The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

Home Blog Page 233

ભરૂચ જિલ્લા સહકારી સંઘ દ્વારા અખિલ ભારત સહકાર સપ્તાહની ઉજવણી

ભરૂચ જિલ્લા સહકારી સંઘ તથા ધી ભરૂચ જિલ્લા કો.ઓ.ક્રેડિટ સોસાયટી ફેડરેશન ઘ્વારા સયુંકત રીતે અખિલ ભારત સહકાર સપ્તાહની ઉજવણી ડિસ્ટ્રીકટ કો.ઓ. બેંકના ચેરમેન અને ધારાસભ્ય અરુણસિંહ રણાની અધ્યક્ષતામાં કરવામાં આવી હતી.
ભરૂચ જિલ્લા સહકારી સંઘના પ્રમુખ જયંતીભાઈ પટેલ, કો.ઓ.ક્રેડિટ સોસાયટી ફેડરેશનના પ્રમુખ રજનીકાંત રાવલ, કોટન યુનિયનના ચંદ્રકાંતભાઈ પટેલ, જિલ્લા સહકારી સંઘના મંત્રી રવીન્દ્રસિંહ રાણા, ભરૂચ ડિસ્ટ્રિક્ટ કો.ઓ.બેંકના મેનેજીંગ ડિરેક્ટર અજયસિંહ રણા સહિત વરિષ્ઠ સહકારી આગેવાનો અને વિવિધ સહકારી સંસ્થાઓના પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં ભરૂચ ડિસ્ટ્રીકટ કો.ઓ. બેંકના હોલમાં સહકારી સપ્તાહની ઉજવણી હાથ ધરાઈ હતી.

કાર્યક્રમમાં અધ્યક્ષ સ્થાનેથી ધારાસભ્ય અરુણસિંહ રાણાએ જણાવ્યું હતું કે ભારતની સહકારી પ્રવૃત્તિ વિશ્વમાં વખણાય છે. અને ભારતમાં ગુજરાતની સહકારી પ્રવૃત્તિ શ્રેષ્ઠ છે. ભરૂચ જિલ્લાની વાત કરતા તેમણે કહ્યું હતું કે જિલ્લામાં 3000 જેટલી સહકારી સંસ્થાઓ છે. જેમનો જિલ્લાના વિકાસમાં અમૂલ્ય ફાળો રહ્યો છે.

કોરોના મહામારી દરમ્યાન કપરી પરિસ્થિતિમાં સહકારી ક્ષેત્રએ સેવા ઉપરાંત સરકારની વિવિધ યોજનાઓના માધ્યમથી સમાજને બેઠો કરવામાં યોગદાન આપ્યું હતું. તેમણે એમ પણ કહ્યું હતું કે સહકાર સપ્તાહ ઉજવણી તો કરીએ જ સાથે સહકારી સંસ્થાઓના ઉત્થાન માટે સતત પ્રયાસો કરવા આહવાન કર્યું હતું.
આ પ્રસંગે ખેતી બેંકના ચેરમેન તરીકે નિયુક્ત થયેલ સુરેશભાઈ પટેલનું અને ધારાસભ્ય અરુણસિંહ રણા તથા જિલ્લા સહકારી સંઘના ચેરમેન જયંતીભાઈ પટેલે વિશેષ સન્માન કર્યું હતું.

