દહેજના પણીયાદરા ગામ ખાતે જમીન મુદ્દે સાસુ અને દિયરના ત્રાસથી પરિણીતાએ આગચંપી કરી આપઘાતનો પ્રયાસ કરતા ચકચાર મચી જવા પામી છે.
દહેજના પણીયાદરા ગામના ઊંડા ફળિયામાં રહેતી પરિણીતાના લગ્ન ગત તારીખ 13 મે, 2013ના રોજ રાજેશ ગોહિલ સાથે થયા હતા. જેમને આઠ વર્ષના લગ્ન જીવનમાં બે સંતાનોનું સુખ પ્રાપ્ત થયું હતું. ગત તારીખ 4 નવેમ્બર, 2021ને દિવાળીના દિવસે તેઓ પોતાના પતિ, બાળકો, સાસુ પાર્વતીબેન ગોહિલ અને સસરા અમરસંગ ગોહિલ સાથે સહ પરિવાર ઘરે હતા. તે દરમિયાન રહીયાદ ખાતે રહેતો તેણીનો દિયર મહેશ ગોહિલ તેની પત્ની સાથે આવ્યો હતો અને દિયર અને સાસુએ રેશમાબેન સાથે વડીલો પારજીત જમીનના ભાગ મુદ્દે તકરાર કરી હતી.
વધુમાં સાસુ અને દિયરે ભાભીને અપશબ્દો ઉચ્ચાર્યા હતા. આ બંને તેણીને છેલ્લા બે વર્ષથી શારીરિક અને માનસિક ત્રાસ આપી અવાર નવાર ઝઘડો કરતા હતા, જે ઝઘડાનું લાગી આવતાં પરિણીતાએ ઘરમાં રહેલ કેરોસીન પોતાના શરીરે છાંટી આગ લગાવી લીધી હતી. ગંભીર રીતે દાઝી ગયેલી મહિલાને પ્રથમ સારવાર અર્થે ભરૂચની સિવિલ હોસ્પિટલ બાદ વધુ સારવાર માટે વડોદરાની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. આ બનાવ અંગે દહેજ પોલીસે સાસુ અને દિયર વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here