The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

Home Blog Page 94

ભારતવિકાસ પરિષદ ભૃગુભૂમિ શાખા ભરૂચના નવા પ્રમુખ તરીકે નરેશ ઠક્કરની વરણી

રાષ્ટ્રીય ચેતના દ્વારા ભારતીય સંસ્કૃતિ જગાડવા માટે ભારત વિકાસ પરિષદ વર્ષોથી કાર્યરત છે. ભારતીય સંસ્કૃતિ અને પરંપરા આધારિત રાષ્ટ્રીય વિચારધારા સાથે સમાજના પછાત, અસહાય,અભાવગ્રસ્ત અને વનવાસીની સહાય માટે વર્ષ 1963માં શરૂ થયેલ ભારત વિકાસ પરિષદની સમગ્ર દેશમાં 1425 કરતા વધુ શાખા છે.

ભારત વિકાસ પરિષદ ભૃગુભૂમિ શાખાની આજરોજ વાર્ષિક સાધારણ સભા મળી હતી જેમાં મંત્રી ડો.સેતુ લોટવાલાએ શાખાની ગતવર્ષમાં થયેલ કામગીરીનો ચિતાર આપ્યો હતો. તો વિદાય લેતા પ્રમુખ સુનિલ ભટ્ટે શાખા અંગેની માહિતી આપી હતી અને વર્ષ દરમ્યાન થયેલ કામગીરીમાં સહયોગ આપનાર તમામનો આભાર વ્યક્ત કર્યો હતો.ભારત વિકાસ પરિષદ ભૃગુભૂમિ શાખના નવા પ્રમુખ તરીકે નરેશ ઠક્કર, ઉપપ્રમુખ તરીકે ભાવિનભાઈ કાનાણી, ભાસ્કર આચાર્ય,અનિલ ચૌમાલ,મેહુલ રહેવર, સેક્રેટરી તરીકે કનુભાઈ ભરવાડ,જોઈન્ટ સેક્રેટરી તરીકે મધુસિંગ,કમલેશ ગોસ્વામી અને ટ્રેઝરર તરીકે દિપક દવેની વરણી કરવામાં આવી હતી.

નવા વરાયેલ પ્રમુખ નરેશ ઠક્કરે તેમના પ્રાસંગિક ઉદબોધનમાં જણાવ્યું હતું કે ભારત વિકાસ પરિષદના સૂત્ર સંપર્ક, સહયોગ, સંસ્કાર, સેવા અને સમર્પણને સાર્થક કરીને જરૂરિયાતમંદોની સેવા કરવાની જ છે.નવ નિયુક્ત સેક્રેટરી કનુભાઈ ભરવાડે તેમના પ્રાસંગિક ઉદબોધનમાં  કહ્યું હતું કે સમાજ માટે કામ કરવાની પ્રેરણા આપનાર સંસ્થા એટલે ભારત વિકાસ પરિષદ. આ સંસ્થા થકી અમારી ટીમ છેવાડાના માનવી સુધી સેવા પહોંચાડવા પ્રયત્નો કરીશું.આ પ્રસંગે ભારત વિકાસ પરિષદના રિજનલ સેક્રેટરી ભરત ચૌહાણ, લક્ષમણ પારિક, એડવાઇરી કિમીતિના એસ.એમ.પારિક, તેમજ યોગેશ પારિક અને આમંત્રીતો અને સભ્યો ઉપસ્થિત રહયા હતા.સમગ્ર કાર્યક્રમનું સંચાલન જીગર દવેએ કર્યું હતું.

સાગબારા હાઇવે ઉપર માંચ ચોકડી પાસે ગાડી રિવર્સ આવતા ટ્રાફિક જામ!

સાગબારા હાઇવે ઉપર માચ ચોકડી પાસે ઢાળ ઉપર થી એક્સેલ ગાડી રિવર્સ આવતા ડ્રાઈવરે કાબૂ ગુમાવતા વાહનોના હોર્નની ચીચીયારીઓ વચ્ચે હાઇવે ગુંજી ઉઠયો હતો.

