The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

Home Blog Page 84

ભાર વિનાનું ભણતર બન્યું દેડીયાપાડાના વિદ્યાર્થીઓ માટે જીવનું જોખમ!

નર્મદા જીલ્લાના આદિવાસી પછાત વિસ્તાર ગણાતા દેડીયાપાડા ખાતેની એ.એન. બારોટ હાઈસ્કૂલ જીલ્લામાં આવેલ મોટામાં મોટી શાળા તરીકે નું સ્થાન ધરાવે છે, આ શાળામાં મોટા પ્રમાણ માં આદિવાસી વિધાર્થીઓ શિક્ષણ મેળવી રહયા છે , દેડીયાપાડા ખાતે તા 11 મી ના રોજ મુશળધાર વરસાદ ખાબકતા શાળાનાં વર્ગ ખંડોમાં પાણી આવવાના દ્રશ્યો જોવા મળ્યા હતા, ત્યારે વર્ગ ખંડોમાં પાણી ભરાયા હતા, જેથી કાદવ કીચડનું સામ્રાજ્ય ફેલાયું હતું, આ તમામ બાબતો વચ્ચે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની કફોડી હાલત જોવા મળી રહી છે, વિધાર્થીઓનો અભ્યાસ બગડી રહયો છે, હાલમાં તો ખુલ્લા આસમાન નીચે વરસતા વરસાદમાં બાળકો અભ્યાસ કરી રહયા છે.

વર્ષ 1961 માં સ્થાપના થયેલ દેડીયાપાડા નું એ.એન. બારોટ હાઈસ્કૂલ જીલ્લા ની મોટામાં મોટી શાળા તરીકે ઓળખાય છે, જેની સ્થાપના થયાં ને 60 વર્ષ જેટલો સમય થઈ ગયો છે, પરંતું શાળાના કોઇ ઠેકાણા જ નથી, નિર્માણ થયાને છ-છ દાયકાઓ વીત્યાં છતાં આજે આદિવાસી વિધાર્થીઓ વરસતા વરસાદમાં આસમાન નીચે ભણવા મજબુર બન્યા છે! આ શાળા કોંગ્રેસ ની વિચારધારા ધરાવતા ટ્રસ્ટી મંડળ દ્વારા ચલાવવામાં આવે છે, તો શું રાજ્ય સરકાર આ શાળા ને કોઇ અનુદાન કે નાણાકીય સહાય જ આપતી નથી ? જો આવું હોય તો રાજ્ય સરકાર અને કેન્દ્ર ની ભાજપા સરકાર નર્મદા જીલ્લા ને તો એસ્પિરેસોનલ જીલ્લા તરીકે અનેક કામગીરીઓમાં પોતાનાં વિકાસના ડંકા વગાડી રહી છે,તો પછી આદિવાસી વિધાર્થીઓ ખુલ્લા આસમાન માં અભ્યાસ કરવા મજબુર કેમ ?

અહીં વિધાર્થીઓને ક્યાં બેસી અભ્યાસ કરવો તેનો પ્રશ્ન છે, વાલીઓ પણ શાળાની નવીન ઇમારત બને એવો મત પ્રગટ કરી રહ્યા છે, ત્યારે આ સંસ્થાના સંચાલકો, રાજકીય નેતાઓ અને સરકારે આ શાળાની નવી ઇમારત બનાવવાની દિશામાં પહેલ કરવી પડશે ત્યારે જ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનો ભાવી સલામત બનશે.

  • સર્જન વસાવા,ન્યુઝલાઇન,દેડીયાપાડા(નર્મદા)

ભરૂચ જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા ૭૫ દિવસનુ કોવિડ વેક્સિનેશનુ જન અભિયાન હાથ ધરાશે

