એક સમયે જેમના ઈશારે દેશમાં ચૂંટણી ઉમેદવારોની યાદી જાહેર થતી હતી તેવા કોંગી અધ્યક્ષા સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર અહેમદ પટેલનું પરિવાર ટિકિટ માટે સંઘર્ષ કરતો નજરે પડી રહ્યો છે. અહેમદ પટેલના નિધન બાદથી ટિકિટ માટે ઈચ્છા વ્યક્ત કરનાર મુમતાઝ પટેલ અને અંકલેશ્વરમાં “હું તો લડીશ” ના બેનર લગાવનાર ફૈઝલ પટેલ બંનેનું ચૂંટણી લડવાનું સ્વપ્ન રોળાયું છે. બંનેનું પત્તુ કાપી “આપ”ના ધારાસભ્ય ચૈતર વસાવાએ ટિકિટ હાંસલ કરતા ભરૂચ જિલ્લા કોંગ્રેસની છાવણીમાં સોપો પડી ગયો છે.
ભરૂચ બેઠક માટે કોંગ્રેસ તરફે અહેમદ પટેલના પરિવારથી પુત્રી મુમતાઝ પટેલ અને પુત્ર ફૈઝલ પટેલે દાવેદારી કરી હતી તો INDIA ગઠબંધન તરફે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ ટિકિટ માંગી હતી. આપે અગાઉની ચૂંટણીના મતના આંકડા રજૂ કરી મજબૂત દાવેદાતી સાથે ગઠબંધન થાય કે ન થાય ચૈતરની ઉમેદવારી જાહેર કરી દીધી હતી. આખરે કોંગ્રેસ ઝૂકી હતી અને આપણા નિર્ણયને સમર્થન આપતા અહેમદ પટેલ સાથેની સંવેદનાઓ સહિતની ટિકિટ મેળવવા માટેની દલીલો અભરાઈએ ચઢાવી દેવાઈ હતી.
તો બીજી તરફ આમ આદમી પાર્ટીના ફાળે ભરૂચ બેઠક જતા અહેમદ પટેલના પુત્ર ફૈઝલ અને પુત્રી મુમતાઝ પટેલે નારાજગી વ્યક્ત કરી હતી. મુમતાઝે સ્પષ્ટતા કરીકે તેઓ કોંગ્રેસના સૈનિક તરીકે આમ આદમી પાર્ટી માટે વોટ માંગશે નહીં તો ફૈઝલે કહ્યું કે તે નિર્ણયના વિરોધમાં છે અને આ બાબતે આજે શનિવારે સાંજે દિલ્લી જઈ મોવડીઓ સમક્ષ કોંગ્રેસની ઉમેદવારી માટે રજુઆત કરશે.