The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

Home Blog Page 108

અંકલેશ્વરમાં લૂંટ કરનાર છારા ગેંગની ૭ મહિલા ઝડપાઇ

અંકલેશ્વરમાં બે દિવસમાં અમદાવાદની છારા ગેંગે લૂંટની બે ઘટનાને અંજામ આપ્યો હતો. મીરા નગર અને કોસમડીની સન પ્લાઝામાં પસ્તીના વેપારી મહિલાને ત્યાં આ ગેંગે ત્રાટકી બંને સ્થળોએથી રોકડા સહીત દાગીના મળી કુલ 5.45 લાખની લૂંટ ચલાવી હતી. ત્યારે જી.આઈ.ડી.સી.પોલીસે છારા ગેંગની સાત મહિલાઓને ઝડપી પાડી હતી. જોકે, અન્ય બેથી વધુ આરોપીઓ હજુ પણ ફરાર છે.

ગઇકાલે અંકલેશ્વરના સારંગપુર વિસ્તારમાં આવેલી મીરાનગર સોસાયટીમાં મહાદેવ મંદિર પાસે રહેતી હોસલી દેવી રમેશ રાજમંગલ યાદવ પોતાના ઘરે હતા. આ દરમિયાન સાતથી વધુ મહિલાઓ આવી હતી અને તેઓએ હોસલી દેવી પાસે જમવાનું માંગી વાતોમાં ભોળવી ધક્કો મારી નીચે પાડી દીધી હતી. જે બાદ એક મહિલા ઘરના ઘૂસી જઈ કબાટમાં રહેલા રોકડા 20 હજાર અને સોના-ચાંદીના દાગીના મળી કુલ 1.45 લાખની લૂંટ ચલાવી હતી.

આ મહિલાઓ લૂંટ ચલાવી ભાગવા જતા મકાન માલિકે બુમાબુમ કરતા સોસાયટીના લોકોએ સાત મહિલાઓને પકડી પાડી પોલીસને હવાલે કરી હતી. પોલીસે રેખાબેન સતીશ દાતણિયા,કિરણબેન જહુન, સોનાબેન યુવરાજ, જમાબેન ઉર્ફે જેકત અમૃત, કોયલબેન બાદલ અને વસંતીબેન કુસવસ, સંગીતબેન બાદલને ઝડપી પાડ્યા હતા. જયારે અન્ય બેથી વધુ લૂંટારુ મહિલાઓ ફરાર થઇ ગઈ હતી.

તો આવી જ રીતે આ અમદાવાદની છારા ગેંગની કોયલબેન બાદલ અને અન્ય પાંચથી છ મહિલાઓએ અંકલેશ્વરના કોસમડી ગામ નજીક આવેલી સન પ્લાઝામાં રહેતા મીનાદેવી દિનેશ રાવલ ગત તારીખ-17મી મેના રોજ પોતાની પસ્તીની દુકાન પર બેઠા હતા. તે દરમિયાન દુકાનદાર પાસે પાણી માંગી મીનાદેવી રાવલને વાતોમાં ભોળવી એક મહિલા દુકાનમાં પ્રવેશ કરી તિજોરીમાં રહેલા રોકડા 4 લાખની લૂંટ ચલાવી હતી. જે અંગે જી.આઈ.ડી.સી.પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. પોલીસે ફરિયાદને આધારે ઝડપાયેલી છારા ગેંગની લૂંટારુ મહિલાઓની વધુ તપાસ હાથ ધરી છે.

ભર ઉનાળે નાડાના ગ્રામજનોને પીવાના પાણી માટે વલખા !

જંબુસર તાલુકાના નાડા ગ્રામજનો પીવાના પાણી માટે વલખા મારી રહ્યા છે ભર ઉનાળે પીવાના પાણીના ધાંધીયા જોવા મળી રહ્યા છે.

