The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

Home Blog Page 24

સાપુતારા ફરવા ગયેલા અંકલેશ્વરના યુવકોની કાર ડિવાઈડર સાથે અથડાતા પલટી, 2 ના મોત, 2ને ઈજા

નવસારી જિલ્લાના વાસદા વગઈ માર્ગ પર કાર ડિવાઈડર સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો. જેમાં બે યુવકના મોત થયા હતા. જ્યારે અન્ય બે યુવાનને ઈજા પહોંચી હતી. જેથી તેઓને સારવાર માટે ખસેડવામાં આવ્યાં છે. તેમજ અકસ્માતમાં કારનો કૂરચો બોલી ગયો હતો.

વાંસદા તાલુકાના ચારણવાડા ગામ નજીક કાર ધડાકાભેર ડીવાઈડર સાથે અથડાઈને પલટી મારી ગઇ હતી. કારની સ્પીડ એટલી હતી કે, અકસ્માતમાં કારના કૂરચેકૂરચા નીકળી ગયા હતા. અકસ્માતમાં પાર્થ વજુ ડોબરીયા (24) વિકેન રાકેશ ખાંટ (22) યુવાનના ઘટના સ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજયા હતા. જ્યારે અન્ય બે યુવાનો નીરજ પ્રકાશ ડોબરીયા (22) હર્ષિલ કાનજી ઠુમ્મર નામના યુવાનો ઘાયલ થતાં સારવાર અર્થે વાંસદાની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા.

કારમાં સવાર ચારેવ યુવાનો અંકલેશ્વરની ઓમ એન. ફાર્મા કંપનીના કર્મચારી હોવાનું તપાસમાં સામે આવ્યું છે. ચારેય મિત્રો સાપુતારા ફરવા નીકળ્યા હતા. વાંસદા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસને વેગ આપ્યો છે.

વાલિયા-નેત્રંગમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરાઇ

ભરૂચના વાલિયા તાલુકામાં વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે આદિવાસી સમાજ દ્વારા જન નાયક બિરસા મુંડાની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી રેલી સ્વરૂપે કાર્યક્રમ યોજાયો હતો

દર વર્ષે  યુનો દ્વારા ઘોષિત વિશ્વ આદિવાસી દિવસની ઠેરઠેર ઉજવણી કરવામાં આવી હતી જેના ભાગરૂપે વાલિયા-નેત્રંગ આદિવાસી સમાજ અને યુથ પાવર દ્વારા વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે ઉજવણી કરવામાં આવી હતી.

જેમાં આગેવાન રાજુ વસાવા,યુથ પાવરના અધ્યક્ષ રજની વસાવા,વિનય વસાવા અને વિજય વસાવા,કેતન વસાવા,વીનેશ વસાવા સહિત આગેવાનોએ વાલિયા ગામના ચાર રસ્તા ઉપર આવેલ બિરસા મુંડાની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. જે બાદ ભવ્ય રેલી નીકળી હતી. જેમાં આદિવાસી સમાજના લોકો ઝૂમી ઉઠ્યા હતા.યુવાનોએ આદિવાસી શસ્ત્રો સાથે પહેરવેશ ધારણ કરી આદિવાસી સંસ્કૃતિનુ પરંપરાગત નૃત્ય પણ રજૂ કર્યું હતું.

પાલેજ ગામે એકટીવા પર વિદેશી દારૂ લઈ જતો ૧ ઝડપાયો, ૧ મહીલા વોન્ટેડ

ભરૂચ જીલ્લા પોલીસ અધીક્ષક મયુર ચાવડા દ્વારા જીલ્લામાં પ્રોહી.જુગારની પ્રવૃત્તિ અંકુશમાં લેવાનાં ઉદ્દેશ્યથી રાખવામાં આવેલ પ્રોહી. જુગારનાં કેસો કરવા અંગેની ડ્રાઈવ અનુંસંધાને પાલેજ પોલીસ મથકનાં પોલીસ ઈન્સ્પેક્ટર એસ.એમ.દેસાઈ સાથે પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં.