આજે સવારે દેડિયાપાડા થી સાગબારા હાઈવે ઉપર માંચ ચોકડી પાસે અંકલેશ્વર થી મહારાષ્ટ્ર જતી એક્સેલ ગાડી નંબર GJ. 01 BY.5915 માચ ચોકડી પાસે આવેલાં ઢાળ ઉપર ચડી ન શકી અને અચાનક ગાડી રિવર્સ આવતાં ડ્રાયવરે કાબૂ ગુમાવી દીધો હતો. અને રિવર્સ ગાડી હાઈવે ની વચ્ચોવચ આવી બંધ થઈ ગઇ હતી. વચ્ચોવચ ગાડી આવી જતા ૨ કિ.મી જેટલો ટ્રાફિકજામ નાં દ્રષ્યો સર્જાયા હતા.

  • રિપોર્ટર: સર્જન વસાવા,ન્યુઝલાઇન,દેડીયાપાડા (નર્મદા)

જંબુસરના કલીયારી ગામે પ્રેમસ્વરૂપ સ્વામીજીના પાવન સાંનિધ્યમાં આત્મીય સભા યોજાઇ

ભગવાન સ્વામિનારાયણની કલ્યાણ પેઢીના વર્તમાન વારસદાર ગુરૂદેવ પ.પૂ. પ્રેમસ્વરૂપ સ્વામીજીના પાવન સાંનિધ્યમાં જંબુસર તાલુકાના કલીયારી ગામે “ આત્મીય સભા ” યોજાઇ હતી.

આ અવસરે પૂ.પ્રેમસ્વરૂપસ્વામીજીએ ભકતોને આર્શિવચન પાઠવતા કહયું કે આપણા માવતર એવા પૂ. હરિપ્રસાદ સ્વામીજીએ સંપ, સુહદભાવ અને એકતાના મિશનને જીવનમાં ચરિતાર્થ કરી સ્વામીજીએ બતાવેલા માર્ગે આગળ વધવા ભકતોને અનુરોધ કર્યો હતો. તેમણે સ્વામી સાથેની સેવાના અનેક દ્રષ્ટાંતો આપ્યા હતા. ભગવાન સાથે અખંડ રીતે જોડાઇ રહેવા માટે પૂ. પ્રેમસ્વરૂપસ્વામીએ ભકતોને કહયું હતું કે સ્વાધ્યાય ભજન રોજે રોજે કરીને આપણે પ્રભુ સાથેનો સંબંધ કેમ દ્રઢ થાય, તેમજ સ્વલક્ષી વિચાર કરવા ખાસ અનુરોધ કર્યો હતો.તેમણે સાંપ્રત સમયમાં નકારાત્મક વિચાર છોડી પોઝીટીવ વિચાર કરવા ભકતોને ખાસ શીખ આપી હતી.

પ્રાદેશિક સંત પૂ.શ્રીજીવલ્લભસ્વામીએ પ્રાસંગિક ઉદબોધનમાં પૂ.હરિપ્રસાદ સ્વામીજી જીવનના પ્રસંગો વાગોળી અક્ષર પ્રદેશ એ સેવાનો વિભાગ છે તેમણે સમજણપૂર્વકની સેવા કરવા અંગે પ્રસંગોચિત સમજાવ્યું હતું. બોરડીનો પ્રસંગ જણાવી સૌ ભકતોને પૂ.પ્રેમસ્વરૂપસ્વામીને સ્પર્શથી સુખી થવા જણાવ્યું હતું. પ્રેમસ્વરૂપસ્વામી તરફથી જે કોઇ આજ્ઞા આવે તે મન-બુધ્ધિને બાજુ પર મુકી સ્વીકારીશું તેવી પ્રાર્થના સૌને કરી હતી. પૂ.આનંદસ્વરૂપ સ્વામીએ પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું.આ શુભ અવસરે કલકના પૂ.દિનુદાદા, પૂર્વ મંત્રી છત્રસિંહજી મોરી, માજી ધારાસભ્ય કિરણભાઇ મકવાણા સહિત અનેક આગેવાનો- ભકતજનોએ પ.પૂ.પ્રેમસ્વરૂપસ્વામીજીનું ભવ્ય સ્વાગત કર્યું હતું.આ પ્રસંગે સાધુ માધવસ્વરૂપ સ્વામી, અગ્રણીઓ કિતીભાઇ પટેલ, પ્રણવ પટેલ, ચિરાગ પટેલ, હિરલભાઇ ગાંધી, રણછોડભાઇ, રમેશભાઇ, કે.ડી.પટેલ, રાજુભાઇ સહિત અક્ષર પ્રદેશ સૌ મુકતોએ હોલાઉપાડ કરી આત્મિયતાના દર્શન કરાવી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. કાર્યક્રમનું સફળ સંચાલન મુનાભાઇ (કાવા) ધ્વારા કરવામાં આવ્યું હતું.

