The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

Home Blog Page 154

ભરૂચ:ધો.૧૦-૧૨ની પરીક્ષાના આયોજન અર્થે કલેક્ટરના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઇ

આગામી તા.૨૮ માર્ચથી શરૂ થતી ધો-૧૦ અને ધો-૧૨ની પરીક્ષા વ્યવસ્થા સુચારૂ રીતે ગોઠવાય તેવુ આયોજન કરવા અર્થે સમીક્ષા બેઠક કલેકટર તુષાર સુમેરાના અધ્યક્ષસ્થાને યોજાઇ હતી.

આ બેઠકમાં કલેકટરશ્રીએ વિદ્યાર્થીઓને પરીક્ષાઓનો ભય ન રહે તેમજ કોઇ અવ્યવસ્થા ન રહે તે માટે કંટ્રોલરૂમ સહિતની વ્યવસ્થા ગોઠવવા સૂચના આપી હતી એસ.ટી વિભાગને વાહન વ્યવસ્થા ગ્રામ્ય વિસ્તારમાં જળવાઈ રહે તે માટે સુદઢ આયોજન ગોઠવવા તથા પોલીસ, આરોગ્ય, વિજળી વિભાગને પણ પોતાના વિભાગની કામગીરી સુપ્રેરે અદા કરવા જરૂરી માર્ગદર્શક સૂચનાઓ આપી હતી.

આ બેઠકમાં પરીક્ષા સંબંધે થયેલ તૈયારીઓની રૂપરેખા, વિદ્યાર્થીઓની સંખ્યા, બ્લોક વ્યવસ્થા તેમજ કેન્દ્ર સંચાલક અને ખંડ નિરીક્ષકોને પરીક્ષાના સુચારૂં આયોજન માટે તાલીમ અને માર્ગદર્શક સેમિનારનું આયોજન અંગેની માહિતી જિલ્લા શિક્ષણાધિકારી નવનિત મહેતાએ આપી હતી. વધુમાં તેમણે ભરૂચ જિલ્લામાં ધો-૧૦માં કુલ-૩૨ કેન્દ્રો, ૮૩ બિલ્ડીંગ અને કુલ-૨૩૯૬૨ વિદ્યાર્થીઓ, ધો-૧૨ વિજ્ઞાનપ્રવાહમાં કુલ-૦૪ કેન્દ્રો, ૧૬ બિલ્ડીંગ અને કુલ-૩૧૪૫ અને ધો-૧૨ સામાન્ય પ્રવાહમાં કુલ-૧૨ કેન્દ્રો, ૨૮ બિલ્ડીંગ અને કુલ-૭૫૯૩ વિદ્યાર્થીઓ પરીક્ષા આપનાર છે. સમગ્ર જિલ્લામાં તમામ પરીક્ષા કેન્દ્રો પર સી.સી.સી. કેમેરાથી સજ્જ કરાયા હોવાનું પણ જણાવ્યું હતું.

જિલ્લા શિક્ષણાધિકારી કચેરી, હોસ્ટેલ ગ્રાઉન્ડ ભરૂચ ખાતે જિલ્લા કક્ષાનો કંટ્રોલ રૂમ તા.૨૭/૦૩/૨૦૨૨ થી તા.૧૩/૦૪/૨૦૨૨ સુધી સવારે ૦૭:૦૦ કલાકથી રાત્રિના ૨૦:૦૦ કલાક સુધી કંટ્રોલ રૂમ કાર્યરત રહેશે. કંટ્રોલ રૂમનો ટેલિફોન નંબર – ૦૨૬૪૨ – ૨૪૦૪૨૪ છે.

