The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

Home Blog Page 88

વાગરાના લીંબડી ગામે જી.આઈ.ડી.સી.એ પાકો રસ્તો ખોદી નાંખતા ખેડૂતોને મુસીબત

વાગરા તાલુકા ના લીંબડી ગામ ના ખેડૂતો એ જિલ્લા કલેકટર ને પાઠવેલ આવેદનપત્રમા જણાવ્યું છે કે લીમડી ગામમાંથી અંભેલ ગામ જવા માટે ડામરનો રોડ બનાવવામાં આવેલ હતો અને ગામ લોકો માત્ર આ રોડથી સાધનો લઈ ખેતરમાં ખેતી કામ કરવા માટે જતા હતા, હાલમાં જી.આઇ.ડી.સી. એ આ પાકો ડામ રોડ આશરે ૧૦ કુટ પહોળો અને  દોઢ કિ.મી. લાંબો રોડ નવો પાકો રોડ બનાવવા માટે ખોદી કાઢેલ છે.

આ રોડ ખોદવામાં આવતા ગામ લોકોએ જી.આઇ.ડી.સી. ના ઓફિસરોને જણાવેલ કે હાલમાં ચોમાસમાના દિવસ નજીક છે જેથી પાકો રોડ ખોદકામ કરવો નહિં પરંતુ ઓફિસરોએ જણાવેલ કે જી.આઇ.ડી.સી.માં આવવા જવા માટે પાકો રોડ બનાવવો જરૂરી છે અને તમોને આ રોડથી સારો મેટલ નાંખી બનાવી આપીશું જેથી ગામ લોકોએ વાંધો લીધેલ નહિં પરંતુ હાલમાં જી.આઇ.ડી.સી. ડોઢ કિ.મિ. લાંબો રોડ અને ત્રણ કુટની ઉંડાઈ વાળો રોડ ખોદી કાઢેલ છે. તેથી ખેતેરોમાં આવવા જવા માટે મુશ્કેલી ઉભી થયેલ છે.

બીજું ચોમાસાના પાણીનો કોઇ નિકાલ નહિં થવાથી ખેતરોમાં જવાઇ તેમ નથી. તથા ખેતરોમાં જવાય એમ ન હોવાથી ખેતરોમાં વાવણી કઇ રીતે કરવી ? એ એક મોટો પ્રશ્ન છે અને વાવણી ન કરીને તો આર્થિક રીતે ઘણું જ નુકશાન વેઠવું પડે તેવી શકયતાઓ તથા ભય સતાવી રહયો છે.તે ઉપરાંત ઢોરોને ચરાવવા માટે પણ ગોચરમાં જવા આવવા માટે કોઇ રસ્તો રાખેલ નથી અને ઢોરો ભુખે મરી જાય તેમ છે.

જી.આઇ.ડી.સી. ના અધિકારીઓની બેદરકારીના કારણે કોઈપણ જાતનો અગાઉથી વિચાર કર્યા વગર પાકો ડામર રોડ ખોદી કાઢેલ છે. જેના કારણે ચાલુ સાલે પાકનું વાવતેર કરી શકાય તમે નથી. જેથી ખેડુતોને ખુબજ મોટું આર્થિક નુકશાન થાય તેમ છે. જેનું  વળતર ચૂકવવા તેમજ ખેતર માં આવવા જવા માટે તાત્કાલિક રસ્તાની વ્યવસ્થા કરવાની માંગ કરવામાં આવી છે.

તબીબની બેદરકારીથી પતિનું મોત થયું હોવાના આક્ષેપ સાથે ભરૂચ કલેકટરને અપાયું આવેદન

ભરૂચના જે.બી.મોદી પાર્ક શક્તિનાથ પાસેની દેવ દર્શન સોસાયટીમાં પરિવાર સાથે રહેતા ૩૪ વર્ષીય વિનય જયંતિભાઇ પટેલનું એક ખાનગી હોસ્પીટલમાં ઓપરેશન બાદ તબીબની બેકાળજીના કારણે મોત નિપજયું હોવાના આક્ષેપ સાથે કલેકટરને આવેદન આપી યોગ્ય વળતર અને કસુરવાર તબીબ સામે સખત કાર્યવાહીની માંગ કરવામાં આવી હતી.

આવેદનમાં મૃતક વિનય પટેલની પત્ની ભાવના બહેનના કહેવા મુજબ તેમના પતિ ગઈ ડૉકટરની સલાહ મુજબ ખાનગી હોસ્પિટલમાં ઓપરેશન માટે ઈન્ડોર પેસન્ટ તરીકે તા. રર/5/૦રર ના રોજ સાંજે દાખલ થયેલા. જે પછી બપોરે ૪-૨૦ના સુમારે ઓપરેશન પુરૂ થતાં આશરે ૫-૦૦ કલાકના સુમારે ફરજ પરના ર્ડાક્ટરે અમોને જણાવેલ આપરેશન બરાબર થઈ ગયેલ છે. કોઈ ચિતાનો વિષય નથી. દશ પંદર મીનીટ પછી ઓપરેશન રૂમમાંથી બીજા રૂમમાં સીફટ કરીશું” તેવી વાત જણાવેલ. તે પછી સવા સાતેક વાગ્યાના અરસામાં ફરજ પરના ર્ડાકટરે અમોને જણાવેલ કે, ‘દર્દીનો શ્વાસ ચાલતો નથી’ અને તે પછી મારા ભાઈ હાર્દિક તથા મારા પપ્પા મહાવીરભાઈ પટેલને બોલાવીને જણાવેલ કે, વિનયકુમારને ઓપરેશન પછી પ્રથમ એટેક અને પછી બીજો એટેક આવવાથી તેઓનું મરણ થયેલ છે.

