The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

Home Blog Page 182

અંકલેશ્વર: મહાકાળી ફાર્માકેમમાં વિકરાળ આગનું સર્જાયું તાંડવ

  • બાજુની કંપની અને ટ્રક પણ ભડકે બળી
  • સોલ્વન્ટ ડિસ્ટીલેશનના કારણે ભીષણ આગનું પ્રાથમિક તારણ
  • બાજુમાં આવેલી યોગીરાજ પેકેજીંગ કંપની અને એક ટ્રકને પણ આગે ચપેટે લીધી
  • 15 ફાયર ફાઈટરોએ ફોર્મ અને પાણીનો મારો ચલાવી આગને કાબુ મેળવ્યો

અંકલેશ્વર GIDC માં આવેલ મહાકાળી ફાર્માકેમ કંપનીના પ્લાન્ટમાં ઉત્પાદન પ્રક્રિયા દરમિયાન એકાએક ભીષણ આગ ભભૂકી ઉઠતા ભાગદોડ મચી ગઇ હતી. સોલ્વન્ટના કારણે આગે ગોટે ગોટા સાથે સમયાંતરે ધડાકા થતા અંકલેશ્વર ઔદ્યોગિક વસાહત ફાયર ટેન્ડરના સાયરનોથી ગુંજી ઉઠી હતી. આ આગની ચપેટમાં નજીકમાં આવેલી યોગીરાજ પેકેજીંગ કંપની અને એક ટ્રક પણ ભડકે બળવા લાગી હતી.

અંકલેશ્વર GIDCમાં આવેલ શ્રી મહાકાળી ફાર્મા કેમ કંપનીમાં સવારે ઉત્પાદન પ્રક્રિયા ચાલી રહી હતી. દરમિયાન અચાનક આગ ફાટી નીકળી હતી.આ આગ સોલ્વન્ટમાં લાગી હોવાના કારણે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. ભીષણ આગ અને આકાશમાં ઊંચે સુધી ઉડતા ધુમાડાના ગોટે ગોટા વચ્ચે ધડાકાઓ થતા કામદારોમાં ભયનો માહોલ ફેલાયો હતો. ભીષણ આગનો કોલ 11.30 કલાકે મળતા SDM, DYSP, મામલતદાર, પી.આઈ. , સેફટી એન્ડ ફાયર ડિપાર્ટમેન્ટ સાથે ભરૂચ, અંકલેશ્વર પાલિકા, પાનોલી, DPMC, ONGC ના 15 જેટલા ફાયર ફાઈટરો સ્થળ પર દોડી આવ્યા હતા.

જેમણે પાણી અને ફોર્મનો મારો ચલાવી આગને કંટ્રોલમાં લેવા કવાયત હાથ ધરી હતી. આ આગની ચપેટમાં નજીકમાં આવેલી અન્ય એક યોગીરાજ પેકેજીંગ કંપની પણ આવી હતી. પેકેજીંગ કંપની સાથે નજીકમાં ઉભી રહેલી એક ટ્રક પણ બાળીને ખાખ થઇ ગઈ હતી. ફાયર ફાયટરોએ બે કલાક ઉપરાંતની જહેમતે આગ ઉપર કાબુ મેળવ્યો હતો.

ભરૂચ, અંકલેશ્વર પાલિકા, નોટિફાઇડ, ડીપીએમસી, ઓ.એન.જી.સી., પાનોલી ના ૧૫ જેટલા  ફાયર ટેન્ડરોએ આગ કાબુમાં લઈ લીધા બાદ કુલિંગની પ્રક્રિયા હાથ ધરી હતી. આગની ઘટનાની ગંભીરતાને પગલે મામલતદાર અને ડી.વાય.એસ.પી., પી.આઈ. સહિતનો કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો. સોલ્વન્ટ ડીસ્ટીલેશનની પ્રક્રિયા દરમિયાન સ્ટેટિક ચાર્જ કે શોર્ટસર્કિટથી આગ ભભૂકી હોવાનું ઇન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ ડિપાર્ટમેન્ટના અધિકારી પાઠક તરફથી પ્રાથમિક તબક્કે જાણવા મળી રહ્યું છે.