પોકેટકોપની મદદથી ચોરીની બાઇક રિકવર કરી ગુનાનો ભેદ ઉકેલતી નેત્રંગ પોલીસ

નેત્રંગ પોલીસ સબ ઇન્સપેક્ટર એન.જી.પાંચાણી તથા પોલીસ ટીમ સાથે નેત્રંગ ડેડીયાપાડા રોડ ઉપર આવેલ થવા ચેક પોસ્ટ ખાતે વાહન ચેકીંગમાં હતા.દરમ્યાન નેત્રંગ , ફુલવાડી ચોકડી થી થવા બાજુના રોડ તરફ થી એક બજાજ કંપનીની બાઇક નંબર- GJ 11-BK-9903 ની મોટર સાયકલ શંકાસ્પદ લાગતા રોડની સાઈડમાં ઉભી રખાવી બાઇક ચાલકને બાઇકના RTO રજીસ્ટ્રેશન અંગેના દસ્તાવેજો તથા આધાર પુરાવા કે બીલ માંગતા નહી હોવાનું જણાવેલ અને ચાલક ઈસમનું નામઠામ પુછતા તેણે પોતાનું નામ મનિયાભાઇ ઉર્ફે વનિયાભાઈ રાજેશભાઇ ધળુભાઇ જાતે આદિવાસી ઠાકુર ઉ.વ .૨૭ ધંધો.મજુરી રહે.પરીવર્ધા તા.શાહદા જી.નંદુરબાર હાલ રહે, ઈન્દવે તા.સાંકરી જી.ધુલીયા (મહારાષ્ટ્ર) નો હોવાનુ જણાવ્યું હતું.

આ બાઇકના આર.ટી.ઓ. રજીસ્ટ્રેશન તથા એન્જીન નંબર તથા ચેચીસ નંબર આધારે પોકેટ્કોપ મોબાઈલમાં સર્ચ કરતા આ બાઇક જુનાગઢ જીલ્લો ચોરવાડ પોલીસ મથકનો ચોરીનો ગુનો દાખલ થયેલ હોવાનુ જણાઈ આવતા બાઇકની કીમત રૂ .૪૮,૦૦૦ ગણી તપાસ અર્થે કબ્જે કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.

•મિતેષ આહિર,ન્યુઝલાઇન,નેત્રંગ

ભરૂચ : જવાહરલાલ નહેરુના જન્મદિને બાળકો માટે યોજાઇ સાયકલિંગ રાઈડ

પંડિત જવાહરલાલ નહેરૂની જન્મ જ્યંતિની ઉજવણીના ભાગરૂપે સાયકલિંગ ગ્રુપ દ્વારા પાંચ કિલોમીટરની સાયકલ રાઈડ નું બાળકો માટે આયોજન કરવામાં આવ્યું હતું.

ભારતનાં પ્રથમ વડાપ્રધાન અને ચાચા નહેરુનાં નામે ઓળખાતા જવાહરલાલ નહેરુની આજે જન્મ દિવસ છે. નહેરુનો જન્મ ઉત્તર પ્રદેશનાં અલ્હાબાદમાં ૧૪ નવેમ્બર ૧૮૮૯નાં રોજ થયો હતો. તેમણે સ્વતંત્ર ભારતનાં પ્રથમ વડાપ્રધાન તરીકે કાર્યકાળ સંભાળ્યો હતો. બાળકોને પ્રિય એવા જવાહરલાલ નહેરુનાં જન્મ દિવસને રાષ્ટ્રીય બાળ દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે.

પંડિત જવાહરલાલ નહેરુના જન્મદિવસને દેશભરમાં બાળકો માટે પણ વિવિધ કાર્યક્રમોની ઉજવણી કરવામાં આવતી હોય છે જેના ભાગ રૂપે સાયકલિંગ ગ્રુપ દ્વારા પાંચ કિલોમીટરની સાયકલ રાઈડ નું આયોજન બાળકો માટે કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં બાળકો તથા સાયકલિંગ ગ્રુપના સભ્યોએ ભાગ લીધો હતો.

આ સાયકલિંગ રાઈડસની શરૂઆત ઝાડેસ્વર સ્થિત હરીહર કોમ્પ્લેક્સથી કસક સર્કલ,આશીષ હોટલ, જ્યોતિનગર થઈ હરિહર કોમ્પલેક્ષે રાઈડ્સનું સમાપન કરી સાયકલિંગ રાઈડ્સમાં ભાગ લેનાર સાયકલલિસ્ટોને ભરૂચ સાયકલિંગ ગ્રુપના સભ્યો સૌરભ મહેતા,રાજવીર ઠાકોર, સંજય બીનિવાલા,મહેશભાઈ દોડીયા સહીતના સભ્યોના હસ્તે સન્માન પત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.

