આજ રોજ ભરૂચ કલેકટર કચેરી બાહર ખેડૂતોનું આંદોલન ઉગ્ર બન્યું હતું જ્યાં ખેડૂતોએ સુત્રોચ્ચાર સાથે થાળીઓ વગાડી, વિરોધ પ્રદર્શન કરતા કલેકટર કચેરી ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.
ભરૂચ જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી દિલ્હી, મુંબઈ એક્સપ્રેસ હાઇવેમાં જમીન સંપાદન થયેલ ખેડૂતોનું આંદોલન ચાલી રહ્યું છે. યોગ્ય વળતરની માંગ સાથે ખેડૂતો દ્વારા આંદોલન ચલાવવામાં આવી રહ્યું છે, તો બીજી તરફ ખેડૂતોને શાંત પાડવાના તંત્રના તમામ પ્રયાસો પણ નિષ્ફળ નીવડી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે.
ભરૂચ જિલ્લામાં ખેડૂતો દ્વારા પ્રથમ હાઇવેની કામગીરી બંધ કરાવી વિરોધ પ્રદર્શનો કરવામાં આવ્યા હતા. જે બાદ તંત્ર દ્વારા ખેડૂતો સાથે મિટિંગ યોજી ખેડૂતોને આશ્વાસનો આપી મામલો થાળે પાડવાનો પ્રયાસ કરાયો હતો. જોકે તંત્રની સાથે મિટિંગ કેટલાક ખેડૂતો માટે સંતોષકારક રહી તો કેટલાય ખેડૂતો આજે પણ તંત્ર સામે યોગ્ય વળતરની માંગ સાથે આંદોલન ચલાવી રહ્યા છે.જેમાં આજે ભરૂચ કલેકટરાલય બહાર ખેડૂતો દ્વારા થાળીયો વગાડી પોતાનો વિરોધ વ્યક્ત કરી પોતાનેયોગ્ય વળતર મળે તેવી માંગ કરી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, ખેડૂતો 2013 ના નિયમ મુજબ વળતર ની માંગ કરી રહ્યા છે. જે મામલો દિવસે ને દિવસે રાજકીય રંગ સાથે વિરોધ ના સુર વચ્ચે ચર્ચાનું કેન્દ્ર બની રહ્યો છે.
સુરત અને નવસારી જીલ્લામાં એક્સપ્રેસ હાઇવેમાં સંપાદિત થયેલ જમીનના ખેડૂતોને જે ભાવ આપવામાં આવ્યા છે એ મુજબ ભાવ ભરૂચ જીલ્લામાં પણ આપવામાં આવે એવી માંગ કરવામાં આવી છે અને જો માંગ નહિ સંતોષાય તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. અત્રે એ પણ ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ પોલીસ બંદોબસ્ત સાથે તંત્ર દ્વારા આ મહત્વના પ્રોજેટ્કનું કામ શરૂ કરવામાં આવ્યું છે. ત્યારે ખેડુતો દ્વારા વારંવાર રજૂઆત કરવા છતા તેઓને યોગ્ય વળતર નહિ મળે તો આ મુદ્દે હવે ખેડૂતો લડી લેવાના મૂડમાં દેખાઇ રહ્યા છે.