The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

Home Blog Page 26

જંબુસર ના દોડવીરને ઇન્ટર નેશનલ ઓલિમ્પિક કમિટી દ્વારા સર્ટિફિકેટ એનાયત

જંબુસર ના દોડવીર ને ઇન્ટર નેશનલ ઓલિમ્પિક કમિટી દ્વારા સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યું હતું.

નેશનલ ઓલિમ્પિક કમિટી દ્વારા, બરોડા ડિસ્ટ્રીકટ એમેચોયર એથ્લેટીક અસોસીયેશન તથા ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિયેશન, ગુજરાત સ્ટેટ ઓલિમ્પિક એસોસિયેશન, ગુજરાત સ્ટેટ એથલેટિક એસોસિયેશન ના સાથ અને સહકાર થી તા. ૨૫ જૂન ૨૦૨૩ ના રોજ વડોદરા મુકામે “ઓલિમ્પિક ડે” ની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં રમતવીરોએ ભાગ લીધો હતો.

આ “ઓલિમ્પિક ડે” માં જંબુસર ના જાણીતા ૬૫ વર્ષ ના દોડવીર હસમુખ જંબુસરિયા એ પણ ભાગ લીધો હતો અને તેઓને “ઓલિમ્પિક ડે” માં ભાગ લેવા બદલ ઇન્ટર નેશનલ ઓલિમ્પિક કમિટી તરફથી સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યું હતું.

આપણું જીવન માત્ર દેહના માટે જ નહિ પણ દેવત્વ પ્રગટાવવા માટે છે… જૈનાચાર્ય રાજયશસુરિશ્વરજી

આજના જમાનામાં તમે જાણો છો કે ધંધા વ્યાપાર કે સારી પોસ્ટ માટે માત્ર સારી ડિગ્રી જ નહી પણ સારા અનુભવ ની પણ વિશિષ્ટ માંગ રહે છે. અનુભવ નુ ઘણું મોટું મૂલ્ય છે.

જૈનાચાર્ય રાજયશસુરિ મહારાજે ઉકતાશય ના ઉદ્દગાર વિશાળ સભાને ઉદબોધન કરતા જણાવેલ કે માનવભવની દુર્લભતા અને આત્માની વાત સમજનાર સંસારી જીવની વિવશતા છે કે એનું ઘણુંખરું જીવન શરીરને કેન્દ્રિત થઈને જ ચાલતું હોય છે. શરીરને આહાર પાણી આપવા આવશ્યક તો છે જ પરંતુ એ આપવા માત્રથી શરીરની આવશ્યકતા પૂરી થઈ જતી નથી. ક્યારેક તો એવું લાગે છે કે શરીરને માટે સામગ્રી એકત્રિત કરવામાં જ જીવન પૂર્ણ થઈ જાય છે.

કોઈ શાયરે કહ્યું છે તેમ ” સામાન સો બરસ કા, પલ કી ખબર નહીં ” એક શેઠે એક આલીશાન બંગલો બનાવ્યો અને આલીશાન ફર્નિચર માટે સ્પેશિયલ ઊંચી ક્વોલિટીનુ લાકડું મંગાવ્યું. કારીગરોને કહે કે મોંઘુ એવું આ લાકડું સો વરસ ચાલે તેમ છે. કામ સારું કરજો. શેઠે કારીગરોને આ એક ની એક વાત બે ત્રણ વાર કહી એટલે કારીગરે ગુસ્સાથી કહ્યું…. શેઠ તમને પંચોતેર વર્ષ તો થઈ ગયા છે. શું તમે બસો વર્ષ જીવવાના છો?.