રાજય સરકાર તરફથી મળેલ સુચના મુજબ કોવિડ-૧૯ અંતર્ગત ૧૮ થી ૫૯ વર્ષના તમામ લાભાર્થીઓને પ્રીક્રોશન (બુસ્ટર) ડોઝ ૧૫-જુલાઇ-૨૦૨૨ થી જન અભિયાન  સ્વરૂપે ૭૫ દિવસ સુધી કોવિડ વેક્સિનેશન સંસ્થામાં વિના મુલ્યે આપવાનું નકકી થયેલ છે. જે માટે જિલ્લા કલેકટર, જિલ્લા વિકાસ અધિકારીના માર્ગદર્શન હેઠળ આરોગ્ય તંત્ર દ્વારા ભરૂચ જિલ્લાનાં  ૨૦૦ થી ૨૫૦ કોવીડ  વેક્સીનેશન સંસ્થાઓમાં સરકારશ્રીના સુચના મુજબ પ્રીક્રોશન (બુસ્ટર) ડોઝ ૭૫ દિવસ સુધી વિનામુલ્યે આપવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે,૧૮ થી ૬૦વર્ષના તમામ લાભાર્થીઓને કે જેઓને બીજા ડોઝનાં લીધાના ૬ માસ પૂર્ણ થયેલ હોય તેઓને પણ આ અભિયાનમાં આવરી લેવામાં આવશે.

હાલમાં કોરાનાનું સંક્રમણ વધી રહ્યું છે જેને અટકાવવા અને કોરોનાથી સુરક્ષિત રહેવા પ્રિકોશન (બુસ્ટર) ડોઝ લેવો ખુબ જ જરુરી છે. આથી જિલ્લા કલેકટર, જિલ્લા વિકાસ અધિકારી અને મુખ્ય જિલ્લા આરોગ્ય તરફથી ભરૂચ જિલ્લાની તમામ જાહેર જનતાને કોરોના સામેની આ લડાઈમાં તમામ જનતા કોરોનાની રસી લઈને સરકાર અને સમાજને મદદરૂપ થાય તેવી જિલ્લા પ્રશાસન તરફથી જાહેર અપીલ કરવામાં આવી છે.

આમોદ પાસેથી પસાર થતો નેશનલ હાઇવે વરસાદને કારણે બિસ્માર

આમોદ પાસેથી પસાર થતો રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર ૬૪ ચોમાસામાં વરસાદને કારણે બિસ્માર બનતા રોડ ઉપર મસમોટા ખાડા પડી ગયા છે. જેથી વાહનચાલકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે.દર વર્ષે આ રોડ ઉપર આવા એક થી દોઢ ફૂટ ઊંડા ખાડા પડી જતાં વાહનચાલકો સાથે રાહદારીઓ અને મુસાફરો પણ પરેશાન બન્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે આમોદ પાસેથી પસાર થતા નેશનલ હાઇવે નંબર ૬૪ નું ૨૦૧૭-૧૮ માં સુરતની એજન્સીએ કામ લીધું હતું જેમાં આમોદ-નાહીયેર તેમજ સુડી-સમની સેકશનનું કામ ૧૩.૪૦ કરોડના ખર્ચે કરવામાં આવ્યું હતું. જે રોડ ઉપર કરોડોનો ખર્ચ કરવા છતાં દર વર્ષે ચોમાસામાં પહેલા વરસાદે જ રોડ ઉપર મસમોટા ખાડા પડી જાય છે.ભારદારી વાહનો હાલક દોલક થતાં પસાર થાય છે ત્યારે આમોદ ચોકડી ઉપર મુસાફરો પણ મોટી સંખ્યામાં બસ તેમજ ખાનગી વાહનોની રાહ જોઇને ઉભા હોય છે ત્યારે હાલક ડોલક થઈને પસાર થતાં મોટા વાહનો અકસ્માતે પલટી મારે તો મુસાફરોનો પણ કચ્ચણઘાણ વળી જાય તેમ છે.જેથી હાઇવે ઓથોરિટી દ્વારા સત્વરે મસમોટા ખાડા પુરાવી રોડ સમથળ કરાવાઈ તેવી લોકમાંગ ઉઠવા પામી છે.તેમજ રોડ ઉપરથી પસાર થતાં વાહનચાલકોએ પણ હાઇવે ઓથોરિટી સામે રોષ વ્યક્ત કર્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે ૨૦૧૭-૧૮ માં સુરતની એજન્સીએ બનાવેલો રોડ ગેરંટી પિરિયડ પહેલા જ ખખડધજ બની જતાં એજન્સી સામે સવાલો ઉભા થયા હતા.જે બાબતે આમોદ નગરના જાગૃત નાગરિકો દ્વારા લેખિત ફરિયાદો કરવા છતાં હાઇ-વે ઓથોરિટી તરફથી કોઈ કાર્યવાહી કરવામાં ના આવતાં હાઇ-વે ઓથોરિટીના ભ્રષ્ટ અધિકારીઓ સામે પણ જાગૃત નાગરિકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

