The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

Home Blog Page 185

ભરૂચ: નાંદ ગામે નવનિર્મિત આંગણવાડીનું ધારાસભ્ય અરૂણસિંહ રણાના હસ્તે લોકાર્પણ

  • નાંદ ગામે નર્મદા નદીમાં દૂધનો અભિષેક કરી 52 ગજની ચૂંદડી ચઢાવી

ભરૂચ તાલુકાના નાંદ ગામે રૂપિયા પાંચ લાખના ખર્ચે આંગણવાડીનું નિર્માણ થતા નર્મદા જયંતીના દિવસે વાગરાના ધારાસભ્ય અરૂણસિંહ રણાના હસ્તે તેનું લોકાર્પણ થયું હતું. આ અવસરે ધારાસભ્યએ નર્મદામાં પાણી અને દૂધનો અભિષેક કરી 52 ગજની ચૂંદડી મા નર્મદાને ચઢાવી હતી.

ભરૂચ તાલુકાના નાંદ ગામે વર્ષો પહેલા બનેલી આંગણવાડી સાવ જર્જરીત અવસ્થામાં હતી. જેમાં ગામના બાળકોને અગવડતાઓનો સામનો કરવો પડતો હતો. સરકારે નવી આંગણવાડી બનાવવા રૂપિયા પાંચ લાખની ફાળવણી કરી હતી. જેના પગલે નવનિર્મિત આંગણવાદીનો લોકાર્પણ કાર્યક્રમ નર્મદા જયંતીના દિવસે નાંદ ગામે યોજાયો હતો. જેમાં જિલ્લા આચાર્ય સંઘના પ્રમુખ પ્રવિણસિંહ રણા, સહિતના આગેવાનોની હાજરીમાં ભરૂચ ડિસ્ટ્રીકટ કો.ઓ. બેંકના ડિરેકટર નરેન્દ્રસિંહ રણાની હાજરીમાં ધારાસભ્ય અરૂણસિંહ રણાએ નવનિર્મિત આંગણવાડીનું લોકાર્પણ કર્યું હતું.

નર્મદા જયંતી નિમિત્તે ધારાસભ્ય અરૂણસિંહ રણાએ નાંદ ખાતે નર્મદાના જળમાં દૂધ અને પાણીનો અભિષેક કરી પૂજા અર્ચના કરી હતી. જ્યારે ઝનોર ખાતે ધર્મવીરસિંહ સહિતના આગેવાનોની સાથે નર્મદા મૈયાને 52 ગજની ચૂંદડી અર્પણ કરી હતી.

પશ્ચિમ બંગાળના સાંસદ વિરુદ્ધ ભરૂચ-અંકલેશ્વર જૈન સમાજે પાઠવ્યું આવેદન

પશ્ચિમ બંગાળના ટીએમસી ના સાંસદ મૌઉઆ મૈત્ર સંસદમાં નિવેદન આપ્યુ પરિવાર કે જૈન પરિવારનો દીકરો પરિવારથી છુપાઈને અમદાવાદની ગલીઓમાં નોનવેજ ખાતો હોવાનું સંસદમાં નિવેદન કરતા જૈન સમાજમાં સાંસદ વિરુદ્ધની લાગણી વ્યાપી જવા પામી હતી. જેના વિરોધમાં જૈન સમાજ દ્વારા સાંસદ મૌઉઆ મૈત્ર જૈન સમાજની માફી માંગે અને સાંસદ જો માફી નહીં માંગે તો સંસદ સભાના અધ્યક્ષ તેમને ગૃહમાંથી સસ્પેન્ડ કરે તે માંગ સાથે ઉગ્ર રજૂઆત સાથે જૈન સમાજ દ્વારા ભરૂચ કલેક્ટરને અને અંકલેશ્વર ખાતે આવેદનપત્ર પાઠવી રજુઆત કરવામાં આવી.

