The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

Home Blog Page 46

ભરૂચની 5 બેઠકો માટે છેલ્લા દિવસે 75 ફોર્મ ભરાયા

વિધાનસભાની ચૂંટણીમાં ફોર્મ ભરવાના છેલ્લા દિવસે ભરૂચમાં 7 કલાક સુધી ભરૂચ અને વાગરા બેઠક માટે ઉમેદવારી નોંધાવવા માટે ભાજપ, કોંગ્રેસ અને આપના ઉમેદવારોનો વરઘોડો જામ્યો હતો. છેલ્લા દિવસે જિલ્લાની પાંચેય બેઠકો ઉપર ડમી સહિત કુલ 75 ફોર્મ ભરાયા હતા. જેમાં 46 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે.

ભરૂચ વિધાનસભા બેઠક માટે ભાજપના ઉમેદવાર રમેશ મિસ્ત્રીએ શક્તિનાથથી કલેકટર કચેરી ખાતે સંગઠન, કાર્યકરો અને સમર્થકોના પ્રચંડ જનસેલાબ સાથે ઉમેદવારી પત્ર ભર્યું હતું. પોતાની જીત નિશ્ચિત હોવાના પરચમ લેહરાવી દીધા હોવાનો માહોલ સર્જી દીધો હતો. કોંગ્રેસના ઉમેદવાર જયકાંત પટેલે પણ ડીજે અને ફટાકડાની ગુંજ સાથે આ વખતે પંજો ભરૂચ બેઠક ઉપર છવાઈ જશે તેવી ખાતરી સાથે પોતાની ઉમેદવારી નોંધાવી હતી.

જ્યારે આમ આદમી પાર્ટીમાંથી મનહર પરમાર પણ સમર્થકો અને પક્ષ સાથે વાજતે ગાજતે ઉમેદવારી પત્ર ભરવા આવી પોહચ્યા હતા. વાગરા બેઠક પરથી કોંગ્રેસના સુલેમાન પટેલે પણ પક્ષના આગેવાનો, કાર્યકરો અને સમર્થકોની મેદની સાથે શક્તિપ્રદર્શન સાથે ફોર્મ ભર્યું હતું. તો આપ ના જ્યેન્દ્રસિંહ રાજે પણ આજે તેમનું નામાંકન વાગરા બેઠક માટે ભર્યું હતું. એક બાદ એક ઉમેદવારો અને પક્ષોના બેન્ડ બાજા સાથે વરઘોડાને લઈ ભરૂચ જાણે સાત કલાક સુધી ચૂંટણીના મુરતિયાઓથી છવાયેલું રહ્યું હતું.

અંકલેશ્વર વિધાનસભા બેઠક ઉપર કોંગ્રેસમાંથી વિજયસિંહ પટેલે રેલી કાઢી ભાજપના ઉમેદવાર એવા પોતાના ભાઈ ઇશ્વરસિંહ સામે ઉમેદવારી નોંધાવી હતી. તેઓએ આગેવાનો તેમજ કાર્યકરો સાથે પ્રાંત કચેરીએ ઉમેદવારી નોંધાવવા પોહચ્યા હતા. જંબુસર બેઠક માટે કોંગ્રેસના ઉમેદવાર સંજય સોલંકીએ પણ આજે અંતિમ દિવસે શક્તિપ્રદર્શન સાથે પ્રાંત કચેરીએ પોતાનું ઉમેદવારી પત્ર ભર્યું હતું.