આ પ્રસંગે રાજ્યકક્ષાએથી વિડીયો કોન્ફરન્સ પણ યોજાઈ હતી જેમાં શિક્ષણ મંત્રી જીતુભાઇ વાઘાણીએ માર્ગદર્શન આપ્યું હતું. બેઠકમાં નિવાસી અધિક કલેક્ટર જે.ડી.પટેલ, ડીવાયએસપી અને શિક્ષણ કાર્ય સાથે જોડાયેલા અધિકારીઓ સહિત સમિતિના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

સાંસદ મનસુખ વસાવાના અધ્યક્ષપદે નર્મદા જિલ્લાની દિશા મોનીટરીંગ સમિતિની બેઠક યોજાઇ

ભરૂચના સંસદસભ્ય અને નર્મદા જિલ્લાકક્ષાની  દિશા મોનીટરીંગ સમિતિના અધ્યક્ષ મનસુખભાઈ વસાવાના અધ્યક્ષપદે આજે રાજપીપલામાં નર્મદા જિલ્લા પંચાયતના કોન્ફરન્સ હોલ ખાતે યોજાયેલી દિશા મોનીટરીંગ સમિતિની બેઠકમાં જિલ્લાના જુદા જુદા  વિભાગો હેઠળના યોજનાકીય વિકાસ કામો ગુણવત્તાયુક્ત હાથ ધરવાની સાથોસાથ જનસમુદાયને સમયસર  તેના લાભો મળી રહે  તે રીતનું  સુચારૂં આયોજન ઘડી કાઢવા મોનીટરીંગ સમિતિના અધ્યક્ષ મનસુખભાઇ વસાવાએ અનુરોધ કર્યો હતો.

બેઠકને સંબોધતા સંસદસભ્ય મનસુખભાઇ વસાવાએ જણાવ્યું હતું કે, નર્મદા જિલ્લો એ એસ્પિરેશનલ જિલ્લો છે ત્યારે સરકારની અનેકવિધ જનલક્ષી કલ્યાણકારી યોજનાઓનો લાભ છેવાડાના લોકો સુધી પહોંચે અને સાચા અર્થમાં લોકો આત્મનિર્ભર બને અને નર્મદા જિલ્લો વિવિધ ક્ષેત્રોમાં ઉંચ્ચકક્ષાની સિધ્ધિ પ્રાપ્ત કરે તેમ વસાવાએ ઉમેર્યું હતું.

મનસુખભાઇ વસાવાએ જિલ્લામાં પ્રાથમિક-માધ્યમિક સરકારી સ્કૂલોમાં ગુણવત્તાયુક્ત શિક્ષણ વિદ્યાર્થીઓને મળી રહે તેવા પ્રયાસો હાથ ધરવા ઉપરાંત જિલ્લામાં મહત્તમ વૃક્ષારોપણ સાથે તેનું જતન થાય તેવા સહિયારા પ્રયાસો માટે ભારપૂર્વકનો અનુરોધ કર્યો હતો. રાજપીપલા શહેરી વિસ્તારમાં ચાલી રહેલા ભુગર્ભ ગટરલાઇન અને ગેસ પાઇપલાઇનના કામો સહિત અન્ય કામો ઝડપભેર અને સમયસર પૂર્ણ કરવાની તાકીદ કરી હતી.આ પ્રસંગે મનસુખભાઇ વસાવાએ જિલ્લામાં પ્રધાનમંત્રી આવાસ યોજના, અન્ન નાગરિક પુરવઠા, ટ્રાયબલ સબ-પ્લાન, આરોગ્ય, આઇસીડીએસ, પાણી પુરવઠા, વાસ્મો, ડીઆઇએલઆર, માર્ગ અને મકાન વિભાગ, શિક્ષણ, આરોગ્ય, કૃષિ-બાગાયત, સિંચાઇ, સમાજ સુરક્ષા, નિરાધાર વૃધ્ધ પેન્શન યોજના, નિરાધાર વિધવા સહાય યોજના, રોજગાર અને તાલીમ, મહિલા અને બાળ વિકાસ, વન વિભાગ, જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, ઇ-ગ્રામ યોજના, ખાણ-ખનીજ, એસ.ટી, આરટીઓ, વિજ વિભાગ, નગરપાલીકા વિસ્તાર સહિતના વગેરે ક્ષેત્રોમાં જિલ્લામાં થયેલી કામગીરીની વિસ્તૃત અને ઝીણવટપૂર્વક સમીક્ષા કરી અમલીકરણ અધિકારીઓને જરૂરી સુચનાઓ સાથે માર્ગદર્શન પૂરૂં પાડ્યું હતું.