જૈન સમાજ દ્વારા આજરોજ શક્તિનાથ મેદાન નજીક આવેલા જૈન મંદિરે ભેગા થઈ કલેકટર ઓફિસ પહોંચી ભરૂચ કલેકટરને આવેદનપત્ર પાઠવી સાંસદ વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવાની માંગ સાથેનું આવેદનપત્ર પાઠવ્યું હતું. આ આવેદનપત્રમાં ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ મારૂતિસિંહ આટોદરિયા, નગરપાલિકા પ્રમુખ અમિત ચાવડા, જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન ધર્મેશ મિસ્ત્રી, જૈન સમાજના પ્રમુખ હિતેશ શાહ, જીગ્નેશ શાહ, રાજેશ શાહ, ચંદ્રકાંત શાહ, વિરલ શાહ સહિતના જૈન સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહી કલેક્ટરને તેમજ અંકલેશ્વર ખાતે પણ અંકલેશ્વર જૈન સમાજે રજુઆત કરી હતી.

ભરૂચ : કોરોનામાં મૃતકના પરિવારને રૂ.૪ લાખની સહાયની માંગ સાથે જિલ્લા કોંગ્રેસે આપ્યું આવેદન

ભરૂચ જિલ્લા કોંગ્રેસ દ્વારા આજરોજ કોરોનામાં મૃતકના પરિવારજનોને સરકાર દ્વારા અપાતી માત્ર રૂ.૫૦ હજારની સહાયના સ્થાને આ સહાય રૂ.૪ લાખ આપવાનજોઇએની માંગ કરતું એક આવેદન કલેકટરાલય ખાતે પ્લેકાર્ડ અને બેનરો સાથે એકત્રીત થઈ સુત્રોચ્ચર કરી ભરૂચ જિલ્લા કલેકટરને પાઠવ્યું હતું.

ભારતમાં દવાખાનાઓમાં અપૂરતી વ્યવસ્થા, દવા અને ઓક્સિજનના અભાવે કોરોના કાળમાં પીડિતો એ સ્વજનો ગુમાવ્યા. મહામારી કાયદા અંતર્ગત સરકારે કોરોના પીડિત પરિવારને ૪ લાખ આપવા જોઈએ, એ માંગ હેઠળ કોંગ્રેસ દ્વારા કોવિડ ૧૯ ન્યાય યાત્રા દ્વારા કોરોના પીડિત પરિવારોને ન્યાથ મળે એ માટે કાર્યકમો કરી સરકારની ઊંઘ ઉડાડવાનું કામ શરૂ કરવામાં આવ્યું અને અંતે સુપ્રિમકોર્ટ દ્વારા સરકારને ફરજ પાડવામાં આવી ત્યારે સરકારે ૪ લાખના બદલે માત્ર ૫૦ હજાર ચૂકવવાનું નક્કી કર્યું.

કોંગ્રેસએ આક્ષેપ સાથે જણાવ્યું હતું કે સરકારે કેટલાયે પરિવારોને હજુ આ વળતર ચૂક્વ્યુ નથી ત્યારે તત્કાલ પ્રભાવથી સરકાર દરેક કોરોના પીડિત પરિવારને 50 હજાર નહીં પણ ૪ લાખ ચૂકવે એ માંગ સાથે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા દિપકભાઈ બાબરીયાની અદયક્ષતામાં જિલ્લા પ્રમુખ પરિમલ સિંહ રાણા, નાઝુ ફડવાળા, હેમેન્દ્ર કોઠીવાલા, મહિલા પ્રમુખ જ્યોતિબેન તડવી, અંકલેશ્વરના શરીફ કાનૂગા સહિતના આગવેનાઓએ મોટીસંખ્યમાં કલેકટરાલય ખાતે ઉપસ્થીત રહી પ્લેકાર્ડ અને બેનરો સાથે સુત્રોચ્ચાર કરી કલેકટરને આવેદન પાઠવી રજુઆત કરી હતી.

દેડીયાપાડા : ફિલ્મી ઢબે પીછો કરી દારૂ ભરેલી કાર સહિત ૧ બુટલેગરને ઝડપીપાડતી સાગબારા પોલીસ, ૧ ફરાર

ગુજરાત માં દારૂબંધી હોવા છતાં નર્મદા જિલ્લામાં ગેરકાયદેસર દારૂની હેરાફેરી કરતા ઈસમોને ઓળખી કાઢી તેમને પકડી પાડી કડક કાર્યવાહી કરવા ઉચ્ચ પોલીસ અધિકારીઓને નિર્દેશ મુજબ સાગબારા પોલીસના સબ ઇન્સ્પેક્ટર કે એલ ગલચર તથા તેમની ટીમ તારીખ 5 ફેબ્રુઆરી ના રોજ હાઇવે ઉપર પેટ્રોલીંગ કરી રહ્યા હતા, એ સમયગાળા દરમ્યાન એક સ્વીફ્ટ કાર શંકાસ્પદ રીતે આવી રહી હોવાની જાણ થતા ચોપડવાવ ગામ પાસે પોલીસે બેરીકેડિંગ કરી કાર ને રોકવા માટે નાકાબંધી કરી હતી.

