The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

Home Blog Page 10

પર્યાવરણ દિવસે જ ભરૂચમાં વૃક્ષોનું નિકંદન..!

ભરૂચ શહેરના રચનાનગરના મક્તમપુરથી ધર્મનગરને જોડતા મુખ્ય માર્ગ પર કૃષિ યુનિવર્સિટી દ્વારા 15થી વધુ વૃક્ષનું નિકંદન કરાતાં પર્યાવરણ પ્રેમીઓમાં નિરાશા જોવા મળી હતી.

આજરોજ વિશ્વ પર્યાવરણ દિવસની ઠેર ઠેર ઉજવણી થઈ રહી છે. ભરૂચ શહેરમાં પણ કૃષિ યુનિવર્સિટી કૃષી વિષયમાં આવનાર યુવાધનને કૃષી અને પર્યાવરણનું શિક્ષણ આપવાનું કાર્ય કરે છે. તેવામાં વિશ્વ પર્યાવરણ દિવસના રોજ આ જ કૃષી યુનિવર્સિટી દ્વારા કોઇપણ જાતની મંજૂરી વિના વૃક્ષનું નિકંદન કરવામાં આવ્યું છે. રચનાનગરના મક્તમપુરથી ધર્મનગરને જોડતા મુખ્ય માર્ગ પર દિવાલ બનાવવાના હેતુથી વૃક્ષનું નિકંદન કરવામાં હતું, ત્યારે સ્થાનીકો દ્વારા ઉછેરવામાં આવેલ વૃક્ષનું જ નિકંદન કરાતા વિરોધ ઉઠ્યો હતો. બનાવના પગલે પોલીસે સ્થળ પર આવી સ્થાનિકોની રજૂઆતના પગલે કામગીરી અટકાવી હતી.

અંકલેશ્વર GIDCમાં સ્ટાર્ક કલર કંપનીમાં ભીષણ આગ

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ ખ્વાજા ચોકડી નજીક આવેલ સ્ટાર્ક કલર નામની કંપનીમાં ભીષણ આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી.

આ આગ એટલી વિકરાળ હતી કે, દૂર દૂર સુધી ઉંચે ધુમાડાના ગોટેગોટા નજરે પડ્યા હતા. આ બનાવની જાણ થતાં જ પાંચથી વધુ ફાયર ટેન્ડરો ઘટના સ્થળે પહોચ્યા હતા, જ્યાં ફાયર ફાઇટરોએ પાણી અને ફર્મનો મારો ચલાવી આગને કાબૂમાં લેવા કવાયત હાથ ધરી હતી. તો બીજી તરફ બનાવના પગલે પોલીસ કાફલો પણ ઘટના સ્થળે પહોંચ્યો હતો.હાલમાં તો આ આગમાં કંપનીને કેટલું નુકશા થયું તેમજ આ આગ કેવી રીતે લાગી તે જાણી શકાયું નથી કે ના તો કોઇ જાનહાની થયાના સમાચારા પ્રાપ્ત થઈ રહ્યા છે.

વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે રેવાઅરણ્ય ભરૂચ બોરભાઠા ખાતે વૃક્ષારોપણનો ભવ્ય કાર્યક્રમ યોજાયો

જન શિક્ષણ સંસ્થાન ભરૂચ દ્વારા “વિશ્વ પર્યાવરણ દિન” નિમિત્તે ભરૂચ સીટીઝન કાઉન્સીલનાં સહયોગ અને સંકલનથી રેવાઅરણ્ય બોરભાઠા ખાતે વૃક્ષારોપણનો ભવ્ય કાર્યક્રમનું આયોજન કરાયું હતું આ રેવાઅરણ્ય ક્ષેત્રમાં અત્યાર સુધીમાં જુદા-જુદા ૮૦ પ્રકારનાં ૨૦ હજારથી વધુ વૃક્ષોનું જતન કરી ઉછેર કરવામાં આવેલ છે. આ વર્ષે બીજા ૩ થી ૪ હજાર વૃક્ષો વાવવામાં આવનાર છે વધુમાં અહીં વાવેલ વૃક્ષોની માહીતી તેમની પ્રજાતી વિશે જાણવા માટે QR Code થી ૨૫૦ વૃક્ષોને સજ્જ કરાયા છે.જેની શુભ શરૂઆત આજે ધારાસભ્યનાં હસ્તે કરાઈ હતી.

આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન પદે ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી, સીટીઝન કાઉન્સીલના પ્રમુખ ડો. જીવરાજભાઈ પટેલ, સેક્રેટરી હરીશભાઈ જોષી, ઉદ્યોગપતી કમલેશભાઈ ઉદાણી તથા ભરૂચ સીટીઝન કાઉન્સીલનાં સભ્યો તેમજ જેએસએસ ભરૂચની ટીમના સભ્યો શ્રીમતી ક્રિષ્ણાબેન કઠોલીયા, શ્રીમતી પ્રિયંકાબેન પ્રજાપતિ, શ્રીમતી નયનાબેન પટેલ તેમજ તાલીમાર્થી બહેનો ઉપસ્થિત રહ્યા હતા. જે.એસ.એસ ભરૂચ દ્વારા આ કાર્યક્રમના આયોજન અને સહયોગ બદલ સીટીઝન કાઉન્સીલનો વિશેષ આભાર વ્યક્ત કરાયો હતો.

ભરૂચના યોગી એક્ષટેન્શનની કન્ટ્રક્શનની સાઇટ પર થયેલી લોખંડની પ્લેટોની ચોરીનો ભેદ ઉકેલાયો:૨ ઝડપાયા

ભરૂચ શહેરના યોગી એક્ષટેન્શનમાંથી 2 જી જુનની રાત્રીના લોખંડની પ્લેટોની ચોરીનો ભેદ ભરૂચ એ ડીવીઝન પોલીસે ઉકેલી નાખ્યો છે. પોલીસે બે ઈસમોને ઝડપી પાડી ચોરીનો મુદ્દામાલ રિકવર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ભરૂચના યોગી એક્ષટેન્શનની કન્ટ્રકશનની સાઇટ પર 2 જી જૂનના રાત્રીમાં બે તસ્કરોએ ત્રાટકી ત્યાં રહેલી લોખંડની પ્લેટોની ચોરી કરી હતી.જેની ભરૂચ એ ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ હતી. ભરૂચ એ ડીવીઝનના પીઆઈ વી.યુ.ગડરીયા અને તેમની ટીમે તેમના વિસ્તારમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલી નાખવા માટે પ્રયત્નો હાથ ધર્યા હતા.

આ સમયે પોલીસ કોન્સ્ટેબલ ધવલસિંહ તથા પોલીસ કોન્સ્ટેબલ તગ્દીરસિંહને સંયુક્ત માહિતી મળી હતી કે, યોગી એક્ષટેન્શનમાંથી ચોરી કરનાર બંને ઈસમો દહેજ બાયપાસ શીલ્પી સ્કવેરની પાસે રોડ ઉપર ઉભેલા છે અને તેઓ બીજી ચોરી કરવાની પેરવીમાં છે.

ટીમે માહિતી મળતા જ સર્વેલન્સ ટીમના માણસોએ તાત્કાલિક સ્થળ પર પહોંચી મદીના પાર્કમાં રહેતા સહેજાદ દાઉદભાઇ રાજ અને સફરી પાર્કમાં રહેતા મહંમદ ઇસ્લામ મહંમદ હનીફ રાણા નામના બે ઈસમોને પકડી લીધા હતાં.બંન્નેની પુછતાજમાં તેમણે ચોરી કરેલી લોખંડની સ્લેબ ભરવાની પ્લેટો નજીકમાં અવાવરૂ જગ્યાએ સંતાડી રાખી હોવાની કબૂલાત કરી હતી.ત્યાર બાદ પોલીસે સંતાડી રાખેલી લોખંડની પ્લેટો નંગ-40 કબ્જે કરી રૂ.40 હજાર બે મોબાઈલ કિંમત રૂ.15 હજાર મળી રૂ.55 હજાર મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ભાજપના મનસુખ વસાવાને 85696 મતોની સરસાઈથી સાતમીવાર ફરી સાંસદનું સિંહાસન

ભરૂચ લોકસભા બેઠક ગુજરાત સહિત સમગ્ર દેશમાં કેન્દ્ર સ્થાને રહી હતી. ભાજપના 6 ટર્મના સાંસદ મનસુખ વસાવાને 7મી વખત ભાજપે ટિકિટ આપી હતી.તો દેડિયાપાડાના આપના ધારાસભ્ય ચૈતર વસાવા ઇન્ડિગઠબંધનના ઉમેદવાર તરીકે ચૂંટણી જંગમાં ઝપલાવ્યું હતું. વસાવા વર્સીસ વસાવાના મામા-ભણેજના જંગમાં 7 મે ના રોજ કુલ 69 ટકા જેટલું મતદાન થયું હતું.