જો દુષણ ના અટકાવાય તો અમોને પણ દારૂ વેચવાની પરવાંગી આપો,સુડીના ગ્રામજનોએ આપ્યું આવેદન

  • આમોદ તાલુકાના સુડીના ગ્રામજ્નોએ આપ્યું વેદના સભર આવેદન

ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના સુડી ગામે વધતા જતા દારૂના દુષણ સામે વારંવાર ફરિયાદ કરવા છતાં કોઇ પરિણામ ના આવતા આખરે ગ્રામજનોએ આજરોજ જિલ્લા કલેક્ટરને આવેદન આપી સત્વરે દારૂનો વેપલો કરનારાઓ સામે કાર્યવાહી કરી યુવા ઘનને બરબાદ થતું અટકાવવા માંગ કરી હતી.

આવેદનમાં પોતાની વેદના વ્યક્ત કરી જણાવાયું કે સુડી ગામમાં છેલ્લા ઘણાં વર્ષોથી દેશી તથા વિદેશી દારૂનું વેચાણ કેટલાક ઇસમો દ્વારા કરવામાં આવતું હોય અને જેના લીધે અમારા ગામ રહીશો દારૂની લતને લીધે દારૂ પીને અમારા ગામમાં જાહેરમાં તથા ઘરે લડાઇ ઝગડો કરે છે તથા તેઓના કારણે અમારા ગામની શાંતિ ડહોળાય છે.

આ દેશી તથા વિદેશી દારૂનો જથ્થો અમારા ગામમાંથી બહાર લોકોને પણ પહોંચાડવામાં આવે છે અને બહારના ગામના લોકો પણ સુડીમાં ખુલ્લેઆમ દારૂનું વેચાણ થતું હોવાથી ખરીદી કરવા માટે આવે છે . જેના કારણે ગામની શાંતિ અને સૃમધ્ધિ બંન્નેની અધોગત થઇ રહેલી છે. વળી આ દારૂની ઝડપી અને તાત્કાલીક બનાવટમાં સ્પીરીટ વિગેરે કેમિકલનો ઉપયોગ અને તેના કારણે દારૂનું સેવન કરનારાઓના મરણના પ્રમાણમાં ચિંતાજનક વધારો થઇ રહેલો છે.

આ દેશી તથા વિદેશી દારૂના જથ્થાના મોટા પાયે વેચાણના લીધે અમારા ગામનું યુવાધન પણ નષ્ટ થઇ રહેલું છે અને દારૂ તથા જુગારની ગેરકાયદેસરની પ્રવૃતિઓ કરનારાઓ સ્મશાન ભુમિ તથા મંદિર ધાર્મિક સ્થળો પર પણ આ પ્રકારની ગુનાહિત પ્રવૃતિઓ ચલાવી રહેલા છે.જેથી કરીને અમારા વિસ્તારના લોકોની ધાર્મિક લાગણીઓને પણ ઠેસ પહોંચે છે . આ અંગે સુડી ગ્રામપંચાયતમાં ઠરાવો પણ કરવામાં આવેલા છે અને ઠરાવ સહિત લાગતા વળગતા તમામ અધિકારીઓને ફરીયાદો કરવામાં આવેલી હોવા છતાં અમારા ગામના બૂટલેગરો વિરૂધ્ધ કોઇ કાર્યવાહી થઇ રહેલી નથી. જો સત્વરે આ દુષણને નહીં બંધ કરાવાય તો ગ્રમજનો જનતા રેડ કરશે અને તેની તમામ જવાબદારી તંત્રની રહેશેની ચિમકી પણ ઉચ્ચારાઇ હતી.