રાજપીપળા નજીક ભદામ ટેકરા પાસેથી દારૂ ભરેલી કાર સાથે બે ખેપિયા ઝડપાયા

      • પોલીસે રૂ. ૭૦,૮૦૦ નો મુદામાલ કબ્જે કરી બે ખેપિયાઓની કરી અટકાયત

    નર્મદા જિલ્લા રાજપીપળા નજીક આવેલ ભદામ ટેકરા નજીક રાજપીપળા ટાઉન પોલીસે નકાબંધી દરમ્યાન એક કારમાંથી ૧૦, ૩૦૦ના વિદેશી દારૂ સાથે ગાડી મળી કુલ ૭૦,૮૦૦ નો મુદામાલ કબ્જે કરી બે ખેપિયાઓને ઝડપી પાડવામાં સફળતા મળી છે.રાજપીપળા ટાઉન પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હતી.દરમ્યાન પોઇચા તરફથી રાજપીપળા બાજુ એક કાર નં. જી.જે.૧૬.એમ.૪૮૧૬ દારૂ ભરીને આવતી હોવાની સંયુક્ત બાતમી મળતા મળેલ બાતમીથી પો.ઇન્સ. જે.જી ચૌધરી અને અ. લો.ર. અલ્પેશભાઈને મળેલ બાતમીથી વાકેફ કરી ભદામ ટેકરા પાસે વોચમાં હતા. તે સમયે  પોઇચા બાજુથી બાતમીવાળી લીલા કલરની મારુતિ સઝુકી કંપનીની ફ્રન્ટી કાર આવતા તેને અટકાવવાનો પ્રયાસ કર્યો હતો.

    જેમાં કારચાલકે કાર રોકવાને બદલે પુરઝડપે હંકારી જતા પોલીસે કારનો ફિલ્મી ઢબે પીછો કરી લાછરસ રોડ ઉપર કોર્ડન કરી ઉભી રખાવી તેમાં બેસેલા બે ઈસમો (૧) સંજયભાઈ કેશુરભાઈ વસાવા રહે હઝરપુરા તા.નાંદોદ જી.નર્મદા (૨) ફિરોઝ લાલુખાન ઘોરીની અટક કરી ગાડીની ઝડતી કરતા તેમાંથી ૧૦.૩૦૦ ની દારૂની બોટલો સહિત એક ફોર વહીલ ગાડી તેમજ મોબાઈલ મળી કુલ ૭૦,૮૦૦નો મુદામાલ કબ્જે કરી આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

      • સર્જન વસાવા,ન્યુઝલાઇન, દેડીયાપાડા

અમદાવાદ બ્લાસ્ટ કેસ મામલે સ્પેશયલ કોર્ટમાં આજે સુનવણી

  • ભરૂચથી મળેલી એક કડીએ ઉકેલ્યો આખો કેસ
  • 26 જુલાઈ 2008મા અમદાવાદમા થયેલ બોંબ બ્લાસ્ટનો કાળો દિવસ હજુ પણ દર્દનાક, આરોપીઓ દોષિત જાહેર સજા આજે પડશે
  • 49 લોકોને દોષિત જાહેર કર્યા હતા
  • રાજ્ય સરકારે કડક સજાની કરી માગ

અમદાવાદમાં 2008માં થયેલા સીરિયલ બોમ્બ બ્લાસ્ટને લઈને સ્પેશયલ કોર્ટ આજે દોષિતોને સજા સંભાળાવી શકે છે.ત્યારે કોર્ટે 49 લોકોને બ્લાસ્ટ મામલે દોષિત જાહેર કરવામાં આવ્યા હતા જ્યારે 28 આરોપીઓને પૂરાવાના અભાવે નિર્દોષ છોડવામાં આવ્યા હતા.ત્યારે કોર્ટે બચાવ પક્ષને 24 કલાકનો સમય આપ્યો હતો જે પૂર્ણ થયો છે.સાથે રાજ્ય સરકારે પણ દોષીને કડક સજા થાય તેવી માગ કરી છે.ઉલ્લેખનિય છે કે અમદાવાદમાં થયેલા સીરિયલ બ્લાસ્ટમાં 54 લોકોએ જીવ ગુમાવ્યો હતો.