આજે 4 જૂને મતગણતરી ભરૂચની કે.જે.પોલીટેક્નિક કોલેજ ખાતે 7 વિધાનસભા મુજબ 23 રાઉન્ડમાં હાથ ધરાઈ હતી. ભાજપના સાતમી ટર્મના ઉમેદવાર પેહલાથી ચૈતર વસાવા સામે દરેક રાઉન્ડમાં આગળ રહ્યાં હતાં.જોકે આપના આ ધારાસભ્ય અને ઇન્ડિગઠબંધનના ઉમેદવાર ચૈતર વસાવાએ ભાજપના 6 ટર્મના સાંસદ મનસુખ વસાવાને કરારી ફાઈટ છેવટ સુધી આપી હતી.૭ વિધાનસભાના 23 રાઉન્ડ પૂર્ણ થતાં EVM ના 11.92 લાખ મતોમાં 605489 મત મેળવી ભાજપના મનસુખ વસાવાએ સાતમી વખત પણ ભરૂચના સાંસદનું સિંહાસન અકબંધ રાખ્યું હતું.સામે ચૈતર વસાવાને 518419 મત મળતા ભાજપનું જીતનું માર્જિન માત્ર 87070 મત રહ્યું હતું.

જોકે પ્રચાર દરમિયાન પેહલા ભરૂચ બેઠક પર 5 લાખથી વધુ મતોની જીત. જે બાદ 3 લાખ કરતા વધુ મતોની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. જોકે એક લાખની સરસાઈથી પણ ભાજપ ભરૂચ બેઠક નહિ જીતતા ભાજપ સંગઠન અને મનસુખ વસાવામાં ઓછા માર્જિનથી જીતનો વસવસો જોવા મળ્યો હતો.બીજી તરફ ચૈતર વસાવાએ પણ મતદાન બાદ 50 હજારથી વધુ મતોથી જીતવાનો દાવો કર્યો હતો. તેમની હારથી તેઓમાં ભારે નિરાશા જોવા મળી હતી. તેમના ડેડીયાપાડા મત વિસ્તારમાંથી જ વિધાનસભા કરતા ઓછા મત મળ્યા હોવાનું સામે આવ્યું હતું.

સૌથી આશ્ચર્યજનક પરિણામોમાં આ વખતે નોટા ત્રીજા સ્થાને રહ્યું હતું. 2019 ની ચૂંટણીમાં નોટાને 6321 મત મળ્યા હતા. જેની સામે આ વખતે નોટા ને અધધ કહેવાય એટલા 23151 મત મળ્યા હતા.પરિણામનું વિધાનસભા વાઇઝ ફાઇનલ પત્રક આવ્યા બાદ જ ભાજપ અને આપ ક્યાં તેમને જનતાના જનાદેશ મળ્યા અને ક્યાં તેઓને મતોમાં પછડાટ તેના લેખાજોખા કાઢી મનોમંથન કરશે.

ભાજપની લીડમાં ગત ટર્મ કરતા 2.47 લાખનું ગાબડું

2019 ની લોકસભા ચૂંટણીમાં ભાજપના સાંસદ મનસુખ વસાવા 3.34 લાખની ઐતિહાસિક લીડથી જીત્યા હતા. તે સમયે ભરૂચ જિલ્લા ભાજપ પાસે પાંચેય વિધાનસભા બેઠક, જિલ્લા પંચાયત કે 9 તાલુકા પંચાયત પણ ન હતી. તેમ છતાં 3.34 લાખ મતોની જંગી સરસાઈ મેળવી હતી.જોકે 2024 માં ભાજપ પાસે જિલ્લા, 9 તાલુકા પંચાયત અને પાંચેય વિધાનસભા હોવા છતાં આપ અને ઇન્ડિગ્રહબંધનના ઉમેદવાર સામે ગત વર્ષની સરસાઈ કરતા 2.47 લાખ મતોનું ગાબડું પડ્યું છે.