  • વિનોદ પરમાર,ન્યુઝલાઇન,આમોદ

આમોદના દરબારગઠ ખાતે પોલીસકર્મીના સ્વાંગમાં યુવાનનું અપહરણ!

આમોદના દરબારગઢ ખાતે મોબાઇલ ચોરીના આરોપમાં પોલીસના સ્વાંગમાં એક યુવાનનું અપહરણ કરાયાની ફરીયાદ નોંધાતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે.

આમોદ શહેરના દરબારગઠ ખાતે રહેતાં ભીખીબેન રાવજી ડાભી ગત 29મી જૂનના રોજ રાત્રીના સમયે તેઓ તેમજ તેમનો પુત્ર ટીનો તેમજ પૌત્ર રણવીર સુઇ રહ્યાં હતાં. દરમિયાનમાં રાત્રે સાડા અગિયાર વાગ્યે આછોદ ગામનો ઇમરાન ઇકબાલ પઠાણ તેમજ તેની સાથે બે શખ્સો ઇકો કારમાં તેમના ઘરે આવ્યાં હતાં. જે પૈકી એક શખ્સે પોતાનું નામ મહેશ પરમાર હોવાનું તેમજ તે વેડચ પોલીસ સ્ટેશનમાંથી આવ્યો હોવાનું જણાવ્યું હતું. તેણે ટીનાને ઉઠાડી તેણે મોબાઇલ ચોરી કરી હોવાનું પરીવારને જણાવી તેમણે ટીનાને બળજબરીથી કારમાં બેસાડી દીધો હતો.

જોકે, ભીખીબેને પણ કારમાં બેસી જતાં ઇમરાન ઇકબાલ પઠાણે તેમને જણાવ્યું હતું કે, માસી તમારા છોકરાને કાંઇ થશે નહીં, સવારે પાછો આવી જશે. જે પરત નહીં આવતાં તેમણે ભીખીબેને વેડચ પોલીસ મથકે તપાસ કરતાં ત્યાં મહેશ પરમાર નામનો કોઇ પોલીસકર્મી કામ જ કરતો ન હોવાનું જણાયું હતું.

ઇમરાનને તે બાબતે પુછપછતાં તેણે જણાવ્યું હતું કે, તેમનો પુત્ર ટીનો વેડચ જતાં રસ્તામાં જ ક્યાંક ભાગી ગયો હતો. તેઓ તેને શોધે છે. જે બાદ પણ અત્યાર સુધીમાં ટીનાનો કોઇ પત્તો લાગ્યો ન હતો. આ સમગ્ર ઘટનાક્રમને લઇને તેમના પુત્ર ટીનાનું અપહરણ થયું હોવાનું લાગતાં તેમણે આખરે આમોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ઝઘડિયા તાલુકાના ઉમલ્લા ગામે લીમડાના બે વૃક્ષ ધરાશાયી

હાલ સમગ્ર રાજ્યમાં ભારે વરસાદ થતાં તેને પગલે ઘણા વિસ્તારો પાણીમાં ડુબી જતા ઠેરઠેર જળબંબાકાર જેવી સ્થિતિ જોવા મળી હતી. ભારે વરસાદથી જાહેર માર્ગો પરના તેમજ રહેણાંકો નજીકના તેમજ ખેતરોમાં આવેલ ઘણા વૃક્ષો ધરાશાયી થયા હતા. ભરૂચ જીલ્લામાં પણ પાછલા કેટલાક દિવસોથી સતત મેઘવર્ષા થઇ રહી છે, ત્યારે ભારે  વરસાદના કારણે ઝઘડિયા તાલુકાના ઉમલ્લા ગામે બેન્ક ઓફ બરોડા નજીક આવેલ લીમડાની મોટી ડાળી તુટી પડી હતી, તેને લઇને નજીકથી પસાર થતી વીજ લાઇનોને પણ નુકશાન થયું હતું અને વીજ પ્રવાહ ખોરવાયો હતો.