આયુષ્યને જૈન ધર્મની ફિલોસોફી પ્રમાણે પ્રાણ માનવામાં આવે છે. માનવને દશ પ્રાણ હોય છે. પાંચ ઇન્દ્રિય, મનબળ, વચનબળ, કાયબળ, શ્વાસોચ્છવાસ અને આયુષ્ય. આયુષ્ય પુરૂ થઈ જાય છે ત્યારે માનવનું મૃત્યુ થઈ જાય છે. લોક વ્યવહારમાં પણ આપણે બોલીએ છીએ કે ફલાણી વ્યક્તિના પ્રાણ ચાલ્યા ગયા.આચાર્ય એ જણાવેલ કે માત્ર દેહના માટે જ નહિ પણ દેવત્વ પ્રગટાવવા માટે આપણું જીવન છે. અને આ વાતને જીવનમાં દ્રઢ કરવા માટે જ શાસ્ત્રકારોએ મૂર્તિપૂજા અને મૂર્તિપૂજા ના વિકાસ અને વિસ્તારને મહત્વ આપ્યું છે.

મૂર્તિપૂજા ના માધ્યમથી જ બાળકમાં પ્રભુ પ્રત્યે પૂજ્યભાવ પ્રગટે છે. ધર્મ સંસ્કારો શીખવા મળે છે. બાળકમાં દાન અને ત્યાગના બીજ રોપાય છે.આચાર્ય એ બાળકોના સંસ્કારો  પર ભાર મૂકતાં જણાવેલ કે ગુજરાતમાં એવી સ્કૂલો તૈયાર થઈ ગઈ છે કે જ્યાં વગર પરીક્ષાએ પણ શાસ્ત્રોમાં બતાવેલી કળાઓ શીખવવામાં આવે છે. અમારી પાસે તપોવનના બાળકો આવે છે તો તેઓના સંસ્કાર-વિનય-વંદનવિધિ અને આલાપ-સંલાપ પરથી ખબર પડી જાય કે આ તપોવનનો સંસ્કારિત વિદ્યાર્થી છે.

શ્રીમતી જયાબેન મોદી હોસ્પિટલમાં અદ્યતન સુવિધા યુક્ત એક્ષ-રે 400 મશીન નું લોકાર્પણ

અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ ડેવલોપમેન્ટ સોસાયટી સંચાલિત શ્રીમતી જયાબેન મોદી હોસ્પિટલમાં એક્ષ-રે 400 મશીન નું લોકાર્પણ કરવામાં આવ્યું.

જેમાં ટ્રસ્ટના ચેરમેન રાજેન્દ્રભાઈ ગાંધી દ્વારા એક્ષ-રે ૪૦૦ મશીનનું લોકાર્પણ કરવામાં આવ્યું. આ એક્ષ-રે મશીનની ખાસિયત એ છે કે તે 400 ma ફ્રિકવન્સી ધરાવે છે. ખૂબ જ ઓછા સમયમાં સારી ગુણવત્તા યુક્ત એક્સ-રે પાડી શકાય છે. ટેબલ મુવેબલ મશીન છે. રેડીએશન ઓછું અને ક્વોલિટી સારી તેમજ હાઈફ ફ્રિકવન્સી હોવાથી ચરબી યુક્ત વ્યક્તિનો પણ સારી ગુણવત્તા  યુક્ત એક્સ-રે પાડી શકાય છે. ટેબલની કેપેસિટી 200 કિલોગ્રામ સુધીની છે, ટચ સ્ક્રીન LCD તેમજ LES કોલીમોટર તેમજ ઓટો સિલેક્ટ અને મેન્યુઅલ બંને પ્રકારના વિકલ્પો આ મશીનમાં ઉપલબ્ધ છે.

આ પ્રસંગે ટ્રસ્ટ ના ચેરમેન રાજેન્દ્રભાઈ ગાંધીએ જણાવ્યું હતું કે અદ્યતન ટેકનોલોજી યુક્ત આ મશીન દ્વારા લોકોનું સચોટ પણે નિદાન થઈ શકે. તેમજ લોક સ્વાસ્થ્ય સુધરે તે માટે હોસ્પિટલ દ્વારા વસાવવામાં આવતી રહેલી અદ્યતન સુવિધાઓ માટે હોસ્પિટલનો ખુબ ખુબ આભાર વ્યક્ત કર્યો હતો તેમજ લોક સ્વાસ્થ્ય સુધરે તે માટે હકારાત્મક અભિગમ વ્યક્ત કર્યો હતો.