જંબુસર તાલુકાનું છેવાડાનું ગામ નાડા જ્યાં આશરે ચાર હજારની વસ્તી ધરાવતું ગામ છે   જ્યાં પીવાના પાણીની સમસ્યા સર્જાઈ છે ગામની બહેનોને પીવાના પાણી માટે  વલખાં મારવા પડી રહ્યાં છે  ભરઉનાળે પીવાના પાણીના ધાંધિયા જોવા મળે છે  સરકાર દ્વારા નલ સે જલ યોજના અંતર્ગત ઘરે ઘરે નળે પાણી આવવું જોઈએ તેમ છતાંય ગ્રામજનોને પીવાનાપાણી માટે દર દર ભટકવું પડતું હોય તેમ લાગી રહ્યુ છે.

પાણી પુરવઠા દ્વારા ગ્રામજનોને આશરે બે હજાર વસ્તીના અંદાજે પાણી પુરવઠો પહોંચાડવામાં આવે છે તે નાડા ગામની વસ્તીના પ્રમાણમાં પાણી પુરવઠો  પહોંચાડવામાં આવે તેમ ગ્રામજનો ઈચ્છી રહ્યા છે  હોજમાં જે પાણી પુરવઠો આવે છે તે પાણી લોકો ટ્રેકટરો ટેન્કરો ભરી લઇ જતા હોવાનો આક્ષેપ પણ ગ્રામજનો દ્વારા કરવામાં આવ્યો હતો  વહેલી તકે નાડાના પીવાના પાણીની સમસ્યા ઉકેલાય તેમ ગ્રામજનો ઈચ્છી રહ્યા છે.

  • સંજય પટેલ, ન્યુઝલાઇન, જંબુસર

નલ સે જલ યોજના અંતર્ગત ધારાસભ્ય મહેશ વસાવાએ કરી જનતા રેડ

ધારાસભ્ય મહેશ વસાવાએ દેડીયાપાડા નાં ખૂર્દી, ભેંસણા, સાકળી, પીપલોદ, પાટવલી,માલ, સમોટ, ખોખરાઉંમર સહિત અનેક ગામોની મુલાકાત લીધી હતી.

પાણી માટે એક મહિલાએ ધારાસભ્યને સંવેદનશીલ રજૂઆત નલ સે જલ યોજનાનું પાણી નથી આવતું, નથી નદીમાં પાણી અમે તો ગમે ત્યાંથી શોધીને જીવન ટકાવીશુ પણ અમારા ગાય,ભેંસ, બકરીનુ શું થશે? સાહેબ બેનની વાત સાંભળી ધારાસભ્યએ પણ વાસ્મોના અધિકારીઓને વિજિલન્સ તપાસ ની માંગ કરી.

જનતા રેડ દરમિયાન પીપલોદ ગામ સહીત અને અન્ય ગામડાઓમાં માત્ર 40 થી 50 ફૂટ ઉપર જ મોટર નાખી ને બિલ પાસ કરી લેવાયાની ગંભીર બાબતો સામે આવી છે.

સાંકડી ગામે નલ સે જલ યોજના અંતર્ગત 51 લાખની  વિકાસ યોજના મંજુર થયેલ છે, જે અંતર્ગત અમલીકરણ સંસ્થા ને 50 લાખ જેટલી મતબર રકમ ચૂકવી પણ દેવામાં આવી છે,  અને યોજનાકીય વિકાસ કામ પૂર્ણ બતવવામાં આવ્યું છે, અને ગ્રામજનોને આ યોજના મારફત એક ટીપું પણ પાણી આજ દિન સુધી મળવા પામ્યું નથી… અમલીકરણ અધિકારીઓની મિલી ભગત કે પછી કોન્ટ્રાકટર દ્વારા કરાયેલ ભ્રષ્ટાચાર..?