ઉપરાંત ઉમલ્લા ગામે આવેલ  તળાવની પાળ  ઉપર આવેલ એક વર્ષોજુનું  લીમડાનું વૃક્ષ પણ ધરાશાયી થતા વીજપોલ તેમજ વીજલાઇનને નુકશાન થયું હતું. આ ઘટનાઓમાં સદભાગ્યે કોઇ જાનહાની નહી થતાં તંત્ર અને જનતાએ રાહત અનુભવી હતી.

ફારૂક ખત્રી,ન્યુઝલાઇન, રાજપારડી

માતર ગામના તળાવમાં ડૂબી ગયેલ યુવાનની લાશ 3 દિવસ બાદ બહાર આવી

આમોદ તાલુકાના માતર ગામમાં બે દિવસ પહેલાં બેંકમાં કામ અર્થે ગયેલા યુવાનનો પગ લપસી જતાં ગામના તળાવમાં ડૂબી ગયો હતો.જે યુવાનની લાશ આજ રોજ સવારમાં તળાવમાં જોવા મળતાં ભરૂચ ફાયર બ્રિગેડના જવાનોએ લાશને બહાર કાઢી હતી.ત્યાર બાદ તેનું માતર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે પોસ્ટમોર્ટમ કરાયું હતું.

આમોદ પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ આમોદ તાલુકાના માતર ગામના ટેકરા ફળિયામાં રહેતો રણજિત શાંતિલાલ વસાવા અને રમેશ લલ્લુ વસાવા સિગ્મા કોલેજમાં આવેલી સેન્ટ્રલ બેંકમાં તેમની છોકરીઓની શિષ્યવૃતિ જમાં થતાં તેઓ બને ઘરમાં રૂપિયાની જરૂર હોય પૈસા ઉપાડવા ગયા હતા.પરંતુ બેંકનું સર્વર ડાઉન હોય પૈસા ઉપાડી શક્યા નહોતાં.અને માતર ગામના તળાવના કિનારે પગદંડી રસ્તા ઉપર પરત આવતા હતા ત્યારે રણજીત વસાવાનો પગ લપસી જતાં તેઓ તળાવના ઊંડા પાણીમાં ગરકાવ થઈ લાપતા બન્યો હતો.જેથી ગામના સ્થાનિક તરવૈયાઓએ તળાવમાં લાપતા બનેલા રણજીત વસાવાને શોધવા માટે ભારે જહેમત આદરી હતી.પરંતુ ભારે વરસાદને કારણે તળાવમાં પાણીનો ફોર્સ વધુ હોય યુવાનને શોધવામાં સફળતા મળી નહોતી.ત્યારે ગામના જાગૃત નાગરિક રણજીતસિંહ રાજ તથા સરપંચ ઇરફાનભાઈ ઉઘરાતદારે તંત્રને જાણ કરતા બનવાના દિવસે એસ.ડી.આર.એફ.વાલીયાની ટીમ આવી પહોંચી હતી.અને તળાવમાં ડૂબી ગયેલા યુવાનની શોધખોળ આદરી હતી.

જો કે પાણીનો વહેણ વધુ હોય તેમને પણ સફળતા મળી નહોતી ત્યાર બાદ બીજા દિવસે બપોર બાદ પણ એસ.ડી.આર.એફ.વાલીયાની ટીમ ફરીથી આવી લાપતા બનેલા યુવાન રણજિત વસાવાની લાશને શોધવા માટે ભારે જહેમત ઉઠાવી હતી.છતાં રાત સુધીમાં યુવાનનો કોઈ પત્તો લાગ્યો નહોતો.તળાવમાં ડૂબી ગયેલા યુવાનને શોધવા માટે એસ.ડી.આર.એફ.ની ટીમ આવી પહોંચતા સમગ્ર ગામ જોવા માટે ઉમટી પડ્યું હતું.ત્યારે આજે સવારે ત્રણ દિવસ બાદ રણજિત વસાવાની લાશ તળાવમાં તરતી જોવા મળી હતી.જેને ભરૂચ નગરપાલિકાના ફાયર બ્રિગેડના જવાનોએ બહાર કાઢી હતી.ત્યાર બાદ માતર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે તેનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું.

