The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

Home Blog Page 202

31 ડીસેમ્બર અનુસંધાને ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચના દરોડા

૩૧ ડીસેમ્બરને ધ્યાને લઇ રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે અને કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે હેતુસર પ્રોહી/જુગારની બદ્દીઓ ડામવા અસરકારક કામગીરી કરવા આપેલ સુચના આધારે પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમાનાઓ દ્વારા પ્રોહી/જુગારની ડ્રાઇવ આપી જિલ્લામાં હોટલો, ફાર્મહાઉસો વિગેરે ચેક કરવા આપેલ સુચના આધારે ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાંચની ટીમ ભરૂચ શહેરમાં પેટ્રોલિંગમાં હતી દરમ્યાન મળેલ બાતમી આધારે ભરૂચ શહેર “એ” ડીવીઝન પો.સ્ટે. વિસ્તારમાં BSNL ઓફીસ પાછળ આલી માતયારીયા તળાવ ઝુપડપટ્ટીમાં રહેણાંક મકાનમાં પ્રોહીબિશનની સફળ રેઇડ કરી વિદેશી દારૂના જથ્થા સાથે એક આરોપીને ઝડપી પાડ્યો હતો. જ્યારે મુખ્ય સુત્રધાર એવા બે આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા હતા.

ભરૂચ એલ.સી.બી ટીમે વિદેશી દારૂની જુદી જુદી બ્રાંડની નાની મોટી કુલ બોટલ નંગ-૨૬૨ કિ. રૂ ૩૮,૨૦૦/-, મોબાઈલ નંગ-૦૧ કિ રૂ. ૫,૦૦૦/-, કાળા કલરનું ટ્રાવેલીંગ બેગ કિ રૂ.૧૦૦/- મળી કુલ રૂપિયા ૪૩,૩૦૦/-નો મુદ્દામાલ જપ્ત કરવા સાથે રાકેશ ઉર્ફે રાકો મોહનભાઈ વસાવા રહેવાસી. BSNL ઓફીસ પાછળ, આલી માતરીયા તળાવ ઝપડપટ્ટી ભરૂચ ઝડપી પાડી મુખ્ય સુત્રધાર એવા નયન ઉર્ફે બોબડો કિશોરભાઈ કાયસ્થ રહેવાસી.દાંડીયા બજાર ભરૂચ અને યોગેશ ઉર્ફે ફકાટ શનુભાઈ મિસ્ત્રી રહેવાસી. સમની ગામ તા.આમોદ જી.ભરૂચને વોન્ટેડ જાહેર કરી ઝડપાયેલ આરોપીને એ ડિવિઝન પોલીસ મથકે આગળની કાર્યવાહી માટે સોંપ્યો હતો.

ભરૂચ ખાતે નદી કિનારે પૂજા-ધાટ આરતી- રીવર મશાલ કાર્યક્રમ યોજાયો

ભારતના સ્વતંત્રતાની ૭૫ મી વર્ષગાંઠ નિમિત્તે “આઝાદીકા અમૃત મહોત્સવ” અન્વયે હાથ ધરાયેલ પાંચ દિવસીય “નદી ઉત્સવ” ઉજવણીના ભાગરૂપે સિંચાઇ વિભાગ દ્વારા આજે સમાપન સમારોહમાં ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક દુષ્યંતભાઇ પટેલ, ભરૂચ નગરપાલિકાના પ્રમુખ અમીતભાઇ ચાવડા, જિલ્લા આગેવાન મારૂતિસિંહ અટોદરીઆ,નિવાસી અધિક કલેકટર જે.ડી.પટેલ, સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો, સહિત આગેવાન પદાધિકારીઓ-અધિકારીઓ અને શહેરીજનોની ઉપસ્થિતિમાં નર્મદા મૈયાના સાન્નિધ્યમાં નર્મદા પાર્ક – ભરૂચ ખાતે નર્મદા આરતી તથા પુજાવિધિના કાર્યક્રમને દિપ પ્રાગટ્ય દ્વારા ખૂલ્લો મુક્યો હતો. આ પ્રસંગે નદીઓની પવિત્રતા અને સ્વચ્છતા જાળવવા તથા પ્લાસ્ટિક મુક્ત બનાવવાના સૌએ સંકલ્પ લીધા હતા.