પાંચેય બેઠકો માટે ડમી સહિત કુલ 75 ભરાયેલા ફોર્મમાં 46 ઉમેદવાર નોંધાયા છે. ભરૂચ જિલ્લાની વાગરા વિધાનસભા માટે 20 ફોર્મ ભરાયા છે. જેમાં ભાજપ, કોંગ્રેસ, આપ, અપક્ષ સહિત કુલ 9 વ્યક્તિઓએ ઉમેદવારી કરી છે. જંબુસર બેઠક ઉપર વિવિધ પાર્ટી અને અપક્ષના 15 ફોર્મમાં 11 વ્યક્તિઓએ ઉમેદવારી નોંધાવી છે. ઝઘડિયા બેઠક ઉપર કુલ ભરાયેલા 18 ફોર્મમાં 11 વ્યક્તિઓ ચૂંટણી જંગમાં ઉતર્યા છે. અંકલેશ્વર બેઠક માટે કુલ 12 ફોર્મ ભરાયા છે. જેમાં 7 ઉમેદવાર નોંધાયા છે. જ્યારે ભરૂચ બેઠક ઉપર માત્ર 10 ફોર્મમાં 8 ઉમેદવારો રહેલા છે. હવે આવતીકાલે મંગળવારે ઉમેદવારી પત્રોની ચકાસણી અને ત્યારબાદ 17 મી એ પરત ખેંચવાની તારીખે ભરૂચ જિલ્લાની 5 બેઠકો માટે ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થશે.

ભરૂચ-દહેજ રોડ ઉપર ટેન્કર ચાલકે ટક્કર મારતાં એક મહિલાનું મોત

ભરૂચ-દહેજ રોડ ઉપર ગત મોડી સાંજે પુર ઝડપે આવતા એક ટેન્કરે ટર્ન મારી ઉભેલ બાઇકને ટકકર મારતા બાઇક પર પાછળ બેઠેલ મહિલાનું કરૂણ મોત નીપજ્યું હતું. જ્યારે ચાલકને નાની મોટી ઇજાઓ પહોંચી હતી.આ ઘટના અંગે પોલીસે વધુ તપાસ હાથધરી છે.

અકસ્માતના આ બનાવમાં ગત મોડી સાંજે ભરૂચ-દહેજ રોડ ઉપર ફરહાન યુનુશ દુધવાલા વોરા પટેલ તેનાં ફુવા ઇબ્રાહીમ વરેડીયાવાલા નાઓની હોન્ડા સ્પ્લેન્ડર મોટર સાયકલ નં. GJ 16 DD 2863 ની લઈ તેમના કુટુંબી ભાભી રીઝવાનાબાનુ ઇમરાન મુસા પટેલ ઉં.વ. ૩૪ રહે. દહેગામ રેહમત બંગ્લોઝ, ભરૂચ નાઓ સાથે ભરૂચ કામ અર્થે ગયા હતા.

તેઓ ભરૂચથી પરત દહેગામ ગામે ઉપરોકત મોટર સાયકલ ઉપર આવતા હતાં ત્યારે દહેગામ ગામનાં સ્ટેન્ડ નજીક રોડ ઉપર ગામમાં જવા માટે ટર્ન લઈ ઉભેલ હતા તે વખતે તેમના પાછળથી એક ટેન્કર ચાલક તેનું ટેન્કર પુર ઝડપે હંકારી લાવી બાઇકને ટક્કર મારતાં તેઓને સામાન્ય તથા પાછળ બેસેલ રીઝવાનાબાનુને ગંભીર ઇજાઓ પહોંચાડતા બંન્નેવને ભરૂચ પટેલ વેલ્ફેર હોસ્પીટલની એમ્બ્યુલન્સની વાનમાં ભરૂચ સીવીલ હોસ્પીટલમાં લવાતા હાજર તબીબે તપાસ કરી મરણ જાહેર કર્યા હતા.

આ ઘટનામાં ભરૂચ તાલુકા પોલીસ દ્વારા ટેન્કર નંબર GJ 06 AV 6355 ના ચાલકે બાઇક નં. GJ 16 DD 2863 ને ટક્કર મારી મોટર સાયકલ પાછળ બેસેલ રીઝવાનાબાનુને ગંભીર ઇજાઓ પહોંચાડી મોત નિપજાવી અને ફરિયાદીને પણ સાધારણ ઇજા પહોંચાડી ગુનો કરેલ હોય તેના વિરૂદ્ધ ફરીયાદ દાખલ કરી આ અંગે કાર્યવાહી કરવામાં આવી રહી છે.

