ભરૂચના પૂર્વ પટ્ટી વિસ્તારમાં નર્મદા નદીમાં ચાલતાં ગેરકાયદે ખનન બાદ હવે રેતી માફિયાઓએ કેનાલોમાં પુરાણ કરી દીધું હોવાની ચોંકાવનારી વિગતો સપાટી પર આવી છે. શુકલતીર્થના બેડ વિસ્તારમાં કેનાલોમાં પુરાણ કરી વાહનોથી ગેરકાયદેસર રેતીનો સ્ટોક કરાતો હોવાથી ખેડૂતોમાં રોષ ભભુકી ઉઠ્યો છે.
શુક્લતીર્થ ગામે કેટલાક સમયથી ખેતરોમાં રેતીનો સ્ટોક કરવામાં આવી રહ્યો છે તેનાથી આજુબાજુના ખેડૂતોના ઉભા પાકને નુકશાન થતું હોવાની ફરિયાદો ઉઠી છે. ખાસ બાબત એ છે કે જે નર્મદા કેનાલો માટે ખેડૂતોની કીમતી જમીનો સંપાદિત કરીને તેમને જે તે સમયે વળતર ચૂકવી નર્મદાના સિંચાઇ માટે પાણી મળી રહે તેવા આશયથી નર્મદાની કેનાલ બનાવવામાં આવી પરંતુ શુક્લતીર્થ પંથકમાં આજે પણ જ્યારથી કેનાલો બની ત્યારથી એક બુંદ પાણી પણ કેનાલ મારફતે ખેડૂતોને સિંચાઇ માટે મળ્યું નથી.
જ્યારે હવે રેતી માફીયાઓ કેનાલોનો દુરુપયોગ કરી કેનાલમાં માટી પુરાણ કરી ખેતરમાં રેતીનો સ્ટોક કરવા રસ્તો બનાવી ઉપયોગ કરી રહ્યા છે. કેનાલોના સમારકામ તો ઠીક પરંતુ તેનું પુરાણ કરી જાહેર માર્ગ બનાવી વાહનોની અવ-જવર કરવાની પરમિશન કયા અમલદારે આપી તે એક સવાલ ખેડૂતોમાં ચર્ચાનો વિષય બન્યો છે.
ભરૂચ જિલ્લાની પૂર્વ પટ્ટીના ગામોમાં ચાલતી ગેરકાયદે રેતીખનન પર કાર્યવાહી કરતાં અધિકારીઓને કદાચ આ રેતીના ઢગલાઓ દેખાતા નહિ હોય તેમ લાગી રહયું છે. શુકલતીર્થ, ઝનોર, અંગારેશ્વર સહિતના ગામોમાં રેતીની લીઝોમાંથી ગેરકાયદે ખનન થતું હોવાની વ્યાપક ફરિયાદો ઉઠતાં તંત્ર પણ એકશનમાં આવ્યું છે.