The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

Home Blog Page 203

અંકલેશ્વર : અડચણરૂપ દબાણ દૂર કરવામાં વિપક્ષ દ્વારા પક્ષપાતનો આક્ષેપ

અંકલેશ્વર માર્ગો પર ત્રાફિકને અડચણ રૂપ દબાણ દૂર કરવા પાલિકા દ્વારા પોલીસ તેમજ માર્ગ અને મકાન વિભાગ તેમજ એસ.ડી.એમ અંકલેશ્વર સાથે સંકલન કરી આગામી દિવસોમાં અડચણ રૂપ લારી ધારકો નોટિસ પાઠવી દૂર કરવા તજવીજ હાથ ધરી છે. તેમજ દબાણ ધારકો અડચણ રૂપ જગ્યા પર થી પોતાનું દબાણ દૂર કરવા તાકીદ કરી છે. આ અંગે પાલિકા પ્રમુખ વિનય વસાવા એ જણાવ્યું હતું. કે જે ટ્રાફિક ને અડચણ રૂપ દબાણ છે એ જ દબાણ દૂર કરવામાં આવશે. કોઈપણ શ્રમજીવીની રોજીરોટી ના છીનવાઈ એવી કોઈ જ કાર્યવાહી પાલિકા દ્વારા કરવામાં આવશે.

અંકલેશ્વરમાં સત્તાપક્ષ દ્વારા માર્ગને અડચણ રૂપ લારી ગલ્લા દૂર કરવાનો નિર્ધાર વ્યક્ત કરી રહ્યા છે. માર્ગ અને મકાન વિભાગ, પોલીસ અને પાલિકા ધ્વરા સંયુક્ત પણે દબાણ દૂર કરવા મક્કમ બન્યા છે. વિપક્ષ દ્વારા માત્ર નોનવેજ ની જ મુસ્લિમ સમાજની લારી હટાવાનો કેમ ઈરાદો તેવો સવાલ કરી વિવાદમાં બળતામાં ઘી હોમ્યું છે. વિપક્ષ દ્વારા પણ અડચણરૂપ તમામ દબાણ દૂર કરવા માંગ કરી પક્ષપાત વગર તમામ દબાણ દૂર કરવામાં આવે તેવી રજુઆત કરી હતી.

આગામી દિવસમાં તમામ વિભાગનું સંકલન કરી દબાણ દૂર કરવામાં આવશે. તો વિપક્ષના સભ્ય અને વોર્ડ નંબર 4ના સભ્ય રફીક ઝઘડિયા વાલા એ સવાલ ઉઠાવ્યા હતા કે માટે ત્રણ રસ્તા જ કેમ અને નોનવેજની લારી ઓ જ કેમ માત્ર એક સમાજની જ લારી-ગલ્લાને કેમ નિશાન બનાવવામાં આવી રહી છે. જેવો પાલિકા સભ્ય પણ નથી અને તેવો આ માંગ કરી રહ્યા છે. મહિલા પદાધિકારીઓની જગ્યા એ તેના પતિ નિર્ણય કે વહીવટ કરી શકે નહિ. ત્યારે વોર્ડ નંબર 4ના મહિલા સભ્યના પતિની દખલગીરી ગેરવ્યાજબી અને નિયમ વિરુદ્ધ છે.

સાગબારા પોલીસે વન્ય પ્રાણીના ચામડાની તસ્કરીનો કર્યો પર્દાફાશ

નર્મદા જિલ્લાની સાગબારા પોલીસે વન્ય પ્રાણીના ચામડાની તસ્કરીનો પર્દાફાશ કર્યો છે.મહારાષ્ટ્ર તરફથી આવી રહેલી લકઝરી કાર માંથી એક ઇસમને વાઘ જેવા વન્ય પ્રાણીનું ચામડા સાથે ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી છે.ત્યારે વન વિભાગનું કામ પોલીસે કરતા સાગબારા વન વિભાગ ઊંઘતુ ઝડપાયું છે.