9 ફેબ્રુઆરીએ આ 49 દોષિતમાંથી 1 દોષિત અયાઝ સૈયદે તપાસમાં મદદ કરતાં તેને સજામાંથી મુક્તિ આપવામાં આવી છે. આ કેસમાં કોર્ટે શંકાના આધારે કુલ ૨૮  આરોપીને નિર્દોષ જાહેર કર્યા છે. આ કેસના 49 દોષિતને કોર્ટમાં સરકારી વકીલ અને બચાવ પક્ષ વચ્ચે દલીલો થઈ હતી.સ્પેશિયલ કોર્ટમાં હાથ ધરાયેલી સુનાવણી દરમિયાન આરોપીના વકીલ તરફથી ત્રણ સપ્તાહના સમયની માંગ કરવામાં આવી હતી. જોકે સ્પેશિયલ કોર્ટે કેસના તથ્યોને જોતા તે નામંજૂર કરીને માત્ર 11 ફેબ્રુઆરી સુધીનો સમય આપ્યો હતો

આ કેસમાં અભય ચૂડાસમાની સાથે-સાથે મયુર ચાવડાની પણ ખુબ મહત્વપૂર્ણ કામગીરી રહી. ખાસ વાત તો એ છે કે, આ આતંકીઓને ઝડપવા માટે તપાસ અધિકારીઓની તમામ ટીમોએ 4 મહિના સુધી પોતાના ઘરનો દરવાજો પણ નહોતો જોયો. પરિવાર અને સંતાનોથી દૂર રહીને રાત દિવસ તપાસ કરી હતી.

આમ આ બોમ્બ બ્લાસ્ટના કેસમાં અનેક મહિનાઓ રાત-દિવસ એક કરીને પોલીસે તમામ આતંકીઓને શોધી કાઢ્યા હતા. આ કેસમાં અન્ય રાજ્યોની પણ લીંકો મળી હતી.. અને તે તમામ આતંકીઓ સુધી પણ પોલીસ પહોંચી હતી.જેમાં ભરૂચમાંથી મળેલી એક કડીએ આખો ભેદ ઉકેલ્યો હતો. આજે આ કેસમાં આરોપીઓને સજા થશે. જે પોલીસની કામગીરીની તો સફળતા છે જ પરંતુ સાથે-સાથે 14 વર્ષે ન્યાયની રાહત જોતા પરિવારો માટે પણ ખુશીની વાત છે.

દેડીયાપાડા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે ખેડૂત દિવસ અને વિશ્વ કઠોળ દિવસનું આયોજન કરાયું

  • આદિવાસી મહિલા તાલીમ કેન્દ્ર ના સંયુકત ઉપક્રમે રવિ અને ઉનાળુ પાક પર ખેડૂત દિવસ અને વિશ્વ કઠોળ દિવસનું આયોજન કરાયું

દેડિયાપાડા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર અને આદિવાસી મહિલા તાલીમ કેન્દ્ર ના સંયુકત ઉપક્રમે રવિ અને ઉનાળુ પાક પર ખેડૂત દિવસ અને વિશ્વ કઠોળ દિવસનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ માં કુલ ૧૭૫ જેટલા ખેડૂતમિત્રોએ  ભાગ લીધો હતો. કઠોળ આધારિત વાનગીની સ્પર્ધા, પરંપરાગત કઠોળ અને કઠોળની રંગોળી આજના કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ નું કેન્દ્ર બન્યું હતું.

પ્રો.એન.ડી.મોદી, સભ્ય બો.ઓ.એમ.,નવસારી કૃષિ યુનર્વિસટી, આજના કાર્યક્રમના મુખ્ય મહેમાન હતા. ડૉ. વી. ડી. પાઠક, મુખ્ય જુવાર સંશોધન કેન્દ્ર સુરત, ડૉ.અનિલ વસાવા ભૂતપૂર્વ ડીસીએફ સુરત પણ આ કાર્યક્રમમાં હાજરી આપી હતી.

કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ની વિવિધ યોજનાઓ હેઠળ ખેડૂતોને મોટા પાયે પ્રદર્શનનું વિતરણ કરવામાં આવ્યું હતું. ડૉ. પી.ડી.વર્મા વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડાએ તમામ મહાનુભાવોનું સ્વાગત કર્યું હતું અને કઠોળના મહત્વ અને જમીનના સ્વાસ્થ્ય અંગે તેમના મૂલ્યવાન સૂચનો પણ આપ્યા હતા. પ્રો.એન.ડી.મોદી દ્વારા મહિલાઓને પુરસ્કાર તરીકે ૫ ખેત સાધનોનું વિતરણ કરવામાં આવ્યું હતું. તેમણે રોજિંદા જીવનમાં કઠોળના મહત્વ પર ખૂબ જ ઉત્સાહપૂર્ણ વ્યાખ્યાન આપ્યું હતું અને કઠોળને ભારતીય સંસ્કૃતિ સાથે એકીકૃત કરી હતી.