  • સંજય પટેલ,ન્યુઝલાઇન,જંબુસર

સરભાણ ગામના માટી ચોરીના કસુરવારો સામે કાર્યવાહી કરવા વિકાસ કમિશ્નરનો આદેશ

આમોદ તાલુકાના સરભાણ ગેરકાયદેસર માટી ચોરીના પ્રકરણમાં ગામના તત્કાલીન સરપંચ તથા ઉપસપંચ તેમજ સભ્યો સામે કાયદેસર કાર્યવાહી કરવા વિકાસ કમિશનરે ભરૂચ જિલ્લા વિકાસ અધિકારીને જાણ કરતાં ખળભળાટ મચી જવા પામ્યો છે.

સરભાણ ગામે સર્વે નંબર ૮ ગામ તળાવ તથા સર્વે નંબર ૮૩૭ ગામ તલાવડીમાંથી ગેરકાયદેસર ૨,૪૦,૫૬૦ મેટ્રીક ટન સાદી માટીનું ખનન કરવામાં આવ્યું હતું.જે બાબતે ગામના જાગૃત નાગરિક બિપીન પટેલે ઉચ્ચ કક્ષાએ રજુઆત કરતાં ખાણ ખનીજ વિભાગે ૨૩ મી મે ૨૦૨૨ ના રોજ ગામનાં તત્કાલીન સરપંચ તથા ઉપસપંચને માટી ખનન મામલે ૫.૯૩ કરોડની દંડકીય રકમ ભરવા નોટીસ મોકલી હતી.

જે બાબતે કોઈ કાર્યવાહી ના થતાં ગામના જાગૃત નાગરિક બિપિન પટેલે ગાંધીનગર ખાતે વિકાસ કમિશનરને ૧૦ મી જૂન ૨૦૨૨ ના રોજ રૂબરૂ મળી સરભાણ ગ્રામ પંચાયતના તત્કાલીન સરપંચ તથા ઉપસરપંચ તેમજ સભ્યો સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવા અને ફોજદારી ગુનો નોંધવા અરજી કરી હતી.જેના અનુસંધાને ૧૭ મી જુનના રોજ વિકાસ કમિશનર ગાંધીનગરે ભરૂચ જિલ્લા વિકાસ અધિકારીને સંબોધીને સરભાણ ગામના તત્કાલીન સરપંચ તથા ઉપસરપંચ સામે કાયદેસર કાર્યવાહી કરવા જણાવતા આમોદ પંથકમાં ગેરકાયદેસર માટી ચોરી કરતાં તત્વોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો.

  • વિનોદ પરમાર,ન્યુઝલાઇન,આમોદ

ભરૂચ:જંત્રીના ભાવ મુદ્દે જળસમાધીની ચીમકી સાથે ખેડૂતોએ આપ્યું આવેદન

ભરૂચ જિલ્લામાં ચાલી રહેલાં એકસપ્રેસ વે સહિતના પ્રોજેકટમાં જમીન સંપાદન મામલે સ્થાનિક ખેડુતોમાં રોષ જોવા મળી રહયો છે. સુરત, વલસાડ અને નવસારી જિલ્લામાં ખેડુતોને જંત્રીનો વધારે ભાવ અને ભરૂચમાં ઓછો અપાયો હોવાની ફરિયાદ સાથે ખેડુતોએ ગતરોજ કલેકટરને બીજું આવેદન આપવા સાથે જો ન્યાય નહીં મળે તો જળસમાધી અને ગાંધી ચીંધ્યામાર્ગે આંદોલનની ચીમકી આપી હતી.