નર્મદા જિલ્લાના સાગબારા નજીકની મહારાષ્ટ્ર બોર્ડર પર ગેરકાયદેસર પ્રવૃતિઓ રોકવા સાગબારા પોલીસ ધનસેરા ચેક પોસ્ટ પાસે વોચ રાખી વાહન ચેકીંગ કરી રહ્યા હતા.સાગબારા પી.એસ.આઈ કે.એલ.ગલચળ સહિત પોલીસ ટિમની વોચ દરમિયાન મહારાષ્ટ્ર તરફથી આવતી એમએચ 19 સીવી 3112 નંબરની ટાટા હેરિયર શંકાસ્પદ જણાતા પોલીસે એને રોકવાની કોશિસ કરી હતી ત્યારે ચાલક ડેડીયાપાડા તરફ ભાગવા લાગ્યો હતો.સાગબારા પોલીસ ટીમે ફિલ્મી ઢબે એનો પીંછો કરી કારની પકડી પાડી હતી.

પોલીસને કારની ડીકીમાંથી વાઘ જેવા વન્ય પ્રાણીનું સૂકું ચામડું મળી આવ્યું હતું.પોલિસ પૂછપરછમાં મહારાષ્ટ્ર ધૂલીયાના 34 વર્ષીય કિશોર ભટ્ટ આહીરને 15 લાખ રૂપિયાની લકઝરી કાર, 10,000 રૂપિયાના 2 નંગ મોબાઈલ અને 47,485 રૂપિયા રોકડા મળી કુલ 15,57,485 રૂપિયાના મુદ્દામાલ સાથે ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

સાગબારા પોલીસે મહારાષ્ટ્રના એક ઈશમને વાઘ જેવા વન્યપ્રાણીના ચામડા સાથે ઝડપી પાડ્યો છે.સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ એ વ્યક્તિ વાઘનું ચામડું દેવમોગરા ખાતે લાવી રહ્યો હતો.સાથે સાથે જેમ આંધળી ચાકણનો ઉપયોગ તાંત્રિક વિધિ માટે થાય છે એવી રીતે આ વાઘના ચામડાનો ઉપયોગ પણ તાંત્રિક વિધિ માટે થવાનો હતો અને વાઘનું ચામડું વિધી માટે ભાડે આપતો હોવાનું જાણવા મળ્યું છે.

વાલિયા તાલુકાના કોંઢ ગામે નવનિર્મિત પીએચસીનું સાંસદના હસ્તે કરાયું લોકાર્પણ

વાલિયા તાલુકાના કોંઢ ગામે નવા નિર્માણ થયેલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું ભરૂચ જિલ્લા સાંસદ મનસુખ વસાવાના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.જ્યારે આગલા દિવસે ગામના પૂર્વ સરપંચ અને ડે. સરપંચ સહિત અન્ય ગ્રામજનોએ પણ ઉદ્ઘાટન કર્યું હતું.

મનસુખ વસાવાનું પુષ્પગુચ્છથી સ્વાગત કરી કોરોના વોરિયર્સનું સન્માન કરવામાં આવ્યું હતું.ત્યારબાદ પીએચસીનું હાજર મહાનુભાવોના હસ્તે તક્તિનું અનાવરણ કરી લોકાર્પણ કરવામાં આવ્યું હતું. લોકાર્પણના કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી યોગેશ ચૌધરી,તાલુકા પ્રમુખ સેવંતુ વસાવા,જિલ્લા આરોગ્ય અધિકારી ડો.જે.એસ. દુલેરા, ડો.અનિલ વસાવા અને તાલુકા હેલ્થ અધિકારી ડો.એ.એન.સિંગ તેમજ ભાજપના આગેવાનો અને આરોગ્ય વિભાગના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.ડીડીઓએ કોંઢ પીએચસી આધુનિક બનતા તેનો લાભ મળશે.પીએચસીમાં 17 જેટલા ટેસ્ટ થાય છે જે હવે 33 જેટલા કરવા પ્રયાસો થશે.