  • વિનોદ વસાવા,ન્યુઝલાઇન,આમોદ

જંબુસરના તાડિયા હનુમાન મંદિર પાસે આડાસંબંધના વહેમે બે પરિવાર વચ્ચે ધિંગાણું

જંબુસર શહેરના તાડિયા હનુમાન મંદિર પાસે આડાસંબંધના વહેમે બે પરિવારો વચ્ચે ધિંગાણું સર્જાયું હતું. આ ઝઘડામાં 3 મહિલાઓને ચપ્પુથી ઇજાઓ પણ થઇ હતી.

જંબુસર શહેરમાં આવેલાં ટંકારી ભાગોળ વિસ્તારમાં રહેતાં કિશન ખોડા વાઘેલા તાડીયા ફળિયા વિસ્તારમાંથી પસાર થઇ રહ્યાં હતાં. તે વેળાં તેમના પિતાજી નિલેશ ઠાકોર વાઘેલાને સમજાવી રહ્યાં હતાં કે, તું મારા પુત્રની પત્ની સાથે કેમ આડોસંબંધ રાખે છે. તું હવે તેની સાથે સંબંધ ન રાખતો તેમ કહેતાં હતાં. જેના પગલે કિશન પણ તેમને સમજાવી રહ્યો હતો. જેને પગલે નિલેશનું ઉપરાંણુ લઇ બાબુ ગોકળ વાઘેલા, હાર્દિક બાબુ વાઘેલા તેમજ અંબાબેન ચંદુ વાઘેલાએ તેમના પર હૂમલો કરી માર મારી ઇજાઓ પહોંચાડી હતી.

આ ઘટનામાં તાડિયા હનુમાન વિસ્તારમાં રહેતી અંબાબેન ચંદુ વાઘેલાએ નોંધાવેલી ફરિયાદ મુજબ તેઓ ઘરે હાજર હતી. ત્યારે ફળિયામાં બુમાબુમ થતાં તેઓ તેમની પુત્રી સપના સાથે ત્યાં જતાં કિશન ખોડા વાઘેલા તેમજ તેના પિતા ખોડા શંકર વાઘેલા તેમની ભત્રીજી જ્યોત્સનાને માર મારતાં હોઇ તેમજ ચપ્પુથી હૂમલો કરવા જતાં તેના કપડા ફાટી ગયાં હોવાનું માલુમ પડ્યું તું. તેઓ તેને બચાવતાં જતાં તેમના પર તેમજ તેમની પુત્રી પર પણ તેઓએ હૂમલો કરી ઇજાઓ પહોંચાડી હતી.આ ઘટનાને પગલે જંબુસર પોલીસે બન્ને પક્ષની ફરિયાદના આધારે કુલ 6 વ્યક્તિ વિરૂદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ભરૂચના રામવાટિકા ફ્લેટ ખાતે રહેતાં શખ્સ સાથે 3 લાખની ઓનલાઇન છેતરપિંડી

ભરૂચના એક નિવૃત્તના મોબાઇલ પર કેવાયસી-પાનકાર્ડ અપડેટ માટેનો મેસેજ આવ્યો હતો. જે મેસેજમાંની લીંક ઓપન કરી તેમણે તેમના ખાતાની વિગતો ભરતાં તેમના એકાઉન્ટમાંથી 3 લાખ રૂપિયા ઉડી ગયાં હતાં. ભરૂચના ઝાડેશ્વર રોડ પર આવેલાં રામવાટિકા ફ્લેટ ખાતે રહેતાં અને નિવૃત્ત જિવન ગુજારતાં અરવિંદ દ્વારકાપ્રસાદ ગુપ્તાના મોબાઇલ પર ગત 10મી જૂનના રોજ એક મેસેજ આવ્યો હતો. જેમાં તેમના બેન્ક એકાઉન્ટનું કેવાયસી તેમજ પાનકાર્ડ અપડેટ કરવા માટે જણાવાયું હતું.

