
ભરૂચ જિલ્લામાં પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધે અને જિલ્લાના ખેડુતો રાસાયણિક ખાતર તથા જંતુનાશક દવા વગરની પ્રાકૃતિક ખેતી કરતા થાય એવા હેતુસર જિલ્લા વહીવટી તંત્ર, ભરૂચ, જિલ્લા ખેતીવાડી અધિકારી, જિલ્લા પંચાયત, ભરૂચ, આત્મા પ્રોજેક્ટ અને પીઆઇ ફાઉન્ડેશન, જંબુસરના સંયુક્ત પ્રયાસથી “કૃષિ ઉત્કર્ષ પહેલ”ની શરૂઆત કરવામાં આવી હતી.
ભરૂચના વિવિધ ગામમાંથી ૨૫ સરપંચોને તથા ખેતી કરતાં ખેડૂતોને આમંત્રિત કરી જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને અને જિલ્લા ખેતીવાડી અધિકારીની હાજરીમાં આમંત્રિત તમામ લોકોને પ્રાકૃતિક ખેતી વિશેનું યોગ્ય માર્ગદર્શન આપવામાં આવે છે. પ્રાકૃતિક ખેતી માટે ઉપયોગી આયામોનું લાઇવ ડેમોંસ્ટ્રેશન કરી બતાવવામાં આવે છે.
જે અનુસંધાને ૨૧ જૂલાઈ ૨૦૨૨, ગુરૂવાર, સાંજે “કૃષિ ઉત્કર્ષ પહેલ” અંતર્ગત રાત્રીસભાનું આયોજન ભરૂચ તાલુકાનાં મહેગામ ખાતે કરવામાં આવ્યું હતું. રાત્રીસભામાં જિલ્લા ખેતીવાડી અધિકારી, આત્મા પ્રોજેકટ ડાયરેકટર, સીએસઆર નોડલ અધિકારી, ખેતીવાડી શાખાના અન્ય અધિકારીઓ, સરપંચ અને અંદાજિત ૬૫ ગામના પ્રગતિશીલ ખેડૂતો હાજર રહીને રાત્રીસભામાં સક્રિયપણે ભૂમિકા ભજવી હતી.
રાત્રીસભામાં જિલ્લા કૃષિ વિભાગના અધિકારી દ્વારા પ્રાકૃતિક ખેતીની મહત્તા આમંત્રિત ખેડૂતોને સમજાવી જીવામૃત, મિશ્ર પાક પદ્ધતિ, વાફસા, બ્રહ્માસ્ત્ર, હ્યુમસ વગેરે બાબત અંગેનું સચોટ માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.
આ ઉપરાંત આત્મા પ્રોજેકટ ડાયરેકટર દ્વારા વિવિધ દ્રષ્ટાંતો થકી પ્રાકૃતિક ખેતીને અપનાવવા અંગેની બાબત પર ભાર મૂકવામાં આવ્યો હતો. અંતમાં, હાજર રહેલ મહત્તમ ખેડૂતમિત્રોએ હાલમાં અનુભવેલ ખેતીને લગતી સમસ્યાઓ અને મૂંઝવણભર્યા પ્રશ્નો આમંત્રિત અધિકારીઓ સમક્ષ પૂછી જરૂરી માર્ગદર્શન મેળવ્યું હતું. વિશેષમાં, “કૃષિ ઉત્કર્ષ પહેલ” અંતર્ગત પ્રાકૃતિક ખેતી અપનાવવા અને સમયાંતરે વિશિષ્ટ તાલીમ થકી માર્ગદર્શન મેળવવા ઇચ્છુક ખેડૂતમિત્રોને પોતાના નામ નોંધાવવા અંગે જણાવવામાં આવ્યું હતું.