આ પ્રસંગે ભરૂચ સાંસદ મનસુખ વસાવાએ જણાવ્યું કે, ગામના વિકાસ સાથે આરોગ્યની પણ કાળજી લેશો.ગામની સુખાકારીની જવાબદારી સૌની છે.ભારતદેશ મહાસત્તા બનવા તરફ પ્રયાણ કરી રહ્યો છે.સગર્ભા બહેનોની કાળજી લેવામાં આવે છે.આઇટીઆઈમાં ઘણા હાજરી પુરાવા જાય છે એ મારે દુઃખ સાથે કહેવું પડે છે.આ પીએચસી ઘણા ગામો માટે ઉપયોગી બનશે. કોંઢ ગામનું સપનું પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કોંઢનું નિર્માણ પૂર્ણ થતાં તા.27/ 12/ 2021 ના રોજ ઋષિકેશ પટેલ અને નિમિષાબેન સુથારનો કાર્યક્રમમાં ફેરફાર થતા લોકાર્પણ મોકૂફ રખાતા કોંઢ ગામના પૂર્વ સરપંચ રવજી વસાવા અને ડે.સરપંચ ગુલામ પટેલના વરદ હસ્તે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું .જેઓએ જાતે રીબીન બાંધી લોકાર્પણ કર્યું હતું. જોકે આ કાર્યક્રમ અનઓફિસીયલ કરવામાં આવ્યો હતો.ત્યારબાદ રાતો રાત તકતી બીજી બનાવી મુકવામાં આવી હતી.

•અતુલ પટેલ,ન્યુઝલાઇન,વાલિયા.

અંકલેશ્વરના જીન ફળિયામાં સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડા : ૮ જુગારીઓ ઝડપાયાં

•જુગાર રમાડતી મહિલા સહિત આઠ જુગારીઓ ઝડપાયાં

•પોલીસે રોકડા ૩૬ હજાર, ૬ મોબાઈલ ફોન મળી રૂ. ૪૯ હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો

અંકલેશ્વરના બસ સ્ટેશન સામે આવેલ જીન ફળિયામાંથી સ્ટેટ મોનિટરિંગ સેલ પોલીસે વરલી મટકનો જુગાર રમાડતી મહિલા સહિત આઠ જુગારીયાઓને રૂપિયા ૪૯ હજારના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા.

અંકલેશ્વર શહેરના બસ સ્ટેશન સામે આવેલા જીન ફળિયામાં રહેતી જયા પ્રવીણ વસાવા પોતાના વિસ્તારમાં મોટા પાયે વરલી મટકાનો જુગાર રમાડે છે એવી બાતમીના આધારે સ્ટેટ મોનિટરિંગ સેલ પોલીસે દરોડા પાડ્યા હતા. પોલીસના દરોડાને પગલે જીન ફળિયામાં નાસભાગ મચી જવા પામી હતી. પોલીસે સ્થળ પરથી રોકડા રૂપિયા ૩૬ હજાર અને ૬ મોબાઈલ ફોન મળી કુલ રૂ. ૪૯ હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

પોલીસે મુખ્ય સૂત્રધાર જયા પ્રવીણ વસાવા, પ્રિયંકા શૈલેષ રાઠોડ, સોનલ પરમજીત સિંગ, સાગર વસાવા, દલસુખ વસાવા, મહેશ વાળંદ, અશરફ હબીબ મલેક અને જોગીન્દરસિંગ રામપ્રસાદ ભગતને ઝડપી પાડ્યો હતો, જ્યારે એક જુગારી ફરાર થઈ ગયો હતો. પોલીસે આ તમામ વિરૂદ્ધ ગુનો નોંધી તેમને શહેર પોલીસને હવાલે કરી વધુ તપાસ હાથ ધરી છે.

હાંસોટ :પ્રાથમિક શાળા સાહોલમાં બાળમેળો યોજાયો

જી.સી.ઈ. આર.ટી.ગાંધીનગર દ્વારા વિદ્યાર્થીઓમાં વ8વિવિધ જીવન કૌશલ્યોની ખીલવણી થાય તે માટે બાળમેળાની પ્રવૃત્તિ ધોરણ 1 થી 5 ના બાળકો માટે યોજવામાં આવી હતી.

આ બાળમેળાની પ્રવૃત્તિઓ દ્વારા વિદ્યાર્થીઓમાં બાળવાર્તા, માટીકામ, રંગપૂરણી, ચીટકકામ,કાગળકામ,ગડીકામ,છાપકામ,રંગોળી, વિવિધ રમતો,ગીત-સંગીત,અભિનયગીત જેવી વિવિધ પ્રવૃતિઓ અને રમતોના માધ્યમથી વિદ્યાર્થીઓમાં રહેલી શક્તિઓને ઉજાગર કરવાનો પ્રયત્ન કરવામાં આવે છે.

