• મારામારીમાં સાંસદ મનસુખ વસાવાના સાળા પણ ઈજાગ્રસ્ત થયા
• બનાવની જાણ થતાં જ સાસંદ મનસુખ વસાવા તેમની પત્ની સાથે બોગજ ગામે પહોંચ્યાં
• BTP ના કાર્યકરો દ્વારા હુમલો કર્યો હોવાનો મનસુખ વસાવાનો આક્ષેપ
નર્મદા જિલ્લાના ડેડિયાપાડામાં આવેલા બોગજ ગામે મતદાન સમયે મારામારીની ઘટના બની હતી. ગ્રામ પંચાયત ચૂંટણીના મતદાન સમયે બે રાજકીય પક્ષના કાર્યકર્તાઓ આમને સામને આવી ગયા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે બોગજ ગામ સાંસદ મનસુખ વસાવાની સાસરી છે. આ મારામારીમાં મનસુખ વસાવાના સાળા પણ ઈજાગ્રસ્ત થયા હતા. આ બનાવની જાણ થતાંની સાથે જ મનસુખ વસાવા તેમની સાથે તાત્કાલિક બોગજ ગામે પહોંચ્યા હતા. આ દરમિયાન BTP ના કાર્યકર્તાએ આ હુમલો કર્યો હોવાનો સાંસદ મનસુખ વસાવાએ આક્ષેપ કર્યો હતો.
આ હુમલામાં એક વ્યક્તિ ઘાયલ થતા તેમણે દવાખાનામાં સારવાર માટે ખસેડાયા હતા. જેમણી મુલાકાત માટે મનસુખ વસાવા હોસ્પિટલ પહોંચ્યા હતા. આ મામલે સાંસદ મનસુખ વસાવાએ પોલીસ તંત્રને યોગ્ય કાર્યવાહી કરવા સૂંચના આપી હતી. સાથે તેઓએ આક્ષેપ કર્યો હતો કે સ્થાનિક પોલીસ દ્વારા BTP ની સામે ધીમી કાર્યવાહી કરવામાં આવી રહી છે.
મનસુખ વસાવાએ મીડિયાને જણાવ્યું હતું કે, આજે વહેલી સવારે ભાજપતરફી સરપંચ પદ માટેના ઉમેદવારના પાંચ-છ સમર્થકો તાપણું કરી રહ્યા હતા. તે સમયે બોગજ ગામના આગેવાન અને BTP ના લીડર ચૈતર વસાવા 20 લોકોના ટોળા સાથે આવીને ભાજપના સમર્થકો પર હુમલો કર્યો હતો. તાપણીમાં સળગતા લાકડા વડે હુમલો કરતા ભાજપના બે કાર્યકરો ગંભીર રીતે દાઝ્યા હતા. આ ઈજાગ્રસ્તોમાં એક મારો સાળો છે.
સાંસદ મનસુખ વસાવાએ વધુમાં જણાવ્યું હતું કે, મારો સાળો ભાજપ તરફી સરપંચ પદના ઉમેદવારનો પ્રચાર કરી રહ્યા હતા. આ વખતે અમારો ઉમેદવાર જીતી રહ્યો હોવાનું લાગતા BTP ના કાર્યકરો દ્વારા આ પ્રકારનું કૃત્ય કરવામાં આવ્યું છે. જોકે ઈજાગ્રસ્તોને તાત્કાલિક 108ની મદદથી ડેડીયાપાડા લઈ જતાં હાલ તેઓની હાલત સ્થિર છે. આ અંગે પોલીસને પણ જાણ કરવામાં આવી હતી. પરંતુ તેઓ દ્વારા પણ યોગ્ય કાર્યવાહી કરવામાં ન આવતા અમે DYSP ને આ અંગે રજૂઆત કરી છે.
મનસુખ વસાવાએ વધુમાં જણાવ્યું કે, આટલી મોટી ઘટના બની હોવા છતાં ભાજપના અમારા સ્થાનિક નેતાઓ પણ કોઈ મદદે આવ્યા નથી, જેથી મારે પોતે અહિંયા આવવાની ફરજ પડી છે.
મહત્વનું છે કે સાંસદની સૂચના બાદ પોલીસ હરકતમાં આવી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.