દરમ્યાન બાતમીદારથી બાતમી મળેલ કે, ભરૂચ તરફથી એક ઈસમ પોતાની કાળા કલરની GI-05-HP-6498 એક્ટીવામાં ઈંગ્લીશ દારૂ ભરીને પાલેજ સીટી પોઈન્ટ નાં પાછળનાં રસ્તેથી ડુંગરીપાળ તરફ જનાર છે.પાલેજ પોલીસ ટીમ બાતમી વાળી જગ્યા ઉપર વૉચ રાખતા એક્ટીવા આવતાં એક્ટીવા ચાલકને સાઈડમાં ઉભી રખાવી જોતાં એક્ટીવામાં પગ મુકવાની જગ્યાએ વાદળી કલરની પ્લાસ્ટીકની બેગ તેમજ સીટ ઉપર પાછળનાં ભાગે દોરીથી બાંધેલ મીણીયા થેલામાં વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો.

જેથી પાલેજ પોલીસે પ્લાસ્ટીકનાં ક્વાટર નંગ-૨૮૮ કિં.રૂ.ર૮,૮૦૦/- નો મુદ્દામાલ સાથે આરોપી સંદિપકુમાર ચંદ્રભુવન નિષાદ જાતે હિન્દુ ઉ.વ.ર૬ ધંધો-મજુરી રહેવાસી-વરાછા, લક્ષ્મણનગર સોસાયટી,તા.જી.સુરત મુળ રહેવાસી, ગામ છતોના કલા, તાલુકો, લંભુઆ, જીલ્લો, સુલ્તાનપુર ઉત્તર પ્રદેશની અટક કરી તથા તેની અંગ ઝડતીમાંથી રોકડા રૂપિયા પર૦/- તથા અલગ અલગ કંપનીનાં મોબાઈલ નંગ-ર કિં.રૂ.૩૫૦૦/- તથા એક્ટીવા કિં.રૂ.ર૦,૦૦૦/- ગણી કુલ્લે કિં.રૂ. પર,૮૨ર૦/- નાં મત્તાનાં મુદ્દામાલ સાથે સ્થળ પર પકડી પાડી ઝડપાયેલ આરોપી વિરૂધ પ્રોહી એક્ટ કલમ મુજબ કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ છે.જયારે આ ગુનામાં પોલીસે મીનાબેન મહેશભાઈ માછી રહે, પાલેજ ડુંગરીપાળ તા.જી.ભરૂચને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથધરી છે.

જૈનોના મહાન તપ સિદ્ધિતપનો લગભગ ૨૦૦ ભાવિકોએ કર્યો પ્રારંભ

ભરૂચ જૈન મહાસંઘ દ્વારા ગીતાર્થ ગચ્છાધિપતિ જૈનાચાર્ય રાજયશસુરિશ્વરજી મ. સા. ની મંગલમયી શુભ નિશ્રામાં તા. ૮-૮-૨૦૨૩ મંગળવારના રોજ જૈનોના મહાન તપ “સિદ્ધિતપ” નો લગભગ ૨૦૦ ભાવિકોએ પ્રારંભ કર્યો. આ માટે શ્રીમાળી પોળ ના ઉપાશ્રયના પ્રાંગણમાં ભવ્યાતિભવ્ય કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો.

જેમાંભરૂચના શ્રીમાળી પોળ, શકિતનાથ, ઝાડેશ્વર, વેજલપુર, પ્રિતમનગર, હરીકૃપા આદિ સાત સંઘ તેમજ અંકલેશ્વરથી પણ આ તપમાં જોડાયેલા ભાવિકો પધાર્યા હતા. કાર્યક્રમના પ્રારંભમાં જૈનાચાર્ય ગચ્છાધિપતિ રાજયશસુરિશ્વરજી મહારાજે પ્રવચન કરતાં તપનો મહિમા સમજાવતાં જણાવ્યું કે જિનશાસનમાં તપ – ત્યાગ – દાન માટે એટલી વર્ષા થાય છે કે જેની કલ્પના કરવી પણ મુશ્કેલ છે. હાલ ભરૂચમાં રિંકુબેનનો આજે ત્રીસમો ઉપવાસ છે.

