રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ વધતાની સાથે જ આગ લાગવાની ઘટનાઓમાં ચિંતાજનક વધારો જોવા મળી રહ્યો છે. વધતા તાપમાનના કારણે સૂકું વાતાવરણ અને ટેકનિકલ ખામીઓ અગ્નિકાંડનું કારણ બની રહી છે. હજુ બે દિવસ પહેલા જ વહિયાલ નજીક પસાર થતી પાઇપલાઇનમાં ભીષણ આગ લાગવાની ઘટના બની હતી, જેના કારણે તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. આ ઘટનાની શાહી હજુ સુકાઈ નથી ત્યાં ભેરસમ પાસે મોપેડ સળગી જવાની ઘટનાએ લોકોમાં ફફડાટ ફેલાવ્યો છે. ગરમીના કારણે વાહનો અને ઇન્ડસ્ટ્રિયલ લાઈનોમાં ઘર્ષણ કે શોર્ટ સર્કિટ થવાની શક્યતાઓ વધી જતી હોય જેથી તકેદારી રાખવી અનિવાર્ય બની છે.

વાગરા તાલુકાના ભેરસમ ગામ પાસે આજે એકાએક ચાલુ મોપેડમાં આગ લાગવાની ઘટના બનતા અફરાતફરી મચી ગઈ હતી. ભેરસમ ગામના મંદિર નજીકથી પસાર થઈ રહેલા એક મોપેડ સવારના વાહનમાં અચાનક શોર્ટ સર્કિટ અથવા અન્ય કોઈ ટેકનિકલ ખામીના કારણે આગ ફાટી નીકળી હતી. આગ એટલી ઝડપથી ફેલાઈ હતી કે જોતજોતામાં આખું મોપેડ આગની જ્વાળાઓમાં લપેટાઈ ગયું હતું.ઘટના સમયે હાજર લોકો અને વાહન ચાલકે આગ બુઝાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ આગનું રૌદ્ર સ્વરૂપ એટલું હતું કે થોડી જ ક્ષણોમાં મોપેડ બળીને સંપૂર્ણપણે ખાખ થઈ ગયું હતું. સદ્દનસીબે, આગ લાગવાની જાણ થતા જ ચાલક સમયસૂચકતા વાપરી મોપેડ પરથી નીચે ઉતરી ગયો હતો, જેના કારણે કોઈ જાનહાનિ થઈ નથી. મંદિર જેવા ગીચ વિસ્તાર પાસે આ અકસ્માત સર્જાતા સ્થાનિક લોકોમાં ચિંતા જોવા મળી હતી, જોકે સદભાગ્યે કોઈ જાનહાનિ ન થતા સૌએ રાહતનો શ્વાસ લીધો હતો.

