The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

Home Blog Page 211

ભરૂચ: વિલાયત જી.આઈ.ડી.સી.ની બિરલા ગ્રાસીમ કંપનીમાં એક કામદારનું મોત

•નવા પ્લાન્ટમાં ગેસ ગળતરના કારણે મોત થયું હોવાનું અનુમાન

•આ અગાઉ ૨૦ નવેમ્બરના પણ ગેસ લાગવાથી બે કર્મીઓને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

ભરૂચના દહેજ વિલાયત જી.આઈ.ડી.સી.ની બિરલા ગ્રાસીમ કંપનીમાં ગેસ ગળતરથી 1 કામદારનું મોત નીપજ્યાની ઘટના પ્રકાશમાં આવી છે. આ અગાઉ પણ તા. ૨૦ નવેમ્બરના રોજ ગેસ લાગવાથી બે કર્મીઓને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.

પ્રાપ્ત વિગતો અનુસાર વિલાયત જી.આઈ.ડી.સી.ની બિરલા ગ્રાસીમ કંપનીમાં આજરોજ પ્રક્રિયા દરમિયાન અચાનક કોઈ કારણ સર ગેસ ગળતર થતા તેના ગેસની અસર થી નજીક કામ કરી રહેલ મૂળ મધ્યપ્રદેશના નાગદાનો વિવેક શ્રીવાસ્તવ ઉ.વ.૪૩ હાલ રહે, માતૃછાયા એપાર્ટમેન્ટ, તવરા રોડ, ભરૂચ નું મોત નીપજ્યું હતું.અચાનક સાથી મિત્રના મોતના પગલે સહકર્મીઓમાં ગમગીની છવાઇ હતી.

આ ઘટનામાં મૃતકની લાસને મોતનું ચોક્કસ કારણ જાણવા પી.એમ. અર્થે ભરૂચ સિવિલ હોસ્પીટલ ખસેડાઇ હતી.બનાવ સંદર્ભે પોલીસે મૃતક પરિવારની ફરિયાદ આધારે ગુનો નોંધી વધુ તપાસ આરંભી હતી.ઉલ્લેખનીય છે કે આ કંપનીમાં વારંવાર આવી ઘટનાઓ બનતી રહે છે પરંતુ યેનેકેન પ્રકારે કંપની સત્તાધીશો એ વાતને દબાવી દેતા હોવાનું પણ ચર્ચાઇ રહ્યું છે.

ભરૂચ: ટ્રક ટ્રાન્સપોર્ટ એસોશિયેશન દ્વારા હેલીકોપ્ટર દુર્ધટનાના શહીદોને અપાઇ શ્રદ્ધાંજલિ

આજે ભરૂચમાં સેનાના હેલિકોપ્ટર અકસ્માતમાં શહીદ થયેલા દેશના પહેલા સીડીએસ જનરલ બિપિન રાવત અને તેમની સાથે શહીદ થયેલા દેશ વીર સેના નાયકોને ભારત ટ્રક એન્ડ ટ્રાન્સપોર્ટ વેલ્ફેર એસોસેશન, ભરૂચ -અંકલેશ્વર ને અને જીલાના તમામ ટ્રાન્સપોર્ટ વેપારીઓ દ્વારા શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.

શ્રદ્ધાંજલિ પાઠવતા તેમણે ભારત ટ્રક એન્ડ ટ્રાન્સપોર્ટ વેલ્ફેર એસોસેશન, ભરૂચ -અંકલેશ્વર અને જીલ્લાના તમામ ટ્રાન્સપોર્ટરો એ જણાવ્યું કે દેશ માટે આપેલ બલિદાન ન ભુલી શકાય તેવું છે. તેમની અકાળે વિદાય આ દેશ માટે અપૂર્ણીય નુકસાન છે. આ દુ:ખની ઘડીમાં આખો દેશ શહીદ જવાનોના પરિવાર સાથે ઉભો છે.

શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં BTTWA થી ગુજરાતના પ્રભારી સંદીપ શર્મા અને રાષ્ટ્રીય જયભગવાન, જીલ્લા અધ્યક્ષ આલોક મિશ્રા, વિજેન્દ્ર, પાંડે, પ્રવકતા પ્રમોદ શર્મા,સતીષ સુરા,અશોક ચૌધરી,અશોક શર્મા અને અન્ય સાથી ઉપસ્થીત રહ્યા હતા.

ઊંઝાના MLA આશાબેન પટેલનું નિધન

ઊંઝાના ધારાસભ્ય આશા પટેલનું નિધન થયાં દુખદ સમાચાર સામે આવ્યા છે. તેઓ ઝાયડસ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હતા. ડેન્ગ્યુની બીમારી બાદ તેમની હાલત વધુ લથડી હતી. તેમજ મલ્ટી ઓર્ગન ડેમેજના કારણે આશા પટેલનું નિધન થયાની માહિતી સામે આવી છે.

ડેન્ગ્યુ થયા બાદ આશાબેનને બે દિવસ ઊંઝાની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યાં તેઓ સારવાર હેઠળ હતા. જણાવી દઈએ કે તેઓ દિલ્હીથી 7 તારીખે આવ્યા હતા. ત્યાર બાદ તેમને ડેન્ગ્યુ થયો હતો. તો બે દિવસ પહેલા તબિયત વધુ લથડતા ઝાયડ્સ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. ત્યારથી લીવર ડેમેજ થતા તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ડો.આશાબેન પટેલના દુઃખદ અવસાન અંગે ઊંડા શોકની લાગણી વ્યકત કરીને શ્રદ્ધાંજલી પાઠવી છે. ભૂપેન્દ્ર પટેલે ડો.આશાબેન પટેલે જન પ્રતિનિધિ તરીકે જનસેવા સાથે લોક પ્રશ્નોના ઉકેલ માટે સતત કાર્યરત રહીને આપેલી સેવાઓની સરાહના કરી. તેમણે આશાબેનના આત્માની શાશ્વત શાંતિની પ્રભુ પ્રાર્થના પણ કરી.

ઊંઝાના ધારાસભ્ય આશા પટેલની સ્થિતિ નાજૂક હોવાના સમાચાર સવારે આવ્યા હતા. તો તેઓ આજે ત્રીજા દિવસે પણ વેન્ટિલેટર પર હતા. જણાવી દઈએ કે અમદાવાદની ઝાયડસ હોસ્પિટલમાં આશા પટેલની સારવાર ચાલી રહી હતી. ગઈકાલે CM, બ્રિજેશ મેરજા, સહિત અનેક નેતાઓએ હોસ્પિટલની મુલાકાત લીધી હતી. તો બીજી તરફ ઝાયડસ હોસ્પિટલે આશા પટેલ બાબતે ચર્ચાતી અટકળોને નકારી કાઢી છે. પરંતુ બીમારીને કારણે તેઓ આજે દુનિયા છોડી ગયા છે.

અહેવાલો અનુસાર ડેન્ગ્યુથી આશાબેનને મલ્ટી ઓર્ગન ફેલીયોર થયું હતું. જેમાં આશાબેનના હાર્ટ, ફેફસા કિડની લીવર તેમજ કિડનીને વધુ અસર થઇ હતી. ઝાયડસ હોસ્પિટલના ડિરેક્ટર ડૉ. વી એન શાહના જણાવ્યા અનુસાર હાલ તેમને કૃત્રિમ શ્વાસોશ્વાસ પર રાખવામાં આવ્યા હતા. તેમજ આશાબેનના શરીરના તમામ અંગો લાઇફ સપોર્ટ સિસ્ટમ પર ચાલી રહ્યા હોવાનું ડૉક્ટરોએ સ્વીકાર્યું હતું.આ ઉપરાંત આશા પટેલના મોટા ભાગના અંગો ફેલ થયા હતા. આવા સંજોગોમાં રિકવરીના ચાન્સ બહુ ઓછાં હોય છે. જ્યારે તેમને બચાવવાના તમામ પ્રયત્નો થઇ રહ્યા હતા.