સિધ્ધિતપ એ કુલ ૪૪ ચુમાલીસ દિવસનો તપ છે. જેમાં અનુક્રમે એક ઉપવાસ એક બિયાસણુ, બે ઉપવાસ એક બિયાસણુ, ત્રણ ઉપવાસ એક બિયાસણુ એ પ્રમાણે આઠ ઉપવાસ સુધી ચડવાનું હોય છે. આ તપમાં કુલ છત્રીસ ઉપવાસ અને આઠ બિયાસણા  કરવાના હોય છે.તપના પચ્ચક્ખાણ પૂર્વે પૂ. ગચ્છાધિપતિ આચાર્ય ભગવંતે અતિ પવિત્ર એવી નંદી ની ક્રિયા સર્વ તપસ્વીને કરાવી હતી. અને ત્યારબાદ ગીત સંગીતના મધુર વાતાવરણે સુંદર તપનો માહોલ રચ્યો હતો. ત્યારબાદ ખૂબ જ ભાવોલ્લાસ સાથે સર્વ તપસ્વીઓને ઉપવાસનું પચ્ચ્ક્ખાણ પ્રતિજ્ઞા કરાવેલ.દશ વર્ષના બાળકથી મોટી ઉંમરના અનેક ભાઈ બહેનો પણ આ તપમાં જોડાયા છે. તપસ્વીઓના બંને સમયના બિયાસણા શકિતનાથ જગડુશા ભોજન મંડપમાં રાખવામાં આવેલ છે.  આ સમસ્ત કાર્યક્રમ ભરૂચ જૈન મહાસંઘ દ્વારા સમાયોજિત કરવામાં આવેલ છે.

ભરૂચ ન્યુ કસક નવીનગરી માંથી ગાંજાના જથ્થા સાથે ૨ ઝડપાયા,૧ વોન્ટેડ

ભરૂચ જીલ્લામાં યુવાધન નશાના રવાડે ના ચડે તથા નશાયુકત પદાર્થનુ વેચાણ અટકાવવા તથા આવી ગેરકાયદેસર પ્રવૃત્તિ વિરૂધ્ધના કેસો શોધી કાઢવા પોલીસ અધિક્ષક મયુર ચાવડા ભરૂચની સુચના અને માર્ગદર્શન આધારે પી.આઇ એ.એ.ચૌધરીએ પોતાની ટીમ કાર્યરત કરી હતી.

જેમાં બાતમીદારથી બાતમી મળી હતી કે ભરૂચના ન્યુ કસક નવીનગરીમાં જહીર એહમદ બશીર અહેમદ બદરમીયા તથા શાહીસ્તા અબ્દુલમુસા અરબના ગેરકાયદેસર નશાકારક માદક પદાર્થ ગાંજાનો જથ્થો પૈસા કમાવવાના ઇરાદે અન્યને વેચાણ કરવા માટે લાવનાર છે.

જે બાતમી આધારે ભરૂચ એસ.ઓ.જી. ટીમે છાપા મારી કરતા ન્યુ કસક નવીનગરી ખાતે થી જહીર એહમદ બશીર અહેમદ બદરમીયા રહે. એ/૧૦૭ કરિશ્મા કોમ્પલેક્ષ, મહંમદપુરા, ભરૂચ, શાહીસ્તા અબ્દુલ મુસા અરબ રહે. ન્યુ કસક નવીનગરી, ભરૂચ પાસેથી આરોપીઓ પાસેની ટ્રોલીબેગો તથા બેગપેક બેગમાં માદક પદાર્થ ગાંજા કુલ વજન ૨૦.૯૬૧ કિ.ગ્રા. કિ.રૂ.૨,૩૦,૦૩૦/-નો મુદ્દામાલ મળી આવ્યો હતો.