આ પ્રસંગે નાયબ મુખ્ય દંડક દુષ્યંતભાઇ પટેલે જણાવ્યું હતું કે, આઝાદીના અમૃત મહોત્સવના ભાગરૂપે નદી ઉત્સવની ઉજવણી ગુજરાતની સાબરમતી, તાપી અને ગરૂડેશ્વર અને ભરૂચ નર્મદા નદીના તટે અનેકવિધ કાર્યક્રમો થકી નદીઓને ઉજાગર કરવાનું કામ રાજય સરકાર દ્વારા કરવામાં આવી રહ્યું છે ત્યારે આપણા સહુની પણ એટલી જ જવાબદારી છે કે નદીઓને સ્વચ્છ રાખીએ. તેનું જતન કરવા ઉપરાંત તેની જાળવણી કરવા જણાવ્યું હતું. નિલકંઠેશ્વર મંદિર ભરૂચની એક પવિત્ર જગ્યા છે અને મા નર્મદા નદીના દર્શન કરવાથી ધન્યતાની અનુભુતિ થતી હોય છે.

નર્મદા નદી એ ગુજરાતની જીવાદોરી સમાન છે તેમ જણાવી પટેલે આવનાર દિવસોમાં ભાડભૂત બેરેજ યોજના નિવિધ્ને સંપન્ન્ન થાય બંને કાંઠે નર્મદાનો કાંઠો છલોછલ ભરાયેલો રહે તેવી પ્રાર્થના કરી હતી. નદી ઉત્સવના પાંચ દિવસના સુંદર આયોજનને બિરદાવી આ તકે ભરૂચવાસીઓને શુભેચ્છાઓ પાઠવી હતી.

આ પ્રસંગે નર્મદા પાર્ક- ભરૂચ ખાતે સિંચાઇ વિભાગના ધ્વારા આયોજીત કાર્યક્રમમાં સંસ્કૃત પાઠશાળાના વિધાર્થીઓ ધ્વારા મંત્રોચ્ચાર કરવામાં આવ્યો હતો. નાયબ મુખ્ય દંડક દુષ્યંતભાઇ પટેલ, નગરપાલિકાના પ્રમુખ અમીતભાઇ ચાવડા, જિલ્લા આગેવાન મારૂતિસિંહ અટોદરીઆ, સ્વામિનારાયણ સંપ્રદાયના કોઠારી સ્વામી, મનન આશ્રમના સ્વામી, સંતો – મહંતો તથા આગેવાન પદાધિકારીઓએ નર્મદા મૈયાની પુજાપાઠ કર્યા બાદ સંધ્યા મહા આરતી, દીપોત્સવ, રીવર મશાલમા સહભાગી બન્યા હતા. આ પ્રસંગે ૧૧૦૦ દિવા, ૭પ આરતી અને ૭પ મશાલની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ પ્રસંગે જાનકી મીઠાઇવાલા કલાવૃંદ ધ્વારા નર્મદા આરતી, નર્મદા અષ્ટકમ સહિત મા નર્મદાના ગીતો રજુ કર્યા હતા.

આ પ્રસંગે તપોવન સંસ્થાના પ્રમુખ દિનેશભાઇ પંડયા, પ્રાંત અધિકારી એન.આર.પ્રજાપતિ, સિંચાઇ વિભાગના ઉચ્ચાધિકારીઓ, મુખ્ય અધિકારી સંજય સોની, જિલ્લા પંચાયત- તાલુકા પંચાયતના સદસ્યો, ભોલાવ, ઝાડેશ્વર ગામના સરપંચશ્રીઓ, આગેવાન પદાધિકારીઓ, નગરપાલિકાના હોદેદારો, નગરજનો વગેરે ઉપસ્થિત રહ્યા હતા..

અંકલેશ્વર : અમલ લિમિટેડ કંપનીમાં ગેસ ગળતરથી ૬ કામદારોને અસર

• અન્ય કંપનીમાં ચાલી રહેલા કન્સ્ટ્રક્શનના ૬ કામદારોને અસર થતા જયાબેન મોદી હોસ્પિટલ ખાતે ખસેડાયા

અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલી અમલ લિમિટેડ કંપનીમાં રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ગાસ્કેટમાંથી ગેસ લીક થતા કંપનીની પાછળ ચાલી રહેલા અન્ય કંપનીના કન્સ્ટ્રકશનનું કામ કરતા ૬ જેટલા કામદારોને અસર થતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જોકે ગેસ લિકેજથી કામદારોમાં દોડધામ જરૂર મચી ગઇ હતી.