ભરૂચ ખાતે મહિલાઓ માટે પર્સનાલિટી ડેવલપમેન્ટ સેમિનાર યોજાયો

દરેક ક્ષેત્રમાં મહિલાઓનો દબદબો વધી રહ્યો છે. તમામ ક્ષેત્રમાં આગળ વધવા માટે પર્સનાલિટી એક મહત્વનું પાસુ છે. આ બાબતને ધ્યાનમાં રાખીને સુરતની મેક અપ લેબ અને ભરુચના હિમાની ઝાંબરે દ્વારા પર્સનાલિટી ડેવલપમેન્ટ સેમિનારનું આયોજન થયુ હતું. જેમાં મોટી સંખ્યામાં ભરૂચ શહેર-જિલ્લાની મહિલાઓ ઉપસ્થિત રહી હતી.

ભરૂચની કે જે ચોક્સી લાઈબ્રેરી ખાતે સુરતના મેક અપ લેબના ધવલભાઈ મારાડિયા અને ભરૂચના મોડલ હિમાની ઝાંબરેના સંયુક્ત ઉપક્રમે પર્સનાલિટી ડેવલપમેન્ટ ઉપર એક દિવસીય સેમિનારનું આયોજન થયુ હતું.  આ સેમિનાર કરવા પાછળનો ઉદ્દેશ્ય એ હતો કે, અલગ અલગ ક્ષેત્રમાં મહિલઓ આગળ વધી શકે, તેમનામાં આત્મવિશ્વાસ કેળવાય તેમજ તેમના રહેલો સંકોચ દૂર થાય. આ ઉપરાંત પોતાની પર્સનાલિટી સાથે અન્ય મહિલાઓ માટે પણ પ્રેરણારુપ અને ઉદાહરણ રુપ બની શકે. આ માટે હિમાની ઝાંબરે દ્વારા પર્સનાલિટીને લગતા અલગ અલગ પાસાની સમજ અને ઉપયોગી ટિપ્સ આપવામાં આવી હતી. આ સેમિનારમાં ભરૂચ શહેર અને જિલ્લાની તેમજ અન્ય જિલ્લાઓમાંથી પણ મોટી સંખ્યામાં મહિલાઓેએ ભાગ લીધો હતો. કાર્યક્રમને મળેલી સફળતા બાદ આગામી દિવસોમાં અલગ અલગ વિષય પર અન્ય સેમિનાર કરવા માટે પણ મેકઅપ લેબ અને હિમાની ઝાંબરે દ્વારા તૈયારી બતાવવામાં આવી હતી.

ભરૂચમાં વિદ્યાર્થીઓ માટે કારકિર્દી માર્ગદર્શન સાથે પરીક્ષામાં સફળતા માટેનો સેમિનાર યોજાયો

ભરૂચમાં આવેલી શાળા શ્રવણ વિદ્યાધામના ધોરણ 12 સાયન્સ અને કોમર્સના વિદ્યાર્થીઓ માટે પરીક્ષામાં સફળતા કેવી રીતે મેળવવી તે બાબત ની જાણકારી માટેનો સેમીનાર કે. જે. ચોકસી લાઇબ્રેરી ખાતે યોજવામાં આવ્યો.

આ સેમિનાર માં અમદાવાદના સોફ્ટ સ્કીલ ટ્રેનર પરેશભાઈ ભટ્ટ દ્વારા વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે સંવાદ યોજવામાં આવ્યો.પ્રથમ સેશનમાં વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષામાં સફળતા કઈ રીતે મેળવવી તે માટે લેખન વાંચન માટેની વિવિધ ફોર્મ્યુલા અને ટેકનિક વિદ્યાર્થીઓને સમજાવવામાં આવી .