વિદ્યાર્થીઓ વિવિધ આનંદદાયી પ્રવૃત્તિઓ કરી મનોરંજન સાથે જ્ઞાન મેળવે,સહકાર-નેતૃત્વ-લોકશાહીની ભાવના – સાહસિકતા તેમજ બાળકોની મનોસામાજીક માવજત થાય એ હેતુ સાર્થક નીવડે તેવા આશયથી શાળાનાં આચાર્ય પારસબેન પટેલ,શિક્ષકગણ નિલેશકુમાર સોલંકી, તેજસકુમાર પટેલ,નિતેશકુમાર ટંડેલના માર્ગદર્શન હેઠળ બાળમેળાનું સુચારૂ આયોજન હાથ ધરવામાં આવ્યું હતું.અને તમામ બાળકોનો એક જ સૂર હતો કે અમને ખૂબ જ મજા પડી.

રાજપીપળા : નર્મદા નદીના સાનિધ્યમાં લોકો યોગ,પ્રાણાયામ અને મેડીટેશનમા બન્યા સહભાગી

દેશની આઝાદીને ૭૫ વર્ષ પૂર્ણ થવાના અવસરે દેશભરમાં ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ ના ભાગરૂપે પંચ દિવસીય હાથ ધરાયેલ “નદી ઉત્સવ”ની રાજ્યવ્યાપી ઉજવણીને અનુલક્ષીને નર્મદા નદીના સાનિધ્યમાં આજે ત્રીજા દિવસે ગરૂડેશ્વર મહાદેવ મંદિર ખાતે રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ અને કરજણ જળાશય યોજના સિંચાઇ વિભાગના સંયુક્ત ઉપક્રમે કરજણ ડેમના કાર્યપાલક ઈજનેર એસ. એમ. પટેલ, જિલ્લા યુવા વિકાસ અધિકારી પી. એ. હાથલીયા, જિલ્લા શિક્ષણ નિરીક્ષક ડી. બી. પટેલ, સિનીયર કોચ વિષ્ણુભાઈ વસાવા, નાયબ કાર્યપાલક ઈજનેર એ.એસ. ઠકકર, અધિક મદદનીશ ઈજનેર પી. સી. પટેલ, મદદનીશ ઈજનેર હિતેશભાઈ વસાવા સહિત શાળાના વિદ્યાર્થીઓઓની ઉપસ્થિતિમાં “નદી ઉત્સવ ઉજવણી” નો કાર્યક્રમ યોજાયો હતો.

નર્મદા નદીના સાનિધ્યમાં મહાદેવ મંદિર ખાતે રાજપીપલાની સ્પોર્ટ્સ સ્કૂલ, અંબુભાઈ પુરાણી હાઈસ્કૂલ, છોટુભાઈ પુરાણી ડિગ્રી કોલેજ એન્ડ ફિઝિકલ એજ્યુકેશન, ગરૂડેશ્વરની રોશની વિદ્યાલય, નર્મદા પરિક્રમાવાસીઓ, ગ્રામજનો સહિત અંદાજે ૧૦૦ થી વધુ લોકોએ યોગ,પ્રાણાયામ અને મેડીટેશનમા સહભાગી બનીને શરીરને તંદુરસ્ત રાખવા, મનને સ્વસ્થ રાખવા વિવિધ મુદ્રાઓ દ્વારા સ્વસ્થ જીવન માટેનો સંદેશો આપ્યો હતો.

આ વેળાએ નર્મદા જિલ્લાના યોગ કોચ ધવલભાઈ પટેલ, જિલ્લાના પતંજલિ યોગ સચિવ પરેશભાઈ પટેલ અને હાર્ડફુલનેસ ઈન્ટ્રીટ્યુશનના દિવ્યાબા ઝાલાએ યોગ,પ્રાણાયામ અને મેડીટેશન વિશે માર્ગદર્શન પુરૂ પાડ્યું હતું.

