ભરૂચ LCB એ આમોદના આછોદમાં વ્યારા અને નડિયાદના વેપારીને લાખો રૂપિયા રોકડા સાથે બોલાવી સસ્તાના સોદા અને સોનાના નામે લૂંટી લેનાર ટોળકીના 5 સાગરીતોને ઝડપી પાડ્યા હતા.જે ટોળકીએ હવે સુરતના પુણા ખાતે જય અંબે પેલેસમાં રહેતા દલાલ વિપુલ મનુ પટેલને શિકાર બનાવી છે. આજથી એક વર્ષ અગાઉ વલસાડના મિત્ર રજની ઉર્ફે સજનીકાંત પટેલે જમીન-મકાનની દલાલી કરતા વિપુલ ભાઈને S.S. એટલે કે સેકન્ડ સિરીઝ , એક નંબરની ડબલ નોટો છપાઈ ગયા અંગે કહ્યું હતું.
વાંસદા કોર્ટમાં પ્યુન એવા ચંદ્રકાંત ઉર્ફે ચંદનનો સંપર્ક કરાવતા તેને ટોળકીના અન્ય સાગરીતો સાથે વાત કરાવી હતી. ટોળકીએ તેઓ પાસે RBI એ ભૂલથી ડબલ સિરીઝની છાપેલી નોટો હોવાનું અને તેને એકના ત્રણ ગણામાં આપવાનું કહી પ્રથમ પાદરાના સાધી ગામે બેઠક યોજી હતી.જેમાં 500 ના દરની અસલ નોટોના બંદલો બતાવતા સુરતના દલાલને લાલચ જાગવા સાથે એક ના ત્રણ ગણા કરવામાં તે ટોળકીની જળમાં ફસાઈ ગયો હતો.ડિસેમ્બર 2022 માં સુરતના વિપુલ ભાઈ મિત્ર પાસેથી ઓછીના 10 લાખ રોકડા લઈ આમોદના આછોદ ગામે આવ્યા હતા. ત્યાં જ રોકડા ટોળકીના સાગરીતોએ છીનવી લઈ નકલી પોલીસની રેઇડ કરાવી દલાલને લૂંટી ધમકી આપી ભગાડી દીધો હતો.
પાંચ દિવસ બાદ ટોળકીના ભુજના રાજુભાઇ ઉર્ફે અબ્દુલ ખાલિદ જાનું શિરૂ, આછોદના હનીફ પઠાણ, ઈમ્તિયાઝ ઉર્ફે લાલો પટેલ, ઇકબાલ પઠાણ અને હરેશ જાડેજાએ પાછો આ ખેલ ખેલ્યો હતો. દલાલ ફરી બીજા 10 લાખ રોકડા લઈ આછોદ આવતા કોરા ચેકને રોકડા લઈ લૂંટી લઈ ભગાડી દેવાયો હતો.બાદમાં કુખ્યાત ટોળકીના 5 સાગરીતોને ભરૂચ LCB એ ચિલ્ડ્રન નોટ, રોકડા અને અન્ય મુદ્દામાલ સાથે ઝબ્બે કરી લીધી હતી. જુલાઈમાં તે ટોળકીના સાગરીતો બહાર આવતા દલાલે તેમની પાસે પોતાના 20 લાખ પરત માંગતા ફક્ત 2 લાખ રોકડા, કોરા ચેક અને પ્રોમિસરી નોટ પરત અપાઈ હતી. અન્ય 18 લાખ નહિ આપતા આમોદ પોલીસ મથકે કુખ્યાત ગેંગ સામે ગુનો દાખલ કરાવાયો છે.