આજે આકાશમાં જોવા મળશે અદ્દભૂત નજારો, એક લાઈનમાં હશે 6 ગ્રહો

•ગ્રહોની પરેડનું સુંદર દ્રશ્ય નરી આંખે નિહાળી શકાશે

•28 ડિસેમ્બરથી 6 જાન્યુઆરી સુધી પણ દેખાશે ગ્રહોની પરેડ

આજે 12મી ડિસેમ્બર સાંજે આકાશમાં એક દુર્લભ અવકાશી નજારો જોવા મળશે. લોકો સૂર્યમંડળના 6 ગ્રહોને એક સીધી રેખામાં જોઈ શકશે. સારી વાત એ છે કે સૂર્યાસ્ત પછી લોકો તેને પોતાની આંખોથી અથવા નાના ટેલિસ્કોપથી પણ જોઈ શકશે. આ માટે વિશાળ ટેલિસ્કોપની જરૂર નહીં પડે. ખગોળશાસ્ત્રી વૈજ્ઞાનિકે આ દુર્લભ ખગોળીય ઘટનાને ગ્રહોની પરેડ ગણાવી છે. ફોક્સ-4ના અહેવાલ અનુસાર 12 ડિસેમ્બરે રવિવારે સાંજે, એક પાતળો અર્ધચંદ્રાકાર શુક્ર, શનિ, ગુરુ, નેપ્ચ્યુન અને યુરેનસ સાથે સીધી રેખામાં હશે.

પૂર્ણ ચંદ્રની ગેરહાજરીને કારણે લોકો આ ખગોળીય ઘટના સ્પષ્ટપણે જોઈ શકશે. ખગોળશાસ્ત્રીઓના મતે ગ્રહોની પરેડ માટે 6ઠ્ઠી ડિસેમ્બરથી ગ્રહોની ગતિ બદલાવા લાગી હતી. ચંદ્ર સૌપ્રથમ શુક્રની નજીક દેખાયો. આ પછી બધા ગ્રહો વારાફરતી રેખામાં આવતા રહ્યાં. 10 ડિસેમ્બરે ચંદ્ર, ગુરુ અને શનિ એક રેખામાં જોવા મળ્યાં હતાં. ગયા વર્ષે પણ 19 જુલાઈએ પાંચ ગ્રહો એક સીધી રેખામાં જોવા મળ્યાં હતાં. ત્યારબાદ બુધ, શુક્ર, મંગળ, ગુરુ અને શનિ ટેલિસ્કોપ વગર જોવા મળ્યાં હતાં.28 ડિસેમ્બરે આ રીતે દેખાશે.

અંકલેશ્વર : ગડખોલની શુભમ રેસિડેન્સીમાં પરિણીતાએ કરી ફાંસો ખાઇ આત્મહત્યા

અંકલેશ્વરના ગડખોલ ગામ ખાતે રાજપીપળા ચોકડી પર આવેલ શુભમ પાર્ક ખાતે રહેતા રોશન અરૂણ ઝા ની પત્ની પલ્લવી દેવીએ ગત રાત્રીના કોઇ અગમ્ય કારણોસર સાડી નો ગાળીયો બનાવી આત્મહત્યા કરી હતી. જો કે તેના પરિવાર ના સભ્યો આવી જતા તેને તાત્કાલીક સારવાર માટે અંકલેશ્વર ની સરદાર પટેલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લઇ આવ્યા હતા જ્યાં ફરજ પરના તબીબે તેને મરણ જાહેર કરી હતી. આ બનાવ સંદર્ભે જી.આઈ.ડી.સી પોલીસ મથકે જાણ કરતા પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. અને મૃતદેહને પી.એમ અર્થે ખસેડાયો હતો.