  • સર્જન વસાવા, ન્યુઝલાઇન, દેડીયાપાડા

અંક્લેશ્વર : દ્વારકાધીશ હોટલના કંમ્પાઉન્ડમા બાયો ડીઝલના નામે જવલનશીલ પ્રવાહીનું વેચાણ કરતો ૧ ઝડપાયો

ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિહ ચુડાસમા તરફથી જીલ્લામા ગેરકાયદેસર રીતે થતી કેમિકલ ચોરી તેમજ બાયો ડીઝલના નામે વાહનો ઇંધણ તરીકે ભરી આપતા જવલનશીલ પ્રવાહીનુ વેચાણ,સંગ્રહ કરતા ઇસમો ઉપર કાયદેસર કાર્યવાહી કરવા સુચના આપવામા આવેલ હતી.

જે અનુસંધાને પોલીસ ઇન્સ્પેકટર જે.એન.ઝાલા એલ.સી.બી ભરૂચ ના માર્ગદર્શન હેઠળ ગતરોજ રાત્રીના એલ.સી.બી ની ટીમ અંક્લેશ્વર વિસ્તારમા નાઇટ પેટ્રોલીંગમાં હતી દરમ્યાન બાતમી હકીકત મળેલ કે, અંક્લેશ્વર ને.હા.નં-૪૮ ઉપર સુરત થી અંક્લેશ્વર તરફના રોડની બાજુમા કાપોદ્રા ગામની સીમમા આવેલ દ્વારકાધીશ હોટલના કંમ્પાઉન્ડમાં એક ઇસમ બાયો ડીઝલના નામે જવલનશીલ પ્રવાહી વાહનોમાં ભરી આપી વેચાણ કરે છે.

જે બાતમી આધારે એલ.સી.બી ટીમ દ્વારા મામલતદાર અંક્લેશ્વર તથા એફ.એસ.એલ અધિકારીને સાથે રાખી તપાસ કરતા હોટલના કંમ્પાઉન્ડમા બનાવેલ પતરાના શેડમા તથા પાર્ક કરી મુકેલ આઇસર ટેમ્પામા સંગ્રહ કરવામા આવેલ કુલ-૧૬૦૦ લીટર શંકાસ્પદ પ્રવાહીનો જથ્થો તથા વાહનો મા ઇંધણ તરીકે ભરી આપવા મુકેલ ફ્યુલ પંપ મળી આવ્યો હતો.

મામલતદાર તથા એફ.એસ.એલ અધિકારી દ્વારા ચકાસણી કરી મળી આવેલ પ્રવાહીનો જથ્થો જવલનશીલ હોવાનો તેમજ સંગ્રહ કરવા કોઇ મંજુરી ધરાવતા ન હોવાનુ જણાવતા મામલતદાર દ્વારા મળી આવેલ શંકાસ્પદ પ્રવાહી માંથી જરૂરી નમુનાઓ લઇ મળી આવેલ કુલ-૧૬૦૦ લીટર શંકાસ્પદ પ્રવાહી કી.રૂ.૯૬૦૦૦/- નો જથ્થો સીઝ કરાયો હતો.

