ગુજરાત સરકાર દ્વારા મફત અને ફરજીયાત શિક્ષણના અધિકાર અધિનિયમ-૨૦૦૯ની કલમ૧૨(૧) ક હેઠળ બિન અનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓમાં ૨૫% મુજબ વિનામૂલ્યે ધોરણ ૧ માં નબળા અને વંચિત જૂથના બાળકોને પ્રવેશ આપવાની યોજના અમલમાં છે. જે બાળકોના ૦૧ જુન-૨૦૨૨ ના રોજ પાંચ વર્ષ પૂર્ણ થયેલ હોય તે બાળકો આ યોજના હેઠળ અગ્રતા ક્રમ મુજબ પ્રવેશપાત્ર બને છે. પ્રવેશ મેળવવા માટે બાળકના વાલીએ https://rte.orpgujarat.com વેબસાઈટ પર તા. ૩૦/૦૩/૨૦૨૨ થી તા. ૧૧/૦૪/૨૦૨૨ દરમિયાન પ્રવેશ ફોર્મ ઓનલાઇન ભરવાનું રહેશે.
આ અંગેની જરૂરી વિગતો જેવી કે, અરજી સાથે જોડવાના આધાર પુરાવા, કયા અધિકારીના અને ક્યા સમયગાળા દરમ્યાનના રજુ કરવાના છે. તે તમામ વિગતો વેબસાઇટ પર મુકવામાં આવેલ છે. પ્રવેશ પ્રક્રિયા દરમ્યાન જરૂરી ડોક્યુમેન્ટ સાથે વાલીએ રીસીવીંગ સેન્ટર ખાતે ફોર્મ જમા કરાવવાની પ્રક્રિયા COVID – 19 મહામારી કારણે રદ કરેલ છે.
વાલીએ ઓનલાઇન ફોર્મ ભરતી વખતે જ જરૂરી આધાર પુરાવા જેવા કે, જન્મ તારીખનો દાખલો, રહેઠાણનો પુરાવો, કેટેગરીનો દાખલો તેમજ આવકનો દાખલો (લાગુ પડતો હોય ત્યાં) વગેરે ઓનલાઇન અપલોડ કરવાના રહેશે. તથા ઓનલાઇન ફોર્મની પ્રિન્ટ વાલીએ પોતાની પાસે રાખવાની રહેશે. ઓનલાઇન ફોર્મ ક્યાંય જમા કરાવવાનું રહેશે નહી. ભરૂચ જિલ્લામાં પ્રવેશ મેળવવા માંગતા વાલીઓએ વધુ માહિતી માટે કે મુંઝવણ હોય તો માર્ગદર્શન માટે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કચેરી, ભરૂચના હેલ્પલાઈન નંબર-૦૨૬૪૨ ૨૪૪૨૧૦ પર કચેરી સમય દરમ્યાન (જાહેર રજાના દિવસ સિવાય) સંપર્ક કરવાનો રહેશે. વધુમાં ભરૂચ જિલ્લાના તમામ તાલુકા પર તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરી/બી.આર.સી. ભવન ખાતેથી પણ ફોર્મ ભરવામાં મુંઝવણ હોય તો માર્ગદર્શન પુરુ પાડવામાં આવશે એમ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી, જિલ્લા પંચાયત ભરૂચ દ્વારા એક અખબારી યાદીમાં જણાવ્યું છે.