આ ઘટનામાં મૃતક પલ્લવી દેવી ના પિયર પક્ષ ના સ્વજનો દ્વારા પલ્લવી દેવી ની હત્યા કરવામાં આવી હોવાના ગંભીર આક્ષેપ કર્યા હતા. જે વચ્ચે પોલીસ દ્વારા ઘટના ની ગંભીરતા અને લગ્નો ગાળો ટુંકો જોતા મૃતકનું પેનલ પી.એમ કરાવાયું હતું તેમજ વિશેરા પણ લેવડાવ્યા હતા. તો અંકલેશ્વર મામલતદાર હર્ષદ બેલડીયા દ્વારા પણ પી.એમ સેન્ટર ખાતે મૃતક ના સ્વજન સાથે વાતચીત કરી પંચકેશ કરી અને બંનેવ પક્ષે જવાબ નોંધ્યા હતા. આ મામલે અંકલેશ્વર વિભાગીય પોલીસ વડા ચિરાગ દેસાઈ દ્વારા વધુ તપાસ આરંભાઇ હતી.

ભરૂચ જિલ્લાના DIC વિભાગના મધ્યમ અને નાના ઉદ્યોગ ક્ષેત્ર સાથે સૌથી વધુ 519 કરાર કરાયા

•મેન્યુફેક્ચરીંગ અને સર્વિસ સેક્ટરમાં 502 MOU

વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2022 માં દેશ ના પી.એમ દ્વારા કરવામાં આવેલ આહવાન આત્મનિર્ભર ભારત પર ગુજરાત સરકાર દ્વારા ધ્યાન કેન્દ્રિત કરી વાઇબ્રન્ટ સમિટ ની થીમ “આત્મનિર્ભર ગુજરાતી, આત્મ નિર્ભર ગુજરાત, આત્મનિર્ભર ભારત” રાખી છે.

જે અંતર્ગત ચીન જેવા દેશ સામે કાચા માલ ની સમસ્યા વચ્ચે ચીન ની મોનોપોલી તોડવા માટે સ્થાનિક ઉદ્યોગો પોતાની જરૂરિયાત મુજબ રો મટીરીયલ તૈયાર કરી દેશ ની જરૂરિયાત ને પૂર્ણ કરે તેમજ વિદેશ ની માગ ને પણ પૂર્ણ કરે તેવા ઉદ્દેશ્ય સાથે સૌથી વધુ મેનુફેક્ચરીંગ અને સર્વિસ સેક્ટર તરફ ધ્યાન કેન્દ્રિત કર્યું છે. જેમાં ફાર્મા અને બલ્ક દ્રગ હબ એવું ભરૂચ જિલ્લા માં રો મટીરીયલ ઉત્પાદન ક્ષેત્રે ઉદ્યોગો વધુ આકર્ષિત થયા છે.

ભરૂચ જિલ્લામાં વાઇબ્રન્ટ ગુજરાત સમિટ 2022 માટે અત્યાર સુધીમાં જી.આઈ.ડી.સી વિભાગે 17 એમ.ઓ.યુ કરી 21536 કરોડનું મૂડીરોકાણ મોટા ઉદ્યોગોમાં પ્રસ્થાપિત કર્યું છે. જેના થકી જિલ્લામાં 24515 નવી રોજગારી ઉભી થવાની સંભાવના છે. ભરૂચ જિલ્લા ઉદ્યોગ કેન્દ્રએ વધુ 502 એમ.ઓ.યુ કરી 739.69 કરોડનું પ્રસ્થાપિત મૂડી રોકાણ લાવી નવી 5953 લોકો માટે રોજગારી ઉભી કરી છે.

જિલ્લા ડી.આઈ.સી. વિભાગ એ વાઇબ્રન્ટ ગુજરાત સમિટ 2022 જે યોજાનાર છે. તે પૂર્વે 502 ઉદ્યોગો સાથે એમ.ઓ.યુ કરાર કરી 739.69 કરોડનું પ્રસ્તાવિત મૂડી રોકાણ જિલ્લા માં કરાવ્યું છે. જેમાં જિલ્લા માં નવી 5953 શ્રમિકો માટે રોજગારી ઉભી થશે. જિલ્લામાં હવે 22.275.69 કરોડ પર મૂડી રોકાણ પ્રસ્થાપિત થયા છે. કુલ 519 એમ.ઓ.યુ કરાયા છે.