પોલીસે બંન્નેવ આરોપીઓ વિરૂધ્ધ એન.ડી.પી.એસ.એકટ મુજબ ભરૂચ શહેર “સી” ડીવીઝન પોલીસ મથકે ગુનો રજીસ્ટર કર્યો હતો. જયારે ઝડપાયેલા બંન્નેવ આરોપીઓને માદકા પદાર્થ ગાંજો આપનાર સુરતનો આરોપી પિન્ટુભાઇને વોન્ટેડ જાહેરા કરી આગળની વધુ તપાસ પોલીસ ઈન્સ્પેકટર એસ.ઓ.જી.ભરૂચ નાઓ ચલાવી રહ્યા છે.

ભરૂચના અસ્મિતા ગુરૂકુલમ જ્ઞાન વર્ગોની દિકરીઓ માટે વસ્ત્ર દાનનો કાર્યક્રમ યોજાયો

“મન મૈત્રી સેવા ફાઉન્ડેશન”, ભરૂચ ના સ્થાપક ટ્રસ્ટી જયેશ પરીખ તથા હિનાબેન જયેશભાઈ પરીખ દ્વારા અસ્મિતા ગુરુકુલમ જ્ઞાન વર્ગો ની દિકરીઓ માટે દાતા સૂર્યપ્રકાશભાઈ સેજવાણીના શિવમ એમ્પોરીયમના ૪૧ વર્ષ પૂર્ણ થયા ની ખુશીનાં અવસરે તેમના દ્વારા વસ્ત્ર દાન કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો.

તેમાં મન મૈત્રી સેવા ફાઉન્ડેશન અબોલ જીવો માટે કાર્ય કરી રહેલ સંસ્થા તરફથી સંસ્થાનાં માનદ સભ્યો અને શુભેચ્છકો ઉપસ્થિત રહ્યા હતા. કુલ 110 ગુરુકુલમ ની દિકરીઓ ને વસ્ત્ર  દાન કરવામાં આવ્યું હતું તથા મનો દિવ્યાંગ બાળકો ને કલર ક્રાફટ માટેની બુક નું વિતરણ કર્યું હતું.

જયેશભાઈ પરીખ તથા દાતા સૂર્યપ્રકાશભાઈ એ સંસ્થાનાં કાર્યોને બિરદાવ્યા હતા. અસ્મિતા સંસ્થાનાં સેક્રેટરી પ્રણવભાઈ ભટ્ટએ સંસ્થાનાં કાર્યો ની માહિતી આપી હતી. “મન મૈત્રી સેવા”સંસ્થા ને તેના કાર્યો બદલ શુભેચ્છાઓ પાઠવી હતી. તથા સૂર્યપ્રકાશભાઈ ને  પણ તેમના શો રૂમ ને સફળતા પૂર્વક 41 વર્ષ પૂર્ણ કરતા અભિનંદન આપ્યા હતા અને આભાર વ્યક્ત કર્યો હતો.

૧૮ વર્ષ બાદ અધિક શ્રાવણ માસમાં ભરાતો ભરૂચના નાંદ ગામનો ભાતીગળ મેળો

ભરૂચ તાલુકાનાં પૌરાણિક નાંદ ગામ ખાતે દર ૧૮ વર્ષ બાદ અધિક શ્રાવણ માસમાં ભરાતો ભાતીગળ મેળાનું ધાર્મિક દ્રષ્ટીએ ધણું જ મહાત્મય રહેલું છે. નર્મદા નદીમાં સ્નાનનો અનોખો મહિમા હોવાથી લોકો સ્નાન કરી અધિક માસની જાત્રા કરતા હોય છે.

