ભરૂચ જિલ્લામાં નર્મદા નદીના જળસ્તર વધ્યા બાદ પૂરની પરીસ્થીતીનું નિર્માણ થતા નદી કાંઠા વિસ્તારોમાં ભારે તારાજીનું થવા પામી હતી.નર્મદા નદીમાં અચાનક જ જળ સ્તર વધતા ભરૂચ અંકલેશ્વરના નીચાણવાળા વિસ્તારમાં પાણી પ્રવેશી જતા લોકો પારાવાર મુશ્કેલીમાં મુકાયા હતા.
જો કે નર્મદા નદીના જળ સ્તર ઘટ્યા બાદ નીચાણવાળા વિસ્તારોમાં સ્થિતિ સુધરી હતી. પરંતુ પાણી ધુસી જવાના પગલે લોકોની ઘર વખરી અને દુકાનમાં રહેલા સામાનને મોટી નુકશાની થઈ હતી. જે બાદ સ્થિતિ અંગેના ચિતાર મેળવવા હવે રાજકીય નેતાઓએ ભરૂચ જિલ્લામાં ધામા નાંખવાના શરૂ કર્યા છે. ત્યારે આજે ભરૂચના પ્રભારી અને મંત્રી કુંવરજી હળપતિ તથા ભાજપના આગેવાનો ભરૂચમાં પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે પહોંચ્યા હતા. તે વેળા લોકોમાં આક્રોશનો ભોગ મંત્રી એ બનવું પડ્યું હતું.
જેમાં સ્થાનિકોએ મંત્રીનો ઘેરાવો કરી તેઓ સમક્ષ એક રૂપિયો સહાય નહીં આવે અમને ખબર છે, તેવા શબ્દોચ્ચાર સાથે હોબાળો મચવ્યો હતો. બાદમાં લોકોનો આક્રોશ જોઈ પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે પહોંચેલા મંત્રી અને ભાજપના આગેવાનોનોએ પણ ઘેરાવો થતા ચાલતી પકડી હતી અને ભરૂચ દાંડિયા બજારથી મંત્રી સહિતનો કાફલો અંકલેશ્વર તરફ પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે રવાના થયો હતો.