જિલ્લા કરવામાં આવેલ 502 એમ.ઓ.યુ અંતર્ગત સૂક્ષ્મ અને લઘુ અને મધ્યમ કદના ઉદ્યોગો સ્થપાશે. ડી.આઈ.સી દ્વારા કરવામાં આવેલ એમ.ઓ.યુ માં 85 % રોકાણ ફાર્મા સેક્ટર માં આવી રહ્યું છે. જેમાં મોટા ભાગના ઉદ્યોગો નવી ઉદ્યોગ પોલિસી અને ઈ.સી. સાથે રો મટીરીયલ ઉત્પાદન ક્ષેત્રે એમ.ઓ.યુ કરાર કરવામાં આવ્યા છે.

ભરૂચ જિલ્લામાં માત્ર જીઆઇડીસી વિભાગ એ ભરૂચ જિલ્લામાં 17 એમ.ઓ.યુ કરી 21536 કરોડનું રોકાણ પ્રસ્થાપિત કર્યું છે. ઝગડીયા, દહેજ તેમજ સાયખા ઔદ્યોગિક વસાહતમાં નવા ઔદ્યોગિક એકમ સ્થપાશે. જી.એફ.એલ , એસ.આર.એફ. અને આરતી ઇન્ડસ્ટ્રીઝ દ્વારા કરારો કરાયા છે.

આમોદના કાંકરિયાનો ધર્માંતરણ મામલો : ૪ આરોપીની જામીન અરજી થઇ નામંજૂર

આમોદ તાલુકાના કાંકરિયા ગામે ધર્માંતરણના ષડયંત્રમાં ઝડપાયેલા ૪ આરોપીની રેગ્યુલર જામીન અરજી કોર્ટે નામંજૂર કરી છે. અગાઉ આરોપીઓએ આમોદ કોર્ટમાં પણ જામીન માટે કરેલી અરજી કોર્ટે માન્ય રાખી ન હતી. વધુમાં પોલીસે મુકેલી IPC ની ૪ કલમો અને એટ્રોસિટી એકટની કલમો ઉમેરવાની અરજી કોર્ટે માન્ય રાખી છે. આમોદ ધર્માંતરણના ચકચારી કેસમાં ધરપકડ કરાયેલા અબ્દુલ પટેલ, યુસુફ પટેલ, ઐયુબ પટેલ અને ઇબ્રાહિમ પટેલે તેઓના વકીલ આઇ. એ. વોરા મારફતે જામીન પર મુક્ત થવા અરજી કરી હતી.

સામે પક્ષે આ કેસમાં ખાસ નિયુક્ત કરાયેલા સરકારી વકીલ પરેશ પંડ્યા સરકાર તરફે હાજર રહ્યા હતા. ભરૂચના પ્રિન્સિપાલ જજ સંજય રાજેની કોર્ટમાં બન્ને પક્ષે દલીલો સાંભળ્યા બાદ તપાસની નાજુક સ્થિતિમાં કોર્ટે ચારેય આરોપીના જામીન ફગાવ્યા હતા. વધુમાં લંડનના ફેફડાવાલાને બાદ કરતાં ફરાર ૪ આરોપીનાના લોકેશન અજમેર તરફના મળ્યા છે. આ મુસ્લિમ ધર્મ અંગીકાર કરાવવાનું રાષ્ટ્રવ્યાપી ષડયંત્ર અને વિદેશી ફન્ડિંગને લઈ ED ને પણ જાણ કરવામાં આવી છે.ચારેય આરોપીના બેંક એકાઉન્ટ સીઝ કરી દેવામાં આવ્યા છે. તેમના એકાઉન્ટમાં થયેલી નાણાકીય લેવડદેવડ અને તેના સ્ત્રોતની તપાસ ચલવાઈ રહી છે. સાથે જ ચારેયના મોબાઈલ કબ્જે લઈ તેને FSL માં મોકલાયા છે.

