ભરૂચ જૈન મહાસંઘ દ્વારા ગીતાર્થ ગચ્છાધિપતિ જૈનાચાર્ય રાજયશસુરિશ્વરજી મ. સા. ની મંગલમયી શુભ નિશ્રામાં તા. ૮-૮-૨૦૨૩ મંગળવારના રોજ જૈનોના મહાન તપ “સિદ્ધિતપ” નો લગભગ ૨૦૦ ભાવિકોએ પ્રારંભ કર્યો. આ માટે શ્રીમાળી પોળ ના ઉપાશ્રયના પ્રાંગણમાં ભવ્યાતિભવ્ય કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો.
જેમાંભરૂચના શ્રીમાળી પોળ, શકિતનાથ, ઝાડેશ્વર, વેજલપુર, પ્રિતમનગર, હરીકૃપા આદિ સાત સંઘ તેમજ અંકલેશ્વરથી પણ આ તપમાં જોડાયેલા ભાવિકો પધાર્યા હતા. કાર્યક્રમના પ્રારંભમાં જૈનાચાર્ય ગચ્છાધિપતિ રાજયશસુરિશ્વરજી મહારાજે પ્રવચન કરતાં તપનો મહિમા સમજાવતાં જણાવ્યું કે જિનશાસનમાં તપ – ત્યાગ – દાન માટે એટલી વર્ષા થાય છે કે જેની કલ્પના કરવી પણ મુશ્કેલ છે. હાલ ભરૂચમાં રિંકુબેનનો આજે ત્રીસમો ઉપવાસ છે.
સિધ્ધિતપ એ કુલ ૪૪ ચુમાલીસ દિવસનો તપ છે. જેમાં અનુક્રમે એક ઉપવાસ એક બિયાસણુ, બે ઉપવાસ એક બિયાસણુ, ત્રણ ઉપવાસ એક બિયાસણુ એ પ્રમાણે આઠ ઉપવાસ સુધી ચડવાનું હોય છે. આ તપમાં કુલ છત્રીસ ઉપવાસ અને આઠ બિયાસણા કરવાના હોય છે.તપના પચ્ચક્ખાણ પૂર્વે પૂ. ગચ્છાધિપતિ આચાર્ય ભગવંતે અતિ પવિત્ર એવી નંદી ની ક્રિયા સર્વ તપસ્વીને કરાવી હતી. અને ત્યારબાદ ગીત સંગીતના મધુર વાતાવરણે સુંદર તપનો માહોલ રચ્યો હતો. ત્યારબાદ ખૂબ જ ભાવોલ્લાસ સાથે સર્વ તપસ્વીઓને ઉપવાસનું પચ્ચ્ક્ખાણ પ્રતિજ્ઞા કરાવેલ.દશ વર્ષના બાળકથી મોટી ઉંમરના અનેક ભાઈ બહેનો પણ આ તપમાં જોડાયા છે. તપસ્વીઓના બંને સમયના બિયાસણા શકિતનાથ જગડુશા ભોજન મંડપમાં રાખવામાં આવેલ છે. આ સમસ્ત કાર્યક્રમ ભરૂચ જૈન મહાસંઘ દ્વારા સમાયોજિત કરવામાં આવેલ છે.