિલ્લા આજ દિન સુધી આપવામાં આવ્યું નથી અને હવે હાઇવે ઓથોરિટી દ્વારા હવે કલેકટર ના હુકમ ને ઉપલી કોર્ટમાં પડકારવા માટે ઉપલી કોર્ટ ના દરવાજા ખટખટાવ્યા જઈ રહ્યા છે તેની જાણ ખેડૂતોને થતા અંકલેશ્વર દિવા ગામના ખેડૂતો દ્વારા પુનઃ ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવા માટે ના ડગ માંડ્યા હતા. અને આજરોજ દીવા ગામ ખાતે ખેડૂતો દ્વારા કામગીરી તરફ જતા માર્ગ બંધ કરી દીધા હતા. જેની જાણ તાલુકા પોલીસ મથકે થતા પોલીસ નો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. જો કે ખેડૂતો દ્વારા પ્રથમ તો તેમને પણ અટકાવ્યા હતા.

આ વચ્ચે એન.એચ.આઈ ના દક્ષિણ ગુજરાત ના ટેક્નિકલ હેડ સિદ્ધાર્થ ભાઈ સહીત અધિકારીઓ પણ સ્થળ પર પહોંચ્યા હતા અને ભારે રકઝક વચ્ચે પોલીસ ની દરમિયાનગીરી થી સ્થળ પર મામલો થાળે પડ્યો હતો અને તમામ અધિકારીઓ તેમજ ખેડૂતો ભરૂચ કલેકટર કચેરીએ પહોંચ્યા હતા. જ્યાં હાઇવે ઓથોરિટી દ્વારા બે દિવસનો સમય માગ્યો હતો અને મામલાનો નિવેડો આવે તેવી જિલ્લા કલેક્ટર સમક્ષ બાંહેધરી આપી હતી. જો કે ખેડૂતો દ્વારા આ મુદ્દે જ્યાં સુધી વળતર ન ચૂકવે ત્યાં સુધી ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચિમકી પણ વ્યક્ત કરાય હતી.

error: Content is protected !!