ભરૂચ જિલ્લાની અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં ગેસ લિકેજની ઘટનાથી અફડાતફડી મચી ગઇ હતી. અંકલેશ્વર જીઆઇડીસીની અમલ લિમિટેડ કંપનીમાં રાસાયણિક પ્રક્રિયા ચાલી રહી હતી. તે દરમિયાન ગાસ્કેટમાંથી સલ્ફર ડાયોક્સાઇડ નામનો ગેસ લીક થયો હતો.

હવાની દિશાના કારણે ગેસ કંપનીના પાછળના ભાગે વછૂટ્યો હતો. જેના પગલે અમલ કંપનીના પાછળના ભાગે આવેલા ટેગરોસ કંપનીમાં કન્સ્ટ્રકશનનું કામ કરતા રાહુલ શર્મા, બિસ્વાલ ભગીરથી, રાજુ ઠાકોર, ધર્મેન્દ્ર કુમાર સહીત અન્ય 2 કામદારોને ગેસની અસર થઇ હતી. ગેસની અસરથી ૬ કામદારોનું સ્વાસ્થ્ય જોખમાતા તેમને સારવાર અર્થે જયાબેન મોદી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. આ બનાવની જાણ થતા ફેક્ટરી એન્ડ હેલ્થ વિભાગની ટીમ અને જીઆઇડીસી પોલીસના કાફલાએ દોડી આવી તપાસ હાથ ધરી હતી.

ભરૂચ સર્વનમન સ્કૂલનાં બે વિદ્યાર્થી થયા કોરોના સંક્રમિત

ઓનલાઈનમાંથી ઓફલાઇન શિક્ષણ શરૂ કર્યા બાદ ગુજરાતના મહાનગરોમાં શાળા તેમજ કોલેજોમાં અભ્યાસ કરતા વિધાર્થીઓ મહામારી કોરોનાની ઝપેટમાં આવવાના બનાવો ચિંતાજનક શરૂ થઈ ગયા હતા.

ભરૂચ ઝાડેશ્વર ખાતે નદી કિનારે આવેલી રેસિડેન્સીયલ સર્વનમન વિધામંદિરમાં બે વિધાર્થીઓ કોરોના સંક્રમિત થતા જિલ્લા શિક્ષણ જગત અને વાલીઓમાં ઘેરી ચિંતાનું મોજું ફરી વળ્યું છે. જોકે હાલમાં સ્કૂલને સેનેટાઇઝ કરી પંદર દિવસ માટે બંધ કરી દેવામાં આવી છે.

હવે ભરૂચ જિલ્લાની સ્કૂલમાં પણ કોરોનાએ દસ્તક આપી દીધી છે. ઝાડેશ્વર ખાતે આવેલી સર્વનમન વિધામંદિરમાં 2 બાળકો કોરોનાની ચપેટમાં આવી ગયા છે. રેસિડેન્સીયલ સ્કૂલમાં બે વિધાર્થીઓ કોરોનાગ્રસ્ત બનતા જિલ્લા શિક્ષણ વિભાગ, વિધાર્થીઓ અને વાલીઓમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.

સ્કૂલમાં બે બાળકો કોરોના પોઝિટિવ આવ્યા બાદ આખી સ્કૂલનું સેનિટાઈઝેશન કરવા સાથે શાળાને ૧૫ દિવસ શાળા બંધ કરી દેવામાં આવી છે. જોકે અન્ય વિધાર્થીઓ અને સ્ટાફના કરાયેલા RTPCR રિપોર્ટ નેગેટિવ આવતા થોડી રાહત સ્કૂલને સાંપડી છે.

ઉલ્લેખનીય છે કે એક તરફ નવા વેરિયન્ટ એમિક્રોનનો ખતરો, બીજી તરફ હાઈરિસ્ક કન્ટ્રીમાંથી આવતા લોકોનો બેકાબુ પ્રવાહ પણ કોરોનાનાં કેસોની સંખ્યામાં ટપોટપ વધારો કરી રહ્યો છે.