નર્મદા જિલ્લાના યોગ કોચ ધવલભાઈ પટેલે માધ્યમો સાથેના સંવાદમા જણાવ્યું હતું કે, યોગ અને પ્રાણાયામ નિયમિત રીતે કરવામાં આવે તો જીવન સ્વસ્થ્યપ્રદ તંદુરસ્ત બની રહે છે.યોગ અને પ્રાણાયામ કરીને અનેક રોગોને તિલાંજલિ આપી શકાય છે. કોરોના જેવી મહામારીમા પણ યોગ થકી શરીરની તંદુરસ્તી જાળવી શક્યા છીએ. આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત નદી ઉત્સવ ઉજવાઈ રહ્યો છે ત્યારે આપણે સહુએ તમામ નદીઓનું જતન કરીને આવનારી પેઢીને અર્પણ કરીને સમાજ પ્રત્યેનું દાયિત્વ નિભાવવા પટેલે જણાવ્યું હતું.

આ પ્રસંગે રાજપીપલાપી છોટુભાઈ ડિગ્રી કોલેજ, અંબુભાઈ પુરાણી હાઈસ્કૂલ, બોરીયા ગામની પીન્ટુલાલા વિદ્યામંદિર અને ગરૂડેશ્વરની સરકારી માધ્યમિક શાળાના ૧૬ જેટલા વિદ્યાર્થીઓએ ક્રાતિકારી થીમ પર સ્ટોરી ટેલીંગમા ભાગ લઇને ઉત્સાહભેર પોતાના વ્યક્તવ્યો રજુ કર્યા હતાં. આ કાર્યક્રમનું સંચાલન દિનેશભાઈ નાઈ દ્વારા કરાયું હતું.

ભરૂચ ખાતે પ્રાકૃત્તિક ખેતી અંગેનું નિદર્શન તથા ખેડૂત લાભાર્થીઓને સહાય વિતરણ કાર્યક્રમ યોજાયો

સુશાસન સપ્તાહ ઉજવણી કાર્યક્રમ અંતર્ગત કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા આજ રોજ ભરૂચના પંડિત ઓમકારનાથ ઠાકુર કલાભવન હોલ ખાતે પ્રાકૃત્તિક ખેતી અંગેનું નિદર્શન તથા ખેડૂત લાભાર્થીઓને સહાય વિતરણ કાર્યક્રમ ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવાના અધ્યક્ષસ્થાને યોજાયો હતો.

આ વેળાએ અંકલેશ્વર ધારાસભ્ય અને પૂર્વ મંત્રી ઈશ્વરસિંહ પટેલ, વાગરાના ધારાસભ્ય અરૂણસિંહ રણા, જિલ્લા વિકાસ અધિકારી યોગેશ ચૌધરી, જિલ્લા પંચાયતના પ્રમુખ અલ્પાબેન પટેલ, ભરૂચ તાલુકા પંચાયતના પ્રમુખ, જિલ્લા આગેવાન મારૂતિસિંહ અટોદરીઆ વિગેરે ઉપસ્થિત રહયા હતા. કાર્યક્રમ દરમિયાન ખેતીવાડી ખાતું, આત્મા પ્રોજેક્ટ, બાગાયત, પશુપાલન અને મત્સ્યપાલન યોજનાના લાભાર્થી ખેડૂતોને વિવિધ યોજનાના મંજૂરીપત્રો – હુકમ પત્રોનું મહાનુભાવોના હસ્તે વિતરણ કરાયું હતું.

કાર્યક્રમનું દિપ પ્રજવલન કરી અધ્યક્ષસ્થાનેથી સાંસદ મનસુખભાઈ વસાવાએ જણાવ્યું હતું કે, કેન્દ્ર તથા રાજ્ય સરકાર ખેડૂતોના હિત માટે સતત ચિંતિત છે. તેમણે રાસાયણિક ખેતીના સ્થાને હવે પ્રાકૃતિક ખેતીનો વિકલ્પ ઉપલબ્ધ છે. પ્રાકૃત્તિક ખેતીથી કૃષિ ખર્ચ ઘટશે તેમ જણાવી ખેડૂતોને સરકારની વિવિધ યોજનાઓનો લાભ લઇ પ્રાકૃતિક ખેતી તરફ વળવા આહવાન કર્યું હતું.

વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણાએ ખેડૂતોને સરકાર દ્વારા મળતી વિવિધ યોજનાઓના મળતા લાભો જણાવી ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વળવા આહવાન કર્યું હતું. આ પ્રસંગે પ્રગતિશીલ ખેડૂતોએ પ્રાકૃત્તિક ખેતી, ગાય આધારિત ખેતી વિષયક પોતાના વિચારો રજૂ કર્યા હતા.

