The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

Home Blog Page 186

જંબુસર ધારાસભ્ય દ્વારા મહાપુરાના ધરાશયી થયેલ ચેકડેમનું કરાયું સ્થળ નિરીક્ષણ

જંબુસર તાલુકાના મગણાદ મહાપુરા અને આમોદ તાલુકાના માનસંગ પુરા ગામોની વચ્ચેથી પસાર થતી ઢાઢર નદી ઉપર  વર્ષો પહેલા બનાવેલ ચેકડેમ ધરાશયી થયેલ છે  લીફ્ટ ઈરીગેશન દ્વારા ૨૦ થી ૨૫ જેટલા ગામોના ખેડુતો  સદર ચેક ડેમમાંથી સિંચાઈ માટે પાણી લઇ ખેતી કરતા હતા અને ચેકડેમ તૂટી પડવાથી સેંકડો એકર જમીનમાં ભરતીનું ખારૂ પાણી આવી જતાં ખેતીને ભયંકર નુકશાન થઇ રહેલ છે. ત્યારે જંબુસર મત વિસ્તાર ધારાસભ્ય સંજયભાઇ સોલંકી તથા તાલુકા પંચાયત પૂર્વ પ્રમુખ પ્રભુદાસ મકવાણા એ સ્થળ ઉપર રૂબરૂ મુલાકાત લઈ સ્થળ નિરિક્ષણ કરેલ હતું.

સરકારમાં કેટલાય વર્ષોથી ખેડુતોના હિતમાં ધારાસભ્ય દ્વારા સિંચાઈ તથા ગાંધીનગરના અધિકારીઓને રૂબરૂ લેખિત રજુઆતો કરવામાં આવી છે કે નવો ચેકડેમ બનાવવામાં આવે પરંતુ તંત્ર દ્વારા ખોટા રિપોર્ટો કરવામાં આવતા  કોઈ વિભાગ જવાબદારી લેવા તૈયાર નથી તો સરકાર  ખેડુતોના હિતમાં યોગ્ય પગલા ભરી તાકીદે નવા ચેકડેમની મંજુરી આપે તે માટે લોકમાગ ઉઠી છે  આ સહિત પુરસા રોડ ઉપર આમોદ નગર પાલિકાનો બની રહેલ શુદ્ધીકરણ પાણીના પ્લાન્ટની  મુલાકાત કરી વહેલી તકે યોજના પુરી થાય તે માટે ધારાસભ્ય દ્વારા સુચનો કરવામાં આવ્યાં હતાં  મહાપુરા ચેકડેમ  નિરીક્ષણ સમયે  શરદસિંહ રણા અને ખેડુત અગ્રણીઓ હાજર રહ્યાં હતાં.

  • સંજય પટેલ, ન્યુઝલાઇન ,જંબુસર

ભરૂચ : 1962ના પ્રયત્નો થકી વાછરડાનો બચ્યો જીવ

  • સરકાર દ્વારા મુખ્યમંત્રી યોજના અંતર્ગત શરૂ કરાયું છે ફરતું દવાખાનું

જેમાં ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાના થવા ગામમાં સરકાર દ્વારા એક એમ્બ્યુલન્સ મુકાયેલી છે.જેમાં નજીકના ૧૦ ગામ આવરી લેવામાં આવેલ છે.

તા.૦૪/૦૨/૨૦૨૨ ના રોજ થવા ગામમાં ફરતાં પશુ દવાખાનામાં કાર્યરત ડો.તનવીર ભટ્ટ તથા પાયલોટ અનિલભાઈ સોલંકી તથા ડો. અપૂર્વ પટેલ તથા પાઇલોટ નિકુલ ચૌહાણને કાકડકુઈ ગામના વતની રમેશભાઈ વસાવાએ તાત્કાલિક સારવાર માટે સવારે ૧૧:૦૫ કેસ નોંધાવ્યો હતો. ત્યારે 1962 ના પશુ ચિકિત્સક ડો તનવીર ભટ્ટ તેમના સ્ટાફ સાથે ત્યાં પહોંચી ગયા હતા. વાછરડાની તપાસ કરતા પાછળ ના બંને પગ ભાંગી ગયા હોવાનું જાણવા મળ્યું ત્યારે વાછરડા ને બચાવવા માટે ડો.તનવીર ભટ્ટ તથા ડો. અપૂર્વ પટેલ અને પાયલોટ અનિલભાઈ સોલંકી  તથા નિકુલભાઈ ચૌહાણ એમ સાથે મળીને બે કલાકની મહેનતથી વાછરડા નો જીવ બચાવી લેવા માં આવ્યો હતો.હાલ વાછરડું સુરક્ષિત છે.