  • રિપોર્ટર: સર્જન વસાવા,ન્યુઝલાઇન, દેડીયાપાડા (નર્મદા)

અંકલેશ્વરમાં ભિક્ષુક મહિલાઓની ટોળકીએ ઘરમાં ઘૂસી ચલાવી લૂંટ

અંકલેશ્વરના મીરાનગર વિસ્તારમાં ભિક્ષુક મહિલાઓની ટોળકીએ ઘરમાં ઘૂસી આધેડ મહિલાને બાનમાં લઈ સોનાના દાગીના તેમજ રોકડ રકમની લૂંટ ચલાવી હતી. જોકે, લોકોએ તુરંત મહીલા ટોળકીને ઝડપી પાડી પોલીસને હવાલે કરી હતી.

અંકલેશ્વરના રાજપીપલા રોડ સ્થિત મીરાનગર સોસાયટીમાં આજરોજ સવારે અગિયાર વાગ્યાના અરસામાં એક મકાનમાં ભીખ માંગવાના બહાને ભિક્ષુક મહિલાઓની ટોળકી ઘૂસી ગઈ હતી. જે બાદ આ ટોળકીએ આધેડ મહિલાને બાનમાં લઈ તિજોરી ખોલી તેમાંથી સોનાના દાગીના અને રોકડ રૂપિયા 20 હજારની લૂંટ ચલાવી ટોળકી ફરાર થઈ ગઈ હતી.

આ લૂંટની ઘટનાને લઈ આધેડ મહિલાએ બુમરાણ મચાવતા સ્થાનિક લોકોએ ફરાર થઈ રહેલી મહિલાઓની ટોળકીની શોધખોળ આદરી 7 મહિલાને ઝડપી પાડી હતી. જે બાદ ટોળકીને અંકલેશ્વર જીઆઈડીસી પોલીસને હવાલે કરી હતી. ઝડપાયેલ મહીલા ટોળકીની કડક પૂછપરછ હાથ ધરાઈ હતી. પરંતુ એવું જાણવા મળ્યું હતું કે, આ ટોળકીની અન્ય બે મહિલા સદસ્યો મુદ્દામાલ લઇ ફરાર થઇ ગઈ હતી. આ મામલે પોલીસે ફરિયાદ નોંધાવાની તજવીજ હાથ ધરી છે.

બકરાં ચરાવવા ગયેલ માથાસરના યુવકનું નર્મદા ડેમના પાણીમાં ડૂબી જતાં મોત

દેડિયાપાડા તાલુકાના માથાસર ગામનો એક યુવક બકરાં ચરાવવા જંગલમાં ગયેલો જ્યાં નર્મદા ડેમના પાણીમાં ડુબી જવાથી યુવકનું મોત નીપજ્યું હતું. યુવકની લાશ ગરૂડેશ્વર પોલીસ સ્ટેશનની હદમાં મળી આવતા ગરૂડેશ્વર પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કર્યો છે.

દેડિયાપાડા તાલુકાના માથાસર ગામનો પટેલ ફળિયામાં રહેતો  જિજ્ઞેશ લાલજી વસાવા ઉંમર વર્ષ આશરે 28, 15 મેં રોજ સવારે બકરાં લઈ જંગલમાં ચરાવવા ગયેલો અને સાંજના પરત ઘરે આવેલો નહીં. જયારે બધા બકરા આવી ગયા હતા. ગામના આજુબાજુના ઘરો તેમજ ફળિયામાં તેની શોધખોળ કરતાં તે મળી આવેલ નહિ.  ૧૬ મે ના રોજ વહેલી સવારે છ વાગ્યાના સુમારે શુરપાણેશ્વર ગામના કુવાબાર ફળિયામાં નર્મદા ડેમના પાણીનો ઘેરાવો થયેલો છે. તે વિસ્તારમાં શોધવા નીકળેલા તે દરમ્યાન તે નદીના ઘેરાવા વાળા પાણીમાં સાત વાગ્યાના અરસામાં આ યુવકની લાશ કિનારે તરતી જોવા મળેલી હતી. યુવકનું પાણીમાં ડુબી જવાથી તેનું મોત નિપજ્યું હોવાનું પ્રાથમિક તારણ માનવામાં આવી રહ્યું છે.

