ભરૂચ SOG એ ડ્રગ્સના કરોડોના ઐતિહાસિક ડ્રગ્સ બાદ ગાંજાનો 1334 કિલો 1.33 કરોડની કિંમતનો જથ્થો પકડ્યો છે. કાનપુર સુરતની લકઝરી બસમાં આર્યુવેદીક ઔષધિઓની ગોળીઓની આડમાં આ નશીલા વેપલાની હેરફેરનો પર્દાફાશ કર્યો છે.
ભરૂચ SOG ના સુરેશ વણઝારાને મળેલી બાતમીના આધારે ઝાડેશ્વર ચોકડી સર્વિસ રોડ ઉપર PI આંનદ ચૌધરી, PI વી.કે.ભૂતિયા, પોસઇ એ.વી.શિયાળીયા, શૈલેષભાઈ સહિતનો સમગ્ર સ્ટાફ વોચમાં ગોઠવાયો હતો.કાનપુર તરફથી UP પાસિંગની લકઝરી બસ આવતા તેને અટકાવી તપાસ શરૂ કરાઇ હતી. બસની ડીકી અને બસની ઉપરથી 40 થેલા મળી આવ્યા હતા.
જેમાં મહાકાલ, વિજયા, મહાશક્તિ, પાવર બ્રાન્ડના પેકેટોમાં મુનક્કા આર્યુવેદીક ઔષધિના નામે ગાંજા મિશ્રિત ગોળીઓ પાઉચમાં હોવાનું FSL ની તપાસમાં ખુલ્યું હતું.મધ્યપ્રદેશના ડ્રાઈવર વિજયપાલ સિંહ, ચંદ્રકાન્ત શર્મા અને ક્લિનર રવિન્દ્ર વર્માની ધરપકડ કરાઈ હતી. તેઓને ગાંજાની ગોળીઓનો 1334 કિલો કિંમત રૂપિયા 1.33 કરોડનો જથ્થો કાનપુર ફજલગંજના વૈષ્ણો ટ્રાવેલ્સના મેનેજર મોનુ પરમારે ત્રણ બીલ્ટીઓ આપી લકઝરીમાં લોડ કરાવ્યો હતો.
જેની ડિલિવરી સુરત કરવાની હતી. આ નશીલા પદાર્થના બે રિસીવરો સુરતના અંબાલાલ અને ભરતને પણ SOG એ હીરાસતમાં લઇ લીધા છે. ભરૂચ જિલ્લા પોલીસ વડા ડો. લીના પાટીલે આજે પત્રકાર પરિષદ યોજી લકઝરી બસમાં કાનપુરથી સુરત એયુવેદીક ગોળીઓની આડમાં ગાંજાની થતી હેરફેર અંગે માહિતી આપી હતી. પેકેટ ઉપર એક રૂપિયા કિંમત લખેલી આ નશાની ગોળી 25 થી 30 રૂપિયામાં નશાના સોદાગરો દ્વારા વેચાતી હોવાનો ઘટસ્ફોટ કર્યો હતો. પાંચ આરોપીની ધરપકડ સાથે બે ને વોન્ટેડ જાહેર કરી ગાંજો, લકઝરી બસ, 3 મોબાઈલ અને રોકડ મળી કુલ 1.53 કરોડનો મુદ્દામાલ જપ્ત કરાયો છે.
SOG PI એ.એ.ચૌધરીએ વધુમાં જણાવ્યું હતું કે, કાનપુરની આ ઔષધિ બનાવતી કંપનીની ભૂમિકા પણ તપાસાશે. નશીલા પદાર્થના કિમીયાગરોએ કંપનીનું નામ, બ્રાન્ડ, પેકેટનો ઉપયોગ કરી ગોળીઓમાં ગાંજો મિશ્રિત કર્યો છે કે નહીં. અને મળી આવેલી ત્રણ બીલ્ટી સહિતની તપાસ સાથે યુપીથી કેટલા સમયથી અને કેટલી વખત આ મોડ્સ ઓપરેન્ડી થકી ગાંજાની ગોળીઓના જથ્થાની હેરફેર થઈ છે. તેના મૂળ સુધી પોહચવા ઝડપાયેલા આરોપીઓના 7 દિવસના રીમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરાઈ છે.