ભરૂચના ઝઘડિયામાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાના લાફાકાંડના મામલામાં તેઓ વિરુદ્ધ ઝઘડિયા પોલીસ મથકે ફરિયાદ નોંધાતા ખળભળાટ મચી જવા પામ્યો છે.જોકે આ ઘટનામાં પોલીસે સૂચક મૌન ધારણ કરી લીધું છે.
ભરૂચના ઝઘડિયા તાલુકામાં આવેલી Metropolitan Eximchem Pvt Ltd માં 23 એપ્રિલે થયેલી આગની દુર્ઘટનામાં કુલ 14 કામદારો ઈજાગ્રસ્ત થયા હતા, જ્યારે 2 કામદારોના મોત નિપજ્યા હતા.આ દુર્ઘટના બાદ 27 એપ્રિલે ધારાસભ્ય ચૈતર વસાવા મરતક કામદારોના પરિવારજનોને યોગ્ય વળતર સહિતની માંગ સાથે કંપનીમાં પહોંચ્યા હતા,જ્યાં તેમની સાથે તણાવપૂર્ણ પરિસ્થિતિ સર્જાઈ હતી. સ્થળ પર હાજર લોકો અને ધારાસભ્ય વચ્ચે ઘર્ષણ સર્જાતાં મામલો વધુ ગરમાયો હતો.આ મામલે ઝઘડિયા પોલીસે ધારાસભ્ય વિરુદ્ધ ત્રણ અલગ અલગ ગુનાઓ નોંધ્યા હોવાનું જાણવા મળ્યું છે.
જેમાં ટ્રેસપાસિંગ અને મારામારી જેવા ગુનાઓનો સમાવેશ થાય છે. ખાસ વાત એ છે કે ગૃહ મંત્રાલયની વેબસાઇટ પર આ FIR “સેન્સિટિવ” કેટેગરીમાં રાખીને હાઈડ કરવામાં આવી છે.હાલ સુધી આ ફરિયાદોને લઈને પોલીસ તરફથી કોઈ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી. બીજી તરફ ચૈતર વસાવા તરફથી પણ આ સમગ્ર ઘટનાને લઈને જાહેર પ્રતિક્રિયા સામે આવી નથી. અત્રે ઉલ્લેખનીય છે કે કંપનીમાં ધારાસભ્ય ચૈતર વસાવાએ મૃતકના સંબંધીને લાફો ઝીંકી દેતા ઉહાપોહ મચ્યો હતો અને આ સમગ્ર ઘટનાનો વિડીયો પણ વાયરલ થયો હતો,ત્યારે હવે આ મામલામાં પોલીસ તપાસનો ધમધમાટ જોવા મળી રહ્યો છે.