વાગરાના ચાંચવેલ ગામે સામુહિક નિયાઝ બાદ 175 લોકોને ફૂડ પોઇઝનિંગની અસર

વાગરા તાલુકાના ચાંચવેલ ગામે રવિવારે સામુહિક નિયાઝ (સમૂહ ભોજન) બાદ 175 લોકોને ફૂડ પોઇઝનિંગની અસર થતાં ભરૂચ જિલ્લાની 108 એમ્બ્યુલન્સ, વહીવટી તંત્ર દોડતું થવા સાથે હોસ્પિટલો નાના બાળકો, મહિલા, યુવાનો તેમજ વૃધ્ધોથી છલકાઈ ઉઠી છે.

વાગરાના ચાંચવેલ ગામે 11મી નિયાઝનો કાર્યકમ રવિવારે બપોરે યોજાયો હતો. સામુહિક નિયાઝ આખા ગામ તરફથી આયોજિત કરાઈ હતી. જેમાં સ્વીટમાં હલવો, છાશ અને મટન બિરયાની રાખવામાં આવી હતી.

ભરૂચ જિલ્લામાં આજે 11 મી શરીફ ને લઈ મુસ્લિમ સમાજ માં કેટલાય ગામોમાં નિયાઝનો કાર્યકમ હતો અને એક ગામમાં 175 લોકોને ફૂડ પોઇઝનિંગ થતા જિલ્લા કલેકટર તુષાર સુમેરા, RDC એન.આર. ધાંધલ, જિલ્લા આરોગ્ય અધિકારી જે.એસ.દુલેરા સહિત તંત્ર અને આરોગ્ય વિભાગ દોડતું થઈ ગયું હતું.

જિલ્લા આરોગ્ય અધિકારી ડો. જ.એસ.દુલેરાએ વોચ ગુજરાતને જણાવ્યું હતું કે, ચાંચવેલ ગામે નિયાઝના કાર્યકમમાં બિરયાની આરોગતા ફૂડ પોઇઝનિંગની અસરમાં 175 થી દર્દીઓને વિવિધ હોસ્પિટલમાં દાખલ કરાયા છે. કોઈ પણ દર્દીની હાલત હાલ તો ગંભીર નથી અને તમામની સારવાર જે તે હોસ્પિટલમાં ચાલી રહી છે. ફૂડ પોઇઝનિંગમાં દર્દીઓમાં ગભરામણ, ચક્કર આવવા અને ઝાડા તેમજ ઉલ્ટીના લક્ષણો જણાયા હતા.

ભરૂચ ભાજપના રમેશ મિસ્ત્રીએ ભવ્ય રેલી સ્વરૂપે જનપ્રતિનિધિ તરીકે નોંધાવી ઉમેદવારી

ભરૂચ વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવાર રમેશ મિસ્ત્રીની ઉમેદવારી જાણે વિજય સરઘસ હોય તેવો માહોલ છવાયો હતો.

ભરૂચ શક્તિનાથ સ્થિત મધ્યસ્થ કાર્યાલયથી તેમના નામાંકનને વધાવી લેવા ભાજપના કાર્યકરો, આગેવાનો, સંગઠનના હોદેદારો, જનપ્રતિનિધિઓ સાથે સમર્થકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.ભવ્ય આવકાર, ડી.જે. અને ફટાકડા ફોડી જનસેલાબ વચ્ચે રમેશ મિસ્ત્રીએ ભરૂચ પ્રાંત અધિકારી સમક્ષ પોતાની ઉમેદવારી નોંધાવી હતી.