વાગરા: વેલસ્પન કંપનીના કર્મચારીઓનું આંદોલન વધુ ઉગ્ર બનવાના એંધાણ

•૨૫૦ જેટલા કર્મચારીઓએ કંપની એ આપેલ વી.આર.એસ.સ્કીમ નકારી આંદોલન ચાલુ રાખ્યુ
•૧૧૮ જેટલા કર્મચારીઓએ વી.આર.એસ.સ્કીમનો લાભ લીધો

વડદલા સ્થિત વેલસ્પન કમ્પનીમાં મેનેજમેન્ટે વી.આર.એસ. સ્કીમ મુકતા ૨૫૦ થી વધુ કર્મચારીઓએ સ્કીમને ઠુકરાવી આંદોલનને વધુ ઉગ્ર બનાવવાની ઘોષણા કરી છે.કામદારોએ ૧૫ નવેમ્બરના રોજ રહિયાદ ચોકડી ખાતે રસ્તારોકો આંદોલનનું એલાન કરતા વેલસ્પન કંપનીનો વિવાદ વધુ વણસે તેવા એંધાણ ઉભા થયા છે.
વેલસ્પન કંપનીમાં કોરોના મહામારી દરમ્યાન જ ૪૧૬ જેટલા કામદારોને વર્ક ફ્રોમ હોમનો આદેશ આપ્યો હતો.જોકે કામદારોને કઈક અજુગતું થવાની ગંધ આવતા તેમને મિટિંગો નો દોર શરૂ કર્યો હતો.દરમ્યાન કંપની મેનેજમેન્ટે ૪૧૬ જેટલા કર્મચારીઓની સાગમટે બદલી કરવાના હુકમ કરતા કર્મચારીઓમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો.જેણે આંદોલનનું સ્વરૂપ ધારણ કર્યું હતુ.છેલ્લા ત્રણ મહિનાથી કામદારોએ વેલસ્પનના ગેટ સામે જ આંદોલન ચાલુ રાખ્યુ હતુ.સાથે વિવિધસ્તરોએ ન્યાય માટે રજૂઆતો પણ કરી હતી.
વેલસ્પનના કામદારો યોગ્ય વળતર સાથે વી.આર.એસ.સ્કીમમાં જોડાવા તૈયાર હતા.પરંતુ કંપની મેનેજમેન્ટે નજીવા વળતર સાથે વી.આર.એસ. સ્કીમ મુકી હતી. જેમાં માત્ર ૧૧૮ જેટલા કામદારો જોડાયા હતા. જ્યારે ૨૫૦ થી વધુ કામદારોએ સ્કીમને ઠુકરાવી યોગ્ય વળતરની માંગને બુલંદ બનાવી છે.૨૫૦ જેટલા કામદારો હવે લડી લેવાના મિજાજ સાથે મેદાનમાં આવ્યા છે.કામદારોએ ઉચ્ચ અધિકારીઓ સહિત રાજ્ય અને કેન્દ્ર સરકારને લેખિતમાં રજુઆત કરી ન્યાયની માંગ ઉઠાવી છે.જેમાં આગામી ૧૫ નવેમ્બરના રોજ સવારે રહિયાદ ચોકડી ખાતે રસ્તારોકો આંદોલનની ઘોષણા કરવા સાથે જ્યાં સુધી ન્યાય ન મળે ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે તેવો હુંકાર પણ કર્યો છે.

•ઝફર ગડીમલ, ન્યુઝલાઇન,વાગરા

રાજપીપળા: SOU નજીક ફૂટપાથ પર નાનો મોટો ધંધો કરનારાઓનો સામાન જપ્ત કરાતા ગ્રામજનોમાં રોષ

•ફૂટપાથ પર નાની મોટી ચીજવસ્તુઓનું વેચાણ કરતા હતા તે પોલીસ બળ વાપરી બંધ કરાવ્યું: સ્થાનિક આદિવાસીઓ

•નરેન્દ્ર મોદી આદિવાસીઓને રોજગારીમાં પ્રાથમિકતા આપવાની વાત કરે છે, પણ અધિકારીઓ અમને ધંધો કરવા દેતા નથી: સ્થાનિક આદિવાસીઓ

સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક લીમડી બાર ફળિયા ગ્રામજનોની પોતાની બાપદાદાની જમીન આવેલી છે.એ જમીન પર તેઓ નાનો મોટો ધંધો કરીને સાથે સાથે પોતાની જમીન પર પાર્કિંગ બનાવી થોડી ઘણી તેઓને આવક મેળવી રહ્યા છે.ત્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટી સત્તા મંડળના અધિકારીઓ દ્વારા એ પાર્કિંગ બંધ કરાવી દીધું હોવાના આક્ષેપ સાથે આદિવાસીઓએ સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક તંત્ર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા.

સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક ફૂટપાથ નજીક નાનો મોટો ધંધો કરનારાઓ નો સર સામાન જપ્ત કરવામાં આવતા ગ્રામજનો રોડ પર બેસી ગયા હતા.ધંધા રોજગરનો એ સામાન અડચણ રૂપ છે તેમ કહી તંત્ર દ્વારા સામાન જપ્ત કરવામાં આવતા ગ્રામજનોમાં રોષ ફેલાયો હતો.ગ્રામજનોએ જણાવ્યું હતું કે અહીંયા એક ખાનગી આઈસ્ક્રીમ પાર્લર છે એને કેમ હટાવવામાં નથી આવતું.અમારો ધંધાનો સામાન પરત કરો.અમારી જમીન પર પાર્કિગનો વ્યવસાય કરી અમને રોજગારી મેળવવા દો.બીજી બાજુ સ્ટેચ્યુ ઓફ યુનિટી સત્તા મંડળ દ્વારા સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારમાં મંજૂરી વગર પ્રવાસીઓના વાહનોનું પાર્કિગ કરવામાં ન અને ફૂટપાથ પર કોઈ નાનો મોટો ધંધો કોઈ કરવા ન બેસે તેવી સુચના મળતા પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે.

બાર ફળીયાના સ્થાનિક આગેવાન દક્ષાબેન તડવીએ જણાવ્યું હતું કે અમારી આ બાપદાદાની જમીનો પર રોજગારી મેળવી રહ્યાં છીએ એ સત્તા મંડળના અધિકારીઓને ગમતું નથી, તેઓએ અમારી રોજગારી બંધ કરાવી છે અને પાર્કિંગનો વ્યવસાય બંધ કરાવી દેવામાં આવ્યો છે.તેમજ ફૂટપાથ પર નાની મોટી ચીજવસ્તુઓનું વેચાણ કરતા હતા તે પોલીસ બળ વાપરી બંધ કરાવ્યું છે.અન્ય ગ્રામજનોએ જણાવ્યું હતું કે આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે પણ સ્ટેચ્યુ ઓફ યુનિટી પર આવી નવા પ્રવાસન સ્થળનું લોકાર્પણ કરે છે ત્યારે તેઓ અહીંયા આદિવાસીઓને રોજગારીમાં પ્રાથમિકતા આપવાની વાત કરે છે.તો અહિયાના અધિકારીઓ સ્થાનિક આદિવાસીઓને ધંધો કરવા દેતા નથી.

•વિશાલ મિસ્ત્રી,ન્યુઝલાઇન,રાજપીપળા

અંકલેશ્વરની યુવતીએ કેનેડિયન યુવાન સાથે લગ્ન બાદ તેડી જવા ના પાડતા નોંધાવી ફરીયાદ

પોતાની વ્હાલસોઈ દીકરી માટે NRI પતિ શોધતા પરિવારો માટે લાલબત્તી સમાન કિસ્સો અંકલેશ્વરમાંથી બહાર આવ્યો છે. જેમાં એક યુવકનું પરિવાર 13 દિવસ અંકલેશ્વર રોકાઈ કોર્ટ મેરેજ કરી કેનેડા જતું રહ્યા બાદ યુવતીને સાથે તેડી જવાની ના પાડી દેતા હવે સમગ્ર મામલો પોલીસ મથકે પોહચ્યો છે.