પોલીસ ટીમે મળી આવેલ ઉપરોકત જવલનશીલ પ્રવાહી કોઇ પણજાતના ફાયર સેફટી અંગેના સાધનો સિવાય ગે.કા. રીતે સંગ્રહ કરેલ હોવાનુ જણાતા સ્થળ ઉપર હાજર મળી આવેલ મુદ્દામાલનો કબ્જો ધરાવનાર તેમજ જવલનશીલ પ્રવાહી પુરૂ પાડનાર મહેશભાઇ ઉર્ફે ગુગો રાજાભાઇ મેવાડા(ભરવાડ) રહે- ડાહ્યાપાર્ક સોસાયટી,વરાછા સુરત મુળ રહે- સીમરણ તા-સાવરકુંડલા જી-અમરેલી,અમનભાઇ રહે-સરથાણા સુરત (વોન્ટેડ)ની વિરૂધ્ઘમા એલ.સી.બી દ્વારા કાયદેસર કાર્યવાહી કરી અંક્લેશ્વર રૂરલ પોલીસ મથકે ગુનો રજીસ્ટર કરવા સાથે શંકાસ્પદ જવલનશીલ પ્રવાહી કુલ-૧૬૦૦ લીટર કી.રૂ.૯૬૦૦૦/-,ડીઝીટલ ડીસ્પેનશર મશીન (ફ્યુલ પંપ) કી.રૂ.૩૫૦૦૦/-,આઇસર ટેમ્પા નં-GJ-16-AV-1599 કી.રૂ.૦૪,૦૦,૦૦૦/-, બે પ્લાસ્ટીક ની ટેન્ક કી.રૂ.૫૦૦૦/- મળી કુલ કી.રૂ. ૦૫, ૩૬, ૦૦૦/- નો  મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

રાજપારડીના સીમોદ્રા ગામ નજીક બે બાઇક સામસામે ભટકાતા ૧નું મોત, ૧ ઘાયલ

  • જુવાન છોકરાના મોતના પગલે માતાના આક્રંદે સિવિલ પટાંગણ હચમચ્યું.

રાજપારડીના સીમોદ્રા ગામ નજીક બે બાઇકો સામસામે ભટકાતા સર્જાયેલા માર્ગ અકસ્માતમાં બે યુવાનો પૈકી ૧ યુવાનનું ટુંકી સારવાર દરમિયાન જ મોત નીપજ્યું હતું. જ્યારે બીજા યુવાને ગંભીર હાલતમાં વધુ સારવાર અર્થે ખાનગી દવાખાને ખસેડાયો હતો.

રાજપારડીના સીમોદ્રા નજીક ઝઘડીયા નવી નગરીમાં રહેતા હિરેન્દ્ર વસાવા (ઉ.વર્ષ.૨૦) રાજપારડીથી ઝઘડીયા તરફ મોડી સાંજે આવી રહ્યો હતો.દરમિયાન સિમોદ્રા ગામ નજીક માં અમલઝડ ખાતે લગ્નમાંથી ભીલોડ ઘરે પરત જતા સંદીપ મંગા વસાવા સાથે સામસામે બંન્નેવની બાઇક  ઘડાકાભેર્ર અથડાતા સર્જાયેલ અકસ્માતમાં બંન્નેવ બાઇક ચાલકોને ગંભીર ઇજાઓ થવા પામી હતી. જેથી બંન્નેવ ઘાયલોને પ્રથમ સારવાર અર્થે અવીધા ખાતેના સરકારી દવાખાને ખસેડાયા હતા જ્યાંથી વધુ સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પીટલ લવાયા હતા. જ્યાં ટુંકી સારવાર દરમિયાન સંદીપ મંગા વસાવાનુ6 મોત નીપજયું હતું. જયારે હિતેન્દ્ર ગોકુલ વસાવાની હાલત વધુ ગંભીર બનતા તેને વધુ સારવાર અર્થે ખાનગી હોસ્પીટલમાં ખસેડાયો હતો.

અકસ્માત અંગે રાજપારડી પોલીસ મથકે વર્ધી જતા પોલીસે વધુ તપાસ હાથધરી છે.

અંકલેશ્વર:ગૌરવ કલાકુંભ 2022માં ગટ્ટુ વિદ્યાલયના વિદ્યાર્થીનો ઉતકૃષ્ટ દેખાવ સાથે વિજેતા

રમત-ગમત અને સાંસ્કૃતિક વિભાગ અને કમિશ્નર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગર આયોજિત કલાકુંભ 2021માં શ્રી ગટ્ટુ વિદ્યાલયના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.