ગરૂડેશ્વર પોલીસ સ્ટેશનમાં લાલજી પોયરા વસાવા રહે માથાસર .પટેલ ફળિયું તા. દેડિયાપાડા જિ. નર્મદા એ ખબર આપતાં પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કર્યો છે.

  • રિપોર્ટર: સર્જન વસાવા,ન્યુઝલાઇન,દેડીયાપાડા

ધ દેડીયાપાડા આદિવાસી ખેડૂત ઉત્પાદક વિવિધ લક્ષી સહકારી મંડળીની પ્રથમ સાધારણ સભા યોજાઈ

નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકાના વેડછા ગામે ધ દેડીયાપાડા આદિવાસી ખેડૂત ઉત્પાદક વિવિધ લક્ષી સહકારી મંડળીની પ્રથમ સાધારણ સભા યોજાઈ હતી.

સેન્ટ્રલ ગવર્મેન્ટ ના 2021ના ખેડૂત ઉત્પાદક મંડળની યોજના હેઠળ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ડેડીયાપાડા તથા ખેડૂત વિકાસ મંડળ સંસ્થાના સહયોગ અને માર્ગદર્શન હેઠળ ખેડુત ઉત્પાદક મંડળીને 300 ખેડૂતો દ્વારા મંડળી રજીસ્ટર કરવામાં આવેલ છે.

આ પ્રથમ સાધારણ સભામાં મંડળીના કારોબારી મંડળ ની રચના કરવામાં આવી અને ખેડૂત ઉત્પાદક મંડળના નિયમો તથા ફાયદાઓ વિશે ખેડૂતોને જાણકારી આપવામાં આવી હતી. કૃષિ વિજ્ઞાન કેન્દ્રના ડાયરેક્ટર ડૉ. વર્મા તથા તેમના અન્ય એગ્રીકલ્ચર વૈજ્ઞાનિકો દ્વારા ખેડૂતોને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. ખેડૂત વિકાસ મંડળ સ્વૈચ્છિક સંસ્થા વડા ફાધર રાકેશ દ્વારા ખેડૂતોને મંડળીમાં સક્રિય રીતે ભાગીદાર થવા પ્રોત્સાહન આપવામાં આવ્યું. આમ ધી ડેડીયાપાડા આદિવાસી ખેડૂત ઉત્પાદક વિવિધ લક્ષી સેવા સહકારી મંડળીની શુભ શરૂઆત થઈ. આ કાર્યક્રમનું સંચાલન અને આયોજન ખેડૂત વિકાસ મંડળના રમેશવસાવા તથા વિનોદભાઈ વસાવા દ્વારા ખુબજ સફળતાપૂર્વક કરવામાં આવ્યું હતું.

  • રિપોર્ટર: સર્જન વસાવા,ન્યુઝલાઇન, દેડીયાપાડા

ઝંઘાર ગામે તલાટી પર હુમલો કરવાની ઘટના મામલે જિલ્લા કલેકટરને આવેદન

ભરૂચ તાલુકાના ઝંઘાર ગામે એક માથાભારે તત્વ દ્વારા ગ્રામ પંચાયતમાં તોડફોડ કરી તલાટી પર હુમલો કરી જાનથી મારી નાખવાની ઘટનાના જિલ્લા તલાટી મંડળમાં ઘેરા પ્રત્યાઘાત ઉભા થયા છે. ભરૂચ જિલ્લા તલાટી મંડળે જિલ્લા કલેકટર, એસ.પી. અને જિલ્લા વિકાસ અધિકારીને આવેદન આપી હુમલો કરનાર સામે પાસા હેઠળ કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે.