અંકલેશ્વર જીઆઇડીસીમાં રહેતા જાની પરિવારે NRI મુરતિયાની પસંદગીમાં છેતરાવાનો વારો આવ્યો છે. કેનેડાથી લગ્ન કરવા આવેલા યુવકે લગ્ન બાદ પત્નીને નહિ બોલાવતા પોલીસ ફરિયાદ નોંધવાઈ છે. અંકલેશ્વરની શાંતિ તીર્થ સોસાયટીમાં રહેતા જાની પરિવારે સમાજના જ કેનેડા રહેતા જાગૃતિબેન ભટ્ટ દ્વારા દીકરી માટે મૂળ વડોદરા અને હાલ કેનેડા રહેતા નિસર્ગ ભટ્ટની પસંદગી કરી હતી. ગત 14 ફેબ્રુઆરી 2020 માં કેનેડાથી નિસર્ગ ભટ્ટ તેના માતા-પિતા નૈનેશભાઈ અને રક્ષાબેન સાથે અંકલેશ્વર આવતા કોર્ટમાં 18 મી એ જાની પરિવારે દીકરી વિશ્વાના લગ્ન કરાવ્યા હતા. NRI પતિ અંકલેશ્વરમાં 13 દિવસ રોકાઈ પરિવાર સાથે ફરી કેનેડા ઉપડી ગયો હતો. જોકે પત્નીને કેનેડા નહિ બોલાવી બહાને બાજી શરૂ કરવા સાથે પતિ અને સાસરિયાએ ફોન ઉપર માનસિક ત્રાસ આપવાનું શરૂ કરી દીધું હતું. આખરે કેનેડા નહિ લઈ જવાનું અને પત્નીનો દરજ્જો આપવાની ચોખ્ખી ના પાડી દેતા NRI પતિ અને સાસરિયા સામે પત્નીએ અંકલેશ્વર જીઆઇડીસી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

સાપુતારા: બાઇકની સીટમાં છુપાવી લવાતો વિદેશી દારૂ સાથે ૧ ઝડપાયો

વઘઇ પોલીસે કોશમાળ મુખ્ય માર્ગ પરથી બાઈકની સીટમાં છુપાવીને દારૂ લાવતા શખ્સને કુલ ૩૦ હજાર ના મુદ્દા માલ સાથે ઝડપી પાડ્યો હતો.

વઘઇ તાલુકા ના કોશમાળ થી કાલીબેલ તરફ પસાર થતા મુખ્ય માર્ગ પર વઘઇ પોલીસને મળેલી બાતમી ના આધારે ચેકીંગ આરંભ્યું હતુ તે દરમિયાન કોશમાળ ગામની બહાર જાહેર માર્ગ પર એક પેશન પ્રો.બાઇક નં.જીજે-૨૧-એએફ 2578 બાઇક ચાલક ને અટકાવી ચકાસણી કરતા સીટના નીચેના ભાગે તથા પેટ્રોલની ટાંકીમાં બનાવેલા ચોરખાના અને ચાલક ના શરીર પર ટેપ વડે વિટાળેલો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો.

પોલીસે બાઇક માંથી બોટલ નંગ-૧૪૪ કિં.રૂ.૧૦ હજાર તથા બાઇક રૂ.૨૦ હજાર કુલ ૩૦ હજાર નો મુદ્દામાલ કબ્જે લઇ આરોપી હરીશ પટેલ રહે. ઉનાઇ વિરૂધ્ધ વઘઇ પોલીસ મથક ના પીએસઆઈ વસાવાએ દારૂબંધી ભંગનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરતાં બુટલેગરોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે.

•શૈલેષ સોલંકી,ન્યુઝલાઇન, સાપુતારા

ભરૂચ: નબીપુર અને સેગવા ગામે નવી પાણીની પાઇપલાઇનનું કરાયું ખાતમૂહૂર્ત

ભરૂચ જિલ્લાના નબીપુર ગામમાં ગ્રામજનોને પાણી પૂરું પાડતી પાણીની ટાંકી હવે જર્જરિત થઈ ગઈ છે. ત્યારે ગ્રામજનો માટે બીજી ટાંકીનું નિર્માણ આવશયક થઈ ગયું છે. તેવા સમયે જળ એજ જીવન યોજના હેઠળ વાગરા મત વિસ્તારના ધારાસભ્ય અરૂણસિંહ રણાના હસ્તે શનિવારના રોજ ખાતમૂહૂર્ત કરાયું હતું.