વાલિયા: પાણીની લાઈનમાં ગેરકાયદેસર જોઈન્ટ મારી ગેસ કંપનીએ પાણીનો વપરાશ કરતા વિરોધ

વાલિયાની જલારામ સોસાયટી પાસેથી પસાર થતી પાણીની મુખ્ય લાઈનમાં ખાનગી ગેસ કંપનીએ કનેક્શન લઈ ગેસ લાઈનનું ટેસ્ટિંગ કર્યું હતું. જેને લઈ જાગૃત નાગરિકોએ વિરોધ નોંધાવ્યો હતો.

વાલિયા ખાતે ગુજરાત ગેસ કંપની દ્વારા ગેસ લાઈન નાખવાની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. ત્યારે આજરોજ કંપનીના અધિકારીઓ જલારામ સોસાયટી બહાર મુખ્ય માર્ગની બાજુમાં પેટ્રોલ પંપના ગેટ પાસેથી પસાર થતી ગ્રામ પંચાયતની પાણીની લાઈનમાં ગેરકાયદેસર જોઈન્ટ મારી પાણીનો વપરાશ કરવામાં આવી રહ્યો હતો.

ગામના જાગૃત નાગરિકો હેમંત વસાવા અને હેમરાજસિંહ સહિત યુવાનોના ધ્યાન પર કનેક્શન આવતા તેઓએ ગેસ કંપની અધિકારીઓ પાસે ગ્રામ પંચાયતના ટેન્કર અને લાઈનમાંથી પાણીનો વપરાશ કરવાની પરમિશન કોણે આપી હોવાનું પૂછયું હતું. જેથી કંપનીના અધિકારીઓએ ઇન્ચાર્જ સરપંચના પુત્ર પ્રતીક ગોહિલે મૌખિકમાં આપી હોવાનું જણાવ્યું હતું.

ત્યારે એક તરફ ગ્રામજનો પાણી માટે વલખા મારતા હોય તો આવા બની બેઠેલા સરપંચના વહીવટીદારોની આવી નીતિ કેટલી યોગ્ય કહેવાય તેવા સવાલો ઉઠ્યા છે. ત્યારે આવા તત્વો સામે પગલાં લેવામાં આવે અને પંચાયતનું આર્થિક નુકશાન કરતા વહીવટીદારો સામે કડક કાર્યવાહી કરવાની જાગૃત નાગરિકોએ માંગ કરી છે.

સ્વ.એહમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલનું એક ટ્વિટ બન્યું ચર્ચાનો વિષય

જાણીતી ફિલ્મ અભિનેત્રી અમિષા પટેલ ખુબ જ ચર્ચામાં છે. પણ તેનું કારણ કંઈક અલગ છે. કોંગ્રેસના દિવંગત નેતા અને કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર અને રાજ્ય સભાના પૂર્વ સાંસદના પુત્ર ફૈઝલ પટેલનું એક ટ્વિટ ચર્ચાનો વિષય બની ગયું. ફૈઝલ પટેલને અચાનક શું સુર ઉપડ્યું અને ટ્વિટર પર ફિલ્મ અભિનેત્રી અમિષા પટેલને મેરેજ માટે ઓફર કરી દીધી. ફૈઝલ પટેલે અમિષા પટેલને 31 ફર્સ્ટ પહેલાં દુનિયાની સામે ટ્વિટ કરી પુછી લીધું વિલ યુ મેરી મી….

સ્વ. એહમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલે દુનિયાની સામે અમિષા પટેલ સાથે લગ્ન કરવાનો પ્રસ્તાવ મુકી દીધો. અને અભિનેત્રી પણ જાણે એ જ વાતની રાહ જોઈને બેઠી હોય તેમ તેણે પણ આઈ લવ યૂ ડાર્લિંગ લખીને આ વાતનો જવાબ પણ આપ્યો. જોકે, પછી અચાનક શું થયું કે, ફૈઝલ પટેલે તરત જ આ ટ્વીટ ડિલીટ કરી દીધું. પણ એ પહેલાં તો આ મેસેજ સોશિયલ મીડિયામાં વાયુવેગે વહેતો થઈ ગયો છે.