આ લોકાર્પણ નિમિત્તે ટ્રસ્ટના સેક્રેટરી અશોકભાઈ પંજવાની, ટ્રસ્ટી કમલેશભાઈ ઉદાણી, જનરલ મેનેજર ડો. નીનાદ ઝાલા તેમજ હોસ્પિટલના ડે. મેડિકલ સુપ્રિટેન્ડેન્ટ ડો. આત્મી ડેલીવાલા ઉપસ્થિત રહ્યા હતા.

વરસાદ પડે એટલે ગુજરાતના આ ધોધનું કુદરતી સૌંદર્ય સોળે કળાએ ખીલી ઊઠ્યું!(VIDEO)

વરસાદની સિઝન આવે એટલે પ્રવાસીઓ વિવિધ ધોધ જોવા ઉમટી પડે છે. ત્યારે નેત્રંગમાં આવેલા ધાણીખૂટનો ધારિયા ધોધ પણ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.

નર્મદા અને કરજણ સહીત અનેક નદીઓનું સાનિધ્ય ધરાવતા ભરૂચમાં કુદરતી સૌંદર્યનો અખૂટ ખજાનો સમાયેલો છે. ભરૂચના વાલિયામાં ઘાણીખૂટ નજીક આવેલો ધારીયા ધોધ ચોમાસામાં અનેરું આકર્ષણ જમાવે છે. નદીનો ધસમસતો પ્રવાહ પહાડોમાં માર્ગ શોધી જયારે અહીં પહોંચે છે ત્યારે કુદરતનું સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠે છે.

ભરૂચથી નજીક હોવાના કારણે લોકો અહીં એક દિવસનો પ્રવાસ માણે છે. વાલિયા અને નેત્રંગ જેવા પહાડી વિસ્તારમાં પથ્થરોમાંથી પડતા પાણીનો આહલાદક નજારો જોવા રાજ્યભરમાંથી પ્રવાસીઓ આવતા હોય છે. નેત્રંગ તાલુકાના ઘાણીખુટ ગામે ધારીયાધોધ કરજણ નદીની સુંદરતા બેવડાવે છે. આ જગ્યા સહેલાણીઓ માટે એક પર્યટનનું નવું અને મનગમતું સ્થળ તરીકે આકાર લઈ રહ્યું છે.

આ ગામનો પૌરાણિક ઇતિહાસ પણ છે. પ્રાચીન સમયે ધાણીખુંટ ગામ ધાણીખુંટ રાજ્ય તરીકે જાણીતું હતું. કરજણ નદીના કિનારે આદિવાસી રાજા તારામહલ અને રાણી ઉમરાવણું એ ધાણીખુંટ રાજ્ય વસાવેલું હતું. આ રાજ્યનો કારભાર રાજા દ્વારા ચલાવવામાં આવતો હતો. રાજા તારામહલ બાદ, તેમના રાજકુંવરોએ ધાણીખૂટ રાજ્યનો કારભાર સંભાળ્યો હતો. આજે પણ ધાણીખુંટ વિસ્તારમાં એ સમયના પ્રાચીન અવશેષો જોવા મળે છે. અહીં પૌરાણિક અવશેષોમાં હાથીના પગલાં, બકરીના પગલાં, આરામ ખુરશી સહિતના અવશેષો જોવા મળે છે.

કોંઢ વટારીયા ગામ વચ્ચે 225 ટાયરવાળું ટ્રેલર નાળા પર ફસાયું

અંકલેશ્વરથી વાલીયા તરફ હેવી ટ્રક ટ્રેલર કોંઢ અને વટારીયા ગામની વચ્ચે આવેલ નાળા ઉપર ચડતી વખતે ખાડાને લીધે વધુ તાકાત કરવા જતા એન્જિન બગડી ગયું હતું જેને લઇ ટ્રાફિકની મોટી સમસ્યા સર્જાઇ હતી.