જિલ્લા ખેતીવાડી અધિકારી જીગર ભટ્ટે સ્વાગત પ્રવચનમાં ખેતીવાડી ખાતાની વિવિધ યોજનાઓની જાણકારી આપી હતી. આ વેળાએ પ્રાકૃત્તિક ખેતી તેમજ વિવિધ કૃષિલક્ષી સ્ટોલ ઉભા કરાયા હતા જેનું મહાનુભાવો તથા ખેડૂતોએ મુલાકાત લીધી હતી.

કાર્યક્રમ દરમિયાન વિવિધ ખેતીલક્ષી યોજનાઓને મહાનુભાવોના હસ્તે મંજૂરીપત્રો – હુકમોના વિતરણ સાથે વિવિધ સહાય પણ ચૂકવવામાં આવી હતી જેમાં માલવાહક વાહન, ટ્રેકટર, સ્માર્ટ ફોન ખરીદી પર સહાય, ફળ અને શાકભાજીનો બગાડ અટકાવવા નાના વેચાણકારોને વિનામૂલ્યે છત્રી/શેડ કવર, પશુપાલકો માટે પ્રોત્સાહક સહાય, કાંટાળી યોજના અંતર્ગત સહાય, ગાય નિભાવ ખર્ચ માટે સહાય આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં આગેવાન પદાધિકારીઓ, ખેતીવાડી ખાતાના અધિકારીઓ, કર્મચારી, ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.

ભરૂચ ખાતે યોગા અને મેડીટેશન શિબિર યોજાઈ

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત નદી ઉત્સવની ઉજવણીના ભાગરૂપે આજે સવારે નર્મદા પાર્ક ભરૂચ ખાતે યોગા અને મેડીટેશન શિબિર યોજાઈ હતી, જેનું ભરૂચના પ્રાંત અધિકારી એન.આર.પ્રજાપતિ તેમજ મહાનુભાવોએ દિપ પ્રજવલન કરી શિબિરને ખુલ્લી મુકી હતી.

આ વેળાએ ઉપસ્થિત સૌએ નદીઓને સ્વચ્છ અને સુરક્ષિત રાખવાના સામૂહિક સંકલ્પ ગ્રહણ કર્યા હતા. ગાયત્રી પરિવાર તથા તપોવન સંસ્કાર કેન્દ્ર ભરૂચ ધ્વારા મંત્રોચ્ચાર સાથે યોગાની શરૂઆત કરાવી હતી. યોગ કોચ દ્વારા યોગ કરાવ્યા હતા.

પ્રાંત અધિકારી એન.આર.પ્રજાપતિએ જીવનમાં યોગનું મહત્વ સમજાવતાં જીવનમાં હંમેશા ફીટ, સ્વસ્થ, તંદુરસ્ત રહેવું હોય તો નિયમિત યોગ કરવા ઉપસ્થિત સૌને અનુરોધ કર્યો હતો. દરેક રોગનું નિરાકરણ યોગ હોવાનું જણાવી કરો યોગ – રહો નિરોગનો સંદેશ આપ્યો હતો.

નર્મદા પાર્ક ભરૂચ ખાતે યોજાયેલા યોગા અને મેડીટેશન શિબિરમાં નાયબ કલેક્ટર સ્ટેમ્પ પ્રિતેશ પટેલ, જળ સંપત્તિ વિભાગ, ગાયત્રી પરિવાર, બ્રહ્માકુમારી પરિવાર, તપોવન આશ્રમ ભરૂચ, એન.સી.સી. કેડેટ તથા યોગ સાધકો ઉપસ્થિત રહ્યા હતા.

કોંગ્રેસનાં 137 માં સ્થાપના દિવસની ભરૂચમાં ઉજવણી કરાઈ

137 માં સ્થાપના દિવસની ભરૂચ જિલ્લા કોંગ્રેસ દ્વારા ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી. જિલ્લા કાર્યાલય ખાતે કોંગ્રેસના ધ્વજનું આરોહણ કરી ભરૂચ જનરલ સિવિલ હોસ્પિટલ ખાતે દર્દીઓને ફ્રૂટ વિતરણ કરવામાં આવ્યું હતું.