સાંપ્રત પ્રવાહમાં જંબુસર પંથકમાંથી અદ્રશ્ય થયેલું ગામડાના ઘરેણું સમાન બળદગાડું

જંબુસર તાલુકાની કૃષિક્ષેત્રમાં દીર્ધકાલીન સમયથી હળ અને બળદો થી ખેતી થતી હતી પરંતુ વિજ્ઞાન અને ટેકનોલોજીના વિકાસ સાથે વિવિધ ક્ષેત્રોમાં થયેલા વિકાસ પરિવર્તનની અસર કૃષિ ક્ષેત્રે પણ ઘણી રીતે જોવાય રહી છે જૂની પુરાણી બળદ આધારિત ખેતી પદ્ધતિ એ આજે વિદાય લીધી હોય એવું જણાઈ રહ્યું છે કૃષિપ્રધાન ગામડા ની ઓળખ સમી અસલિયત બળદગાડા અને હળે જોતરેલા  સાંથરડા આજે અદ્રશ્ય થઈ ગયા છે.બળદ આધારિત ખેતી ભુલાઈ ગઈ છે એમ કહેવામાં કોઇ અતિશયોક્તિ નથી. ભરૂચ જિલ્લાના ગામડાઓમાં અને વળી તેમાંય જંબુસર –  આમોદ અને વાગરા તાલુકાને લાગે વળગે છે ત્યાં સુધી અહીં ગામે ગામ ૫૦ કે ૧૦૦ સાંથરડા અને બળદગાડા હતા.

સવાર પડયે અને નમતી સાંજે ગામની ભાગોળે હારબંધ બળદગાડા અને સાંથરડાનું ટ્રાફિક જોવા મળતું. ગામડાના શેરી માર્ગ ઉપર વસેલા ખેડૂતોની મહિલાઓ તો સાંજના સમયે ખેતરમાંથી પાછા ફરેલા બળદોની કોટે બાંધેલા ઘુઘરા ઘુઘરીના રણકાર પરથી ઘરે બેઠા જ પોતાના બળદ કે સાંથરડુ ઘરે આવી રહ્યું છે એવા ચોક્કસ અંદાજો માંડતા. પરંતુ આજે ગામડાની આ વિરાસત ભુસાય ચૂકી છે આજે ગામડામાં ગણ્યાગાંઠ્યા માંડ બે પાંચ બળદગાડા કે સાંથરડા જોવા મળી રહ્યા છ. બળદોની જગ્યાએ ઝડપી ખેતી ખેડે અને વાવેતર કરતા ટ્રેક્ટરો અને જમીન ખેડવા માટે કલ્ટ્રી , ડીસ , દાંતી , ફેણા , રોટાવેટર તેમજ વાવણીની વ્યવસ્થાથી ખેતીવાડીમાં સુગમતા સાથે ઝડપ આવી છે. જેના કારણે બળદોની સંખ્યા ઘટી છે આજના સમયમાં ધરતી ઉપર સતત વરસાદમાં ઉગી નીકળતા અડાબીજ ઘાસ ને કારણે દેશી હળ પદ્ધતિથી તેને દૂર કરવાનું ખૂબ જ મુશ્કેલ બન્યું છે ત્યારે ટ્રેક્ટર તે સામે એક સફળ અને જરૂરી વિકલ્પ બચ્યો છે.

કૃષિપ્રધાન ભારતીય સંસ્કૃતિમાં કૃષિનું આગવું મહત્વ રહ્યું છે. દેશની 64% માનવ વસ્તી નો પ્રાણાધાર કૃષિક્ષેત્ર જ છે. ગત છેલ્લા બે દાયકાથી કૃષિ જગત માં યાંત્રીકરણ નો પ્રભાવ વિસ્તાર્યો છે જોકે આ બાબત આવકાર્ય છે પરંતુ બળદ આધારિત પૌરાણિક ખેતી પણ એટલી જ અગત્યની છે પરંતુ ભરૂચ જિલ્લાની વાત કરીએ તો ગામડે ગામડે કિસાનોના ઘરે બળદો બાંધવાના કોઢ અને ખીલા ઉપરથી બળદો અદ્રશ્ય થઈ ગયેલા જણાય છે અને આંગળીના વેઢે ગણી શકાય તેટલા બળદ જોવાય છે ખેતરે ખેતરે બળદોની જગ્યાએ ટ્રેક્ટરો જોવાય રહ્યા છે . જેમ કૃષિક્ષેત્રમાંથી બળદ અને સાથરડાને વિદાય આપી છે તેવી જ રીતે જંબુસર તાલુકાની ખેતી ક્ષેત્રમાંથી બાજરી , ડાંગર , કોદરા , તલ અને જુવારના પાકનો પણ નાભિશ્ર્વાસ ચાલી રહ્યો છે . દીર્ધકાલીન સમયથી જમીન વેઢારી – વેઢારીને બળદો વાજ આવી ગયા હતા અને વિજ્ઞાન તેમની વહારે આવ્યું ને ટ્રેક્ટર જેવું સાધન ખેતીમાં આવતાં બળદોની કાંધેથી આજે

ધુંસરી ઉતરી જતા મૂંગા પશુધનને રાહત થવા પામી છે પરંતુ બળદ આધારિત ખેતી પંચામૃત સમાન છે ખેતીમાં ઝડપ લાવવા યાંત્રિક સાધનો ભલે વપરાય પણ સાથે બળદગાડા અને સાથરડાની પરંપરા યથારૂપ જળવાઈ રહે તો ગૌ માતાની કૂખ ઉજ્જવળ બનશે .સજીવ ખેતીનો આસ્વાદ્ય માણી શકાશે ,સંસ્કૃતિ જીવંત રહેશે.