ગુજરાતનું સૌથી જૂનું ૫૦૦ વર્ષની આયુ ધરાવતું બહેડાનું વૃક્ષ તાપી જિલ્લાના ચુનાવાડી ગામમાં

દક્ષિણ ગુજરાત એટલે ગાઢ જંગલોનો પ્રદેશ. અહીં અનેક જાતની ઔષધિય મૂલ્યો ધરાવતી વનસ્પતિઓ, નાના છોડ અને વેલ સ્વરૂપે જોવા મળે છે. તાપી જિલ્લાના પ્રખ્યાત પદમડુંગરી ઈકો ટુરિઝમ વિસ્તારમાં ઉનાઈથી ૧૮ કિ.મી.દુર ચુનાવાડી ગામે અંદાજિત ૫૦૦ વર્ષ જૂનું બહેડાનું તોતિંગ વૃક્ષ આજે પણ અડીખમ ઉભું છે. આ વૃક્ષ જોવા મોટી સંખ્યામાં પદમડુંગરી આવતાં પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. વનવિભાગ દ્વારા તેની યોગ્ય દેખરેખ અને જાળવણી કરવામાં આવે છે.

ઔષધિય ગુણો ધરાવતા બહેડાનું વૈજ્ઞાનિક નામ Terminalia bellirica અંગ્રેજીમાં Bedda nuts, ગુજરાતીમાં બહેડો, હિન્દીમાં હલ્લા બહેડા,  સંસ્કૃતમાં વિભીદક છે. મહુડાના વૃક્ષ જેવા પાન ધરાવતા બહેડાના વૃક્ષના ફુલ તેમજ ફળ, છાલનો ઔષધિ તરીકે ઉપયોગ થાય છે. બહેડાના વૃક્ષો સમગ્ર ભારતમાં જોવા મળે છે. ડાંગ, વલસાડ, તાપી, નવસારી, સુરત, નર્મદા વિગેરે જિલ્લાઓના જંગલોમાં મહત્તમ જોવા મળે છે. પરંપરાગત ભારતીય સંસ્કૃતિમાં પ્રાચીન સમયથી વનસ્પતિઓના પાન, ફુલ, છાલ, મૂળ વિગેરે જડીબુટ્ટી તરીકે વિવિધ રોગોના ઉપચાર માટે ઉપયોગમાં લેવાય છે. જેની માત્રા ૩ થી ૫ ગ્રામ લેવાની હોય છે.

ઉનાઈ રેન્જ વિસ્તારના રેન્જ ફોરેસ્ટ ઓફિસર ઋચિ દવેએ માહિતી આપતા જણાવ્યું હતું કે, તાપી જિલ્લાના ડોલવણ તાલુકાની ઉનાઈ રેન્જ સ્થિત પદમડુંગરી ઈકોટુરિઝમ નજીક ચુનાવાડી ગામની સરહદે અંબિકા નદીને કાંઠે અંદાજીત ૫૦૦ વર્ષ જૂનું ગુજરાતનું એકમાત્ર બહેડાનું ખૂબ જ પ્રાચીન વૃક્ષ આવેલું છે. આ મહાકાય વૃક્ષની વન વિભાગ દ્વારા જાળવણી કરવામાં આવી છે. સાત વ્યક્તિઓ એકસાથે હાથ ફેલાવી બાથ ભરે ત્યારે બહેડાના આ કદાવર વૃક્ષના થડને માપી શકાય છે. આદિવાસી લોકો રવિવાર, મંગળવારે બહેડાના વૃક્ષનું પૂજન કરી પૂર્વ, ઉત્તર દિશામાં મુખ રાખી વૃક્ષના પાન, મૂળની માંગણી કરે છે. ત્યારબાદ પાન, મૂળને લાલ કપડાંમાં વિંટાળીને તિજોરી અથવા ઘરના મંદિરમાં રાખે છે, શ્રદ્ધાપૂર્વક પોતાના આરાધ્ય દેવનું પૂજન કરી ધન્યતા અનુભવે છે. કલ્પવૃક્ષ સમાન આ વૃક્ષની પૂજા અર્ચના કરવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ વધે છે એવી આદિવાસી સમાજની આસ્થા પણ જોડાયેલી છે.