દૂર થી પોલીસ ની નાકાબંદી જોઈ ને કાર ચાલકે કાર દૂર અટકાવી દીધી હતી અને કાર માંથી બે ઈસમો ઉતરી ને નાસી જતા પોલીસે દોડી ને પીછો કર્યો હતો, નાસી રહેલા બે ઈસમો પૈકી એક ઈસમ વસીમ હુસેન અબ્દુલ હકીમ મન્સૂરી ઉ.વ 22 રહે. નકોડા નગર ઉદયપુર (રાજસ્થાન) ને ઝડપી લીધો હતો, જ્યારે અન્ય આરોપી મદન પટેલ નાસી જવામાં સફળ થયો હતો.

પોલીસે કબજે કરેલ કાર ની તપાસ કરતા કાર માંથી જુદી જુદી જાત ની દારૂ ની 280 બોટલો મળી આવી હતી, જેની કિંમત રૂ.1 લાખ 26 હજાર, 800 આંકવામાં આવી હતી. અને મુદ્દામાલ  સ્વીફ્ટ કારની કિંમત રૂ.3 લાખ અને એક મોબાઈલ કિંમત રૂ.10 હજાર મળી કુલ રૂ.4, 36, 800/- નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.

 

  • સર્જન વસાવા,ન્યુઝલાઇન, દેડીયાપાડા

ભરૂચમાં નર્મદા જયંતીની શ્રદ્ધાભેર ઉજવણી કરાશે

  • ભરૂચ ખાતે નદીમાં સવા મણ દૂધનો અભિષેક અને દિવસ દરમ્યાન વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાશે
  • ગુજરાતની જીવાદોરી સમાન પાવન સલિલા માં નર્મદા ઓવારે આવેલા વિવિધ આશ્રમો તીર્થધામો ઉપર ભવ્ય ઉજવણી કરાશે.
  • ગાયત્રી મંદિરે સવા લાખ દીવડાની આરતી કરવામાં આવશે

ભરૂચની જન્મદાત્રી અને ગુજરાતની જીવાદોરી એવી પુણ્યસલિલા માં નર્મદાની આજે જન્મ જયંતી છે. જે નિમિત્તે ઝાડેશ્વરના વિશ્વ ગાયત્રી મંદિર અલખધામ ખાતે આજે માં નર્મદાની સવા લાખ દિવડાની મહાઆરતી, ભવ્ય અન્નકૂટ, 1000 સાડી અર્પણ, મહાપૂજા, અભિષેક અને મહાપ્રસાદી, વગેરે જેવા વિવિધ પ્રકારના કાર્યક્રમો યોજાશે.

નર્મદા પુરાણના રેવાખંડમાં દર્શાવ્યા મુજબ ભગવાન વિષ્ણુની છાતી પર પોતાના પગથી પ્રહાર કરનાર ભૃગુઋષિ નર્મદા કિનારે આવીને વસ્યા હતા. વસંતપંચમીના દિવસે ભરૂચ શહેરની સ્થાપના કરી હતી.ભરૂચ નર્મદા નદીના કિનારે વસ્યું હોવાથી નર્મદા નદીને ભરૂચની જન્મદાત્રી પણ કહેવામાં આવે છે.

નર્મદા નદીના પાણી અને વીજળીનો વધુ પડતો લાભ ગુજરાતને મળતો હોવાથી નર્મદા નદીને ગુજરાતની જીવાદોરી તરીકે પણ ઓળખવામાં આવે છે.મહા સુદ સાતમના શુભ દિવસે નર્મદા નદીની ઉત્પત્તિ થઈ હોવાથી આજના દિવસને “નર્મદા જયંતિ” તરીકે ઉજવવામાં આવે છે. શહેરના અન્ય વિસ્તારો અને નજીમાં પણ વિવિધ ધાર્મિક કાર્યક્રમો સાથે ઉજવણી કરવામાં આવશે.

