નર્મદા જિલ્લા સ્ટેસ્યુ ઓફ યુનિટી નજીક લીંબડીબાર ફળીયાના ગ્રામજનો પોતાની બાપદાદાની જમીન પર નાના મોટા ધંધા કરી રોજગારી મેળવે છે.જેમને ડેમના કામ અર્થે હટાવી રફેદફે કરાતા સાંસદ મનસુખ વસાવાએ આદિવાસીના હિતમાં ન્યાય કરવા મુખ્ય મંત્રી ભુપેન્દ્ર પટેલને પત્ર લખી યોગ્ય કરવા તાકીદ કરી છે.
સાંસદ મનસુખ વસાવાએ પત્રમાં ઉલ્લેખ્યુ છે કે, નર્મદા જિલ્લા સ્ટેસ્યુ ઓફ યુનિટી નજીક લીંબડીબાર ફળીયાના ગ્રામજનો પોતાની બાપદાદાની જમીન પર નાના મોટા ધંધા કરી રોજગારી મેળવે છે. તેવા લોકોને સ્ટેસ્યુ ઓફ યુનિટીના વહીવટીતંત્રએ પોલીસ બળથી રંજાડવામાં આવ્યા છે, એક મહીના પહેલા આ વિસ્તારમાં શાકભાજી વેચીને પોતાનું જીવન નિર્વાહ કરતી બહેનો પથારાને સ્ટેચ્યુ ઓફ યુનિટીના વહીવટીતંત્રએ રફેદફે કરી નાખ્યા હતા.
જયારે જે.પી. કંપની દ્વારા ડેમનું કામ ચાલતુ હતુ, ત્યારે ધંધા રોજગાર જોરછોરમાં ચાલતા હતા, તેઓ રપ વર્ષથી આ વિસ્તારમાં ધંધા રોજગાર કરતા હતા, તેમને આજે ખદેડી મુકવામાં આવ્યા છે. એકબાજુ અમે તથા રાજય સરકાર, કેન્દ્ર સરકાર સ્થાનિક આદિવાસીઓને રોજગારી આપવા માટે જાહેરમાં બાહેધરી આપી છે અને બીજી તરફ અમે બદનામ થઈએ, સરકાર બદનામ થાય તેવા પ્રયત્નો કેટલાક સ્ટેસ્યુ ઓફ યુનિટીના ઉચ્ચ અધિકારીઓ દ્વારા કરવામાં આવી રહયાં છે.
જેના કારણે સમગ્ર આદિવાસી આલમમાં સરકાર અને ભાજપ માટે નારાજગી ઉભી થઈ છે, સ્ટેસ્યુ ઓફ યુનિટીના સતા મંડળને કયાંક અવ્યવસ્થા ઉભી થતી હોય તો સ્થાનિક આગેવાનો સાથે પરામર્શ કરી પ્રશ્નને ઉકેલવાના પ્રયત્ન કરવા જોઈએ, પરંતુ આ વિસ્તારના આદિવાસીઓને રંજૌડવામાં આવે તે ખરેખર યોગ્ય નથી, તો આ વિસ્તારના ગરીબ આદિવાસીઓના હિતમાં તથા ધંધારોજગાર ચાલે તે માટે યોગ્ય ધટતુ કરવા જણાવ્યું છે.