જોકે, આ ટ્વીટ બાદ મામલો ચર્ચામાં આવતા આ ટ્ટવીટ ડિલીટ કરી દેવામાં આવ્યું હતું. ગુજરાત કોંગ્રેસના નેતાઓ પણ ફૈઝલના આ પ્રકારના ટ્વીટને કારણે અવાક રહી ગયા હતાં. જોકે, આ મામલો તેમને વ્યકિતગત હોવાથી કોઈ મગનું નામ મરી પાળવા તૈયાર થતું નથી. હવે આ પ્રેમકહાની આગળ વધે છેકે, કેમ? તે આવનારો સમય જ બતાવશે.

ભરૂચ: પ્રભાતફેરીના માધ્યમથી નદીઓને સ્વચ્છ અને સુરક્ષિત રાખવાનો અપાયો સંદેશ

દેશની આઝાદીને ૭૫ વર્ષ પૂર્ણ થવાના અવસરે દેશભરમાં ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ ના ભાગરૂપે પંચ દિવસીય હાથ ધરાયેલ “નદી ઉત્સવ”ની રાજ્યવ્યાપી ઉજવણીને અનુલક્ષીને સિંચાઈ વિભાગ દ્વારા સ્વામિનારાયણ મંદિર – ઝાડેશ્વર ખાતે પ્રભાતફેરીના માધ્યમ થકી “નર્મદે સર્વદે” ના નારા સાથે નદીઓને સ્વચ્છ અને સુરક્ષિત રાખવાનો સંદેશ અપાયો હતો.

આ પ્રસંગે સિંચાઈ વિભાગના અધિકારીગણ, સ્વામિનારાયણ સંપ્રદાયના હરિભક્તો, દર્શનાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ભરૂચ : વડીલોને ભોજન કરાવી કોંગ્રેસના ૧૩૭ માં સ્થાપના દિનની ઉજવણી કરાઇ

ભારત દેશની સૌથી જૂની રાજકીય પાર્ટી એવી કોંગ્રેસ પાર્ટીની સ્થાપનાને ૧૩૭ વર્ષ પૂર્ણ થતા ગુજરાત કોંગ્રેસ સમિતિ દ્વારા ગુજરાતભરમાં સ્થાપના દિનની ઉજવણીના ભાગરૂપે તા. ૨૮ થી ૪/૧/૨૨ સુધી વિવિધ કાર્યક્રમો યોજી ઉજવણી કરવામાં આવી રહી છે.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ જગદીશભાઈ ઠાકોરની સુચના અનુસાર આજ રોજ ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા કસકના વૃદ્ધાશ્રમ ખાતે વડીલોના ઘરે વડીલોને ભોજન કરાવવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભરૂચ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ પરિમલ સિંહ રણાએ જણાવ્યું હતું કે ૧૦૦ વર્ષ કરતા વધુ વર્ષોનો જેનો ગૌરવવંતો ઇતિહાસ છે તેવી કોંગ્રેસ પાર્ટી દ્વારા સમાજનાં દરેક વર્ગની સમસ્યાઓનો ઉકેલ લાવવામાં આવે છે. તેથી જ કોંગ્રેસ લોકોના હ્રદયમાં સ્થાન ઘરાવે છે.

આ કાર્યક્રમમાં કોંગ્રેસ પ્રમુખ પરિમલસિંહ રણા, શહેર કોંગ્રેસ પ્રમુખ વિક્કી શોખી, નગરપાલિકા વિપક્ષના નેતા સમસાદ અલી સૈયદ, દંડક હેમેન્દ્ર કોઠીવાલા સહિતના કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ ઉપસ્થિત રહી વૃદ્ધાશ્રમમાં વડીલોને ભોજન પીરસ્યું હતું.

ભરૂચ: પાલિકાએ પાણી પુરવઠાની વ્યવસ્થાને આપ્યું આધુનિક સ્વરૂપ

• ઓટોમેટિક સિસ્ટમ સાથે આત્મનિર્ભરતા મેળવી

• રૂ. ૬.૫૦ કરોડના ખર્ચે સ્કાડા હેઠળ ફિલ્ટરેશન પ્લાન્ટ અને ૧૦ ટાંકીઓ ઉપર પાણીનું વિતરણ સ્વસંચાલીત