ગ્લોબ ઇકોલોજિસ્ટિક પ્રાઇવેટ લિમિટેડનું વોલ્વો ટ્રક ટ્રેલર GJ 01 DY 9221 આણંદથી 200 ટન વજનનું ટ્રાન્સફોર્મર 225 ટાયર વાળા ટ્રેલરમાં ભરી કર્ણાટકના બેંગલોર ખાતે જઈ રહ્યું હતું .જેણે અંકલેશ્વર થી નેત્રંગ જતા રાજ્ય ધોરીમાર્ગ ઉપર હંકારી કોંઢ ગામથી આગળ વળાંક ઉપર કોતરના નાળા ઉપર પડેલા ઊંડા ખાડાને લીધે તેમ જ ટેકરો ચડાવતા ટ્રકને તાકાત કરતા એન્જિનમાં ખામી સર્જાઈ ગઈ હતી . આ 225 પૈડા વાળું ટ્રક ટ્રેલર નાળા ઉપર જ ફસાઈ ગયું હતું.

જેને લીધે તેને રસ્તામાં પડેલા ખાડાને કારણે ભારે નુકસાન થયું હતું અને નેત્રંગ તેમજ અંકલેશ્વર તરફથી આવતા વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી .અંકલેશ્વર નેત્રંગ રાજ્ય ધોરીમાર્ગ વર્ષોથી બિસ્માર હાલતમાં હોય પરંતુ માર્ગ અને મકાન વિભાગ વર્ષોથી નિંદ્રાધીન બેદરકાર થઈને લોકોને નુકસાન કરી રહ્યું છે .આ બાબતની આવનાર દિવસોમાં ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવશે અને વાહન ચાલકો આક્રોષ વ્યક્ત કરી રહ્યા છે.

લખીગામના માછીવાડમાં કોલસીયુક્ત પાણી ભરાતા ગ્રામજનોમાં રોગચાળાની દહેશત

વાગરાના લખીગામમાં ભારે વરસાદ વરસ્યો હતો. જેના પગલે ગામમાં આવેલી અદાણી કંપનીમાં વરસાદી પાણીનો ભરાવો થતાં કંપનીમાં ખુલ્લામાં મુકેલાં કોલસીના જથ્થાને કારણે ચારેય તરફ કોલસીયુક્ત પાણી ભરાઇ ગયાં હતાં. કંપનીએ કોલસીયુક્ત પાણી વરસાદી કાસમાં છોડતાં નજીકમાં આવેલાં માછીવાડ વિસ્તારમાં કોલસીયુક્ત પાણી ભરાઇ આવતાં લોકોના સ્વાસ્થ્ય સામે પ્રશ્ન ઉભો થયો હતો. ત્યારે ઘટનાને લઇને સીએમ તેમજ સીપીસીબી સુધી ફરિયાદ કરવામાં આવી છે.

એક જાગૃત નાગરિક દ્વારા પીએમ,સીએમ તેમજ જીપીસીબી અને સીપીસીબીને કરાયેલી ફરીયાદમાં જણાવ્યું હતું કે, 23મી જૂલાઇએ તેમના વિસ્તારમાં ભારે વરસાદ પડેલો હોય અને અદાણી કંપનીએ ગેરકાયદેસર રીતે મોટા જથ્થામાં ખુલ્લામાં સ્ટોરેજ કરેલો કોલસો વરસાદના પાણીમાં ભેગો મળી ગયેલો છે અને કંપનીના ગેરકાયદેસરના બાંધકામને કારણે અદાણી કંપનીની કોલસીવાળું પાણી અદાણી કંપની દ્વારા યોગ્ય રીતે નિકાલ કરવાની કોઈપણ પ્રકારની કાયદેસરની સુવિધાઓ ના હોવાને લીધે કંપનીના અંદરના વિસ્તારમાં કોલસીવાળું પાણી મોટી માત્રામાં ફેલાઈ ગયેલું છે.