”  એકવાર ખાવું અને ત્રણ વાર નહાવું ,

નંદી એ કરેલી ગફલત નો ભાર ઉત્યૉ.  “

કહે છે કે સૃષ્ટિના માનવોએ કેટલી વાર ખાવું ને

કેટલીવાર નહાવું ની મૂંઝવણ માં થી મુક્ત થવા નંદી

( બળદ ) દ્વારા પ્રભુ પાસેથી ખુલાસો મંગાવ્યો કહો કે પ્રાર્થના કરી ત્યારે પ્રભુએ સૃષ્ટિના માણસોને  “એક વાર ખાવું અને ત્રણ વાર નહાવું ” એવો સંદેશો નંદી મારફતે મોકલાવ્યો નંદી આ સંદેશો બરાબર યાદ રહે તેથી ગોખતાં –  ગોખતાં સૃષ્ટિના માણસો પાસે ગયો ત્યાં એક વાર ખાવું અને ત્રણ વાર નહાવું ને બદલે ” “ત્રણ વાર ખાવું ને એક વાર નાહવું, પ્રભુ નો સંદેશ ઉલ્ટાઇ ગયો. તેથી કહેવાય છે કે મનુષ્યના ત્રણ વાર ખાવાનું પોષણ કરવા બળદને શિક્ષા રૂપે ઉતાર્યો. અને તેના પ્રાયશ્ચિત્ત રૂપે કહો કે બળદોએ અત્યાર સુધી ધરતી ખેડી માનવનું ભરણ પોષણ કર્યું સાંપ્રત માં જાણે કે આ તેની સજા પૂરી થઈ હોય તે હવે ધરતી ખેડવામાં થી મુક્ત થયો છે.

  • સંજય પટેલ, ન્યુઝલાઇન, જંબુસર

કાળા કલરના કેટાલીસ્ટ પાવડર સાથે બે આરોપીઓને ઝડપી પાડતી વાગરા પોલીસ

ભરૂચ પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમાના તરફથી જીલ્લામાં કેમીકલ ચોરીઓ અટકાવવા માટે સુચના કરેલ હોય જે અંતર્ગત ઇન્ચા.મદદનીશ પોલીસ અધિક્ષક જંબુસર વિભાગ, જંબુસરના માર્ગદર્શન મુજબ તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર વાગરા પોલીસ મથકની સુચના આધારે વાગરા પોલીસ સ્ટાફના માણસોને બાતમી મળેલ કે, સાચણ ગામે રહેતો હસમુખભાઇ ધનજીભાઇ પ્રજાપતીનાનો કંપનીઓમાં પ્લાન્ટની પ્રોસેસ માટે વપરાતા કાળા કલરના કેટાલીસ્ટ પાવડર જે ખુબજ મોંઘો હોય છે તે ચોરી કરી લાવી પોતાના ઘરે સંતાડેલ છે.

જે બાતમી આધારે બાતમી વાળી જગ્યાએ ઝડતી તપાસ કરતા હસમુખભાઇ ધનજીભાઇ પ્રજાપતીના ઘરમાંથી એક સફેદ કલરની પ્લાસ્ટીકની થેલીમાંથી બે પ્લાસ્ટીકના પાઉચમાં ભરેલ આશરે ૧ કિલો ૮૦૦ ગ્રામ જેટલો કાળા કલરનો કેટાલિસ્ટ પાવડર મળી આવ્યો હતો.

જેથી પોલીસ ટીમે હસમુખભાઇ ધનજીભાઇ પ્રજાપતીને પકડી તેની પુછપરછ દરમ્યાન અન્ય આરોપી દિપકભાઇ દલપતભાઇ રાઠોડ ઉ.વ.૨૩ હાલ રહે,વાવ નવીનગરી તા.વાગરા જી.ભરૂચ મુળ રહે,સાચણ તા.વાગરા જી.ભરૂચનો દહેજ વાવ ખાતે આવેલ કન્વર્ઝન્સ કેમીકલ કંપનીના સ્ટોરરૂમમાંથી ચોરી કરીને લાવેલાની હકીકત જણાવી હતી. પોલીસ ટીમે આ આરોપીઓ પાસેથી મળી આવેલ કાળા કલરના કેટાલીસ્ટ પાવડરની આશરે ૧ કિલો ૮૦૦ ગ્રામ જેની આશરે કિ.રૂ.૧,૮૦,૦૦૦/- તથા મોબાઇલ નં.ર જેની આશરે કિ.રૂ.૧૦,૦૦૦/- મળી કુલ મુદ્દામાલ કિ.રૂ.૧,૯૦,૦૦૦/-  જ્પ્ત કરી આરોપીઓ વિરૂધ ગુનોનોંધી વધુ તપાસ અર્થે કાર્યવાહી હાથ ધરી છે.