ભરૂચ નગર પાલિકાએ પાણી પુરવઠાની વ્યવસ્થાને આધુનિક સ્વરૂપ આપી પોણા બે લાખ શહેરીજનોને રોજીંદુ ૪૪ MLD પાણી પુરૂ પાડવામાં રૂ. ૬.૫૦ કરોડના ખર્ચે ઓટોમેટિક સિસ્ટમ સાથે આત્મનિર્ભરતા મેળવી છે. ફિલ્ટરેશન પ્લાન્ટ અને શહેરની ૧૦ ટાંકીઓની સંપૂર્ણ કામગીરીને એક કંટ્રોલરૂમથી સંચાલિત કરી છે. આ આધુનિક ટેક્નોલોજી મેન્ટેનન્સ કોસ્ટ , વીજ ખર્ચ અને પાણીનો વ્યય ઘટાડવામાં કારગર નીવડશે.

ઔદ્યોગિક નગરી ભરૂચમાં નગરપાલિકા હદ ક્ષેત્રમાં રહેતા પોણા ૨ લાખથી વધુ લોકો ૪૪ MLD પાણીનો ઉપયોગ કરે છે. નર્મદા યોજના અંતર્ગત ભરૂચના માતરિયા તળાવ ખાતે આ પાણી સ્ટોર કરી ૧૦ ટાંકીઓ મારફતે ભરૂચ શહેરના અલગ અલગ વિસ્તારમાં પુરવઠો અપાય છે. ભરૂચ શહેરની અનઇવન ટોપોગ્રાફી ભૌગોલિક પરિસ્થિતિ પાણી પુરવઠા વિભાગ માટે એક પડકાર સમાન મનાય છે. ભરૂચના કેટલાક વિસ્તાર ઊંચા ટેકરા ઉપર છે જયારે કેટલાક વિસ્તારો નર્મદા નદીના કિનારા સહીત નીચાણવાળા સ્થળોએ આવેલા છે. આ સંજોગોમાં પ્રેસર મેન્ટેન રાખવું પડકાર સમાન બની રહ્યું છે. કર્મચારી વાલ્વ ખોલવામાં થોડી પણ બેદરકારી રાખે તો લીકેજ અને મોટરને નુકસાન જેવા પરિણામ સામે આવે છે.

ભરૂચ પાલિકા મુખ્ય અધિકારી સંજય સોનીએ જણાવ્યું હતું કે, સમસ્યાનો હલ કાઢવા ભરૂચ નગર પાલિકાએ કેન્દ્ર સરકારની અમૃત મિશન યોજન હેઠળ વોટર સપ્લાયની આખી પ્રક્રિયા ડિજિટલ અને ઓટોમેટિક બનાવી છે. અત્યારસુધી પમ્પ બંધ – ચાલુ કરવા, લેવલીંગ , ફ્લો અને પ્રેસર મેન્યુઅલ કરાતા હતા. હવે આખી પ્રક્રિયા ટેક્નોલોજી આધારિત બની છે. વોટર સપ્લાયના આખા નેટવર્ક જેમાં ૧૦ ટાંકી , સમ્પ અને ફિલ્ટરેશન પ્લાન્ટને પાલિકા સ્થિત કંટ્રોલરૂમ સાથે જોડવામાં આવ્યા છે. હવે તમામ કામગીરી ટેક્નોલોજીથી સેન્સરની મદદથી થાય છે.

પાલિકા વોટર વર્ક્સ કમિટી ચેરમેન હેમેન્દ્ર પ્રજાપતિ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન નરેશ સુથારવાલાએ જણાવ્યું હતું કે, રૂ.૬.૫૦કરોડ રૂપિયાના પ્રોજેક્ટને આગામી સમયમાં પણ ટેક્નોલોજી સાથે અપગ્રેડ કરી શકાય તેવી જોગવાઈ રાખવામાં આવી છે. આગામી 3 વર્ષથી આ સિસ્ટમની ઓપરેશન અને મેન્ટેનન્સની જવાબદરી સિસ્ટમ ઇન્સ્ટોલ કરનાર કંપનીની રહેશે. જે ભરૂચ શહરમાં અવિરત પાણી પુરવઠો શહેરીજનો સુધી પહોંચે તેની ખાતરી પણ રાખશે. આ ઓટોમેટિક પાણી વિતરણ વ્યવસ્થાથી પાણી, વીજળીનો વ્યય બચશે, જ્યારે મેન્ટેનન્સ કોસ્ટમાં ઘટાડા સાથે શહેરીજનોને પૂરતા પ્રેશર અને સમય પાણી મળતું રહેશે.