ભરૂચ : નોકરી છિનવાતા પેટનો ખાડો પુરવા દંપતિ બન્યું લાચાર,સર્જાયા દારૂણ દ્રષ્યો

  • પટેલ સુપરમાર્કેટ પાસે મુકાયેલી કચરા પેટીમાંથી એક્ષપાયરી ડેટના ફૂડ પેકેટો વીણી પેટનો ખાડો પૂરતા પતિ-પત્ની
  • કરજણના વેમાર ગામના પતિની ડ્રાઇવિંગની નોકરી છીનવાઈ ગયા બાદ કઈ કામ ન મળતા કચરો વિણવાનું શરૂ કર્યું

વર્તમાન સમયમાં કોરોનાની થપાટના પગલે ગરીબ અને મધ્યમ વર્ગ માટે કપરી કસોટી સમાન સાબીત થઈ રહ્યા છે અને તેના પગલે નોકરીઓ છિનવાતા હજારો ગરીબ અને મધ્યમવર્ગીય લોકો બેકાર,બેઘર બની આમતેમ એક ટંકનું પેટિયુ રળવા મથામણ કરતા નજરે પડી રહ્યા છે. બેકારી, ગરીબીના દારુણ દ્રશ્યો અને માનવજાત, સમાજ તેમજ સરકારને પણ શર્મશાર કરી વિચાર કરી દેતી ઘટના ભરૂચમાંથી બહાર આવી છે. શહેરના પટેલ સુપરમાર્કેટમાં મુકેલી કચરા પેટીમાંથી વ્યવસ્થિત દેખાતા પતિ અને પત્ની કઈ શોધી રહ્યાં હતાં. જે અંગે વધુ તપાસ કરતા આ દંપતી મૂળ કરજણના વેમાર ગામનું હોવાનું બહાર આવ્યું હતું.

દોઢ મહિનાથી નોકરીની શોધખોળ કરતા અલ્પેશ અને કિંજલને કઈ કામ નહીં મળતા કચરો વિણવાનું શરૂ કેયું હતું. જોકે કચરો વીણી મળતા 30 થી 40 રૂપિયાથી બન્નેવનો પેટનો ખાડો પુરાઈ રહ્યો નથી. માતા-પિતાના અવસાન બાદ ધો. 10 પાસ અને ડ્રાઇવિંગ કરતા અલ્પેશને ફરી કામ નહીં મળતા ભરૂચમાં આવી કચરો વિણવાની શરૂઆત કરી હતી.

જોકે બેકારી, ગરીબી, લાચારી અને પેટની ભૂખની આગની આ કહાની આટલેથી અટકતી નથી. દંપતી સુપર માર્કેટની કચરા પેટીમાં કોઈ વેપારી દુકાનદારે નાખી દીધેલો એક્ષપાયરી ડેટના ફૂડ પેકેટનો જથ્થો વણી રહી હતી. જેને તેઓએ પોતાની જઠરાગ્નિ ઠારવામાં કામ લાગશે તેમ કહ્યું હતું. આ બેકાર અને લાચાર દંપતીની હૃદય દ્રાવક કથની સામે આવી છે ત્યારે સેવાભાવી સંસ્થાઓ, સમાજ, તંત્ર અને સરકાર આગળ આવી કઈ કરે જરૂરી બન્યું છે.

દેડીયાપાડા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા કરાયું ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન

  • ખોખરા ઉમર ખાતે પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું

ડેડીયાપાડા તાલુકાના ખોખરાઉમર ખાતે આવેલા મેદાન માં ડેડીયાપાડા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા આયોજિત ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગોપલીયા ઝોન, મોઝદા ઝોન, અલમાવાડી ઝોન,દેડીયાપાડા ઝોન , કેવડી ઝોન એમ કુલ પાંચ જેટલી ટીમોએ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો.

આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ફાઇનલમાં ગોપલિયા ઝોનની ટીમે ડેડીયાપાડા ઝોનને હરાવી ટ્રોફી જીતી લીધી હતી. ગોપાલિયા ઝોનના કૅપ્ટન શિવનાથસિંહને ટ્રોફી આપવામાં આવી હતી. જ્યારે કમલેશ પટેલને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યા હતા.