ભરૂચ વિધાનસભાની પ્રજાને આગામી પાંચ વર્ષ સુધી કોઈ પણ મુશ્કેલી નહીં પડે તેવી રમેશ મિસ્ત્રીએ ખાત્રી આપી હતી. ધારાસભ્યનું મધ્યસ્થ કાર્યાલય પાંચ વર્ષ સુધી શહેરની મધ્યમાં ધમધમતું રહેશે.ભૂતકાળમાં ન થયેલા ઐતિહાસિક કામો ભરૂચમાં 15 વર્ષમાં ધારાસભ્ય દુષ્યંત પટેલના નેતવુંત્વમાં થયા છે. આગામી પાંચ વર્ષમાં આ વિકાસયાત્રાને આગળ લઈ જવાની તેઓએ ખાત્રી આપી હતી.

વાગરાના ઉમેદવાર અરૂણસિંહ રણા એ પણ ભરૂચ બેઠક ઉપર કોઈ કચાશ નહિ રહે તેવો દ્રઢ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. જ્યારે સાંસદ મનસુખ વસાવા એ તો આપણે ચાર બેઠક જીતી જ ગયા છે બસ ઝઘડિયા બેઠક માટે જ વધુ મહેનત કરવાની વાત કરી હતી.

ભરૂચના ઉમેદવાર રમેશ મિસ્ત્રીના નામાંકન ભરવામાં ભરૂચ જિલ્લા પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયા, ભરતસિંહ પરમાર, મહામંત્રી નિરલ પટેલ, ફતેસિંહ ગોહિલ, ધર્મેશ મિસ્ત્રી સહિતના આગેવાનો જોડાયા હતા.

જુઓ શું કહ્યું એમ.પી.ના કેબીનેટ મંત્રી ડૉ.ભદૌરીયાએ ગુજરાતની ચુંટણીમાં ભાજપા વિષે !

ગુજરાત વિધાન સભા ચુંટણીમાં ભરૂચ વિધાન સભા મત વિસ્તારમાં કાર્યકર અને ઉમેદવારોના સમર્થનમાં ખાસ મધ્ય પ્રદેશ થી ભરૂચ પધારેલા સહકાર અને લોક સેવા પ્રબંધક વિભાગના કેબીનેટ મંત્રી ડો. અરવિંદસિંહ ભદૌરીયાએ રાજપુત છાત્રાલય ખાતે ન્યુઝલાઇન.ડીજીટલ સાથેની એક મુલાકત દરમિયાન ગુજરાતમાં બહુમતીથી ભાજપા વિજયી બનશેનો આશાવાદ વ્યક્ત કર્યો હતો.

તેમણે ગુજરાત વિધાનસભામાં ભરૂચ,વાગરા,જંબુસર,અંકલેશ્વર,ઝ્ઘડીયા ક્ષેત્રમાં ભાજપા તરફથી ઉમેદવારી કરતા ઉમેદવારો સાથે કાર્યકરો અને પુરી ભાજપની ટીમની સરાહનાકરી તેમના ઉત્સાહને જોતા ભારે બહુમતિ થી ભાજપા જ જીતશેનો આશાવાદ વ્યક્ત કરી આ જીત પાર્ટીના કાર્યકરો તેમજ જનતાની અને વિકાસની હશેનું કહ્યું હતું.

નર્મદાની નાંદોદ બેઠક પર ભાજપે ડૉ.દર્શના દેશમુખને ટિકિટ આપતા ભડકો!

નર્મદાની નાંદોદ બેઠક પર ભાજપે ડૉ.દર્શના દેશમુખને ટિકિટ આપતા  વિરોધ નાં સુર રેલાયા છે, 148 નાંદોદ વિધાનસભા માં ભાજપ ના કાર્યકરો દ્વારા વિરોધ આદિવાસી મોરચાના પ્રદેશ પ્રમુખ હર્ષદ વસાવા ના સમર્થનમાં આવ્યા.