નેત્રંગ તાલુકાના અંતરિયાળ વિસ્તારના ગામોમાં 4 કરોડ 60 લાખના ખર્ચે એપ્રોચ રોડની કામગીરી હાથ ધરાશે

નેત્રંગના વિવિધ ગામોમાં 4 કરોડ 60 લાખના એપ્રોચ રોડનું ખાતમુર્હત કરાયું

ભરૂચ જિલ્લાની તમામ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન આવતાં પૂરજોશમાં વિકાસના કાર્યો શરૂ કરાયા છે. ભારતીય જનતા પાર્ટીના શાસનમાં તેમજ સાંસદ મનસુખ વસાવાની સીધી દેખરેખ હેઠળ આદિવાસી વિસ્તારોમાં વિકાસના કામો એ વેગ પકડ્યો છે. ત્યારે વિવિધ ગામોને જોડતા એપ્રોચ રોડના કાર્યો, પાણીની સમસ્યાને લગતા કાર્યો તેમજ વિવિધ કાર્યોને ભરૂચ જિલ્લા પંચાયત દ્વારા તબક્કાવાર મંજૂરી આપવામાં આવી રહી છે.

જિલ્લાના નેત્રંગ તાલુકાના જેસપોરથી વણખુંટા તેમજ વાકોલ, મુગજ, ધોલેખામ જેવા અંતરિયાળ વિસ્તારના ગામોમાં 4 કરોડ 60 લાખના ખર્ચે એપ્રોચ રોડની કામગીરી હાથ ધરાશે. આજરોજ જિલ્લા પંચાયતના બાંધકામ વિભાગ દ્વારા રોડના ખાતમુહૂર્તનો કાર્યક્રમ નેત્રંગ તાલુકાના મૂગજ ગામ ખાતે યોજાયો હતો.

આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત બાંધકામ સમિતિ દ્વારા મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત લોકસભા વિસ્તારમાં આવતા (1) 4 કિમીનો ધોલેઆમ એપ્રોચ રોડ 80 લાખના ખર્ચે, (2) 3 કિમીનો મુગજ એપ્રોચ રોડ 60 લાખના ખર્ચે, (3) 3 કિમીનો વાંકોલ એપ્રોચ રોડ 60 લાખના ખર્ચે અને (4) 6 કિમીનો જેસપોર વણખૂટા (ડામર) રોડ 2 કરોડ 60 લાખના ખર્ચેનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે સાંસદ મનસુખ વસાવા, જિલ્લા ભાજપા પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયા, બાંધકામ સમિતિના ચેરમેન ધર્મેશ મિસ્ત્રી, મહામંત્રી નિશાંત મોદી, વાલિયા તાલુકાના પંચાયતના પ્રમુખ લીલાબેન વસાવા તેમજ જિલ્લા પંચાયતના સભ્ય રાયસિંગ વસાવા સહિત અન્ય સ્થાનિક આગેવાનો અને ગ્રામજનોએ હાજરી આપી હતી.

આહવાના રંગમંચ ઉપર રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમોની મોજ માણતા ડાંગના દરબારીઓ

ડાંગ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત ડાંગ દરબારના પ્રથમ દિવસે વૈશ્વિક સ્તરે ખ્યાતિ પામેલુ ડાંગ જિલ્લાનુ આદિવાસી ડાંગી નૃત્ય ધવલીદોડના પ્રગતિ યુવક મંડળે રજુ કર્યુ હતુ. તો અનાવલ (કોષ) ના બાળ કલાકારો શ્રદ્ધા અને વિજય ગૃપ દ્વારા ‘આદિવાસીની પડે એન્ટ્રી’ ગીત ઉપર આકર્ષક ડાન્સ પર્ફોર્મન્સ રજુ થયુ હતુ.