ભારત રત્ન લતા મંગેશકરનું ૯૨ વર્ષે નિધન

લતા મંગેશકરનું 92 વર્ષની વયે અવસાન થયું. તેમણે મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા. તેઓ છેલ્લા 28 દિવસથી મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ હતા. આ દરમિયાન તેમને ઘણી વખત જનરલ વોર્ડ અને આઈસીયુમાં રાખવામાં આવ્યા હતા. તાજેતરમાં જ તેમને આઈસીયુમાંથી શિફ્ટ કરવામાં આવ્યા હતા, પરંતુ આજે સવારથી તેમની તબિયત બગડવા લાગી હતી અને તેમને લાઈફ સપોર્ટ સિસ્ટમ પર મૂકવામાં આવ્યા હતા.

લતા મંગેશકર કોરોનાથી સંક્રમિત થયા બાદ અને ન્યુમોનિયા થયા બાદ 8 જાન્યુઆરીએ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. લતા મંગેશકરની સારવાર કરી રહેલ પ્રતિત સમધાની અને તેમની ટીમ સ્વરા કોકિલાની તબિયત પર સતત નજર રાખી રહ્યા હતા, અને સતત તેમની સારવારમાં વ્યસ્ત હતા

ભારતીય સિનેમાના મહાન પ્લેબેક ગાયકોમાંના એક તરીકે, લતા મંગેશકરે 1942માં 13 વર્ષની વયે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી અને તેમણે વિવિધ ભારતીય ભાષાઓમાં 30,000 થી વધુ ગીતો ગાયા છે. સાત દાયકાથી વધુની તેમની કારકિર્દીમાં, તેણે ‘અજીબ દાસ્તાં હૈ યે’, ‘પ્યાર કિયા તો ડરના ક્યા’, ‘નીલા આસમાન સો ગયા’ અને ‘તેરે લિયે’ જેવા ઘણા યાદગાર ગીતોને પોતાનો અવાજ આપ્યો છે.

અંકલેશ્વર: સારંગપુરના લાકડા માર્કેટમાં ભીષણ આગ, લાખોના દરવાજા બળીને ખાખ

  • 10 થી 12 જેટલા ગોડાઉન બળીને થયા ખાખ
  • શાંતિનગર-2 સ્થિત લાકડા માર્કેટમાં લાગી ભીષણ આગ
  • સ્થાનિક રહીશો અને પાંચ ઉપરાંત ફાયર ફાયટરોએ બચાવ કામગીરી શરૂ કરી

અંકલેશ્વર ખાતે આવેલ સારંગપુરના ૧૦ થી ૧૨ જેટલા લાકડાના ગોડાઉનમાં અચાનક આગ ભભૂકતા અફરાતરફરી મચી જવા પામી હતી. જોત જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા લાખો રૂપિયાના દરવાજા સહિતના લાકડા બળીને ખાખ થઇ ગયા હતા.

ગતરોજ મોડી રાતે અંકલેશ્વર તાલુકાના સારંગપુર ગામ નજીક આવેલ શાંતિનગર-2ના લાકડાના ગોડાઉનમાં અચાનક આગ ફાટી નીકળી હતી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં જોતજોતામાં જ લાકડાના ગોડાઉનમાં આગની જવાળા જોવા મળી હતી આગને પગલે વિસ્તારમાં નાશભાગ મચી જવા પામી હતી આગને કારણે સ્થાનિકો એકત્રિત થઈ ગયા હતા અને ફાયર વિભાગમાં જાણ કરી હતી આગની ગંભીરતાને પગલે અંકલેશ્વર ડી.પી.એમ.સી.,નગરપાલિકા, પાનોલી અને ઝઘડીયા મળી 6થી વધુ ફાયર ફાઇટરો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ફાયર ફાઇટરોએ ફાયર ટેન્ડરની મદદથી આગ ઉપર પાણીનો મારો ચલાવ્યો હતો અને કલાકોની ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો આગની ઘટનામાં કોઈને પણ જાનહાનિ નહીં થતાં સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો હતો જો કે આગની ઝપેટમાં આવી ગયેલા 10થી 12 જેટલા લાકડાના ગોડાઉન બળીને ખાખ થયા છે.આગ શોર્ટ સર્કિટ્ને કારણે લાગી હોવાનું અનુમાન સેવાઇ રહ્યું છે.અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ પણ ઘણીવાર આ માર્કેટમાં આગની ઘટનાઓ પ્રકાશમાં આવી છે.