ભરૂચ જિલ્લા પંચાયત કર્મચારી મંડળ અને જિલ્લા તથા તાલુકા તલાટી મંડળે જિલ્લા કલેકટરને આપેલ આવેદનમાં જણાવ્યા મુજબ ઝંઘાર ગામે ચૂંટણીની અદાવતમાં ગામના જ રહીશ સોહેલ નૂરમહંમદે 7મી મેં 2022ના રોજ  મહિલા સરપંચ પર ઘાતક હથિયારો સાથે હુમલો કરી મારામારી કરી હતી. સાથે પંચાયતમાં તોડફોડ કરી તલાટી જ્યોર્જ મેકવાન પર પણ હુમલો કરી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.આ મામલે મહિલા સરપંચે એટ્રોસિટી એકટ હેઠળ ફરિયાદ કરતા સોહેલની ધરપકડ થઈ હતી.

ગંધાર ગામે તલાટી જ્યોર્જ મેકવાન પર હુમલો કરવાની ઘટનાના સમગ્ર ગુજરાતના તલાટીઓમાં ઘેરા પ્રત્યાઘાતો ઉભા થયા હતા. ગુજરાત રાજ્ય તલાટી મંડળે મુખ્યમંત્રીને આવેદન આપી તલાટી પર હુમલો કરનાર સામે પાસા હેઠળ કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી હતી. દરમ્યાન બુધવારના રોજ ભરૂચ જિલ્લાના તમામ તાલુકાના તલાટી મંડળોએ મામલતદાર, ટીડીઓ અને પોલીસને આવેદન આપ્યા હતા. જ્યારે જિલ્લા તલાટી મહામંડળ અને જિલ્લા પંચાયત કર્મચારી મહામંડળે જિલ્લા કલેકટર, જિલ્લા વિકાસ અધિકારી અને એસ.પી.ને આવેદન આપી હુમલો કરનાર સોહેલ નૂરમહંમદ સામે પાસા હેઠળ કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે.

અઢી વર્ષની દીપડીનું વાહનની અડફેટે મોત

ગઇકાલે મંગળવારે સાંજના સમયે વાલિયા-માંગરોળ રોડ ઉપર મેરા ગામના નાળા પાસેથી દીપડી માર્ગ ઓળંગી રહી હતી. તે દરમિયાન પુરપાટ ઝડપે ધસી આવેલા અજાણ્યા વાહન ચાલકે દીપડીને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં દીપડીને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું.

બનાવ અંગેની જાણ વાલિયા વન વિભાગના આર.એફ.ઓ મહિપાલસિંહ ગોહિલને થતા તેઓ બીટગાર્ડ શૈલેશ વસાવા સાથે સ્થળ પર દોડી આવ્યા હતા. તેમજ દીપડીના મૃતદેહનો કબજો મેળવી તેને વન વિભાગની કચેરી ખાતે લાવી વેટેનરી ડોક્ટર પાસે પોસ્ટ મોર્ટમ કરાવી તેના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. આ દીપડી અઢી વર્ષની હોવાની સાથે તેને માથામાં ગંભીર ઈજાઓ થતાં મોત થયું હોવાનું જાણવા મળ્યું છે.

દેડીયાપાડા જન સેવા કેન્દ્રમાં નેટવર્ક ખોરવાતા લોકોને ભારે હાલાકી

દેડીયાપાડા મામલતદાર ઓફીસ ખાતે આવેલી જન સેવા કેન્દ્રમાં સોમવારે સવારથી જ નેટવર્ક બંધ રહેતા લોકો અટવાયા હતા.

હાલ શાળાના બાળકોનું પરીણામ જાહેર થતા અન્ય શાળામાં પ્રવેશ મેળવવા માટે જાતિના દાખલા માટે લોકોની સવારથી જ મામલતદાર ઓફિસે લાઇન લાગી ગઈ હતી. જાતિના દાખલ ઉપરાંત રેશનકાર્ડ, સ્ટેમ્પ તેમજ અન્ય કામગીરી સવારથી બંધ રહેતા લોકો અટવાયા હતા. સવાર થી જ જનસેવા કેન્દ્રમાં નેટવર્ક ન હોવાને કારણે લોકો લાઇનમાં ઉભા થાકી જઈ ઓફિસમાંજ નીચે બેસી ગયા હતા. ત્યારે પીપલોદ, ડુમખલ  જેવા 35 થી 40 કી.મી. દુરથી આવનાર લોકો તડકામાં હેરાન પરેશાન થઈ ગયા હતા.