રાજપીપળા : ૭૫ વર્ષ બાદ પ્રથમવાર નાંદોદ તાલુકાનું કાંદરોજ ગામ થયું સમરસ, નહીં યોજાય ચૂંટણી

વિવાદોમાં રહેતા નાંદોદના કાંદરોજ ગામે પેહલીવાર ચૂંટણી નહીં યોજાય. નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાનું કાંદરોજ ગામ આઝાદીના ૭૫ વર્ષ બાદ પ્રથમવાર સમરસ થયું છે.આગામી ગ્રામ પંચાયતોની ચૂંટણીઓ માં આ ગામમાં ભારે રસાકસી રહેતી અને પરંતુ આ વર્ષે આખું ગામ એક થઇ ગામમાં રહેતા સહકારી આગેવાન સુનિલ પટેલ દ્વારા ઉમેદવારોને સમજાવતા ગ્રામજનો પણ વાદ વિવાદ છોડી એક થઇ રહેવાનું પસંદ કર્યું અને નર્મદા જિલ્લામાં નાંદોદ તાલુકાનું એક કાંદરોજ ગામ સમરસ થયું છે.

હવે એક થઇ વિકાસની વાત કરવી છે કોઈ ઝગડી ને વેર રાખીને નાના મોટા નથી થતા જો ગામમાં સુખ સુવિધા હશે તો આપનો જ પરિવાર ઉપયોગ કરશે ની વાત ને લઈને નવા સરપંચ અને સભ્યો વાત કરી રહ્યા છે. ગામો અનેક સમરસ થતા હશે પણ હંમેશા વિવિદ માં રહેતું કાંદરોજ ગામ આઝાદીના અમૃત મહોત્સવ ના વર્ષ નિમિતે ચૂંટણીઓ માં એક બીજાની સામે ઝઝુમતું ગામ સમરસ થઈ ને અન્ય ગામો માટે એક દાખલ રૂપ બન્યું છે.

ગામના આગેવાન સુનિલ પટેલે જણાવ્યું હતું કે અમારું કાંદરોજ પ્રથમ વાર ગામ સમરસ થતા જ ગામના લોકોમાં ઉત્સાહ વધ્યો છે. ગામના હીરાબેન વસાવા સરપંચ પડે ચૂંટાયા છે. ગામ સમરસ થતા ચૂંટણી બાદ જે વિવાદો થતા હતા તે હવે નહિ થાય અને ગામ નો વિકાસ થશે. આ વર્ષે ગામ સમરસ થતા આ તમામ વિવાદોનો અંત આવ્યો છે.આગામી દિવસોમાં ગામને વાઇફાઇ થી સજ્જ કરવામાં આવશે.ગામમાં પીવાનું શુદ્ધ પાણી મળી રહે તે માટે આરો પ્લાન્ટ પણ સ્થાપવામાં આવશે.

ભરૂચ: બોરી ગામેથી પાઇપ ચોરીને જતી ટ્રક ઝડપાઇ, નબીપુર પોલીસે નોંધી ફરિયાદ

•ઓએનજીસીની લાઇન નાંખવા માટેના ૧૦ લાખના પાઇપ ચોરી કરવાનો પ્રયાસ

ભરૂચ તાલુકામાં આવેલાં બોરી ગામની સીમમાં ચાલી રહેલી ઓએનજીસીની પાઇપલાઇન નાંખવાની કામગીરીને લઇને સન્માર્ગ પ્રોજેક્ટ લિમીટેડ કંપનીએ ત્યાં ૧૦ લાખની મત્તાના ૫૦ પાઇપ સ્ટોર કર્યાં હતાં. દરમિયાનમાં એક ટેમ્પો ચાલક સહિત તસ્કર ટોળકી દ્વારા પાઇપ ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, નબીપુર પોલીસે મુદ્દામાલ કબજે કરી લીધો હતો.આ ઘટના અંગે નબીપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાતાં પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ભરૂચના ઝાડેશ્વર વિસ્તારમાં આવેલી જગન્નાથપુી સોસાયટીમાં રહેતાં પ્રલ્હાદસિંહ સોલંકી સન્માર્ગ પ્રોજેક્ટ લિમીટેડ કંપનીમાં ઇલેક્ટ્રીકલ ટેક્નિશિયન તરીકે નોકરી કરે છે. તેમની કંપનીને ઓએનજીસી કંપનીમાં બોરિંગ માટેનો કોન્ટ્રાક્ટ ચાલે છે. તેમની કંપની ગંધાર બરોડા કોઇલી તથા દહેજ ખાતે ડ્રીલીંગનું કામ કરી રહી છે.