આ ઉપરાંત પ્રથમ દિવસે સ્થાનિક બાળ કલાકાર બાળાઓએ, દેશરંગીલા ગીત ઉપર નૃત્ય રજુ કર્યુ હતુ. તો ડાંગના કલાકાર સની જાદુગરે પણ સૌને મંત્રમુક્ત કર્યા હતા. યુ ટ્યુબ ઉપર ધૂમ મચાવનારા RT ડાંગી કોમેડીના કલાકારોએ પણ પ્રેક્ષકોને મનોરંજન પૂરૂ પડ્યુ હતુ.

સ્થાનિક કલાકારો ઉપરાંત રાજસ્થાની ઘુમર, પંજાબી ભાંગડા, ગુજરાતી રાસ ગરબા, તાપીનુ ઢોલ નૃત્ય, દાહોદનુ તલવાર, સહિયારા નૃત્ય, ચકરી નૃત્ય સાથે કચ્છી ઘોડીએ પણ અહીં ધૂમ મચાવી હતી.

ગુજરાત પ્રવાસન નિગમ લી. ના સૌજન્યથી રોજેરોજ યોજાઇ રહેલા રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમના પ્રથમ દિવસે પ્રાંત અધિકારી આર.એમ.જાલંધરા, સહિત સાંસ્કૃતિક કાર્યક્રમો માટેની સમિતિના ચેરમેન અને જિલ્લા શિક્ષણાધિકારી મણીલાલ ભુસારા, કાર્યપાલક ઇજનેર  એસ.આર.પટેલ સહિતની પ્રશાસનિક અધિકારીઓ, અને વાસુરણાના રાજવી ધનરાજસિંહ સૂર્યવંશી પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

આઝાદી બાદ પણ દેડીયાપાડા પૂર્વપટ્ટીના આદિવાસી વિસ્તારમાં વિકાસનાં નામે મીંડું

દેડીયાપાડા તાલુકાના અનેક રસ્તાઓ આઝાદીનાં ૭૫ વર્ષ બાદ પણ પાકા બન્યા જ નથી, એક વાસ્તવિકતા છે માટે જે રસ્તાઓ બાકી રહ્યા છે, તેનો સર્વે કરાવી  તેને તાત્કાલિક બનાવવા જોઈએ તેવી માંગ ઊભી થઈ છે.આવી જ રીતે દેડીયાપાડા જંગલ વિસ્તાર પીપલોદ થી ડાબકા નો રસ્તો જે ૮ કિલોમીટરનો માર્ગ હજુ સુધી પાકો બન્યો જ નથી અથવા તો કદાચ ભૂતકાળમાં બન્યું હશે ,તો કાગળ પર હશે પરંતુ આ રોડ બન્યો જ નથી.

જેના કારણે ચોમાસા, ઉનાળા, શિયાળા માં આ વિસ્તારના  સેકડો લોકોને અવરજવર માટે ખૂબ જ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે, તે જ રીતે રોડ પાકો ન હોવાના કારણે અહીં એસટી બસ નથી આવતી કે નથીએમ્બ્યુલન્સ 108 આવી શકતી, જેના કારણે આદિવાસી વિસ્તાર પ્રાથમિક સુવિધાઓથી પણ વંચિત રહે છે.આ બાબતે વાતચીત કરતા 80 વર્ષીય બોટિયાભાઈ વાડગીયા વસાવાએ દુઃખ સાથે જણાવ્યું કે આ રસ્તો હજુ બન્યો નથી, ખૂબ મુશ્કેલીનો અમારે સામનો કરવો પડે છે, ચોમાસામાં પણ આ રસ્તો જ્યારે બંધ થઈ જાય છે કાદવ કીચડ વાળો થાય છે, જ્યારે અમે 12 કે 15 કિલોમીટર ફરીને જવું પડે છે, તાલુકા મથક આપવામાં મુશ્કેલી પડે છે, અમારા કોઈ કામ થતાં નથી હજુ આઝાદી ના મળી હોય તેવું લાગે છે.