નાંદોદ વિધાનસભા ના કાર્યકરો 148 નાંદોદ વિધાનસભાના ઉમેદવાર તરીકે ડૉ.દર્શના દેશમુખ નું નામ જાહેર કરવામાં આવ્યું છે. જેના કારણે નાંદોદ તાલુકાના કાર્યકરો માં વિરોધ જોવા મળી રહ્યો છે, નાંદોદ ભાજપના કાર્યકર્તાઓએ એકઠા થઇ આ ઉમેદવાર નો વિરોધ કરી હર્ષદ વસાવા ને અપક્ષ ઉમેદવારી કરવા આગ્રહ કરાયો. આ માટે કાર્યકર્તાઓ ફંડ પણ ઉઘરાવશે. તેમજ હર્ષદ વસાવા ભાજપ નાં તમામ હોદ્દાઓ પરથી રાજીનામું આપે તેવી પણ શક્યતાઓ વર્તાય રહી છે, તેમજ અપક્ષ માંથી ઉમેદવારી કરશે એવી કાર્યકરોની માંગ ઉઠવા પામી છે.

હર્ષદ વસાવાના સમર્થન માં ભાજપ ના હજારો કાર્યકર્તાઓ રાજીનામાં આપશે. સાંજ સુધી ભાજપ સંગઠન યોગ્ય નિર્ણય નહિ કરે તો મોટી સંખ્યામાં ભાજપ ના કાર્યકરો તમામ હોદ્દા પરથી રાજીનામું આપશે.

  • રિપોર્ટર: સર્જન વસાવા,ન્યુઝલાઇન,દેડીયાપાડા

નર્મદાની 149 ડેડિયાપાડા વિધાનસભા બેઠક ના ઉમેદવારની પસંદગીમાં ભાજપા માં મૂંઝવણ !

  • પુર્વ વન મંત્રી મોતિસિંહ વસાવા , જીલ્લા પંચાયત ના બે પુર્વ પ્રમુખો શંકર વસાવા, મનજી વસાવા સહિત નાઓ વચ્ચે ટિકિટ માટે કાંટા ની હરીફાઈ

ગુજરાત વિધાનસભા ની ચુંટણી ઓનો ધમધમાટ શરૂ થતાં રાજકિય પક્ષો પોતાનાં ઉમેદવાર જાહેર કરવાની કવાયદ મા લાગ્યા છે ત્યારે નર્મદા જીલ્લા ની 148 નાંદોદ વિધાનસભા બેઠક માટે ભાજપ  ના ઉમેદવાર તરીકે ડૉ. દર્શનાબેન દેશમુખ ની જાહેરાત કરવામાં આવી છે,ત્યારે હજી 149 ડેડિયાપાડા વિધાનસભા બેઠક માટે ના ઉમેદવાર જાહેર કરવામાં ભાજપા એ સમય લીધો છે, અને હજી સુધી જાહેરાત કરવામાં આવી નથી.

ડેડીયાપાડા વિધાનસભા બેઠક ઉપર BTP સાથે છેડો ફાડી ને આમ આદમી પાર્ટી મા જોડાયેલ ચૈતર વસાવા ને આમ આદમી પાર્ટી એ પોતાના ઉમેદવાર તરીકે જાહેર કરી દીધા છે, તેઓ આદિવાસી વિસ્તારોમાં સારી પકડ ધરાવે છે, હાલ ઍક પ્રબળ અને મજબુત ઉમેદવાર તરીકે ઉપસી આવ્યા છે ત્યારે અન્ય રાજકિય પક્ષો માટે ભારે મુંજવણ ઉભી થઇ છે,આ બેઠક ઉપર અગાઉ BTP નાં મહેશ વસાવા ધારાસભ્ય તરીકે હજી ચાલુજ છે પરંતુ ચૈતર વસાવા ની આમ આદમી પાર્ટી ના ઉમેદવાર તરીકે જાહેરાત થતાં મહેશ વસાવા ને ડેડીયાપાડા છોડવું પડ્યું છે, તેઓ ઝઘડિયા થી તેમનાં પિતા ધારાસભ્ય છોટુભાઇ વસાવા ની બેઠક પરથી ચૂંટણી લડશે ની જાહેરાત કરવામાં આવી છે.