જેથી દયાદરાથી નબીપુર રોડ પર બોરી ગામ પાસે નબીપુર તરફ ઓએનજીસી સીપી પોઇન્ટની ખુલ્લી જગ્યામાં સન્માર્ગ પ્રોજેક્ટ લિમીટેડ કંપનીએ ૧૦ લાખની મત્તાની ૫૦ પાઇપ ઉતારી હતી. આ અરસામાં એક ટેમ્પો ચાલક તેમજ તસ્કર ટોળકી દ્વારા તેમની પાઇપો ચોરી કરવાનો પ્રયાસ કરાયો હતો.

જ્યારે પોલીસની ટીમ સ્થળ પર પહોંચતાં જ તમામ આરોપી ફરાર થઇ ગયાં હોઇ પોલીસે તમામ મુદ્દામાલ જપ્ત કર્યો હતો.આ બનાવને પગલે સન્માર્ગ પ્રોજેક્ટ લિમીટેડ કંપનીએ નબીપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી પાઇપ ચોરી કરવાના પ્રયાસ કરનાર તસ્કર ટોળકીના પગેરૂં મેળવવાની કવાયત પોલીસે હાથ ધરી છે.

ભરૂચ: ભોલાવ ઉદ્યોગનગર ખાતેથી બે લક્ઝુરીયસ કારમાંથી વિદેશી દારૂનો જથ્થા સાથે ૧ ઝડપાયો

•પોલીસે કુલ રૂપિયા ૮,૨૯,૪૫૦નો મુદ્દામાલ કબ્જે કર્યો

ભરૂચ જીલ્લામાં આગામી ગ્રામ પંચાયતોની સમાન્ય ચુંટણી-૨૦૨૧ ને ધ્યાનમાં રાખી જીલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તે ઉદ્દેશથી પ્રોહીબિશન ગે.કા.પ્રવૃતિ ઉપર અસરકારક અને પરીણામલક્ષી કામગીરી કરવા મળેલ સુચનાના આધારે લોકલ ક્રાઇમ બ્રાન્ચ ભરૂચના માર્ગદર્શન મુજબ એલ.સી.બી.ની અલગ અલગ ટીમ બનાવી પ્રોહીબિશનની ગે.કા.પ્રવૃતિ ઉપર અસરકારક કામગીરી કરવા અને ગણનાપાત્ર કેશો શોધી કાઢવા પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા.

દરમ્યાન આજરોજ બાતમી આધારે ભરૂચ શહેરમાં ભોલાવ ઉદ્યોગનગર ખાતે સફળ રેઇડ કરી મારૂતી સિયાઝ ફોરવ્હીલ ગાડી નંબર GJ-16-BN-0425 તથા હ્યુન્ડાઇ એલેન્ટ્રા
ફોરવ્હીલ ગાડી નંબર GJ-19-AA-8503 માં વિદેશી દારૂની હેરાફેરી દરમ્યાન વિદેશી દારૂની નાની મોટી બોટલ/બીયર ટીન નંગ-૧૦૪૪ કિંમત રૂપીયા ૧,૦૯,૨૦૦/- ના પ્રોહી મુદામાલ તથા ફોરવ્હીલ કાર-૦૨ તેમજ અન્ય મુદ્દામાલ સહિત કુલ મુદ્દામાલ કિ.રૂ.૮,૨૯,૪૫૦/- સાથે એક આરોપી દિવ્યેશ હરેશભાઇ કાલરીયા રહેવાસી હાલ- ફલેટ નંબર ૧૦૭, રત્નમણી એપાર્ટમેન્ટ, કુળસદ રોડ, કીમ તા.માંગરોળ જી.સુરત મુળ રહે સોંદરડા તા.કેશોદ જી.જુનાગઢને ઝડપી પાડી કાયદેસર કાર્યવાહી કરી આગળની તપાસ માટે ભરૂચ શહેર “સી” ડીવીઝન પો.સ્ટે.માં સોંપવામાં આવ્યો છે.સાથે પકડાયેલ આ આરોપી ભરૂચ શહેર “એ” ડીવીઝન પો.સ્ટે.ના પ્રોહીબિશન ગુનામાં વોન્ટેડ હોય “એ” ડીવીઝન પો.સ્ટે.માં જાણ કરવામાં આવી હતી.