ભરૂચ જિલ્લામાં અત્યારે વડોદરા– મુંબઇ એકસપ્રેસ હાઇવે, અમદાવાદ- મુંબઇ હાઇ સ્પીડ ટ્રેન, ભાડભુત બેરેજ તથા દીલ્હી– મુંબઇ ફ્રેટ કોરીડોરનો સમાવેશ થવા જાય છે. આ ચારેય પ્રોજેકટ માટે ખેડુતોની જમીન સંપાદિત કરવામાં આવી રહી છે. ખેડુતો દેશના વિકાસ માટે પોતાની જમીનો આપવા માટે તૈયાર છે પણ જમીનના બદલામાં યોગ્ય વળતર મળતું નહિ હોવાથી તેમનામાં રોષ ફેલાયેલો છે. ખાસ કરીને એકસપ્રેસ વે તથા ભાડભુત બેરેજ યોજનામાં ખેડુતોમાં ભારે અસંતોષ છે.

ખેડુતોનું કહેવું છે કે, નવસારી, વલસાડ અને સુરત જિલ્લાની સરખામણીએ તેમને જમીનના ઓછા ભાવ આપવામાં આવી રહયાં છે. ભરૂચ જિલ્લાના ખેડુતોએ શનિવારે તંત્રવાહકોને આવેદનપત્ર આપી તેમની માગણીઓ સરકાર સુધી પહોંચાડી હતી. જો યોગ્ય કાર્યવાહી કરવામાં નહિ આવે તો જળસમાધી અને ગાંધી ચીંધ્યામાર્ગે આંદોલનની ચીમકી પણ ખેડુતોએ આપવા સાથે પ્રોજેકટનું કામ નહીં કરવા દેવાયનું જણાવ્યું છે.

ભરૂચ જિલ્લા કોંગ્રેસ લઘુમતી સમાજ દ્વારા નૂપુર શર્માના વિરોધમાં આપ્યું આવેદન

ભારતીય જનતા પાર્ટીના પૂર્વ પ્રવક્તા નુપુર શર્મા દ્વારા ઈસ્લામ ધર્મના મહાન પયગંબર સાહેબ વિરુદ્ધ કરવામાં આવેલ ગુસ્તાખી ભર્યા નિવેદનો અભદ્ર ઉચ્ચારણો ને લઇ ઠેર ઠેર વિરોધ પ્રદર્શન કરી અને મુસ્લિમ સમાજ દ્વારા આવેદનપત્ર આપવામાં આવી રહ્યાં છે.જેના ભાગરૂપે આજરોજ ભરૂચ જિલ્લા કોંગ્રેસના લઘુમતી સમાજના પ્રમુખ ઇશાક રાજ, કોંગ્રેસ અગ્રણી સુલેમાન પટેલ, યુવા કોંગ્રેસ પ્રમુખ શકીલ અકુજી,વિપક્ષ નેતા શમસાદઅલી સૌયદ,ઝુબેર પટેલ અને હોદ્દેદારોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી નૂપુર શર્માના વિરુધ્ધમાં જિલ્લા કલેકટરને આવેદન પાઠવી કસૂરવારો સામે કડકમાં કડક કાર્યવાહી માંગ કરી હતી.

આવેદનમાં જણાવ્યું હતું કે મુસ્લિમ સમાજ  પયગંબર સાહેબ પ્રત્યે સર્વોચ્ચ રીતે માન આદર અને પવિત્ર પ્રેમની લાગણી ધરાવે છે. તેઓ પ્રત્યેની નિષ્ઠાને આસ્થાનું અવિભાજિત અંગ સમાન ગણે છે અને તેમના પ્રત્યે નુપુર શર્મા ગુસ્તાખી ભર્યા અપવિત્ર નિવેદનોથી તેઓની ઇસ્લામ ધર્મ પ્રત્યેની ધૃણા અને અજ્ઞાનતા જાહેર થાય છે.