બીજા સેશનમાં વિદ્યાર્થીઓના વાલીઓ સાથે સંવાદ કરવામાં આવ્યો જે અંતર્ગત પોતાના બાળકને માતા-પિતા એ પરીક્ષામાં સફળતા કેવી રીતે મેળવવી તે  માટે વિસ્તૃત સંવાદ કરવામાં આવ્યો. પોતાના બાળકના મિત્ર બની તેમના અભ્યાસમાં કઈ રીતે સાથ સહકાર અને મદદરૂપ થઈ શકે તે માટે વિવિધ એક્ઝામ્પલ આપી વિસ્તૃત સમજ આપવામાં આવી.આ કાર્યક્રમને સફળ બનાવવા માટે જરૂરી માર્ગદર્શન આપી વિસ્તૃત સમજ આપવામાં આવી હતી.

ભરૂચ નગરપાલિકા દ્વારા૧૫ જુન ૨૦૨૪ સુધી સ્વચ્છતા પખવાડિયાનું આયોજન કરાયું.

ગુજરાત સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા આજથી પંદર દિવસ સુધી ખાસ સ્વચ્છતા ઝુંબેશ બાબતે તમામ શહેરોમાં નિર્મળ ગુજરાત ૨.૦ અંતર્ગત “સ્વચ્છતા પખવાડા”નું આયોજન કરેલ છે.

તે અંતર્ગત શહેરના ધાર્મિક સ્થળો,મ્યુઝિયમ,પ્રવાસન સ્થળ,એન્ટ્રી પોઈન્ટ,ઓવરબ્રીજ,ફલાયઓવર, રેલ્વે સ્ટેશન, બસ સ્ટેન્ડ, માર્કેટ વિસ્તાર,મોલ, પ્રતિમા,બાગબગીચા, સરકારી રેહણાંક વિસ્તાર,નદી નાળા તળાવ,હોસ્પિટલો અને સરકારી કચેરીઓની ખાસ સાફ સફાઈ કરવા માટેનું તા.૦૧ જુન ૨૦૨૪ થી ૧૫ જુન ૨૦૨૪ સુધીનું “સ્વચ્છતા પખવાડિયા”નું આયોજન કરાયું છે.જેના ભાગરૂપે તા.૦૧/૦૬/૨૦૨૪ના રોજ વોર્ડના સેનેટરી ઈન્સ્પેકટર, સફાઈમિત્રો, સ્થાનિક રહીશો તથા આગેવાનો અને અન્ય નાગરિકોને જોડી વોર્ડ નં.૦૧ થી ૧૧ના જુદા જુદા ધાર્મિક સ્થળો, મ્યુઝિયમ અને પ્રવાસન સ્થળો પર સાફ સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી.જેમાં ભીનો કચરો ૦.૧૫મે.ટન અને સૂકો કચરો ૧.૧ મે.ટન જેટલો એકત્રીત કરાયો  હતો અને ત્યારબાદ તેનો યોગ્ય નિકાલ પણ કરવામાં આવ્યો હતો.

અ કાર્યક્રમમાં “નિર્મળ ગુજરાત સ્વચ્છતા પખવાડા” ના પ્રાદેશિક કચેરીએથી નિમણુંક થયેલા નોડલ અધિકારી કેતન એમ. વાનાણીએ વિશેષ ઉપસ્થીત રહી સમગ્ર સફાઇ અભિયાનનું નીરીક્ષણ કયું હતું.

ભરૂચ પોલીસની સમજાવટથી સુરતના યુવકનો જીવ બચ્યો

ભરૂચ સી ડીવીઝનના સર્વેલન્સના હેડ કોન્સ્ટેબલ રાકેશજી તથા પોલીસ કોન્સ્ટેબલ પીન્ટુને પોલીસામથકે આવેલ વર્ધીની જાણ થતાં જ તેઓએ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયા હતા. આ સમયે એક યુવક બ્રીજના ડીવાઈડર બાજુ નર્મદા નદી તરફ મોં રાખીને બ્રીજની કીનારી ઉપરથી નર્મદા નદીમા કુદવાનો પ્રયાસ કરતો હતો. તે યુવકને યુક્તિ-પ્રયુક્તિથી નદીમાં નહિ કુદવા સમજાવી બહાર લઈ આવી બચાવી લીધો હતો.