ભરૂચ : ધારાસભ્યની રિટર્ન ગિફ્ટના પગલે ૫ વર્ષીય મૂકબધિર સાક્ષી ફરી બોલી સાંભળી શકશે

  • ધારાસભ્યે પોતાના જન્મદિવસે સાક્ષી અને તેના પરિવારને રિટર્નગીફ્ટના સ્વરૂપે બર્થડે ગિફ્ટમાં આપેલા ‘કોકલિયર ઈમ્પ્લાન્ટ’ મશીનથી ફરીથી બોલી અને સાંભળી શકશે

ભરૂચના ધારાસભ્ય અને દંડક દુષ્યંત પટેલના જન્મદિન નિમિત્તે ગૌપૂજન સહિત વિવિધ કાર્યક્રમો યોજયા હતા. જેમાં પ્રાજાની પડખે હર હંમેશ ઉભા રહેવાની નેમ ધારી દુષ્યંત પટેલે એક નાની બાળકીને આપેલ રિટર્ન ગીફ્ટે ખરેખર તેમની દિરિયાદિલી અને પ્રજા વાત્સલયના દર્શન કરાવતા ખુશહાલી છવાઈ હતી.

જન્મ દિવસભરૂચમાં રહેતા સિંઘ પરિવારની દીકરી સાક્ષી જન્મથી જ કંઈ સાંભળી શકતી નહોતી. બે વર્ષ બાદ તેના માતા પિતાને જાણ થઈ કે તે બોલી પણ નથી શકતી. દરમિયાન શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમમાં તેને બતાવતાં તે મુકબધિર હોવાની ખાત્રી થઈ હતી.

સાક્ષીને રાજ્ય સરકાર દ્વારા આ કાર્યક્રમ હેઠળ કોકલિયર ઈમ્પ્લાન્ટ મશીન આપવામાં આવ્યું હતું. જેના થતી તે બોલતી અને સાંભળતી થઈ ગઈ હતી. જે મશીન બાદમાં વારંવાર બગડી જતાં નવું લેવાની નોબત આવી હતી. જોકે, પરિવાર માટે તે ખર્ચ પરવડે તેમ નહોતું. જેની માહિતી ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલને મળતા તેમણે રાજ્યના આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલને જાણ કરતા ખાસ કિસ્સામાં સાક્ષી સિંઘ માટે નવું મશીન આપવાની મંજૂરી આપી હતી. જે મંજૂરી પત્ર ધારાસભ્યે પોતાના જન્મદિવસે સાક્ષી અને તેના પરિવારને રિટર્નગીફ્ટના સ્વરૂપે આપ્યું હતું. જેના પગલે પાંચ વર્ષીય સાક્ષી ફરી બોલતી સાંભળતી થશે સાક્ષી સહિત તેના પરિવારે ધારાસભ્યની આ દરિયાદિલી બદલ તેમનો આભાર વ્યક્ત કરી તેમને લાંબુ આયુષ્ય મળેની પ્રાર્થના પણ કરી હતી.

ભરૂચનો આજે 8002 મો જન્મદિવસ

  • ૮ હજાર વર્ષ જુનું ભાંગ્યુ ભાંગ્યુ તોય ભરૂચનો ભવ્ય ઇતિહાસ
  • લક્ષ્મીજીના શ્રીનગર, ભૃગુઋષિના ભૃગુકચ્છ, અંગ્રેજોના બ્રોચથી હાલના ભરૂચ સુધીની જન્મગાથા
  • વસંતપંચમીએ ભૃગુઋષિ એ કુર્મની પીઠ પર સવાર થઈ 18000 શિષ્યો સાથે વસાવેલી નગરી

ભરૂચ માટે કહેવત છે કે ભાંગ્યું ભાંગ્યું તોય ભરૂચ પણ ભરૂચનો ભવ્ય ઇતિહાસ છે. ભારતમાં કાશી બાદ ભરૂચ સૌથી જુની પ્રાચિન નગરી છે. આજનું ભરૂચ અને તે સમયનું ભૃગુકચ્છ 8 હજાર વર્ષ જુની નગરી છે. આજે અમે તમને ભરૂચના ભવ્ય ઝાંખી કરાવી રહયા છીએ.

ભરૂચ ગુજરાતનું સૌથી જૂનું શહેર છે. ભરૂચનો આજે 8002 મો જન્મદિવસ છે. પૌરાણિક સમયે વસવાટની દ્રષ્ટિએ ભારતનું બીજું સૌથી જૂનું શહેર પણ હતું જેનું નામ કાશી (વારાણસી) બાદ લેવાય છે.આજના ભરૂચનું નામ ભૃગુઋષિ ના નામ ઉપરથી પહેલા ભૃગુકચ્છ, બ્રોચ અને આજનું ભરૂચ પડ્યું છે.