જેમાં ભરૂચ જિલ્લા કક્ષાએ નિબંધ સ્પર્ધામાં શાળાની ધોરણ ૮- અ ની વિદ્યાર્થીની કુમારી દિયા દેવરાય પ્રથમ ક્રમ મેળવી શાળાને ગૌરવ અપાવ્યું છે. શાળાનો પ્રાચીન ગરબો જિલ્લા કક્ષાએ પ્રથમ ક્રમે વિજેતા રહ્યો છે. શાળાના ધોરણ ૬ માં અભ્યાસ કરતા વિદ્યાર્થી ની કુમારી રચના રાજપૂત દ્વિતીય ક્રમે વિજેતા રહ્યા છે. શાળાના આચાર્ય  વિભાગીય વડા અને ગુરુજનો અને તમામ તેજસ્વી તારલાઓને અભિનંદન પાઠવ્યા છે વિજેતા વિદ્યાર્થીઓ હવે જોન લેવલમાં ભાગ લેશે તેમને ત્યાં પણ શ્રેષ્ઠ દેખાવ કરવા માટે શુભેચ્છા પાઠવેલ છે.

ભરૂચ:ગાંજો પીવા રૂપિયા ના આપનાર શ્રમજીવી ઉપર કેટલાક અસામાજિક તત્વોએ બ્લેડ વડે કર્યો હૂમલો

  • પોલીસ મથકે ફરિયાદ બાદ ઘાયલ શ્રમજીવીને સારવાર અર્થે ભરૂચ સિવિલ લવાયો

ભરૂચ શહેર સહિત જિલ્લો ગાંજાનું હબ બની રહ્યો હોય તેમ ઠેર ઠેર ગાંજો ઝડપાવાના કિસ્સા વધવા સાથે ગંજેરીઓને છુટ્ટો દૌર મળી ગયો હોય તેમ મજૂરી કામ પરથી ઘરે પરત જઈ રહેલા એક યુવાન શ્રમજીવી પાસે ગાંજો પીવા રૂપિયા માંગી ના આપત અતેના ઉપર બ્લેડ વડે હૂમલો કરાયાની પોલીસ ફરિયાદ નોંધાવા પામી છે.

આ ઘટનામાં આજે મોડી સાંજે મજૂરીએથી પોતાના ઘરે મોટા નાગોરી વાડ જઈ રહેલ શ્રમજીવી કિરણ ખોડા વસાવા(ઉ.વર્ષ ૨૪) સાથે મહંમદપુરા નાળા નીચે સાહીલ દંતી ,રાહૂલ સોલંકી,હરેશ વસાવા, અને આફીફ નાગોરીએ તેને આંતરી તેની પાસે ગાંજો પીવા રૂપિયા લાવની માંગણી કરી હતી.જે શ્રમજીવી કિરણે રૂપિયા આપવા ના પાડતા ચારેવે તેને ઘેરી લઈ તેને ઢીકાપાટુનો મારમારવા સાથે તેના ઉપર તીક્ષ્ણ બ્લેડ વડે હૂમલો કરતા શ્રમજીવી કિરણને મોઢાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી.

બ્લેડના ઘાથી લોહીલૂહાણ થયેલ કિરણે ઢાલ ઉપરના પોલીસ મથકે આ હૂમલા ખોરો વિરૂધ ફરિયાદ નોંધાવી સારવાર અર્થે ભરૂચ સિવિલ આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન તેની સાથેની વાતચીત દરમિયાન તેણે તેના ઉપર હૂમલો થયાની કથની વર્ણવી હતી. હાલ તો આ ઘટના અંગે બ્લેડ મારી ફરાર હૂમલાખોરોને ઝડપી પાડવા બી ડિવિઝન પોલીસે કવાયત હાથધરી છે.

અંકલેશ્વર: યુથ કોંગ્રેસ દ્વારા ગડખોલ ઓવર બ્રિજ પર લાઇટ અને ટ્રાફિક મુદ્દે સગવડ કરવા કરાયું વિરોધ પ્રદર્શન

  • યુથ કોંગ્રેસ દ્વારા ફાનસ,મીણબત્તી સાથે આંધળા બનેલ તંત્રની આંખો ખોલવા કરાયો વિરોધ