આ 26 વર્ષીય યુવકે તેની હકીકત જણાવતા કહ્યું કે તે સુરતના પર્વત પાટિયા વિસ્તારમાં એક રહે છે. તેને છેલ્લા ત્રણ વર્ષથી એક યુવતી સાથે પ્રેમસંબંધ છે. પરંતુ યુવતીના માતા-પિતા લગ્નની ના પાડતા તેને લાગી આવ્યું હતું જેથી તે સુરતથી મોપેડ લઈને ભરૂચ નર્મદા નદીમાં આત્મહત્યા કરવા પહોંચ્યો હતો. જ્યારે તે નદીમાં કુદવાનો પ્રયાસ કરી રહ્યો હતો ત્યારે જ ભરૂચ સી ડીવીઝન પોલીસે સ્થળ પર પહોંચી તેને સમજાવી અને તેનો જીવ બચાવી લીધો હતો. બાદમાં પોલીસે તેનું કાઉન્સીલિંગ કરી તેના પરિવારજનો સોંપ્યો હતો.

 

૧ રૂપિયાના ટોકન ઉપર અપાયેલ સિવિલ હોસ્પીટલને બેદરકારી મુદ્દે ફાયર ઓફિસરે આપી નોટીસ

ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ભરૂચ નગરપાલિકાના ફાયર વિભાગના અધિકારીઓ ફાયર સેફટીની તપાસ સાથે ગયા હતા અને ફાયર સેફટીની સુવિધા કર્મચારીઓ સાથે કાર્યરત હતી પરંતુ હોસ્પિટલના પાર્કિંગમાં આગ લાગી શકે તેવો જથ્થો હોસ્પિટલનો બિન ઉપયોગી બેડ-ગાદલા જોવા મળતા ફાયર વિભાગ દ્વારા તાત્કાલિક સિવિલ હોસ્પિટલને નોટીસ આપવામાં આવતા પાર્કિંગ ખાલી કરવાની કવાયત કરવામાં આવી છે.

ઘોડા છૂટી ગયા બાદ તબેલાને તાળા મારવા જેવો ઘાટ હાલ ગુજરાતમાં ચાલી રહ્યો છે રાજકોટની અગ્નિ કાંડની ઘટના બાદ ફાયર એનઓસી ને લઇ તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે ભરૂચ સિવિલ હોસ્પિટલ જિલ્લાની સૌથી મોટી હોસ્પિટલ માનવામાં આવે છે અને આ હોસ્પિટલમાં મોટી સંખ્યામાં દર્દીઓ સારવાર લઈ રહ્યા છે પરંતુ કોઈ દુર્ઘટના ઘટે તો ફાયર સેફટી ના સાધનો કેટલા કાર્યરત છે તે અંગેની ચકાસણી માટે ભરૂચ નગરપાલિકાના ફાયર ઓફિસર ચિરાગ ગઢવી પોતાની ટીમ સાથે સરપ્રાઈઝ ચેકિંગ અર્થે ગયા હતા.

જ્યાં ફાયર સેફ્ટી ના સાધનો કાર્યરત કર્મચારીઓ સાથે હતા પરંતુ ભરૂચ સિવિલ હોસ્પિટલના પાર્કિંગમાં સિવિલ હોસ્પિટલનો વેસ્ટેજ મેડિકલ વેસ્ટ તથા હોસ્પિટલના બિન ઉપયોગી બેડ વહેલા આગ પક્ડે તેવા ગાદલાનો જથ્થો જોવા મળતા ફાયર ઓફિસરની ટીમે તાત્કાલિક પાર્કિંગ ખાલી કરવા માટે સૂચન આપી તાત્કાલિક નોટિસ આપવાની કવાયત કરી હતી.

જોકે હોસ્પિટલના એડમીન હેડ ડો. ગોપી મિખીયાએ નિખાલસતાથી ફાયર ઓફિસરે જે ક્ષતિઓ કાઢી છે તેને દૂર કરવામાં આવશે અને પાર્કિંગને તાત્કાલિક ખાલી કરવામાં આવી રહ્યું છે તેમ કહી હવે આવું નહીં થાય તેમ કહી હોસ્પિટલ સંચાલકોએ પોતાની ભૂલને સ્વીકારી હતી.

error: Content is protected !!