પયગંબર સાહેબની પવિત્ર જીવનશૈલી ઉપદેશો આચરણો આદર્શો સિદ્ધાંતોની તેઓએ ધરાર અવગણના કરી છે. તેઓની કોમી વિસંવાદિતા થી ભરપુર માનસિકતાનું પ્રતિબિંબ રજૂ કરે છે તેવા આક્ષેપ સાથે નુપુર શર્મા તેમજ સહભાગી લોકોના દુષ્કૃત્યની ગંભીરતા ધ્યાનમાં લઈ તેમની સામે સખતમાં સખત કાનૂની કાર્યવાહી માંગ સાથે જિલ્લા કલેકટરને આવેદન પત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી.

ગુજરાત ગૌરવ અભિયાન અંતર્ગત ભરૂચના ઓમકારનાથ ઠાકુર હોલમાં જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાયો

ગુજરાત ગૌરવ અભિયાન અંતર્ગત ભરૂચના ઓમકારનાથ ઠાકુર હોલમાં જિલ્લા કક્ષાનો કાર્યક્રમ નાયબ મુખ્ય દંડક અને ભરૂચ  ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો.

આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ અલ્પાબેન પટેલ, જિલ્લા વિકાસ અધિકારી યોગેશ ચૌધરી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના વડા સી વી લત્તા વગેરેની ઉપસ્થિતિમાં દિપ પ્રાગટય થકી કાર્યક્રમની શરૂઆત કરી હતી.આ કાર્યક્રમના અધ્યક્ષ નાયબ મુખ્ય દંડક અને ભરૂચના ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલે પ્રાંસંગિક પ્રવચનમાં જણાવ્યું કે, સરકારની યોજનાઓના  તમામ લાભો છેવાડા લાભાર્થી સુધી લાભ કેવી રીતે પોહચે, તે માટે શું કરી શકાય એ તરફ સરકાર સતત કાર્યરત છે.

આ કાર્યક્રમમાં ભરૂચ જિલ્લાના જુદા જુદાં તાલુકાઓમાં તૈયાર થયેલાં પ્રધાનમંત્રી આવાસના લાભાર્થીઓને  ચાવી આપી હતી.આ ઉપરાંત આયુષ્માન કાર્ડ યોજનાનો લાભ લેવા આહવાન કર્યુ હતુ. માતા અને બાળક બને તંદુરસ્ત તો દેશનું ભાવિ તંદુરસ્ત રહે એ દિશામાં  સરકાર ફરી એક કદમ આગળ આવી મુખ્યમંત્રી માતૃશક્તિ યોજનાનું અમલીકરણ કર્યુ છે. જે અંતર્ગત બાળક અને માં બને સશક્ત બને, તંદુરસ્ત રહે, બાળક બે વર્ષનું થાય ત્યાં સુધી  સગર્ભા માતા અને ધાત્રી માતાઓને પૂરતું  પોષણ મળી રહે એ માટે  કીટનું વિતરણ પણ ઘર બેઠાં મળી રહે છે તેમ તેમણે જણાવ્યું હતું.સરકારની તમામ યોજનાનો લાભ લેવા તેમણે અનુરોધ કર્યો હતો.

વધુમાં  કહ્યું હતું કે સરકારી તમામ યોજના માટે સેલ્ફ ડેકલેરેશન થકી વિવિધ યોજનાઓના લાભ માટે સોગંધનામા કરવામાંથી  સામાન્ય લોકો છુટકારો થયો છે તે બદલ આ નિર્ણયને તેમણે આવકાર્યો હતો.જિલ્લા પંચાયતના પ્રમુખ અલ્પાબેન પટેલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતૃશ્રીના દિર્ધઆયુ માટે શુભકામના કરતાં પ્રાસંગિક ઉદબોધનમાં જણાવ્યું કે ગરીબોને રહેવા માટે છતનું નિર્માણ તથા ગરીબોનો વિકાસ થયો છે. લોકોને ઘરનાં ઘર બનાવવા માટે મળતી સહાય “પ્રધાનમંત્રી આવાસ યોજના” આશિર્વાદરૂપ છે. આ યોજનાના કોઈપણ વ્યક્તિ વંચિત ન રહે, એ માટે આપણે નિમિત્ત બનવું જોઇએ.

