- 10 થી 12 જેટલા ગોડાઉન બળીને થયા ખાખ
- શાંતિનગર-2 સ્થિત લાકડા માર્કેટમાં લાગી ભીષણ આગ
- સ્થાનિક રહીશો અને પાંચ ઉપરાંત ફાયર ફાયટરોએ બચાવ કામગીરી શરૂ કરી
અંકલેશ્વર ખાતે આવેલ સારંગપુરના ૧૦ થી ૧૨ જેટલા લાકડાના ગોડાઉનમાં અચાનક આગ ભભૂકતા અફરાતરફરી મચી જવા પામી હતી. જોત જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા લાખો રૂપિયાના દરવાજા સહિતના લાકડા બળીને ખાખ થઇ ગયા હતા.
ગતરોજ મોડી રાતે અંકલેશ્વર તાલુકાના સારંગપુર ગામ નજીક આવેલ શાંતિનગર-2ના લાકડાના ગોડાઉનમાં અચાનક આગ ફાટી નીકળી હતી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં જોતજોતામાં જ લાકડાના ગોડાઉનમાં આગની જવાળા જોવા મળી હતી આગને પગલે વિસ્તારમાં નાશભાગ મચી જવા પામી હતી આગને કારણે સ્થાનિકો એકત્રિત થઈ ગયા હતા અને ફાયર વિભાગમાં જાણ કરી હતી આગની ગંભીરતાને પગલે અંકલેશ્વર ડી.પી.એમ.સી.,નગરપાલિકા, પાનોલી અને ઝઘડીયા મળી 6થી વધુ ફાયર ફાઇટરો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ફાયર ફાઇટરોએ ફાયર ટેન્ડરની મદદથી આગ ઉપર પાણીનો મારો ચલાવ્યો હતો અને કલાકોની ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો આગની ઘટનામાં કોઈને પણ જાનહાનિ નહીં થતાં સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો હતો જો કે આગની ઝપેટમાં આવી ગયેલા 10થી 12 જેટલા લાકડાના ગોડાઉન બળીને ખાખ થયા છે.આગ શોર્ટ સર્કિટ્ને કારણે લાગી હોવાનું અનુમાન સેવાઇ રહ્યું છે.અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ પણ ઘણીવાર આ માર્કેટમાં આગની ઘટનાઓ પ્રકાશમાં આવી છે.