હજી સુધી કોંગ્રેસ અને ભાજપના ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા નથી!! હા  BTP એ પોતાનાં પર છોટુભાઇ વસાવા માત્ર પરીવાર નેજ પ્રોત્સાહન આપતા હોવાનાં આરોપો આદિવાસી સમાજ દ્વારા લાગતા BTP એ ડેડિયાપાડા બેઠક બહાદુર વસાવા ને ફાળવી છે.જોકે આ મામલે હજી પણ BTP અને ભાજપા વચ્ચે સમાધાન બેઠકો માટે સંધાય ની ચર્ચાઓ ચાલી રહી છે, જો આવું થાય તો ડેડીયાપાડા બેઠક પર પુનઃ મહેશ વસાવા આવી જાય અને ઝઘડિયા વિધાનસભા ની બેઠક ભાજપા ના ફાળે જાય પરંતુ આ તો લોકો ની વાતો છે.ભાજપા ના ઉમેદવાર તરીકે ડેડીયાપાડા બેઠક માટે પુર્વ વન મંત્રી મોતિસિહ વસાવા, શંકરભાઈ વસાવા, મનજીભાઈ વસાવા સહિત ફૂલસિંગ વસાવા દાવેદારો મનાઈ રહયા છે ત્યારે જોઇએ આમાંથી કોઈ ની પસંદગી થાય છે કે પછી કોઈ નવોજ ચેહરો ભાજપા ઉમેદવાર તરીકે મેદાન મા ઉતરે છે.

  • રિપોર્ટર: સર્જન વસાવા,ન્યુઝલાઇન,દેડીયાપાડા

ભરૂચ જિલ્લાની પાંચ પૈકી 3 બેઠકો ઉપરથી ભાજપાના ઉમેદવારોએ ઉમેદવારી પત્રો ભર્યા

  • વાગરાના ઉમેદવાર અરૂણસિંહ રણાએ જંગી રેલી સાથે કર્યું શક્તિ પ્રદર્શન
  • અંકલેશ્વર ખાતે ઈશ્વરસિંહ પટેલે વિશાળ રેલી કાઢી ઉમેદવારી પત્ર ભર્યું
  • જંબુસર ખાતે પણ ડી.કે.સ્વામીએ સંતોના આશીર્વાદના સથવારે ફોર્મ ભર્યું

આજરોજ ભરૂચ જિલ્લાની 3 બેઠકો ઉપર ભાજપાના ઉમેદવારોએ પોતાના ઉમેદવારી પત્ર ભર્યા હતા. વાગરા, અંકલેશ્વર તથા જંબુસર બેઠકના ઉમેદવારોએ પોતાના ફોર્મ ભર્યા હતા.

તા. 1 ડિસેમ્બરના રોજ યોજાનાર ચૂંટણી માટે ભાજપા દ્વારા ભરૂચ જિલ્લાની પાંચેય બેઠકો ઉપર ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે. ભરૂચ બેઠકના ઉમેદવારોએ ફોર્મ ભરવાની અંતિમ તારીખ 14 નવેમ્બર છે ત્યારે આજરોજ 3 ઉમેદવારોએ પોતાના ફોર્મ ભર્યા હતા. વાગરા બેઠકના ભાજપાના ઉમેદવાર અને વર્તમાન ધારાસભ્ય અરૂણસિંહ રણા દ્વારા રાજપૂત છાત્રાલય ખાતેથી જંગી રેલી કાઢવામાં આવી હતી અને શક્તિ પ્રદર્શન સાથે તેઓ કલેક્ટર કચેરી જવા રવાના થયા હતા. તેઓએ સ્ટેચ્યુ પાર્ક ખાતે મહાનુભાવોની પ્રતિમાને ફુલહાર પણ કર્યા હતા. અને ત્યાર બાદ કલેક્ટર કચેરી ખાતે જઈ ઉમેદવારી પત્ર ભર્યું હતું. તેઓ સાથે ભરતસિંહ પરમાર, ભરૂચના ઉમેદવાર રમેશ મિસ્ત્રી, ફતેસિંહ ગોહિલ સહિતના ભાજપાના આગેવાનો  જોડાયા હતા.

