- એક લકઝરીની અડફેટે બીજા લકઝરી ચાલકે ગુમાવ્યો જીવ
- ઉશ્કેરાયેલ સ્થાનિકોએ બસમાં તોડફોડ બાદ કરી આગચંપી
ભરૂચના શેરપુરા ખાતે એક લકઝરી બસ ચાલક બસમાંથી ઉતરી ઘરે જવા જતા સામેથી પુર ઝડપે આવતી અન્ય લકઝરીની અડફેટે જીવ ગુમાવવાનો વારો આવતા ઉશ્કેરાયેલા સ્થાનિકોએ અકસ્માત સર્જનાર બસમાં તોડ ફોડ કરી બે લકઝરી સળગાવતા અફરાતફરી મચી જવા પામી હતી.આ ઘટનાની જાણ પોલીસને થતાં જ પોલીસ ટીમ સહિત ફાયર ફાઇટરો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને પરિસ્થીતી પર કાબુ મેળવવા પ્રયાસો હાથ ધર્યા હતા.
આ ઘટનામાં એક્ષપ્રેસ હાઇવેના ચાલી રહેલા કામમાં માણસોને લાવવા લઇ જવાનો કોન્ટ્રાક્ટ લક્ષ્મી ટ્રાવેલ્સને મળ્યો હતો. જેમાં બસનં. GJ- 03-AW-9810ના ચાલક તરીકે શેરપુરાના ફોકલ ફળીયામાં રહેતા આશરે ૬૫ વર્ષીય ઇસ્માઇલભાઇ આદમભાઇ માંચવાલા નોકરી કરતા હતા. આજરોજ મોડી સાંજે ૮.૩૦ની આસપાસ તેઓ પોતાની બસના પેસેન્જરો ઉતારી શ્રવણ ચોકડી તરફથી પરત આવી પોતાની બસ શેરપુરા બસ સ્ટેન્ડ પાસે ઉભી રાખી બસનો દરવાજો ખોલી નીચે ઉતરી રહ્યા હતા. ત્યારે સામેથી દહેજ સાઇડ ઉપરથી પુર ઝડપે આવતી જમાદાર ટ્રાવેલ્સની બિરલા કોપરની શીફ્ટ લઈ પુરઝડપે આવતી લકઝરી બસ નં. GJ-01-9367 ના ચાલકે ઇસ્માઇલભાઇને અડફેટે લેતા તેમને માથામાં ગંભીર ઇજાઓ પહોંચતા ઘટના સ્થળે જ તેમનું કરૂણ મોત નીપજ્યું હતું.
અકસ્માત થતાં જ સ્થાનિકો ટોળા ઉમટ્યા હતા અને અકસ્માત સર્જી ભાગવા જતા લકઝરી ચાલકને આંતરી બસને થોભાવી દીધી હતી.ગામના જ વયસ્કના મોતના પગલે ઉસ્કેરાયેલા સ્થાનિકોએ બસમાં તોડ ફોડ કરી અકસ્માત સર્જનાર બસ તેમજ તેની આગળ ઉભેલ જમાદાર કંપનીની બિરલા કોપરની બસને સળગાવી દીધી હતી.
જોતજોતામાં બસની આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા એકસમયે શેરપુરા રોડ ઉપર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને ઘટનાની જાણ પોલીસને કરાતા પોલીસ ટીમ સહિત ફાયર ટેન્ડરો તાત્કાલીક ધટના સ્થળે દોડી આવ્યા હતા અને આગ ઉપર કાબુ મેળવવા પ્રયત્નો હાથધર્યા હતા. તો પોલીસે મામલો થાળે પાડવાની સાથે મૃતકની લાસને પી.એમ. અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથધરી છે.