પાંચ માળના ઊંચા વિક્ટોરિયા ટાવરને 1908 માં દસ હજાર રૂપિયાથી વધુ ખર્ચથી બાંધવામાં આવ્યો હતો. આ રકમ ભરૂચના નાગરિકોએ મહારાણી વિક્ટોરિયાની યાદમાં એકત્રિત કરી ભરૂચની ઓળખનું એક પ્રતીક બનાવ્યું હતું. આ ટાવરની ચાર બાજુવાળી ઘડિયાળ મુકવામાં આવી હતી. આ ઈમારત માત્ર શોભા માટે કે સમય બતાવવા માટે ન હતી. તેમાં જીવન બચાવવાની સુવિધાઓ હતી. ભરૂચ પૂરની સંભાવના ધરાવતું હતું. ટાવરની ટોચ પર એક લાલ લાઇટ સાયરન હતું જે પૂરના સમયે જ્યારે પાણીનું સ્તર વધે છે ત્યારે ચેતવણી આપતું હતું.

collBharuc

ભારતમાં કાશી બાદ સૌથી જુની પ્રાચિન નગરીમાં સમાવિષ્ટ 8 હજાર વર્ષ જુની ભૃગુકચ્છ એટલે કે ભરૂચનો શનિવારે વસંત પંચમીએ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ચોથી વર્ષગાંઠની ઉજવણી કરાશે. લક્ષ્મીજીના શ્રીનગર , ભૃગુઋષિનુ ભૃગુકચ્છ , અંગ્રેજોનું બ્રોચ અને હાલનુ ભરૂચ સુધીની ઐતિહાસિક સફરમાં ભરૂચે પ્રાચીનકાળથી હાલના આધુનિક સમયમાં તેની ખ્યાતી દેશ અને દુનિયામાં વિવિધ સમયોના વહાણા વચ્ચે પણ ઝળહળતી રાખી છે. નંદન સંવત્સરમાં માઘ સુદ પાંચમે ઉત્તરા ભાદ્રપદ નક્ષત્રના ચંદ્રને કુંભ રાશિમાં સુર્ય વચ્ચે નર્મદા નદીના ઉત્તર કિનારે કુર્મની ( કાચબા ) ની પીઠ ઉપર વિશ્વકર્માનું સ્મરણ કરી ભૃગુઋષિએ પોતાના 18000 શિષ્યો સાથે ભૃગુકચ્છ ( ભરૂચ ) વસાવ્યુ હતુ. જેનો ઉલ્લેખ નર્મદા પુરાણના રેવા ખંડમાં કરાયો છે.

વસંત પંચમીએ હાલના ભરૂચની સ્થાપના થઈ હોય ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વર્ષ 2019 થી ભરૂચ નગરીનો જન્મોત્સવ ઉજવવાનો પ્રારંભ કરાયો હતો. ભરૂચ શહેરનો ઝળહળતો અને ભવ્ય ભૂતકાળ વિવિધ પુસ્તકો સાથે વિશ્વભરના પ્રવાસીઓ , વેપારીઓ , શાસનકર્તાઓના પુસ્તકોમાં અંકિત થયેલો છે.પુરાતનકાળમાં લક્ષ્મીજીના શ્રીનગર તરીકે ઓળખાતી ભરૂચ નગરી ભૃગુઋષિના આગમન બાદ ભૃગુનગર તરીકે પ્રસ્થાપિત થયુ હતુ. સદીઓના વહાણા વિત્યા બાદ સમૃધ્ધ ભરૂચમાં વેપાર ધંધા વિકસાવવા અને આધિપત્ય જમાવવા ફીરંગીઓ , ડચ , મોધલ , અંગ્રેજો સહિતે આક્રમણ કર્યા હતા . નર્મદા નદી કિનારે પાઘડીની પેઠે વસેલા ભરૂચની દેશ અને દુનિયામાં વેપાર ક્ષેત્રે કિર્તી હતી . વિદેશોમાંથી આયાત થતી વસ્તુઓ મોટા જહાજોમાં ભરૂચ બંદરે આવતી હતી. જયારે નિકાસ થતી ચીજવસ્તુઓ અહીંથી વિશ્વભરમાં મોકલાતી હતી .