આ કોલસીવાળું પાણીનો કાયદેસરની પ્રક્રિયા કરી નિકાલ કરવાની અદાણી કંપની પાસે કોઈ આયોજન કે સુવિધાઓ નહીં હોવાને કારણે અદાણી કંપનીએ આ કોલસીવાળું પાણીને નદી/દરિયામાં જતી વરસાદી પાણીની ગટર લાઈન મારફતે નદી/દરિયામાં છોડી દીધું છે.જેને લીધે અદાણી કંપની મારફતે છોડેલું કોલસીવાળું પાણી અમારા માછીવાડ વિસ્તારમાં મોટી માત્રામાં ભરાઈ ગયેલું છે અને આ કોલસીવાળું પાણી લોકોના ઘરોમાં પણ પ્રવેશી ગયેલું છે. અદાણી કંપનીના આ ગેરકાયદેસરના કૃત્યને લીધે આ વિસ્તારમાં મોટા પ્રમાણમાં રોગચાળો ફેલાય તેવી પરિસ્થિતિ ઉભી થયેલી છે

ભરૂચમાં પ્રેમીને શોધતી સગીર પ્રેમિકાને ભેટો કરાવવાના બહાને લઈ જઈ આચરાયું દુષ્કર્મ

ભરૂચમાં પ્રેમીને શોધતી સગીર પ્રેમિકાને ભેટો કરાવવાના બહાને લઈ જઈ આચરાયેલા દુષ્કર્મમાં બે પરપ્રાંતીય સફાઈ કામદારોને પોલીસે ગણતરીના કલાકોમાં લોકઅપ ભેગા કર્યા છે. ભરૂચમાં તંત્ર અને કામે રાખતા કોન્ટ્રાક્ટરો માટે પણ કડક શીખ લેવા જેવો ગંભીર ગુનાનો કિસ્સો સામે આવ્યો છે.

ભરૂચના તુલસીધામ વિસ્તારમાં એક 15 વર્ષ અને 6 મહિનાની સગીરા શનિવારે સાંજે તેના પ્રેમી અલ્કેશને શોધી રહી હતી. ત્યારે જ તેના પર ખબર નજર રાખી રહેલા મૂળ મધ્યપ્રદેશના જાંબુવાના અનિલ ભુરિયા અને વિજય વસુનિયા તેની પાસે આવ્યા હતા. અમે અલ્કેશને ઓળખીએ છીએ. ચાલ તને તેની પાસે લઈ જઈએ કહી બન્ને તેને મકતમપુર લઈ ગયા હતા.

એક કાચા ઝૂંપડામાં પ્રેમીને શોધતી સગીરાને બન્ને હવસખોર લઈ જઈ એકે તેનું મોઢું દબાવ્યું હતું. જ્યારે બીજાએ દુષ્કર્મ આચર્યું હતું. સગીરાના મોઢા પરથી એક હવસખોરનો હાથ હટતાં જ તેને બુમરાણ મચાવતા ગભરાયેલા બંને આરોપી નાસી છૂટ્યા હતા. સગીરા પણ બહાર આવી જતા સ્થાનિકો ભેગા થઈ ગયા હોય બંનેની ચુંગાલમાંથી છટકી ગઈ હતી.

ઘટનાની બીજી તરફ વાત હતી સગીરાના ગામની જ્યાં તેના પ્રેમી અલ્કેશ વિશે ગામમાં અને પરિવારજનોને જાણ થઈ ગઈ હતી. ચાર દિવસ પેહલા આ ખબર પડી જતા પ્રેમી ગામ છોડી જતો રહ્યો હતો. પ્રેમીને શોધતી શોધતી સગીરા ભરૂચ આવી પોહચી હતી. જ્યાં બંને હાલ શહેરમાં સફાઈ કામ કરતા હવસખોરોના બદઈરાદાનો ભોગ બની હતી.

શનિવારે રાતે જ સગીરાના પિતાએ પુત્રી સાથે દુષ્કર્મની ફરિયાદ સી ડિવિઝન પોલીસ મથકે કરાવતા પોલીસ આ ગંભીર અને સંવેદનશીલ ગુનાને લઈ કવિક એક્શનમાં આવી હતી. ગણતરીના કલાકમાં બંને આરોપીને પકડી લેવાયા હતા. જે અંગે ભરૂચ SP ઓફિસે DYSP એસ.કે.પટેલે પત્રકાર પરિષદ યોજી મીડિયાને માહિતી આપી હતી.