  • રિપોર્ટર: સર્જન વસાવા, દેડીયાપાડા

પ્રાથમિક શાળા વાગલખોડ ખાતે દાંડીયાત્રાનું કરાયું આયોજન

પ્રાથમિક શાળા વાગલખોડ ખાતે એક ભારત શ્રેષ્ઠ ભારત, આઝાદી અમૃત મહોત્સવ અંતર્ગત પ્રાથમિક શાળાના આચાર્ય કાળીદાસ રોહિત તેમજ શાળાના બાળકો તેમજ શિક્ષકો દ્વારા દાંડીયાત્રા નુ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શાળાના બાળકો ગાંધીજી અને બીજા તેમના સાથીદારો બની રેલીરૂપે ગામમાં સુત્રોચાર સાથે રેલી નિકળી હતી અને લોકોને માહિતગાર કર્યા હતા.

 

ગ્રામપંચાયત વાગલખોડ ખાતે ગામના સરપંચ શ્રીમતિ કમળાબેન વસાવા દ્વારા ગાંધી રેલીનું સ્વાગત કરી, સુતરની આંટી પહેરાવી સ્વાગત કર્યા હતા, બાદમાં રેલી ગામમાં ફરી પ્રાથમિક શાળા વાગલખોડ ખાતે પરત ફરી હતી.જ્યાં બાળકો દ્વારા દાંડીયાત્રા ઉપર ફૂલો વરસાવી બાળકો એ રેલીનું સ્વાગત કર્યું હતું. ત્યારબાદ શાળામાં રેલી આવીને શાળામાં બનાવેલ મીઠાના અગર ખાતે ગાંધીજી બનેલ વિદ્યાર્થીએ ચપટી મીઠું ઉપાડી અંગ્રેજોના મીઠાના કાયદાનો ભંગ કર્યો હતો. આમ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા દાંડી યાત્રાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.

પ્રાથમિક શાળાનાં આચાર્ય શ્રી કાલીદાસ રોહીતે જણાવ્યું હતું કે આઝાદીની લડતમાં દાંડીયાત્રા ખૂબજ  મહત્વની છે, ગાંધી બાપુએ દાંડીયાત્રા દરમિયાન જે ગામમાં રાતવાસો કર્યો, ત્યાં સભા ભરી આઝાદીની લડત અંગે લોકોને જાગૃત કર્યા હતા, આ દાંડીયાત્રા આઝાદીની એક પાયાની હતી એમ જણાવ્યું હતું અને તે રેલી દ્વારા બાળકોના શિક્ષણમાં ખૂબ સરસ રીતે સમજી શકે છે તથા ગામ લોકોને પણ એક ભારત શ્રેષ્ઠ ભારત આઝાદી અમૃત મહોત્સવ અને દાંડી યાત્રાની સમજ મળેલ આ દાંડીયાત્રામાં શાળાના બાળકો, શિક્ષક સ્ટાફ, મધ્યાહન ભોજન સંચાલકો, તેમજ વિદ્યાર્થીના વાલીઓ જોડાયા હતા.

  • રિપોર્ટર: સર્જન વસાવા, દેડીયાપાડા

ભરૂચના વગુસણા ગામે બોગસ દસ્તાવેજ ઉભા કરનાર શખ્સ વિરૂદ્ધ નોંધાયો ગુનો

ભરૂચ તાલુકાના વગુસણા ગામે સર્વે નંબર 420ની જમીનના મુળ માલિક મોનચેસ્ટ ઇલેક્ટ્રોનિક પ્રા.લી કંપનીના ડાયરેક્ટર ભરત છગન પટેલ રહે. નહેરૂ પાર્કસ સોસાયટી, જૂના પાદરા રોડ, વડોદરાએ ધંધાકિય કામ અર્થે ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ઇન્વેસ્ટમેન્ટ પાસેથી લોન લઇ કંપની ગિરવે મુકી હતી. જોકે, રૂપિયા નહીં ચુકવી શકતાં મિલકતની હરાજી થઇ હતી. જેમાં મુળ આગ્રાના અને હાલ ભાવનગર રહેતાં અંજય મહાવીરપ્રસાદ જૈને વિદ્યારામ ગ્રેસીસના ભાગીદાર તરીકે તેમના ભાઇએ વર્ષ 1995માં લીધી હતી.