આ પ્રસંગે ગ્રામ પંચાયત નબીપુરના સભ્યો, ગ્રામજનો અને આબીદ મેમ્બર અને ઇસ્માઇલ મેમ્બર હાજર રહયા હતા.ગામમાં બીજી પાણીની ટાંકી ના નિર્માણને લઇ આજે ગામમાં ખુશી જોવા મળી હતી. જ્યારે સેગવા ગામ ખાતે પણ નવી પાણીની પાઇપ લાઇનનું પણ ખાતમૂહૂર્ત ધારાસભ્યના હસ્તે કરવામાં આવ્યું હતું.

જિલ્લા જળ અને સ્વચ્છતા એકમ વાસ્મો ભરૂચ દ્વારા નળ સે જળ યોજના અંતર્ગત ગ્રામ્ય પાણી પુરવઠા યોજનાનું સેગવા ગામ ખાતે પણ પાણીની પાઇપલાઇનનું ખાતમૂહૂર્ત કરવામાં આવ્યું.જેમાં ગ્રામ્ય હોદેદારો, આગેવાનો, અધિકારીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા. હવે સૌને આશા બંધાઈ હતી કે ગામમાં પાણીની જટિલ સમસ્યા હવે જલ્દી દુર થશે. ધારાસભ્યએ આ પ્રસંગે દરેક ગ્રામજનોનો આભાર વ્યક્ત કર્યો હતો.

ભરૂચ: સાસરીયાના ત્રાસથી વાજ નવ પરિણિતાને આશ્રય આપાવતી ૧૮૧ અભયમ ટીમ

નવ પરણિતાને સાસરિયાં દ્વારા ત્રાસ આપતા અભયમ ભરૂચ ટીમે આશ્રય અપાવ્યો.
અંકલેશ્વર થી એક ત્રાહિત વ્યક્તિ એ 181 મહિલા હેલપલાઇન મા કોલ કરી જણાવેલ કે એક યુવતી કેટલાક સમય થી અહી બેસી રહી છે. જેને મદદરૂપ બનવા અપીલ કરતા અભયમ રિસ્કયુ ટીમ ભરૂચ તાત્કાલિક સ્થળ પર પહોંચી યુવતી સાથે વાતચીત કરતા જાણવા મળેલ કે પંદર દિવસ પહેલાં તેના લગ્ન થયેલ જેમાં પતિ અને સાસરી વાળા એ મારઝૂડ કરતા ઘરે થી નીકળી ગયેલ અને હવે પરત જવા માગતા ના હોય અભયમ ટીમ દ્વારા તેમને ઓ. એસ. સી માં આશ્રય અપાવ્યો હતો.

મળતી માહિતી મુજબ મૂળ ઉત્તર પ્રદેશનો પરિવાર ભરૂચમાં રોજગારી માટે આવેલ જેમની બારમા ધોરણ મા અભ્યાસ કરતી દીકરી ને અભ્યાસ છોડાવી તેની મરજી વિરુદ્ધ લગ્ન કરાવી દીધા હતા. પંદર દિવસ ના લગ્ન જીવન માં કોઈપણ વાંક ગુના વગર તેના પતિ દ્વારા મારપીટ કરવામાં આવતી હતી બે દિવસ પહેલા તેના સાસરી વાળા એ પણ માનસિક શારીરિક હેરાનગતિ કરતા ત્રાસી ઉઠેલ પરણિતા ઘર છોડી નીકળી ગયેલ અને તેની માતા ને ફોન કરેલ જ્યાં તેની માતા એ જણાવેલ કે હવે અમે તારા લગ્ન કરાવી દીધા છે. તારે હવે ત્યાં જ રહેવાનું છે. જેથી પરણિતા ને હવે ક્યાં જવું તે સમજ ના પડતા અંકલેશ્વર બસ ડેપોમાં બેસી રહેલ જ્યાં એક ત્રાહિત વ્યક્તિ ની નજરમાં આવતા તેને મદદ કરવાની ભાવના થી 181 મહિલા હેલપલાઇનમાં જાણ કરી હતી.
અભયમ ટીમ દ્વારા તેની સાથે કાઉન્સિલ કરી વિગતે તેની માહિતી મેળવી હતી હવે તે સાસરી માં કે પિયર મા જવા માગતી ના હતી જેથી તેની ઈચ્છાનુસાર માટે ઓ. એસ. સીમાં આશ્રય અપાવવામાં આવ્યો છે.

