વાલિયાના બાંડાબેડા ગામે ઇકો ગાડી સ્કૂલ પાસે મુકવા મુદ્દે પિતા-પુત્ર ઉપર ત્રણ ઈસમો દ્વારા ચપ્પુ વડે હુમલો કરાતા પિતાને ગંભીર હાલતમાં વધુ સારવાર અર્થે સુરત ખસેડાયા હતા. જ્યાં 7 દિવસની સારવાર બાદ સુરત ખાતે પિતાનું મોત નીપજતા વાલિયા પોલીસે હત્યા અંગેનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
વાલિયા બાંડાબેડા ગામે નિશાળ ફળિયામાં રહેતા 29 વર્ષીય કલ્પેશ ભારમલભાઇ વસાવા ડ્રાઇવિંગનો વ્યવસાય કરે છે. તેમના ફળિયામાં જ રહેતા અનિલ કાલીદાસ વસાવા, રાજેશ ઉર્ફે બાબર રામસિંગભાઇ વસાવા અને નીતિન રમણભાઇ વસાવા ગત 3 નવેમ્બરે કલ્પેશના ઘરે ગયા હતા. જ્યાં તે લોકોએ ગઈકાલે તારા શેઠની ઇકો ગાડી સ્કૂલ પાસે કેમ મૂકી હતી એમ કહીને યુવક સાથે ઝઘડો કર્યો હતો.
જેમાં યુવાને ત્રણેયને અપશબ્દો બોલવાનું ના કહેતા તેઓ મારામારી ઉપર ઉતરી આવ્યા હતા. જેમાં તેમણે યુવકને ચપ્પુના બે ઘા ઉપરાછાપરી ઝીંકી દીધા હતા. જેમાં પુત્રને છોડાવવા પિતા ભારમલ વસાવા વચ્ચે પડતા ત્રણેય આરોપીએ તેમના ઉપર પણ ચપ્પુ વડે હુમલો કર્યો હતો. ગંભીર રીતે ઘવાયેલા વૃદ્ધ ભારમલ વસાવાને સુરત ખાતે દાખલ કરાયા હતા. જ્યાં તેમનું 7 દિવસની સારવાર બાદ મોત થતા વાલિયા પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી ત્રણેય આરોપીને ઝડપી પાડવા કવાયત હાથધરી છે.