  • સર્જન વસાવા, ન્યુઝલાઇન, દેડીયાપાડા

નર્મદા: ૧ વર્ષ પહેલા બનાવેલી કરજણ કેનાલ તૂટી જતા ખેડૂતોમાં ભારે રોષ

  • તકલાદી કામ કરનાર કોન્ટ્રાકટર સામે પગલા લેવાની નિરંજનભાઈ વસાવાએ કરી માંગ

નર્મદા જિલ્લાના તરોપા અને આમલેથા ગામની વચ્ચે કરજણ કાંઠા ની કેનાલ જેની કામગીરીને હજુ એક વર્ષ પણ નથી પૂર્ણ થયું અને ભ્રષ્ટાચારની પોલ ખુલી રહી છે, આ કેનાલ કરોડો રૂપિયાના ખર્ચે 2- 3 કિલોમીટરના અંતરે અલગ-અલગ એજન્સીઓને કામગીરી સોંપી હતી, આ કરજણ કાંઠાની કેનાલ એ કરજણ ડેમ માંથી લઈ અને નર્મદા જિલ્લા અને ભરૂચ જિલ્લાના 60- 70 કિલોમીટર લાંબી કેનાલ છે, જેમાં દરેક સમાજના ખેડૂત મિત્રોની જીવાદોરી સમાન આ કેનાલ છેલ્લા એક દોઢ મહિનાથી બંધ છે.

અહીં ખેડૂતો દ્વારા ખૂબ મોટી સંખ્યામાં કેળા, શેરડી, કપાસ તેમજ લીલી શાકભાજી ઓનું ખેતર માં વાવેતર કરે છે, ત્યારે આજે ઘણા બધા ખેડૂતોનો પાક સુકાઇ રહ્યો છે, આ સમયે આજે બિયારણ પણ એટલું બધું મોંઘું છે, ખાતર પણ એટલું મોંઘું છે અને તે ખેતીલાયક ઓજારો છે જે મજૂરી છે એ પણ ખૂબ જ મોંઘી છે.

તો આવા કપરા સમયે આ ખેડૂતોની વેદના કોણ સમજે કે આજે આ વિસ્તારના દરેક સમાજના હજારોની સંખ્યામાં ખેડૂતો પાણીના લીધે તરસી રહ્યા છે એમના ખેતરો નો માલ સૂકાઈ રહ્યો છે, ત્યારે સરપંચ પરિષદ ગુજરાત નર્મદા ઝોન, પ્રમુખ નિરંજનભાઇ વસાવા દ્વારા જિલ્લાના પ્રશાસનને આ ખડુતો વતી માંગ છે, કે કરજણ કાંઠાનું પાણી તાત્કાલિક ધોરણે ચાલુ કરાવો અને જે ગુણવત્તા વગર ના કામો આ એજન્સીઓ દ્વારા કરવામાં આવ્યા છે એમની સાથે સાથે કેટલાક વચેટીયાઓ એ પણ આમાં સહભાગી થયેલા છે, એમની ઉપર કાયદેસરની કડકમાં કડક કાર્યવાહી કરો અને આ ખેડૂતોના પાણીના પ્રશ્નો વહેલી તકે નિરાકરણ આવે એવી તમામ ખેડૂતોની જિલ્લા પ્રશાસન પાસે માંગ છે.

  • સર્જન વસાવા, ન્યુઝલાઇન, દેડીયાપાડા

નેત્રંગ તાલુકામાં સાંસદના હસ્તે ૬.૬૪ કરોડના વિવિધ રસ્તાઓના રિકાર્પેટિંગનું ખાતમુહૂર્ત કરાયું

  • રાજ્ય-કેન્દ્ર સરકારની યોજનાનો વિશે માર્ગદર્શન આપ્યું

નેત્રંગ તાલુકાના અંતરિયાળ ગામોને જોડતા રસ્તાઓ બિસ્માર બની જતા રિકાર્પેટિંગ કરવાની કામગીરીનું ખાતમુહૂર્ત ભરૂચ લોકસભાના સાંસદ મનસુખભાઇ વસાવાના હસ્તે કરવામાં આવ્યું હતું.