અંકલેશ્વર: સજોદની સાર્વજનિક શાળાના આચાર્યનું શરમજનક કૃત્ય, કર્યા શાળાની બાળા સાથે અડપલાં

અંકલેશ્વરના સજોદ સાર્વજનિક શાળાના આચાર્ય સામે પોતાની શાળાના ધોરણ ૧૦ માં અભ્યાસ કરતી ૧૫ વર્ષીય સગીરાએ આચાર્ય સામે શારીરિક અડપલાં કર્યા હોવાની ફરિયાદ કરતા ભારે ચકચાર મચી જવા પામ્યો છે.
સજોદ સાર્વજનિક શાળાનાના આચાર્ય વીરેન ઘડિયાળી સામે અંકલેશ્વર રૂરલ પોલીસ મથક ખાતે વિધાર્થીનીના પરિવારજનો દ્વારા ફરિયાદ આપવામાં આવતા પોલીસે ગુનો નોંધી લંપટ આચાર્યને ઝડપી પાડવાના ચક્રોગતિમાન કર્યા છે.
સજોદ સાર્વજનિક શાળાની 15 વર્ષીય બાળકી સાથે શારીરિક અડપલા કર્યા હોવાના આક્ષેપ થયા છે,જેમાં જણાવ્યા મુજબ હાલ દિવાળી વેકેશન ચાલી રહ્યું હોય તેમ છતાં આચાર્ય દ્વારા વિદ્યાર્થીનીને ગણિતના ડાયરી આપવા સ્કૂલમાં બોલાવી હતી.જે બાદ વિદ્યાર્થીની સ્કૂલે જતા આચાર્ય ન મળતા તે પરત પોતાના ઘરે જઇ રહી હતી.

દરમિયાન લંપટ આચાર્ય વીરેન પોતાની કાર સાથે વિદ્યાર્થીનીને રસ્તામાં મળ્યો હતો અને તેને કારમાં પટાવી ફોસલાવી કારમાં બેસાડી લઈ તને ગામના બસ સ્ટેન્ડ પર છોડી દઉં કહી લઇ ગયો હતો અને ગામનું પાટિયું આવતા વિદ્યાર્થીનીએ ગાડી ઉભી રાખવાનું કહેવા છતાં આરોપી વીરેન ઘડિયાળી તેની ગાડી હાંસોટ, ઓલપાડ રોડ પર લઈ ગયો હતો અને ગાડી રસ્તાની સાઈડ પર ઉભી રાખી વિદ્યાર્થીની સાથે બળજબરી પૂર્વક શારીરિક અડપલાં કરી જાતીય સતામણી કરી તેને કપડાં ઉતારવા જણાવતા વિદ્યાર્થીનિએ વિરોધ કરતા તેને પરત ઘર નજીક મૂકી ગયો હતો અને સાથે આ ઘટના અંગે કોઈને જાણ કરીશ તો સ્કૂલમાંથી કાઢી મુકવાની ધમકી આપ્યા હોવાની ફરિયાદ નોંધાતા સમગ્ર મામલે ચકચાર મચી જવા પામ્વા સાથે આ લંપટ આચાર્ય ઉપર રોષ ફેલાયો છે.

હાલમાં સમગ્ર મામલા અંગે અંકલેશ્વર રૂરલ પોલીસે ભોગ ફરિયાદના આધારે આરોપી વીરેન ઘડિયાળીની ધરપકડના ચક્રોગતિમાન કર્યા હોવાનું જાણવા મળ્યું છે.

error: Content is protected !!