અંકલેશ્વર ખાતે વર્તમાન ધારાસભ્ય અને ભાજપાના ઉમેદવાર ઈશ્વરસિંહ પટેલે પણ ઉમેદવારી પત્ર ભર્યું હતું. ઢોલ નગારા સાથે તેઓ પ્રાંત અધિકારીની કચેરી ખાતે પહોંચ્યા હતા. તાલુકાના પ્રભારી દિવ્યેશભાઈ પટેલ, નગરસેવક સંદીપભાઈ પટેલ, તાલુકા પંચાયત ના પ્રમુખ, પાલિકા પ્રમુખ તેમજ મંડળના પ્રમુખ સહિત મોટી સંખ્યામાં પોતાના સમર્થકો સાથે ઉમેદવારી પત્ર ભર્યું હતું.

જંબુસરના ઉમેદવાર ડી.કે.સ્વામી એ પણ આજે પોતાની ઉમેદવારી નોંધાવી હતી. સંત સમુદાય તેમજ જિલ્લા ભાજપ પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયા, પૂર્વ ધારાસભ્ય છત્રસિંહ મોરી, નિરલભાઈ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ અલ્પાબેન પટેલ સહિત સમર્થકોની હાજરીમાં તેઓએ પોતાનું ફોર્મ રજુ કર્યું હતું.

ભરૂચ જિલ્લા વિધાનસભાની પાંચ બેઠકો ઉપર ભાજપના ઉમેદવારો જાહેર

ભારતીય જનતા પાર્ટીએ ભરૂચ જિલ્લાની પાંચ બેઠકો ઉમેદવાર જાહેર કરતા જ જિલ્લા સંગઠનમાં ખુશીની લહેર સાથે ઉમેદવારોને વધાવી લેવાયા હતા.

ભરૂચ જિલ્લાની પાંચ વિધાનસભા બેઠકમાં અંકલેશ્વરમાં ઇશ્વરસિંહ પટેલનની પાંચમી ટર્મ માટે પણ પસંદગી ઉતારાઈ છે. વાગરા વિધાનસભા બેઠક માટે ત્રીજી વખત અરૂણસિંહ રણાને ટિકિટ અપાઈ છે. જ્યારે ભરૂચ બેઠક ઉપર વર્ષ 2002 થી 2007 માં ધારાસભ્ય રહેલા અને 11006 મતો થી વિજેતા બનેલા રમેશભાઈ મિસ્ત્રીને ટિકિટ અપાઈ છે.

જંબુસર બેઠક ઉપર ભાજપે સંત અને નાહીયેર ગુરુકુળના સંચાલક ડી.કે.સ્વામીને ઉમદેવાર જાહેર કર્યા છે. તો આદિવાસી ઝઘડિયા બેઠક માટે તાલુકા પંચાયતના અધ્યક્ષ રિતેશ વસાવાની ઉમેદવાર તરીકે પસંદગી કરવામાં આવી છે.

ભરૂચ જિલ્લાની પાંચ બેઠકો ઉપર ઉમેદવારોના નામ જાહેર થતા જ આગેવાનો અને કાર્યકરોમાં ખુશી વચ્ચે તેઓન3 વધાવી લઈ શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. ભરૂચ કસક સ્થિત જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે ભરૂચ વિધાનસભા બેઠકના ઉમેદવાર રમેશભાઈ મિસ્ત્રીનું જિલ્લા ભાજપ સંગઠન દ્વારા ફટાકડા ફોડી ઉષ્માભેર અભિવાદન કરાયું હતું. આગેવાનો અને કાર્યકરોએ તેમને હાર પહેરાવી શુભેચ્છાઓ પાઠવી હતી.