નર્મદા પુરાણ અનુસાર નંદાહદ નંદા સરોવરમાં સ્નાન કરવાનો મહિમા છે. નાંદ ગામ સાથે નંદરાજાના સાતમા સંતાન નંદ પુત્રી હોવાથી આ સ્થળ પ્રચલિત છે.નંદાદેવીએ કંસ રાજાના હાથમાંથી છુટી કંસ વધની આગાહી કરી હતી અને મહીસાસુર જેવા અનેક દૈત્યો સહિત દુષ્ટ આત્માઓનો વધ કર્યો હતો જેથી લાગેલા યાત્રકના નિવારણ અર્થે પવિત્ર નર્મદા કિનારે તેત્રીસ કરોડ દેવતાએ સ્નાન તપ કર્યું હતું. તેથી આ સ્થળેને નંદા હદ એટલે કે નંદા સરોવર કહેવામા આવે છે.આ સ્થળેનંદાદેવી મંદિરે દર્શના કરી લોકો ધન્ય બને છે.

આ પવિત્ર સ્થળે શ્રાવણ વદ અમાસથી એક માસ સુધી સ્નાન કરવાનો અનોખો મહિમા છે.ભારતના યાત્રાધામો પૈકી નંદાહદ નંદા સરોવર નાંદ ચોથા નંબરનુ યાત્રાધામ હોવાનું પણ માનવમાં આવે છે.આ યાત્રામાં ભારતભરમાંથી લોકો આવી સ્નાન કરી ધન્યતા અનુભવી રહ્યા છે.

રવિવારના રોજ નાંદ ગામ ખાતે રવિવારની રજાના દિવસે ભરુચ જિલ્લા સહિત અનેક સ્થળોએથી ભાવિક ભક્તો નાંદ ખાતે આવી પહોંચ્યા હતા અને દર્શન સાથે સ્નાનનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી.

ભરૂચ રોટરી ફેમિના દ્વારા ગર્ભ સંસ્કાર પર સેમિનાર યોજાયો

માતાના સ્વાસ્થ્યને પ્રોત્સાહન આપવા અને આપણા સમુદાયમાં સગર્ભા સ્ત્રીઓની સુખાકારી સુનિશ્ચિત કરવા માટે, રોટરી ભરૂચ ફેમિનાએ ચાવજ ગ્રામ પંચાયતના સરપંચ અને 7X મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલ સહયોગથી 6 ઓગસ્ટ 2023 ના રોજ સગર્ભા સ્ત્રીઓને સમર્પિત મફત મેડિકલ કેમ્પનું આયોજન કર્યું હતું.

આ ઈવેન્ટનો ઉદ્દેશ્ય વ્યાપક શ્રેણી ઓફર કરીને સગર્ભા સ્ત્રીઓની મહત્ત્વપૂર્ણ સ્વાસ્થ્ય જરૂરિયાતોને પહોંચી વળવાનો હતો. આ સેવાઓમાં સામાન્ય આરોગ્ય તપાસ, પ્રિનેટલ સ્ક્રીનીંગ, અનુભવી સ્ત્રીરોગ વિજ્ઞાનીક સાથે પરામર્શ અને સગર્ભા માતાઓને અનુરૂપ મૂલ્યવાન આરોગ્ય સલાહનો સમાવેશ થાય છે. તબીબી શિબિરનો હેતુ જન્મ પહેલાંની યોગ્ય સંભાળ અને માતા અને અજાત બાળક બંને માટે તંદુરસ્ત ગર્ભાવસ્થાના મહત્વ વિશે જાગૃતિ લાવવાનો હતો.

આ કાર્યક્રમમાં તમામ અપેક્ષિત માતાઓને તેમની પોષક જરૂરિયાતોને પૂરી કરવા માટે પ્રોટીન કિટ્સનું વિતરણ પણ સામેલ હતું. ગર્ભાવસ્થા દરમિયાન સંતુલિત આહારમાં ફાળો આપતા આવશ્યક પોષક તત્ત્વો અને પ્રોટીન પ્રદાન કરવા માટે આ કિટ્સ વિચારપૂર્વક બનાવવામાં આવી છે.

ગર્ભ સંસ્કાર નિષ્ણાત ડૉ. નીતીશા શાહ દ્વારા સગર્ભા સ્ત્રીઓ માટે પ્રિનેટલ અને પોસ્ટનેટલ કેર પર ધ્યાન કેન્દ્રિત કરતા ‘ગર્ભ સંસ્કાર’ પર અત્યંત માહિતીપ્રદ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનારમાં ગર્ભવતી માતાઓને તંદુરસ્ત સગર્ભાવસ્થા પ્રવાસ માટે જરૂરી જ્ઞાન સાથે શિક્ષણ અને નારિસશક્તિકરણ કરવામાં આવ્યું હતું.