જેમાં કામલીયા થી ચીખલી રિકાર્પેટિંગ ડામર રસ્તો,ક્વચીયાથી ભાંગોરીયા રિકાર્પેટિંગ ડામર રસ્તો, કોયલીમાંડવીથી હાથાકુંડી રિકાર્પેટિંગ ડામર રસ્તો,પિંગોટથી ખાંબી ડામર રસ્તો, વાથી મંડાળા રિકાર્પેટિંગ ડામર રસ્તો,તાડકંપની થી બામલ્લા કંપની રિકાર્પેટિંગ ડામર રસ્તો,આટખોલ-કંબોડીયાથી રમણપુરા રિકાર્પેટિંગ ડામર રસ્તો,ગાલીબાથી વાલપોર રિકાર્પેટિંગ ડામર રસ્તો, ઢેબાર રિકાર્પેટિંગ ડામર રસ્તો,કોલીવાડાથી કોટીયામાઉ ડામર રસ્તો જેવા વિવિધ ૬ કરોડ ૬૪ લાખના રસ્તાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. જેમાં ગામે-ગામના નવા ચુંટણીયેલ સરપંચો-સભ્યોએ સાંસદ મનસુખભાઇ વસાવાનું ઉષ્માભેર સ્વાગત કર્યું હતું. જ્યારે સાંસદે રાજ્ય-કેન્દ્ર સરકારની યોજનાનો વિશે માર્ગદર્શન આપી છેવાડા ગામના લાભાર્થીઓ લાભ લેવા માટે જણાવ્યું હતું.આ પ્રસંગે સાંસદ મનસુખ વસાવા, ભરૂચ જિલ્લા પંચાયત બાંધકામ સમિતિ ચેરમેન ધર્મેશ મિસ્ત્રી સહિત ભાજપ આગેવાનો અને કાર્યકરો ઉપસ્થીત રહ્યા હતા.

  • ઇકરામ શેખ, દિવ્યાંગ મિસ્ત્રી,ન્યુઝલાઇન,નેત્રંગ

કામદારો અને શ્રમિકોના હિત અને ન્યાય મુદ્દે પ્રદેશ અગ્રણી અશોક પંજાબીએ ભરૂચની લીધી મુલાકાત

  • ભરૂચ જિલ્લા કોંગ્રેસ 14 ફેબ્રુઆરીએ આપશે આવેદન

ભરૂચ કોંગ્રેસ કાર્યાલય ખાતે પ્રદેશ અગ્રણી અને કામદાર નેતા અશોક પંજાબીએ મુલાકત લઈ ભરૂચ જિલ્લાની જી.આઇ.ડી.સી.માં કામકરતા શ્રમિકો અને તેની વ્યથા તથા તેમના શોષણ અંગે માહિતિ મેળવી હતી.

ભરૂચ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ઉપર પ્રદેશ અગ્રણી અને કામદાર નેતા અશોક પંજાબીના અધ્યક્ષ સ્થાને રવિવારે બેઠક યોજાઈ હતી. જેમાં જિલ્લા સહિત રાજ્યમાં વિવિધ ક્ષેત્રે સંકળાયેલા શ્રમિકો, કામદારોને આર્થિક, સામાજિક, કાયદાકીય રક્ષણ આપવા માટે જિલ્લા અને રાજ્યવ્યાપી આંદોલનની રણનીતિ ઘડી કાઢવામાં આવી હતી.

આ બેઠકમાં તેમણે શ્રમીકોને પડતી તકલીફો અનએ સરકારની ઉદાસીનતા પર આકરી વેદના દર્શાવી કોંગ્રેસ શ્રમિકોની પડખે રહી તેમને ન્યાય અપાવશેનું એલાન સાથે આગામી દિવસોમાં વિવિધ કાર્યક્રમો આપશેનું જણાવ્યું હતું. વધુમાં તેમણે વર્તમાન સરકાર હાલ ધાર્મિક ધ્રુવિકરણનો મુદ્દો બનાવી ચુંટણી પ્રચાર કરે છે સાથે સરકાર શ્રમિકોને શોષણ કરનારા ઉદ્યોગપતિઓને છાવરતી હોવાના આક્ષેપો પણ તેમણે કર્યા હતા.

ઔદ્યોગિક ભરૂચ જિલ્લામાં પણ કામદારોના વિવિધ પ્રશ્નોને વાચા આપવા જિલ્લા કોંગ્રેસ 14 ફેબ્રુઆરીએ કલેકટરને આવેદનપત્ર પાઠવી રજુઆત કરનાર છે.આ બેઠકમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પરિમલસિંહ રણા, અરવિંદ દોરાવાલા સહિતના હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યાં હતાં.

error: Content is protected !!