અંકલેશ્વર હાંસોટ વિધાનસભા યુથ કોંગ્રેસ દ્વારા ગડખોલ ઓવરબ્રિજ પર લાઈટની પૂરતી વ્યવસ્થા અન્ય ટ્રાફિક નિયમનની યોગ્ય સગવડો કરવા તેમજ ટોલ ટેક્સ બચાવવા ભારે માલવાહક વાહનો તેમજ ખાનગી બસો કોની રહેમ નજર હેઠળ ચાલી રહી છે? તેની યોગ્ય તપાસની માંગ સાથે ફાનસ અને મીણબત્તી લઇ આંધળા તંત્રની આંખો ખોલવાના પ્રયાસરૂપે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે અંકલેશ્વર હાંસોટ વિધાનસભા યુથ કોંગ્રેસ પ્રમુખ શરીફ કાનૂગા, સ્પંદન પટેલ, શૈલેશમોદી, ઇકબાલભાઈ ગોરી, હેમંત પટેલ, મુકેશ વસાવા, કાર્તિક પટેલ, ઈમ્તિયાઝ બાણવા, અરુણ વસાવા, અર્જુન વસાવા, વિનય વસાવા, સિકંદર કડીવાલા તેમજ બહોળી સંખ્યામાં યુથ કોંગ્રેસના કાર્યકરો હાજર રહ્યા હતા.

આ કાર્યક્રમ દરમ્યાન બ્રિજ પરથી પસાર થનારા રાહદારીઓએ પણ વિરોધ પ્રદર્શનને સમર્થન આપ્યું હતું. જો આ મુદ્દે તંત્ર દ્વારા ૧૦ દિવસમાં યોગ્ય નિર્ણય નહીં લેવામાં આવે તો યુથ કોંગ્રેસ પ્રમુખ શરીફ કાનૂગા દ્વારા ઉગ્ર આંદોલન કરી ચક્કાજામની ચીમકી પણ  ઉચ્ચારી હતી.

વાગરા : કડોદરાના લેન્ડલુઝર્સોએ યુ.પી.એલ. – ૧૨ માં નોકરી મુદ્દે આપ્યું આવેદન

  • સરપંચ અને ગ્રામજનોએ પાઠવ્યું આવેદન પત્ર…

ભરૂચ જિલ્લા ના વાગરા તાલુકા ના કડોદરા ગામ ની જમીનમાં આવેલ યુ.પી.એલ. – ૧૨ યુનિટમાં જમીન ગુમાવનાર ખેડૂતોને કે તેઓના વારસદારોને નોકરી આપવવામાં આવી ન હોવાના આક્ષેપ સાથે ગામ ના સરપંચ અને આગેવાનોએ જિલ્લા કલેકટર ને આવેદનપત્ર પાઠવી  30 દિવસમાં કાર્યવાહી કરવાની માંગણી કરવામાં આવી છે..

વાગ્રા તાલુકાના કડોદરાના સરપંચ સહિતના ગ્રામજનોએ આવેદનપત્ર માં જણાવ્યું છે કે કડોદરા ની સીમમાં  ગામના ધરતીપુત્રો ખેતીની જમીન ધારણ કરતા હતાં . પરંતુ આ  જમીન જી.આઈ.ડી.સી. દ્વારા સને -૨૦૧૧ માં સંપાદન કરવામાં આવેલ છે . જી.આઈ.ડી.સી. અને  ખેડૂત ખાતેદારો વચ્ચે સ્પષ્ટતા થયા મુજબ આ જમીનમાં જે તે કંપની આવશે તેમાં જમીન ગુમાવનાર અથવા તેમના વારસદારને નોકરી આપવામાં આવશે .

આ જમીનમાં યુ.પી.એલ. – ૧૨ યુનિટ કંપનીએ છેલ્લા બે – ત્રણ વર્ષથી પ્લાન શરૂ કરી તેઓનું પ્રોડકશન શરૂ કરી દીધેલ છે. જેથી જમીન ગુમાવનાર ખેડૂતોએ નોકરી મેળવવા માટે કંપનીને  તેમજ વિવિધ સ્તરે રજુઆત પણ કરી હોવા છતાં પણ જમીન ગુમાવનાર ખેડૂતોને કે તેઓના વારસરદારોને કંપની દ્વારા કોઇ નોકરી આપવામાં આવી નથી જેથી યુ.પી.એલ. યુનિટ -૧૨ ને હુકમ કરી દિન -૩૦ માં જમીન ગુમાવનાર કે તેઓના વારસદારને રોજગારી અપાવવા યોગ્ય હુકમ કરવાની માંગણી કડોદરાના લેન્ડલુઝર્સોએ  કરવા સાથે વાગરા ધારાસભ્યને પણ મધ્યસ્થી બની ન્યાય કરાવવા જાણ કરી હતી.

error: Content is protected !!