ભરૂચ : નર્મદા નદી અને દેશભકિતની થીમ આધારિત સાંસ્કૃતિક નૃત્ય-દેશભકિત ગીતો-લોકગીતોનો કાર્યક્રમ યોજાયો

દેશની આઝાદીને ૭૫ વર્ષ પૂર્ણ થવાના અવસરે દેશભરમાં આઝાદી કા અમૃત મહોત્સવના ભાગરૂપે યોજાયેલા નદી ઉત્સવની ઉજવણીને અનુલક્ષીને ભરૂચના પંડિત ઓમકારનાથ હોલ ખાતે નર્મદા નદી અને દેશભકિતની થીમ આધારિક સાંસ્કૃતિક નૃત્ય-દેશભકિતના ગીતો- લોકગીતોનો કાર્યક્રમ યોજાયો હતો.

આ પ્રસંગે નદી ઉત્સવ અંતર્ગત નારાયણ વિધા વિહાર- ભરૂચ ખાતે જિલ્લા કક્ષાની યોજાયેલી ચાર વિવિધ સ્પર્ધાઓ જેવી કે ચિત્ર સ્પર્ધા,બે મિનિટનો સંવાદ,ફેન્સી ડ્રેસ સ્પર્ધા અને દેશભકિતના થીમ પર સ્ટોરી ટ્રેલીંગ યોજાઇ હતી. જેના માધ્યમિક/ઉ.મા વિભાગ તથા પ્રાથમિક વિભાગના ૨૪ જેટલા વિજેતા સ્પર્ધકોને જિલ્લા આગેવાન મારૂતિસિંહ અટોદરિયા,નિવાસી અધિક કલેકટર જે.ડી.પટેલ, અંકલેશ્વરના પ્રાંત અધિકારી રમેશભાઇ ભગોરા, આમોદના પ્રાંત અધિકારી નેહાબેન પંચાલ, નાયબ કલેકટર સ્ટેમ્પ ડયુટી પ્રિતેશ પટેલ, કાર્યપાલક ઇજનેર ડી.કે.પટેલ, ચીફ ઓફીસર સંજયભાઇ સોની સહિત મહાનુભાવોના હસ્તે પ્રમાણપત્ર તેમજ રોકડ ઇનામ આપી પુરસ્કૃત કરાયા હતા.

આ પ્રસંગે જિલ્લા આગેવાન મારૂતિસિંહ અટોદરીઆએ રાજય સરકાર ધ્વારા નદી ઉત્સવ ઉજવણીના નવતર અભિગમને બિરદાવતા કહયું હતું કે આપણી નૈતિક ફરજ સમજી ર્માં નર્મદા નદીના કિનારા સાફ-સફાઇ થાય, નર્મદા માતાની શ્રધ્ધાને જાગૃત કરવા અને સ્વચ્છતા જાળવવા ખાસ અનુરોધ કર્યો હતો. તેમણે સ્વચ્છ ભારતની સાથે સ્વચ્છ નદીઓ કેવી રીતે થાય તેનું સુંદર માર્ગદર્શન આપ્યું હતું.

આ તબકકે નદીઓને સ્વચ્છ અને સુરક્ષિત રાખવાના સૌએ સંકલ્પ લીધા હતા. ત્યારબાદ જાનકી મીઠાઇવાલા તેમજ ત્રિશા વ્યાસના કલાવૃંદો ધ્વારા નર્મદાની મહત્તા દર્શાવતા સાંસ્કૃતિક નૃત્યો રજુ કર્યા હતા. તથા દેશભકિતના ગીતો-લોકગીતો પણ રજુ થયા હતા.

આ પ્રસંગે પ્રાંત અધિકારી એન.આર.પ્રજાપતિ, નાયબ કાર્યપાલક ઇજનેર ચોટલીયા, જિલ્લા ખેતીવાડી અધિકારી જીગર ભટૃ, સિંચાઇ વિભાગના અધિકારી- કર્મચારીઓ, રમતગમત, શિક્ષણ સહિત સંકલનના અધિકારીગણ, વિધાર્થીઓ, શિક્ષકો, વાલીઓ ઉપસ્થિત રહયા હતા.

error: Content is protected !!