માત્ર બે ઇંચ વરસાદે જ ભરૂચ નગરના હાલ બેહાલ..!

ભરૂચમાં માત્ર બે ઇંચ વરસેલા વરસાદે નગરના હાલ બેહાલ કરવા સાથે લોકોને મુસીબતમાં મૂકી દીધા હતા.

હવામાન વિભાગના એલર્ટ વચ્ચે ભરૂચ જિલ્લામાં શનિવારથી જ મેઘરાજાનો મુકામ સમયાંતરે જોવા મળ્યો હતો. રવિવારે સવારે ભરૂચ, અંકલેશ્વર, વાગરા અને ઝઘડિયામાં મેઘરાજા મનમૂકીને વરસી પડતા નીચાણવાળા વિસ્તારો પાણીથી તરબતર કરી દીધા હતા.

ભરૂચમાં પાલિકા તંત્રના આયોજન અને કામગીરીના અભાવે નગરજનોએ અનેક સમસ્યાઓ ભોગવવાનો વારો આવ્યો હતો. ગાંધીબજારમાં અધૂરી છોડલી કામગીરી ના પગલે ખુલ્લી ગટરમાં એક બાળક ખાબક્યો હતો. જોકે તેને આસપાસના લોકોએ તુરંત બહાર કાઢી બચાવી લીધો હતો.

ફુરજા વિસ્તારમાં તો વરસાદી પાણી વચ્ચે ખુલ્લી ગટરો છલકાતા જાણે ધસમસતા વહેણમાં રેલ આવી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. વેપારીઓની દુકાનોમાં પાણી ઘુસી જતા માલ સામાન બચાવવા દોડધામ મચી ગઇ હતી.ભાગકોટમાં વરસાદ વચ્ચે દીવાલ ધરાશય થઈ હતી. તો ચિંગસપુરામાં પાણી ભરાવા સાથે ગંદકીથી લોકો ત્રસ્ત બન્યાં હતા. સોનેરી મહેલ આચારવાડની ખડકીમાં ભુવો પડતા લોકોની અવરજવર બાધિત થવા સાથે રોષ જોવા મળ્યો હતો.

સવારે 10 વાગ્યા સુધીમાં ભરૂચમાં 59 મિમી, વાગરા 49 મિમી, અંકલેશ્વર 43 મિમી અને ઝઘડિયા 42 મિમી વરસાદ નોંધાયો હતો. જ્યારે જંબુસરમાં 25 મિમી, આમોદમાં 24 મિમી, વાલિયા 14 મિમી, નેત્રંગ 11 અને હાંસોટમાં 10 મિમી વરસાદ નોંધાયો હતો. જિલ્લામાં અત્યાર સુધી મૌસમનો 3523 મિમી એટલે કે 51.92 ટકા વરસાદ વરસી ચુક્યો છે.

રોહા ડાયકેમમા બ્લાસ્ટ બાદ ભીષણ આગના ગોટે ગોટા સાથે દહેજનું આકાશ બન્યું ડરામણું

દહેજની ઇન્ડસ્ટ્રીયલ કલર અને ફૂડ ઇન્ગ્રેડીઇન્ટ્સ બનાવતી મલ્ટીનેશનલ રોહા ડાયકેમ કંપનીમાં રવિવારે બપોરે અચાનક ધડાકા સફહે4 ભભૂકેલી આગે વસાહતને હચમચાવી દીધી હતી.

રોહા ડાયકેમ 35000 સ્કવેર મીટરમાં ફૂડ અને ઇન્ડસ્ટ્રીયલ કલર, પીગમેન્ટ્સ,  ડાઈઝ તેમજ ફેથલોસાઈનીનનું ઉત્પાદન કરે છે. યુરોપ, ઓસ્ટ્રેલિયા સહિત 10 દેશોમાં ઓળંત5 ધરાવતી કંપનીના દહેજ પ્લાન્ટમાં બપોરે આકસ્મિક ધડાકા સાથે વિકરાળ આગ ફાટી નીકળી હતી.