·      રિપોર્ટર: સર્જન વસાવા,ન્યુઝલાઇન,દેડીયાપાડા (નર્મદા)

બોગસ આદિવાસીના સ્વાંગ રચીને યુવતીઓ સાથે લગ્ન કરતા હોવાનો મનસુખ વસાવાએ કર્યો આક્ષેપ

પોતાના આખાબોલા વ્યક્તિત્વ માટે જાણીતા ભરૂચ નર્મદા જીલ્લાનાં સાંસદ મનસુખ વસાવાએ નર્મદા જીલ્લાના સાગબારા તાલુકાના સેલંબા ખાતે ભારતીય જનતા પાર્ટીના મંડળની એક બેઠકમાં આદિવાસીઓને લગતા પ્રશ્નોને ઉજાગર કર્યાં હતાં, જેમાં આદિવાસી યુવતીઓ સાથે બોગસ લોકો આદિવાસીના સ્વાંગ રચીને લગ્ન કરતા હોવાનો આક્ષેપકર્યો હતો.

સાંસદ મનસુખ વસાવાએ સેલંબા ખાતેના ભારતીય જનતા પાર્ટીના મંડળની બેઠકમાં જણાવ્યું હતું કે નર્મદા જીલ્લામાં કેટલાક લોકો ખોટા આદિવાસી બની જીલ્લાની આદિવાસી છોકરીઓને ફસાવતા હોય છે, તેમની સાથે લગ્ન કરી બે ત્રણ વર્ષ આદિવાસી યુવતીઓ સાથે રહી તેમને છોડી દેવામાં આવે છે, અને આ બોગસ બની બેઠેલા આદિવાસીઓ બીજી આદિવાસી યુવતી સાથે લગ્ન કરે છે, જેથી આવા લોકો જે આદિવાસી યુવતીઓનું સોષણ કરે છે તેવા લોકો નો સહુને સાથે મળી ને વિરોધ કરવા ની હાંકલ કરી હતી.

આ ઉપરાંત તેઓએ જાતિ અંગે ના પ્રમાણપત્રો નો મુદ્દો પણ ઉઠાવ્યો હતો. જે પ્રમાણપત્રો આપવામાં આવ્યાં છે તે રદ કરી અને જે કાયદો આદિજાતિઓનાં પ્રમાણપત્રો માટે પૂર્વ મુખ્યમંત્રી વિજ્ય રૂપાણી દ્વારા બનાવવામાં આવેલ તેનો અમલ કરવામા આવે ની માંગ તમામ આદિવાસી સમાજના આગેવાનો કરે એવી હાંકલ કરી હતી.

ભારતીય જનતા પાર્ટીના કાર્યક્ર્મમાં સાંસદ મનસુખ વસાવા એ આદિવાસી યુવતીઓના બોગસ આદિવાસીઓ સાથે લગ્ન થતાં હોવાનો મુદ્દો ઉઠવ્યો છે ત્યારે આ મામલે સરકાર આવા બોગસ આદિવાસીઓ કોણ? કોણ કરી રહ્યું છે આદિવાસી યુવતીઓનું શોષણ? શું આ માંમલે જ્યારે ભારતીય જનતા પાર્ટીના સાંસદ દ્વારા જ જાહેર મંચ પરથી આરોપ લગાવ્યો છે ત્યારે આની તપાસ હાથ ધરવામાં આવશે ખરી??  બોગસ બની બેઠેલા આદિવાસીઓ સામે આદિવાસી યુવતીઓના શોષણ મામલે કાર્યવાહી હાથ ધરાશે ??

  • રિપોર્ટર: સર્જન વસાવા,ન્યુઝલાઇન, દેડીયાપાડા
error: Content is protected !!