ભરૂચ ભાજપના ઉમેદવાર રમેશભાઈ મિસ્ત્રીએ કહ્યું હતું કે, ભાજપનો દરેક ઉમેદવાર કાર્યકર્તા જ છે. અને પ્રજા સહિત સંગઠનના સાથ સહકારથી વિજયી થઈ વિકાસને વેગ આપવા કટિબદ્ધ છે.

આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયા, મહામંત્રી નિરલ પટેલ, દિવ્યેશભાઈ પટેલ, પૂર્વ પ્રદેશ મહામંત્રી ભરતસિંહ પરમાર સહિતના કસક ખાતે રમેશભાઇ સહિત અન્ય અન્ય ઉમેદવારોના ટિકિટના વધામણાંમાં જોડાઈ તેઓને શુભેચ્છા પાઠવી હતી.

આમોદના કુરચણ ગામે ઉછીના રૂપિયાની લેનદેનમાં મિત્રોએ મિત્ર પર કર્યો હૂમલો

આમોદ તાલુકાના કુરચણ ગામે ઉછીના લીધેલાં 800 રૂપિયાની લેન-દેન મુદ્દે યુવાન પર 3 જણાએ હુમલો કરી ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. આ બનાવ સંદર્ભે આમોદ પોલીસ મથકે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આમોદના કુરચણ ગામે આવેલી નવી નગરી ખાતે રહેતાં અરવિંદ વેચાણ વસાવાએ ગામમાં રહેતાં કનુ રણછોડ પટેલ પાસેથી એક મહિના પહેલાં 800 રૂપિયા ઉછીના લીધાં હતાં. દરમિયાનમાં તેઓ ગામમાં રહેતાં જગદીશના ઘરે અન્ય મિત્રો સાથે બેઠાં હતાં.

તે સમયે ગામમાં જ રહેતાં કોકીલા મંગળ વસાવા, હિતેન દિનેશ વસાવા તેમજ દિનેશ ડાહ્યા વસાવા તેમની પાસે આવ્યાં હતાં. તેમણે જણાવ્યું હતું કે, કનુભાઇ પાસેથી તે 800 રૂપિયા લીધા હતાં તે હવે તારે મને આપવાના છે. જેથી અરવિંદે તેમને જણાવ્યું હતું કે, કનુભાઇએ તેમને કહ્યું છે કે આ રૂપિયા એમના સિવાય અન્ય કોઇને તારે આપવાના નથી. તેમ છતાં દિનેશે ઉશ્કેરાઇ જઇ તેની પાસેથી રૂપિયાની માંગણી કરવા સાથે તેને અપશબ્દો ઉચ્ચારી ઝઘડો કર્યો હતો.

આ મામલો ગરમાતાં દિનેશનું ઉપરાણું લઇ કોકીલા મંગળ વસાવા તેમજ હિતેન દિનેશ વસાવાએ પણ તેમના પર હુમલો કરી માર મારી ઇજાઓ પહોંચાડી હતી. આપાસના લોકોએ તેમને વધુ મારથી બચાવ્યાં હતાં. જોકે, તેઓએ આજે તો તુ બચી ગયો છે ફરી મળીશ તો જાનથી મારી નાખીશ તેવી ધમકીઓ આપી હતી. ઇજાગ્રસ્તને સારવાર માટે નજીકના આરોગ્ય કેન્દ્રમાં ખસેડાયાં હતાં. બનાવ સંદર્ભે આમોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાતાં પોલીસે ગુનો નોંધી આગની કાર્યવાહી હાથ ધરી છે.

error: Content is protected !!