કોંગ્રેસ પક્ષની સ્થાપના 28 ડિસેમ્બર 1885 ના રોજ મુંબઇમાં ગોકુલદાલ તેજપાલ સંસ્કૃત કોલેજ ખાતે થઇ હતી. કોંગ્રેસ પક્ષના પ્રથમ પ્રમુખ કોલકાતાના વ્યોમેશચંદ્ર બેનરજી હતા. સ્થાપક સભ્યોમાં એક રિટાયર્ડ અંગ્રેજ અધિકારી એ.ઓ.હ્યુમ પણ હતા. કોંગ્રેસની પ્રથમ બેઠકમાં ઉદ્યોગપતિ દાદાભાઇ નવરોજજી પણ હાજર હતા.

આ પ્રસંગે ભરૂચ નગરપાલિકા વિપક્ષના નેતા સમસાદ અલી સૈયદ, હેમેન્દ્ર કોઠી વાલા, ઇબ્રાહિમ કલકર સહિતના આગેવાન ઉપસ્થિત રહ્યા હતા.

ઝઘડીયાના રાજપારડી નજીક ટ્રાફિકજામ સર્જાતા ટ્રાફિક પોલીસે વાહનવ્યવહાર પુર્વવત કર્યો

• ખાડી પરનો પુલ સાંકડો અને બિસ્માર હોઇ વાહનો અવારનવાર ખોટકાયછે

• રાજપારડી પાસેની માધુમતિ ખાડી નજીક ટ્રક બગડતા ટ્રાફિક જામ સર્જાયો

• રાજપારડી ટ્રાફિક પોલીસ તેમજ ટી.આર.બી.ના જવાનોએ ટ્રાફિકને હળવો કરવા જહેમત ઉઠાવી

ભરૂચ જીલ્લાના ઝઘડીયા તાલુકાના રાજપારડી ગામ પાસે આવેલ માધુમતિ ખાડી નજીક એક ટ્રક ખોટકાતા વાહનોની લાંબી લાંબી કતારો લાગી હતી માધુમતિ ખાડી પાસે ભારે ટ્રાફિક જામ સર્જાતા રાજપારડી ટ્રાફિક પોલીસના જવાનો અને ટી.આર.બી.ના જવાનો દોડી આવ્યા હતા અને ટ્રાફિકનુ સંચાલન કરી ટ્રાફિક હળવો કરતા વાહન ચાલકોને રાહત સાંપડી હતી રાજપારડીથી સારસા તરફ જતા વચ્ચે આવતી માધુમતિ ખાડીનો પુલ સાંકડો હોઇ અને પુલ પરના માર્ગ પર મસમોટા ખાડાઓ પડતા વાહનો ખાડામાં પટકાય છે વાહન ખાડામાં પટકાતા વાહનોને નુકશાન થતા વાહન આગળ જતા બગડી જવાના બનાવો વધુ પ્રમાણમાં બનેછે આવોજ એક બનાવ રાજપારડી ખાતે બન્યો હતો.

બોડેલી તરફથી ઝઘડીયા તરફ જતી એક ટ્રક માધુમતિ ખાડીના પુલ નજીક માર્ગની વચ્ચોવચ ખોટકાઇ હતી ટ્રક ખોટકાતા સારસા તરફ તેમજ રાજપારડી ચોકડી તરફ વાહનોની લાંબી લાંબી કતારો જામી હતી ઘટના અંગે રાજપારડી પોલીસના ટ્રાફીકના જવાનોને માહિતી મળતા ટ્રાફિક પોલીસના જવાનો તેમજ ટી.આર.બી.ના જવાનો ટ્રાફિક જામ વારા સ્થળે પહોચ્યા હતા અને સુંદર રીતે ટ્રાફિકનુ સંચાલન કરતા ટુંક સમયમાં ટ્રાફિક હળવો થયો હતો જેથી વાહન ચાલકોએ રાહત અનુભવી હતી અને કેટલાક વાહન ચાલકોએ રાજપારડી પોલીસના ટ્રાફિકના જવાનો અને ટી.આર.બી.ના જવાનોને થેંન્કયુ કહી કામગીરી બીરદાવી હતી.

•ફારૂક ખત્રી,ન્યુઝલાઇન,રાજપારડી

error: Content is protected !!