ફ્રાન્સના ચિત્રકાળ જેકબ પીટરે વિવિધ સ્થળોએ ફરીને ભરૂચના કીલ્લાઓ , નદીઓ , ટાપૂઓના વર્ણનને ચિત્રના રૂપમાં રજુકરવાનો પ્રયાસ કર્યો હતો. ભરૂચમાં મોગલોના શાસન 1690 માં ભરૂચનુ ચિત્ર દોર્યું હતુ. જેમાં બ્રોચ તરીકે જાણિતા ભરૂચની ભવ્યતાને ઈમારતો , કિલ્લા અને નદીમાં વિહાર કરતા મોટા જહાજોના સ્વરૂપમાં નિરૂપણ કર્યું હતું. ભરૂચમાં 300 વર્ષ પહેલા પણ 3 મંજલી 71 ઈમારતો હતી જે ભરૂચની ભવ્ય કલ, આજ અને કલને ઉજાગર કરે છે.

ઈ.સ .1777માં અંગ્રેજોએ ભરૂચનુ વસ્તીપત્રક રજુ કર્યુ હતુ. જેમાં 50,000 ની વસ્તી ગણના થઈ હતી. શહેરમાં 30 હજાર અને પરામાં 20 હજાર લોકો નોંધાયા હતા. વર્ષ 1812 ના વસ્તી પત્રક વખતે 32716 લોકોની વસ્તી હતી. જેમાં હિન્દુ 26852, મુસલમાન 12022 , પારસી 2153 , ક્રિશ્ચિયન 506 , શ્રાવક 721 , શિખ 3 , એનિમિસ્ટીકસ 638 હતા.

ભરૂચ શહેરની બીજી વખત વર્ષ 1874-75 માં કરાયેલી માપણી મુજબ કુલ 10443 મકાનો હતા. જેમાં ત્રણ માળથી વધારેમાં 71 મકાનો , બે માળના 661 મકાનો , એક માળના 3221 મકાનો અને માળ વગરના 2838 મકાનો હતા. શહેરમાં 2354 કાચા ઝૂપડા હતા. સાથે જ 19 કારખાના , 1278 દુકાનો હતી , ઘરવેરો માળીયાના પ્રમાણમાં લેવાતો હતો.

ભરૂચને 8000 વર્ષોમાં મળ્યા શ્રીનગર , લાટપ્રદેશ , ભૃગુકચ્છ, ભૃગુનગરી, બારૂગાજા , બરગોસા,  બરૌઝ , બરૂસ, બરૂહ , બીહરોજ, પોલુકેછીપુ, બ્રોચ , ભરૂચ જેવા કુલ 13 ઐતિહાસિક નામ

ભરૂચના પહેલા કલેકટર : એમ.એસ.મૌલવી 1942-43, સાંસદ : ચંદ્રશંકર ભટ્ટ 1952-57, ધારાસભ્ય : મોતીલાલ વીણ 1952-57, પ્રધાન : દિનકરરાવ દેસાઈ 1946 માં મુંબઈ રાજયના કાયદા પ્રધાન,પોલીસવડા : આર.કે.રાયસિંધાણી 1951, ડીડીઓ : પી.પી.રાઠોડ 1963, જિલ્લા પંચાયત પ્રમુખ : ડાહ્યાભાઈ પટેલ 1963, નગરપાલિકા પ્રમુખ : ચુનીલાલ દેસાઈ 1900, શિક્ષણાધિકારી : એમ.જે.દવે 1953, રેલ્વે : ભરૂચ રેલ્વે સ્ટેશન 1862,બ્રિજ : ગોલ્ડન બ્રિજ 1881

ભરૂચ પર 500 વર્ષ સુધી રહ્યું વિવિધ આક્રમણકારોનું શાસન રહ્યું જેમાં ભરૂચ પર દિલ્હી સલ્તનતનું શાસન 94 વર્ષ. સ્વતંત્ર સલ્તનતનું શાસન 181 વર્ષ. અંગ્રેજોનું શાસન 164 વર્ષ. સ્વતંત્ર અમીરોનું રાજ 36 વર્ષ. મરાઠાઓનું આધીપત્ય 19 વર્ષ. સાથે જ મોગલ, ડચ , વલંદા અને ફીરંગીઓ તેમજ રજવાડાઓનું રાજ રહ્યું હતું.

ભરૂચ શહેરની પહેલી માપણી 1 ફેબ્રુઆરી 1866 માં આજથી 156 વર્ષ પહેલા શરૂ થઈ હતી જે 15 ઓકટોબર 1875 માં 9 વર્ષ બાદ પુર્ણ થઈ હતી. શહેર અને પરા મળી 52.18 લાખ ચોરસવાર જમીન મપાઈ હતી. જેમાં 11.63 લાખ ચોરસવારમાં ખાનગી મકાનો , 10.96 લાખ ચોરસવાર જમીનમાં લોકો પાસેથી સમરી સેટલમેન્ટ લેવાતા હતા. શહેરની માપણી કરવા તે સમયે 1.07 લાખનો ખર્ચ થયો હતો .

