ભરૂચનો એક ૨૬ વર્ષિય યુવાન પાછલા બાર દિવસ ઉપરાંતથી ગુમ થઈ જતાં તેના માતા-પિતા અને પત્ની તથા માસૂમ દીકરી પર જાણે આભ ફાટયું છે.
ગુમ થયેલ યુવાન પરિવારનો મુખ્ય કમાનાર છે તથા એક માસૂમ બાળકીનો પિતા છે. તેની સાથે કશું અજુગતું બન્યું છે કે કેમ, તે બાબતની આજદિન સુધી તેના પરિવારને જાણ થઈ શકી નથી. આ અંગે ભરૂચ પોલીસમાં ફરિયાદ પણ નોંધાવવામાં આવી છે. ગુમ થયેલ યુવાન મોબાઈલ, બેંક એટીએમ સહિતના આઇકાર્ડ સહિતના ડોક્યુમેન્ટ હંમેશા તેની સાથે રહેતા હોય તેના ગુમ થયા સમયે પણ તેની સાથે જ હતા.છતાં પણ આજદીન સુધી ભરૂચ પોલીસ દ્વારા તેને શોધી શકાયો નથી.
ભરૂચના બાયપાસ નજીકની સુકૂન બંગ્લોઝમાં રહેતા મુનશી પરિવારમાં પોતાના માતા-પિતા તથા પત્ની અને એક માસૂમ દિકરી સાથે રહેતો અઝહર મુનશી નામનો 26 વર્ષિય યુવાન તા.09-10-2022ને રવિવારના દિવસે ‘હમણાં જ થોડીવારમાં ઈદેમીલાદનું જુલુસના દર્શન કરીને આવું છું’ તેમ કહીને ઘરેથી નીકળેલ હતો. જે આજદિન સુધી પોતાના ઘરે આવી શક્યો નથી. જેતે દિવસે મોડી સાંજ સુધી પણ યુવાન ન દેખા દેતા ઘરના સભ્યોએ આસપાસ તથા તમામ સગાં વ્હાલા,મિત્રો,બિરાદરો સહિતનાને ત્યાં તપાસ કરી હતી.તેનો ભાળ ન મળતા પરિવારે અંતે ભરૂચ પોલીસનું શરણું લીધું હતું.


દરમિયાન ભરૂચ પોલીસને નર્મદા મૈયા બ્રીજના રોડ પર વચ્ચે જ પાર્ક કરેલ મોટર સાઈકલ બિનવારસી હાલતમાં મળી આવતા તે કબજે લીધી હતી. જે ગુમ થનાર અઝહરની જ હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું. પરિવારજનોને આની જાણ થતાં બ્રીજની આસપાસના વિસ્તારમાં જઈ શોધખોળ કરી હતી. પણ યુવાનનો કોઈ પત્તો લાગ્યો ન હતો.
કદાચ નદીમાં છલાંગ લગાવી હોય તેવી આશંકાએ નદીના વિસ્તારની આસપાસ રહેતા લોકો, માછીમારો, તરવૈયાઓ, ન્હાવા આવતા સહિતના તમામને પણ આ બાબતે પૂછપરછ કરી હતી. પરંતુ તે દિવસે કોઈપણ વ્યક્તિ સમગ્ર દિવસ દરમિયાન પાણીમાં પડ્યું હોય તેવો કોઇ બનાવ બન્યાનો તમામે ઇન્કાર કર્યો હતો.
ત્યારથી લઈ આજદિન સુધી આ યુવાનનો કોઈ જ પત્તો લાગ્યો નથી. પોલીસ વિભાગને પણ હજુસુધી અઝહર મુન્શીને શોધવામાં સફળતા સાંપડી નથી. ભરૂચ પોલીસ આ કોઈપણ વગ ન ધરાવતા એક મધ્યમવર્ગીય પરિવારના ગુમ થયેલ યુવાનને શોધવામાં સફળતા મેળવશે કે હરહંમેશ પ્રજાની સેવા તત્પર એવી ભરૂચ પોલીસ આ યુવાના સગડ મેળવવામાં પાંગળી પુરવાર થશે તે તો આવનારો સમય કહેશે…..પ્રજાને ભરોસો છે કે ભરૂચ પોલીસ જરૂચ સફળ રહેશે.