આ કાર્યક્રમમાં ઉપસ્થિત લોકોએ  વડોદરાથી “ગુજરાત ગૌરવ અભિયાન”ના પ્રધાનમંત્રીના કાર્યક્રમને જીવંત પ્રસારણ નિહાળ્યું હતું.આ કાર્યક્રમમાં જિલ્લા અગ્રણીઓ સહીત જુદા જુદા  તાલુકાઓમાંથી આવતા લાભાર્થીઓ તથા મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.

કારેલીનાં ધરતીપુત્રોએ નર્મદા નહેરના પાણી મુદ્દે મામલતદારને આપ્યું આવેદનપત્ર

જંબુસર તાલુકાના કારેલી ગામે ધરતીપુત્રો વરસાદી પાણી પર ખેતી નિર્ભર કરે છે  અને નર્મદા નહેર આવી હોવા છતાં આજ સુધી નહેરના પાણીથી વંચિત ધરતીપુત્રોએ કંટાળી  પ્રાંત અધિકારીને ઉદ્દેશીને મામલતદાર જંબુસર ને આવેદનપત્ર આપી નર્મદા નહેરના પાણી મેળવવા અરજ કરી હતી.

જંબુસર તાલુકાના કારેલી ગામ જ્યાં આશરે પાંચ હજાર એકર જમીન આવેલી છે. ત્યાંના ખેડૂતો અત્યારે વરસાદી પાણી પર નિર્ભર થઈ ખેતી કરે છે. કારેલી ગામે ૨૦૦૬ થી નર્મદા નહેરનું નિર્માણ કરવામાં આવ્યું છે.ત્યારથી આજદિન સુધી સમ ખાવા નું એક ટીપું ય નર્મદા નહેરનું પાણી આ નહેરમાં આવ્યું નથી. આ વિસ્તારના ધરતીપુત્રો નર્મદાના પાણીથી વંચિત છે આ પાણી નહીં મળવાથી ખેડૂતોને ચોમાસુ પાક શિયાળુ પાકમાં ખુબજ નુકશાન થાય છે. વરસાદી સિઝન પૂર્ણ થતા આ ખેતરોમાં પાણીના અભાવે ખેતરો સુકાવા માંડે છે. કારેલી ગામનો ખેડૂત વધુને વધુ પાયમાલ થતો જાય છે અને દેવાના ડુંગર તળે દબાવા લાગ્યો છે.

જેને લઇ પ્રાંત અધિકારીને ઉદ્દેશીને તમામ કારેલી ગામના ધરતીપુત્રો જંબુસર આવી પહોંચ્યા હતાઅને સરપંચ તુષારભાઈ ની આગેવાનીમાં મામલતદાર જંબુસરને આવેદનપત્ર આપ્યુ હતું.અને જણાવ્યુ હતુ કે નર્મદા નહેરનું નિર્માણ થયું છે તે એન્જિનિયરિંગ દૃષ્ટિએ તદ્દન ખોટું નિર્માણ થવાથી  કરખડીથી કારેલી વાયા તિથોર થઈને જે નહેરનું પાણી આવે છે તે  આવતા પ્રેશર ઘટી જાય છે.જેને લઇ કારેલીગામે બિલકુલ પાણી આવતુ નથી અને તમામ ખેડુતો સરકારી યોજનાથી વંચિત રહીએ છીએ.

છેલ્લા સોળ વર્ષથી પાણીની કાગ ડોળે રાહ જોઈ થાકી ગયા છે.આ પ્રશ્ને વારંવાર નર્મદા નિગમના અધિકારીઓને લેખિત મૌખિક રજુઆતો પણ કરવામાં આવી છે.પરંતુ આ નહેરના પાણીનો પ્રશ્નનો નિકાલ આવતો નથી. તો રૂબરૂ સ્થળ નિરીક્ષણ કરી ખેડુતોના આ પાણીનો સળગતો પ્રશ્ન ખેડુતોના હિતને ધ્યાને લઈ વહેલી તકે નિરાકરણ આવે તો આગામી સીઝનમાં નર્મદા નહેરનું પાણી મળે અને ખેડૂતોના તારણહાર બનવા અપીલ કરી હતી. આવેદનપત્ર આપવા મોટી સંખ્યામાં કારેલી ધરતીપુત્રો ઉમટી પડ્યાં હતાં.