આ ઈવેન્ટમાં ધારાસભ્ય ભરૂચ રમેશ મિસ્ત્રી, પ્રવદીશકુમાર ઉમેશભાઈ પટેલ – સરપંચ ચાવજ, શૈલાબેન રમેશભાઈ પટેલ – જીલ્લા પંચાયત સભ્ય, ધર્મેશ ભાઈ મિસ્ત્રી – ચેરમેન પબ્લિક કન્સ્ટ્રક્શન વર્કસ, ડો. નીતીશા શાહ – ગર્ભસંસ્કાર કોચ, રોટેરિયન શર્મિલા દાસ – પ્રેસિડેન્ટ રોટરી ભરૂચ ફેમિના, રોટરીયન શહેનાઝ ખંભાતી – સેક્રેટરી રોટરી ભરૂચ ફેમિના, રોટરીયન સુરભીબેન તંબાકુવાલા- આનંદગ્રામ પ્રોજેક્ટ ચેરમેન હાજર રહ્યા હતા.

 

અંકલેશ્વરની પાનોલી GIDCમાં મોડીરાત્રે રીતુ ફાર્મા કંપનીની ફેક્ટરીમાં આગ

અંકલેશ્વરમાં આવેલા ઔધોગિક એકમોમાં છાશવારે આગ લાગવાની ઘટનાઓ બનતી રહે છે, તેવામાં ગતરોજ રાત્રીના સમયે વધુ એક આગ લાગવાની ઘટના બની હતી.

અંકલેશ્વરની પાનોલી GIDCમાં આવેલી રીતુ ફાર્મા કંપનીમાં રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પ્રચંડ ધડાકા સાથે ભીષણ આગ ફાટી નીકળી હતી. આ બ્લાસ્ટના કારણે લાગેલી આગ એટલી વિકરાળ હતી કે, આગના ગોટે ગોટા દૂર દૂર સુધી જોવા મળતા હતાં.આગની ઘટના બનતા જ લોકોના ટોળા પણ ઉમટી પડ્યા હતા. આ સમયે વધુ એક બલાસ્ટ થતાં જ ત્યાં રહેલા લોકોમાં નાસભાગ મચી ગઇ હતી.

કંપનીમાં લાગેલી આગની ઘટના અંગેની જાણ અંકલેશ્વર ફાયર વિભાગમાં કરવામાં આવતા અંકલેશ્વર, પાનોલી સહિત 10 ફાયર બ્રીગેડના લાશકરોએ તાત્કાલિક લાયબંબા લઇ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. લાશ્કરોએ ભારે જહેમતે આગની જ્વાળાઓ ઉપર પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવવાની કાવાયત હાથ ધરી હતી. આગની ઘટના બનતા જ GPCB અને ફેક્ટરી ઇન્સ્પેક્ટર સહિતના અધિકારીઓ પણ સ્થળ પર દોડી આવ્યા હતા. સદનસીબે આગમાં કોઈ જાન હાનિ નહિં નોંધાતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

117 વર્ષ બાદ રેલ્વે સ્ટેશનનો કાયાકલ્પ થશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે વિડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી આઝાદી કા અમૃત મહોત્સવ હેઠળ દેશના 508 રેલવે સ્ટેશનોના ₹24400 કરોડના ખર્ચે પુન: વિકાસના શિલાન્યાસનો શુભપ્રસંગ ભરૂચ રેલવે સ્ટેશન ખાતે યોજાયો હતો.

ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ સભાને સંબોધતા કહ્યું હતું કે, આજનો દીવસ આનંદ અને ખુશીનો દીવસ છે. અમૃતકાળનો પ્રારંભ નવી ઉર્જા અને નવા સંકલ્પ સાથે ભરૂચ સહિત ભારતના 508 જેટલા રેલ્વે સ્ટેશનોનો કાયાપલટ થશે. ભરૂચ રેલ્વે સ્ટેશન માટે અનેક લોકોની રજૂઆતો અમારા સુધી આવી તેને સરકાર સુધી પહોચાડી અને આજે તેનું પરિણામ તમારા સામે છે.રૂપિયા 34 કરોડના ખર્ચે જ્યારે આ રેલવે સ્ટેશનું નવનિર્માણ થશે ત્યારે આ સ્ટેશનમાં તમામ યાત્રીઓ માટે જરૂરીયાત મુજબની તમામ સુવિધા મળતા પ્રવાસી માટે કનેક્ટિવિટી અને મુસાફરીની સરળતા રહેશે. તેમની સાથે સાથે દિવ્યાંગજન અને વરિષ્ઠ નાગરિકોને મૈત્રીપૂર્ણ સુવિધાઓ પણ ઉપબ્ધ બનશે.

ભરૂચની ઓળખ સમાન તેની અસ્મિતાભર્યો ઈતિહાસની ઝાંખી કરવાતું નવું રેલ્વે સ્ટેશન બનશે. એટલુ જ નહી ભરૂચ રેલવે સ્ટેશન સાથે દેહેગામ પાસે બુલેટ સ્ટેશન બનતા ભરૂચના લોકોની મુસાફરી વધુ ઝડપી બનશે. એટલે જ કહી શકાય, અમૃતકાળના પ્રારંભે પરમ વૈભવના સર્વોચ્ચ શિખરે પહોચવા આપણે સૌ હવે કટીબ્ધ રહેવું જ પડશે. ભરૂચ હવે ભાગ્યું – ભાંગ્યુ ભરૂચ નથી રહ્યું પણ ભવ્ય અને સમુધ્ધ ભરૂચ બનવા તરફ ડગ માંડી રહ્યું છે.આપણા ગુજરાતના પનોતાપુત્ર અને દેશના યશસ્વિ વડાપ્રધાન નવી દીશા અને ગાઢ સંકલ્પ સાથે ભારત દેશને સાથએ લઈને ચાલતા અદના વ્યક્તિ છે. જે હરહંમેશ સામાન્ય માણસોની ચિંતા કરતા દેશને સમુધ્ધ અને આત્મનિર્ભર ભારત બનાવવા સતત પ્રયત્નશીલ છે. યશસ્વિ વડાપ્રધાન નક્કર કાર્યક્રમ અને વિઝન થકી રાષ્ટ્રહીતમાં કામ કરી રહ્યા છે.

“હર હાથ મે કામ“ ના સૂત્ર થકી દરેક યુવાને રોજગારી મળે તેવા હેતુથી રોજગારીની તકો સર્જાઈ રહી છે.ભારત અને ગુજરાતભરમાં મોખરે ભરૂચ જિલ્લામાં નવા -નવા પ્રોજેક્ટો અને ઉદ્યોગો આવી રહ્યા છે. આ નવા ઉદ્યોગો નવી રોજગારીની તકોનું સર્જન કરશે. દેશના 508 રેલવે સ્ટેશનોના પુન: વિકાસના શિલાન્યાસ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે વિડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી કરવામાં આવ્યો હતો.આ પ્રસંગે, ભરૂચ જિલ્લાના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, અરૂણસિંહ રણા, ઈશ્વરસિંહ પટેલ, નગરપાલિકા પ્રમુખ અમિત ચાવડા, જિલ્લા સમાહર્તા તુષાર સુમેરા, નિવાસી અધિક કલેકટર એન. આર. ધાધલ, ચિફ પ્રોજેક્ટ મેનેજર વડોદરા મંડલ વેસ્ટન રેલવે કે.એલ. મિના, જિલ્લા ભાજપના અગ્રણીઓ, પૂર્વ ધારાસભ્ય દુષ્યંત પટેલ, રેલ્વે વિભાગનો સ્ટાફ અને મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા.

error: Content is protected !!