જેના પગલે તેમને ડર લાગ્યો હતો કે, તેમના બેન્ક એકાઉન્ટ સાથે પાનકાર્ડ અપડેટ નહીં થાય તો તેમનું એકાઉન્ટ બ્લોક થઇ જશે. જેથી તેમણે મેસેજમાં આવેલી લીંક પર ક્લિક કરતાં તેમાં એક ફોર્મ ખુલ્યું હતું. જેમાં તેમણે તમામ વિગતો બરી હતી. જેમાં તેમના ઓનલાઇન પેમેન્ટ માટેનું યુઝર આઇડી તેમજ પાસવર્ડ માંગતાં તેમણે તે પણ તે વિગત પણ સબમીટ કરતાં તેમના મોબાઇલ પર ઓટીપી આવ્યો હતો.

જે તેમણે એક કોલમમાં તે ઓટીપી નાખતાં થોડીવારમાં જ તેમના બેન્કના ખાતામાંથી 3 લાખ રૂપિયા આઇસીઆઇસીઆઇ બેન્કના એક ખાતામાં ટ્રાન્સ્ફર થયાં હોવાનો તેમજ તેમના ખાતામાંથી 3 લાખ રપિયા કપાઇ ગયાં હોવાનો મેસેજ આવ્યો હતો. જેના પગલે તેમની સાથે ઠગાઇ થઇ હોવાનું માલુમ પડ્યું હતું. તેમણે તુરંત તેમનું એકાઉન્ટ બ્લોક કરાવી દીધું હતું. ઉપરાંત ભરૂચ સી ડિવિઝન પોલીસ મથકે તેમણે ફરિયાદ નોંધાવી હતી.

ઢાઢર નદીમાં જળસ્તર વધવાથી ખેતરોમાં ફરી વળતા ધરતીપુત્રો ચિંતામાં !

આમોદ પાસેથી પસાર થતી ઢાઢર નદીમાં ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે બે કાંઠે વહેતી થતાં આમોદ તાલુકા તંત્ર દ્વારા નદી કાંઠાના ગામોને સાવધ કરાયા છે.તેમજ નદીની જળસ્તર સપાટીમાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે.તેમજ નદીનું પાણી ખેતરોમાં ફરી વળતાં ધરતીપુત્રો ચિંતામાં મુકાય હતા.આ ઉપરાંત ઢાઢર નદીમાં મગરોનું પણ પ્રમાણ વધુ હોવાથી મગરો પણ બહાર આવ્યા હોવાનું અનુમાન થઈ રહ્યું છે.તેમજ ઢાઢર નદીમાં જંગલી ન્હારી વેલનો પણ જમાવડો થયો હોય તંત્ર દ્વારા વેલને હટાવવા લોકમાંગ કરવામાં આવી છે. કારણ કે વેલને કારણે પાણી અવરોધતા આસપાસની ખેતીને વધુ નુકશાન થવાની ભીતિ ખેડૂતો દર્શાવી રહ્યા છે.હાલ ઢાઢર નદી ૧૦૦ ફૂટની સપાટીએ વહી રહી છે જે તેની ભયજનક સપાટીથી માત્ર બે ફૂટ દૂર છે.ત્યારે તંત્ર દ્વારા સાવચેતીના ભાગરૂપે નદી કાંઠાના આઠ ગામો પુરસા, કાંકરિયા,વાડિયા, કોબલા,વાસણા,મંજોલા,રાણીપુરા, દાદાપોર, સહિતના ગામોને સાવધ કરાયા છે તેમજ જે તે ગામના તલાટીઓને ગામના હાજર રહી આગોતરું આયોજન કરવા સૂચના આપવામાં આવી છે.