દરમિયાનમાં અમદાવાદના પરાગ ગિરધર ગણાત્રાએ તેના મળતીયાઓ સાથે વર્ષ 2016માં આ મિલકતમાં પ્રવેશી સિક્યુરિટી ગાર્ડને આ મિલકત મારી છે તેમ કહીં ધમકાવી મિલકત ખાલી કરાવી હતી. જેના પગલે અંજન જૈને પરાગ ગણાત્રાના દસ્તાવેજી પુરાવા તપાસતાં તેણે સરકારી દસ્તાવેજો ઉભા કરવા કંપનીના માલિક અને ડાયરેક્ટર ભરત છગન પટેલનું વર્ષ 2016નું પાવર ઓફ એટર્ની રજૂ કર્યું હોવાનું માલુમ પડ્યું હતું. જે અંગેની તપાસ કરતાં ભરત પટેલના પુત્ર અનિશે જણાવ્યું હતું કે, તેના પિતાનું મૃત્યુ 2013માં થયું હતું. તેણે તેના પિતાનું બોગસ પાવર ઓફ એટર્ની તૈયાર કર્યું હતું. નબીપુર પોલીસમાં આ મુદ્દે ફરિયાદ નોંધાવી છે.

ઝઘડીયાના દધેડા ગામેથી મેડિકલ ડિગ્રી કે સર્ટિફિકેટ વિના પ્રેક્ટિસ કરતો તબીબ ઝડપાયો

ઝઘડીયા તાલુકાના દધેડા ગામેથી મેડિકલ ડિગ્રી કે સર્ટિફિકેટ વિના પ્રેક્ટિસ કરતા એક ડોકટરને પોલીસે દવાખાનાને લગતા સામાન સાથે ઝડપી લીધો હતો.

ઝઘડીયા પોલીસમાંથી મળતી વિગતો મુજબ તા.11મીના રોજ પોલીસને બાતમી મળી હતીકે તાલુકાના દધેડા ગામે આવેલ એક દવાખાનામાં કથિત બોગસ ડોક્ટર દવાખાનું ચલાવે છે.પોલીસે બાતમી મુજબના સ્થળે જઇને તપાસ કરતા દવાખાનામાં એક માણસ ગળામાં સ્ટેથોસ્કોપ લટકાવીને ડોકટર તરીકે પ્રેક્ટિસ કરતો હોવાનું જોવા મળ્યુ હતું. પોલીસ તપાસ દરમિયાન તેનું નામ સમલ સુશાંતા સતિષ બિસ્વાસ હોવાનું જણાયુ હતું, તેમજ મુળ પશ્ચિમ બંગાળના નદિયા જિલ્લાનો રહીશ આ ઇસમ હાલ અંકલેશ્વર ખાતે રહેતો હોવાનું પણ જાણવા મળ્યું હતું.

સદર ઇસમ ઇન્ડિયન કાઉન્સિલ પેરા મેડિકલના જોન એસોસિયેશન કોલકાતા આધારે માત્ર દવાજ આપી શકે છે તેમ છતાં મેડિકલ ડોક્ટરની ડિગ્રી કે સર્ટિફિકેટ વિના માત્ર અનુમાન અને અનુભવના આધારે જુદાજુદા દર્દીઓને તપાસી ગેરકાયદેસર રીતે તેઓને એલોપેથીક દવા તથા ઇન્જેક્શનો આપી સારવાર કરતો હોવાનું જણાયુ હતું. પોલીસે દવાખાનામાં તપાસ કરતા વિવિધ દવા ઇન્જેક્શનો તેમજ દવાખાનાને લગતો અન્ય સામાન મળી આવ્યો હતો. ઝઘડિયા પોલીસે દધેડા ગામે મેડિકલ પ્રેક્ટિસ કરતા આ કથિત બોગસ ડોક્ટર સમલ સુશાંતા સતિષ બિસ્વાસ વિરુધ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

error: Content is protected !!