  • સંજય પટેલ,ન્યુઝલાઇન,જંબુસર

જંબુસર-આમોદના વિદ્યાર્થીઓને મફત બસ મુસાફરીની સુવિધા આપવા કરાઇ રજુઆત

ગુજરાત રાજ્ય મંત્રી દ્વારા વિધાનસભા સત્રમાં વિદ્યાર્થીઓ માટે બસમાં મફત મુસાફરીની જાહેરાત કરવામાં આવી હોવા છતાં જંબુસર એસ ટી ડેપોમાં વિદ્યાર્થીઓને બસમાં મુસાફરી કરવા રકમ ચુકવવી પડતી હોય  જંબુસર વિધાનસભા યુથ કોંગ્રેસ પ્રમુખે એસટી ડેપો મેનેજરને લેખિત મૌખિક રજુઆતો કરી હતી.

હાલમાં સ્કૂલ કોલેજના વિદ્યાર્થી ભાઈ બહેનોનું શૈક્ષણિક સત્ર શરૂ થયું છે અને જંબુસર આમોદના વિદ્યાર્થીઓ જે દુર દુર સુધી અભ્યાસ કરવા બસમાં મુસાફરી કરતાં હોય છે.અને જંબુસર એસટી ડેપોમાંથી પાંચકડાવી રકમ ચુકવવી પડતી હોય જંબુસર વિધાનસભા યુથ કોંગ્રેસ પ્રમુખ સહિત હોદ્દેદારો જંબુસર ડેપો ખાતે આવી પહોંચી  વિદ્યાર્થીઓની સમસ્યાનું નિરાકરણ લાવવા પ્રમુખ કેતન મકવાણાની આગેવાનીમાં ડેપો મેનેજરને લેખિત મૌખિક રજુઆતો કરી હતી.

તેમણે લેખિતમાં જણાવ્યું હતું કે ગુજરાત રાજ્યના માર્ગ પરિવહન મંત્રી પૂર્ણેશ મોદી દ્વારા વિધાનસભાના છેલ્લાસત્રમાં  વિદ્યાર્થીઓ માટે બસમાં મફત મુસાફરીની જાહેરાત કરવામાં આવી હતી  પરંતુ સ્કૂલ કોલેજના વિદ્યાર્થીઓ પૈસા આપીને પાસ કઢાવે છે તો સરકાર દ્વારા પરિપત્ર બહાર પાડવામાં આવે અને હાલમાં જે વિદ્યાર્થીઓ પૈસા આપીને પાસ કઢાવેલ છે તેમને તાત્કાલિક ધોરણે પાસ કઢાવ્યા ના પૈસા પરત કરવામાં આવે તથા કોરોના કાળ બાદ  એસટી નિગમ દ્વારા અનેક બસના રૂટ કેન્સલ કરતા ઘણા મુસાફરોને હાલાકી ભોગવવી પડે છે બસની અનિયમિતતાને કારણે ઘણા વિદ્યાર્થીઓને શિક્ષણમાં અસર પડે છે  અને જંબુસરથી ભરૂચ રાતના નવની બસ બંધ કરવામાં આવી છે તે શરૂ કરવામાં આવે ભરૂચથી રાત્રે ૯/૩૦ જંબુસર આવતી બસ એ રાત્રે બાર વાગ્યે આવે છે તો એ બસનો સમય રેગ્યુલર કરવામાં આવે. આ રજુઆત કરવા મહામંત્રી અનીશ રણા,કૃણાલ રોહિત ,ઉમેશ પરમાર, અશોક જાંબુ શહેર યુવા કોંગ્રેસ કાર્યકરો હાજર રહ્યાં હતા.રજુઆતને અંતે આ રજૂઆત ઉચ્ચ અધિકારીઓને પહોચાડવામાં આવશે તેમ ડેપો મેનેજર દ્વારા જણાવાયું હતું.