આમોદ પાસેથી પસાર થતી ઢાઢર નદીએ ૧૦૦ ફૂટ ઉપર બે કાંઠે વહી રહી છે ત્યારે આમોદ વહીવટી તંત્ર દ્વારા કાંકરિયા ગામ પાસે આવેલા માનસંગપુરા ગામમાં નદીના પાણી ઘુસી જતાં સલામતીના ભાગરૂપે ગામના ૧૮ વ્યક્તિઓનું કાંકરિયા ગામ ખાતે શાળામાં સ્થળાંતર કરવામાં આવ્યું હતું.જેમાં કાંકરિયા ગામના સરપંચ મનીષાબેન પ્રવીણ ઠાકોર દ્વારા એક દિવસ જમવાની વ્યવસ્થા કરવામાં આવી હતી.પરંતુ તંત્ર દ્વારા બીજા દિવસે કોઈ વ્યવસ્થા કરવામાં ના આવતા ૧૮ માંથી ૮ વ્યક્તિઓ ગામમાં પરત જતી રહી હતી.તેમજ બીજા લોકો સંબંધીઓના ઘરે રોકાયા હતાં.જે બાબતે ગામના સરપંચે તંત્રને રિપોર્ટ પણ કરી દીધો હતો.અત્રે ઉલ્લેખનીય છે કે ઢાઢર નદીના પાણી માનસંગપુરા ગામમાં ફરી વળતા નદીમાં વસવાટ કરતા મગરો પણ ખેતરોમાં ફરતા થઈ જતાં ફફડાટ ફેલાઈ ગયો છે.

ઉલ્લેખનીય છે કે, હાઈસ્કૂલમાં સ્થળાંતર કરવામાં આવ્યું હતું.જે બાબતે તલાટીએ તાલુકા વિકાસ અધિકારીને રિપોર્ટ કર્યો હતો.

  • વિનોદ પરમાર,ન્યુઝલાઇન,આમોદ

રાજપારડીમાં વરસાદ બંધ થયા બાદ વિજળી વિભાગે વિજપોલોની કરી ચકાસણી

રાજયભરમાં વરસાદે ભારે તારાજી સર્જીછે તેવામાં ઝઘડીયા તાલુકાના રાજપારડી નગરમાં પણ ધોરીમાર્ગ નજીકની સોસાયટીઓમાં વરસાદી પાણી ભરાયા હતા જોકે વરસાદે વિરામ લેતા હાલ તમામ નિચાણવારા વિસ્તારોમાંથી પાણી ઓસરી જતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે.

ત્યારે રાજપારડી ડી.જી.વી.સી.એલ.કચેરીના ડેપ્યુટી ઇજનેર ડેવીડ વસાવાએ વરસાદ પેહલા અને વરસાદ બંધ રહ્યા બાદ નગરજનોની સલામતી અને સુરક્ષા માટે ટેકનિકલ સ્ટાફને ખડેપગે રાખીને પોતે પણ એલર્ટ રહ્યા હતા અને આજે વરસાદે વિરામ લેતા નગરના કેટલાક શંકાસ્પદ વિજપોલો પર વિજ કરંટ ઉતરે છે કે નહિ તેની સધન તપાસ કરાવી હતી નગરના તમામ વિજપોલો ચેક કરતા કોઇજ વિજપોલમાં વિજ કરંટ નહિ ઉતરતો હોવાની ખાતરી કરવામાં આવી હતી.

સાથે જો કોઇ ઠેકાણે વિજફોલ્ટ અથવા વિજ અકસ્માત જણાય તો રાજપારડી વિજળી વિભાગની કચેરીનો સંપર્ક કરવા જણાવ્યું હતું અને હાલ ચોમાસાની સીઝન હોઇ વરસાદી પાણીથી વિજપોલો તેમજ વિજતારો ભીના હોઇ અથવા જમીન પર વિજતારો પડેલા હોઇ તેવા સંજોગોમાં નગરજનોએ આવા ભીના વિજ ઉપકરણોથી દુર રહી વિજ કચેરીને જાણ કરવા કચેરી દ્વારા અનુરોધ કરાયો છે.

  • ફારૂક ખત્રી,ન્યુઝલાઇન,રાજપારડી
error: Content is protected !!