ઘટના સાથે જ કંપનીમાં કામ કરતા કર્મચારીઓ બહાર દોડી આવતા તેમનો  બચાવ થયો હતો. ફાયરનો કોલ મળતા જ ભરૂચ અને દહેજની અન્ય કંપનીના 4 થી 6 ફાયર ફાઈટરો ઘટના સ્થળે રવાના થયા હતા.

દહેજ મરીન પોલીસ, સેફટી એન્ડ હેલ્થ વિભાગ, ફેકટરી ઇન્સ્પેકટર તેમજ જીપીસીબી પણ સ્થળ પર દોડી ગયું હતું. વિકરાળ આગના કાળા ધુમાડાએ દહેજ વસાહત અને આસપાસના વિસ્તારોમાં ગભરાટનો માહોલ સર્જ્યો હતો. હાલ તો ફાયર ફાઈટરોએ આગ બુઝાવવા પ્રયત્નો હાથ ધર્યા છે જે બાદ જ ઘટનાનું કારણ બહાર આવી શકશે.

600 વર્ષથી વધુ જુનો ઈતિહાસ ધરાવતા અનરકેશ્વર મહાદેવના શિવલિંગનો અપાર મહિમા

યમરાજાની તપસ્યાથી અહીં શિવ પ્રસન્ન થઈ યમરાજાને અહીં શિવલિંગ સ્થાપવા જણાવ્યું હતું. આમ પણ ઝઘડીયા તાલુકાને મોટો નર્મદા કિનારો મળ્યો છે જ્યાં સેંકડો વર્ષ પુરાણા શિવ મંદિરો આશ્રમો જોવા મળે છે, તે પૈકીના બે મોટા મંદિરો અનરકેશ્વર મહાદેવ મોટાસાંજા તથા ગુમાનદેવ મંદિર જે મુખ્ય છે. શ્રાવણ માસમાં અહીં ખૂબ મોટી સંખ્યામાં ભક્તો દર્શનનો લ્હાવો લેવા માટે આવે છે.

નરક ના દ્વારથી મુક્તિ અપાવનાર શ્રી અનરકેશ્વર મહાદેવ મંદિર ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના મોટાસાંજા ગામની પશ્ચિમમાં પવિત્ર નર્મદા મૈયાના દક્ષિણ કિનારે મોટાસાંજા ગામમાં આવેલું છે. જ્યાં પવિત્ર શ્રાવણ માસમાં ભરૂચ સુરતના શ્રદ્ધાળુ દર્શનનો લાભ લે છે અને ધન્યતા પ્રાપ્ત કરે છે. ચાલુ વર્ષમાં અધિક મહિનો છે. અનરકેશ્વર મહાદેવ ના દર્શન પૂજા અર્ચનાથી પાપ માંથી મુક્તિ મુક્ત થવાય છે.

કારણ ભગવાન શિવજી પ્રસન્ન થઈને યમરાજાને વરદાન આપેલું છે કે જે કોઈ મનુષ્ય પોતાના પાપોથી વ્યથિત થઇ અહીં સ્થાપિત શિવલિંગની પૂજા અર્ચના કરશે તેને તેના સઘળા પાપો માંથી મુક્તિ મળશે.અનરકેશ્વર મહાદેવ મંદિર મોટાસાંજામાં દેવેન્દ્રગીરી ગોસાંઇ (બચુભાઈ) તેમની આ ૧૩ મી પેઢીના તેઓ વારસદાર છે જે અનરકેશ્વર મહાદેવની પૂજા અર્ચના કરે છે. અધિક શ્રાવણ માસ તથા શ્રાવણ માસ શિવભક્તો માટે વિદ્વાન શાર્સ્ત્રી બાલકૃષ્ણ પુરોહિત ના સુપુત્ર વાસુદેવભાઇ પુરોહિત દ્વારા વેદિક મંત્રોચ્ચાર કરી પુંજા અર્ચના કરાવે છે અધિક શ્રાવણ માસની શરૂઆતથી અનરકેશ્વર મહાદેવ મંદિર ખાતે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ દર્શનાર્થે પહોંચી રહ્યા છે.

error: Content is protected !!