ભરૂચના નવરત્નોમાં પંડિત ઓમકારનાથ ઠાકુર, કનૈયાલાલ મુન્શી, ડો.ચંદુભાઈ દેસાઈ ( છોટે સરદાર ), ડો. કમાં કાકા, ઈચ્છાલાલ મામલતદારના, નથુ થોભણ, માધવરાવ જોગ,સર શાપુરજી બરજોરજી ભરૂચા અને  જશવંતલાલ ચોકસીનો સામાવેશ થાય છે.

દેડીયાપાડા : એ.એન.બારોટ વિદ્યાલય ખાતે કલા મહોત્સવ યોજાયો

ગુજરાત રાજ્ય યુવક અને સાંસ્કૃતિક પ્રવૃતિ ગાંધીનગર અને નર્મદા જિલ્લા યુવક પ્રવૃત્તિ રમત-ગમત અધિકારીની કચેરી નર્મદા અને એ.એન બારોટ વિધાયલ ડેડીયાપાડા ના ઉપક્રમે  આઝાદીકા અમૃત મહોત્સવ ઉજવણીના ભાગરૂપે  કલા મહોત્સવ ની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી, જેમાં ૧૧ શાળાઓ માંથી કુલ ૨૨૦ જેટલા કલાકારોએ ભાગ લીધો હતો.

કાર્યક્રમનું ઉદ્દઘાટન ડેડીયાપાડા મામલતદાર આર.આર.ચૌધરી અને વિવિધ શાળાના આચાર્યો અને નર્મદા જિલ્લા આચાર્ય સંગના પ્રમુખ અને  એ.એન.બારોટના આચાર્ય યોગેશભાઈ ભાલાણી એ કર્યું હતું,  કાર્યક્રમમાં બાળકોએ ઉત્સાહથી અને જુદી જૂદી કૃતિ કુલ ૮ વિભાગમાં ભાગ લીધો હતો, જેમાં રાસ, ગરબા, આદિવાસી નૃત્ય, સમુહ ગીત , વકૃતવ સ્પર્ધા, નિબંધ સ્પર્ધા, અને ચિત્ર સ્પર્ધાનો સમાવેશ કરવામાં આવ્યો હતો,  સંપૂર્ણ કાર્યક્રમનું સંચાલન જે.સી.વસાવાએ કર્યું હતું.

સર્જન વસાવા, ન્યુઝલાઇન, દેડીયાપાડા

અંકલેશ્વર : નવાગામની સીમમાંથી દારૂ ભરેલી ટ્રકને ઝડપી રૂ.૧૯.૪૨ લાખનો મુદ્દામાલ કરાયો કબ્જે

  • રૂ. 92 લાખનો વિદેશી દારૂ જપ્ત કરાયો, કુખ્યાત બુટલેગર સતિશ વસાવા ફરાર
  • દારૂની 11 હજાર 40 નંગ બોટલ મળી આવી, નવાગામ કરારવેલનો બુટલેગર ઝડપાયો

અંકલેશ્વર તાલુકા પોલીસે નવાગામની સીમમાં ટ્રકમાં ભરેલો રૂ. 12.92 લાખનો વિદેશી દારૂ અને બે વાહનો મળી કુલ રૂ. 19.42 લાખના મુદ્દામાલ સાથે એક બુટલેગરને ઝડપી પાડ્યો હતો. જ્યારે કુખ્યાત બુટલેગર સતિશ વસાવાને વોન્ટેડ જાહેર કર્યો છે.

અંકલેશ્વર તાલુકાનાં નવાગામ ખાતે કુખ્યાત બુટલેગર સતિશ ઉર્ફે સતલો વસાવા અને મિતેષ ઈશ્વર વસાવા ગામની સીમમાં મોટાપાયે વિદેશી દારૂનું કટિંગ કરવાના છે એવી બાતમીના આધારે તાલુકા પોલીસે વોચ ગોઠવી હતી. તે દરમિયાન ટ્રક નંબર-એમ.એચ.04 જી.સી.8032માંથી મહિન્દ્રા પિકઅપ ગાડી નંબર-જી.જે.27.ટી.ટી. 1258માં વિદેશી દારૂનો જથ્થો કટિંગ કરવામાં આવી રહ્યો હતો તે સમયે પોલીસે દરોડા પાડ્યા હતા.

પોલીસના દરોડાને પગલે નાસભાગ મચી જવા પામી હતી. પોલીસને સ્થળ પરથી વિદેશી દારૂની 11040 નંગ બોટલ મળી આવી હતી. પોલીસે રૂ. 12.92 લાખનો દારૂ અને ટ્રક તેમજ મહિન્દ્રા પિકઅપ ગાડી, એક ફોન મળી કુલ 19.42 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. પોલીસે નવાગામ કરારવેલ ગામમાં રહેતા બુટલેગર મિતેષ ઈશ્વર વસાવાને ઝડપી પાડ્યો હતો, જ્યારે નવાગામ ખાતે કુખ્યાત બુટલેગર સતિશ ઉર્ફે સતલો વસાવાને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી હતી.

error: Content is protected !!