ભરૂચ એલ.સી.બીની રેઇડની કામગીરી દરમ્યાન ફોરવ્હીલ ચાલક દિવ્યેશ હરેશભાઇ કાલરીયા રહેવાસી હાલ- ફલેટ નંબર ૧૦૭, રત્નમણી એપાર્ટમેન્ટ, કુળસદ રોડ, કીમ તા.માંગરોળ જી.સુરત મુળ રહે સોંદરડા તા.કેશોદ જી.જુનાગઢનાએ પોલીસ ધરપકડથી બચવા નાસી જવાના ઇરાદે પોતાના કબ્જાની મારૂતી સિયાઝ ફોરવ્હીલ ગાડી પુરઝડપે મારી નાંખવાના ઇરાદે રીવર્સ લઇ રેડીંગ પાર્ટીના પોલીસ કોન્સટેબલ દિપકભાઇને ઇજા કરતા ચાલક વિરૂધ્ધ સલંગ્ન કલમો હેઠળ અલગથી ગુનો રજીસ્ટર કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.

આ ઘટનામાં પોલીસે નયન ઉફે બોબડો કીશોરભાઇ કાયસ્થ રહેવાસી દાંડીયાબજાર ભરૂચ, યોગેશ ઉર્ફે ફકાટ શનુભાઇ મિસ્ત્રી રહેવાસી.સમની તા.આમોદ , મનીષ તથા તેની સાથેનો એક અજાણ્યો ઇસમ જેના પુરા નામ સરનામું મળી આવેલ નથી, ઇમરાનશા ઉર્ફે મરઘી દિવાન રહેવાસી. અંકલેશ્વર નવી નગરી જી.ભરૂચ, વિરમલ ઉર્ફે વીમલભાઇ ગામીત રહેવાસી.વડગામ તા.માંગરોલ જી.સુરતને વોન્ટેડ જાહેર કરી આગળની કાર્યવાહી હાથધરવા સાથે ઝડપાયેલ આરોપી સાથે વિદેશી દારૂની બોટલ/બીયર ટીન નંગ-૧૦૪૪ કિ રૂ ૧,૦૯,૨૦૦/-, મારૂતી સિયાઝ ફોરવ્હીલ ગાડી નંબર-૯-4-16-81૫૫-0425 કિ.રૂ.૪,૦૦,૦૦૦/-, હ્યુન્ડાઇ એલેન્ટ્રા ફોરવ્હીલ ગાડી નંબર 6.-19-//-8503 કિ.રૂ.૩,૦૦,૦૦૦/-, વીવો કંપનીનો એન્ડ્રોઇડ મોબાઇલ નંગ-૦૧ કિ રૂ.૧૦,૦૦૦/-, ઓપ્પો કંપનીનો એન્ડ્રોઇડ મોબાઇલ નંગ-૦૧ કિ રૂ.૧૦,૦૦૦/-, કુલ મુદ્દામાલ કિમત રૂપિયા ૮,૨૯,૪૫૦/-નો મુદ્દામાલ પણ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથધરવા સાથે વોન્ટેડ આરોપીઓની તપાસ હાથધરી છે.

error: Content is protected !!