
ભરૂચમાં વર્ષોથી ગણેશજીની પ્રતિમાઓનું નીલકંઠેશ્વર મહાદેવ મંદીરના ઘાટ ખાતે વિસર્જન કરવામાં આવતું હતું. ત્યારબાદ ગણેશજીની વિશાળ પ્રતિમાઓની સ્થાપનાનો ટ્રેન્ડ ચાલુ થતાં વિશાળ પ્રતિમાઓનું વિસર્જન ભાડભુત ખાતે શરૂ કરવામાં આવ્યું હતું. નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલના આદેશ બાદ નીલકંઠેશ્વર મહાદેવ મંદીર ખાતે ગણેશ વિસર્જન બંધ કરાવી કૃત્રિમ કુંડની પરંપરા ચાલુ થઇ છે. કોરોનાની મહામારી બાદ ચાલુ વર્ષે ગણેશ મહોત્સવની રંગત પુરબહારમાં ખીલી છે. શુક્રવારે થનારા ગણેશ વિસર્જન પહેલાં ભરૂચ નગરપાલિકાના સભાખંડમાં ગણેશ આયોજકો અને તંત્ર વચ્ચે બેઠક મળી હતી.
ભરૂચમાં માટીની બનેલી ગણેશજીની પ્રતિમાઓને નર્મદા નદીમાં વિસર્જીત કરવાની ગણેશ મંડળોની માંગના પગલે તંત્ર મુંઝવણમાં મુકાયું છે. નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલના આદેશ બાદ છેલ્લા પાંચ વર્ષ ઉપરાંતથી નીલકંઠેશ્વર મહાદેવ ઘાટ ખાતે કરાતું ગણેશ પ્રતિમાઓનું વિસર્જન બંધ કરી દેવામાં આવ્યું છે. ચાલુ વર્ષે ગણેશ આયોજકોએ માટીમાંથી બનેલી પ્રતિમાઓનું નીલકંઠેશ્વર ઘાટ ખાતેથી વિસર્જન કરવા દેવામાં આવે તેવી માગ કરતાં તંત્ર પણ મુંઝવણમાં મુકાયું છે.
બેઠકમાં ગણેશ વિસર્જન અંગે કૃત્રિમ તળાવો અંગે માહિતી આપવામાં આવી હતી. બેઠકમાં ગણેશ યુવક મંડળોએ રજુઆત કરી હતી કે, ચાલુ વર્ષે 70 ટકાથી વધારે શ્રીજીની પ્રતિમાઓ ઇકો ફ્રેન્ડલી છે જેથી માટીની બનેલી પ્રતિમાઓનું નર્મદા નદીમાં વિસર્જન કરવા દેવામાં આવે. જો કે નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલનો આદેશ હોવાથી તંત્ર નર્મદા નદીમાં વિસર્જનની પરવાનગી આપી શકે તેમ નથી.
આ મામલે પાલિકા પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું કે,ભરૂચમાં ગણેશ વિસર્જન શાંતિપુર્ણ માહોલમાં થાય તે માટે તંત્ર શકય તમામ પ્રયાસ કરી રહયું છે. શ્રીજી વિસર્જન માટે ચાર કુંડ બનાવ્યાં છે અને પાંચમા માટે વિચારણા ચાલુ છે. ભકતોની આસ્થાને ઠેસ ન પહોંચે તે રીતે કુંડમાં શ્રીજી પ્રતિમાઓનું વિસર્જન કરાશે. નદીમાં વિસર્જન અંગે એનજીટીની ગાઇડલાઇન હોવાથી અમે સત્તાવાર કોઇ આદેશ કરી શકીએ નહી.