  • સંજય પટેલ,ન્યુઝલાઇન,જંબુસર

ભાજપા પંચાયત સદસ્ય દ્વારા ડુપ્લીકેટ દારૂનો વેપલો કરાતો હોવાનો BTP નો આરોપ!

આજ રોજ BTP ના આગેવાન અને જીલ્લા પંચાયતના પૂર્વ કારોબારી અધ્યક્ષ બહાદુર વસાવા ની આગેવાનીમાં રાજ્યપાલ ને ઉદ્દેશી લખાયેલ આવેદન પત્ર દેડીયાપાડા ખાતે પ્રાંત અધિકારીને અપાયું હતું.

ભારતીય ટ્રાઈબલ પાર્ટી ના આગેવાન અને સામાજીક કાર્યકર તેમજ 100 જેટલી સહીઓ સાથે આપેલા આવેદનપત્રમાં જણાવ્યું હતું કે દેડીયાપાડા સહિત આસપાસ ના વિસ્તારોમા જીલ્લા પંચાયત સદસ્ય હિતેશ વસાવા ઉર્ફે ભોલા સહિત તેનો પરીવાર પિતા દીવાલ છેડળ વસાવા તેની બે પત્નીઓ  જીગ્નેશ દીવાલ વસાવાનાઓ દેડીયાપાડા ના થાણા ફડિયા, પારસી ટેકરા, નવી નગરી, હાટ ચોકડી, વૈકુંઠ ફળિયા સહિત ના વિસ્તારોમા 100 જેટલાં યુવાનો પણ જોડાયા છે અને દારૂ નો વેપલો કરી રહ્યા છે, નવા ગામ રોડ પર ડુપ્લીકેટ દારૂ ના કોઠા ખુલ્લેઆમ ચાલી રહયા છે, ડેડિયાપાડા અને સાગબારા માં જૂગાર આંકડા ના અડ્ડાઓ પણ ચલાવે છે.

વધુમાં આવેદન પત્ર માં જણાવ્યા અનુસાર દીવાલ અને તેના પરીવાર ઉપર અને ફરિયાદો નોંધાઈ છે, દીવાલ ની પાસા હેઠળ પોલીસ દ્વારા અટકાયત પણ કરી હતી, પરંતું બેરોકટોક પણે ફરી દારૂ જુગારનો વેપલો ચાલી રહ્યો છે. સમગ્ર વિસ્તારમાં ડુપ્લીકેટ દારૂ વેચાતો હોય ને લોકો મરી રહ્યા છે, અનેક વિસ્તારોમાં માત્ર વિધવા આદિવાસી સ્ત્રીઓ જોવા મળે છે તયારે આવા તત્વો ઉપર લગામ લગાવી કાયદેસર ની કાર્યવાહી કરવામાં આવે એવી માંગ કરવામા આવી છે.

જોકે આ સમગ્ર મામલે નર્મદા જિલ્લા પંચાયતની દેડીયાપાડા બેઠક ભાજપના સભ્ય હિતેશ વસાવાએ જણાવ્યું હતું કે બી.ટી.પી દેડીયાપાડા બેઠક પર હાર જોઈ ગઇ છે.બી.ટી.પી દ્વારા મારી વિરુદ્ધનું આવેદનપત્ર આપવાનો ઉદ્દેશ્ય માત્રને માત્ર મારી રાજકીય કારકિર્દી બગાડવાનો પ્રયાસ માત્ર છે. હું ખુલ્લી ચેલેન્જ આપુ છું, રાજ્યના કોઈ પણ અઘિકારી દેડીયાપાડામાં આવીને તપાસ કરી જુઓ, જો કોઈ પણ જાતની ગેરકાયદેસર કામગીરીમાં મારું અથવા મારા પરીવાર નું નામ બહાર આવશે તો હું રાજકારણ છોડી દઈશ.

  • રિપોર્ટર: સર્જન વસાવા,ન્યુઝલાઇન,દેડીયાપાડા (નર્મદા)
error: Content is protected !!