આમ અમોને ર્ડાકટરની બેદરકારીને કારણે મારા પતિ વિનય પટેલનું અકાળે મરણ થયેલ હોવાનું મારું ચોકકસ પણે માનવું છે. અમોએ ડાકેટર પાસે ઓપરેશનની વિડિયો સીડી માંગેલ હોવા છતાં ર્ડાકટર અમોને તે આપેલ નથી. અને પોતાની બેદરકારી છુપાવવાને પ્રયત્ન કરી રહેલ છે. મારા પરિવારમાં મારો નવ વર્ષનો નાનો બાળક છે. મારું મકાન પણ મારા પતિની લોન પર લેવાયેલું છે. અને તેના હપ્તા પણ હજી ચાલુ છે.

ર્ડાકટરની બેદરકારીના કારણે મારા પતિનુ મરણ થવાને કારણે મારા માથે ખૂબજ મોટું આર્થિક સંકટ આવી પડેલ છે. મેં મારા પતિનો ખૂબ જ નાની વયમાં સહવાસ ગુમાવેલ છે. તેમજ મારા બાળકે પણ તેના પિતાની છત્રછાયા ગુમાવેલ છે. જેથી મારી આ ર્ડાકટર સામે કાયદેસરની તપાસ થવા, મને સક્ષમ આર્થિક વળતર અપાવવા તેમજ તેઓની પ્રેકટીનું સર્ટીફિકેટ રદ્દ કરવામાં આવે તે માટે જરૂરી કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે.

જંબુસર:સરકારની અગ્નિપથ યોજનાના વિરોધમાં કોંગ્રેસના ધરણા વિરોધ પ્રદર્શન

જંબુસર વિધાનસભા કૉન્ગ્રેસ દ્વારા સરકારની પ્રજા વિરોધી નીતિને લઇ એસટી ડેપો સર્કલ ખાતે ધરણા વિરોધ પ્રદર્શન યોજાયું જેમાં પોલીસ દ્વારા તમામની અટકાયત કરાઈ.

કેન્દ્ર સરકારની પ્રજા વિરોધી નીતિ અને સરમુખત્યારશાહી વલણને લઈ  જનતા વીજળી મોંઘવારી બેરોજગારી સહિત અનેક વિધ સમસ્યાઓથી ઘેરાયેલી છે જનતા હેરાન પરેશાન છે,તો બીજી બાજુ નવયુવાનો માટે કેન્દ્ર સરકાર દ્વારા વગર વિચારે અને આયોજન વગર  અગ્નિપથ યોજના જાહેર કરેલ છે. જે અંગે કોંગ્રેસ દ્વારા ઠેર ઠેર વિરોધ પ્રદર્શન ધરણાના કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે.

જે અંતર્ગત જંબુસર વિધાનસભા હોદ્દેદારો દ્વારા એસટી ડેપો સર્કલ પાસે સરકારની પ્રજા વિરોધી નીતિને લઇ  ધરણા વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો  જે અનુસંધાને આજરોજ કોંગ્રેસના હોદ્દેદારો કાર્યકરો ડેપો પાસે એકત્ર થયા હતા  અને જંબુસર મત વિસ્તાર ધારાસભ્ય સંજયભાઇ સોલંકીની આગેવાનીમાં ધરણા પ્રદર્શન વિરોધ કાર્યક્રમ યોજાયો હતો.જેમાં તાલુકા કોંગ્રેસ પ્રમુખ મુકેન્દ્રસિંહ યાદવ શહેર પ્રમુખ જાવીદભાઈ તલાટી વિપક્ષનેતા શાકીરભાઈ મલેક યુવા પ્રમુખ કેતનભાઈ મકવાણા સહિત ઉપસ્થિત રહ્યાં હતા અને સરકાર વિરોધી સરકારી નીતિ વિરોધી સૂત્રોચ્ચાર કર્યા હતા  ધરણા પ્રદર્શન કરી રહેલા કોંગી હોદ્દેદારો કાર્યકરોની જંબુસર પોલીસે અટકાયત કરી સર્કિટ હાઉસ ખાતે લઈ જવામાં આવ્યા હતા.

ભારતીય જનતા પાર્ટીની સરકાર સદંતર રીતે નિષ્ફળ નીવડી છે હાલમાં સરકાર દ્વારા યુવાનોને રોજગારી આપવાની વાત કરી છે. પરંતુ તે રોજગારી છીનવી લેવામાં આવી છે  યુવાનોમાં નિરાશા છે મોંઘવારી બેહદ વધી રહી છે.  પેટ્રોલ ડીઝલના ભાવ વધી રહ્યાં છે સરકાર પબ્લિકનું મજાક ઉડાવી રહ્યા છે  તેમ ધારાસભ્ય સંજયભાઇ સોલંકી દ્વારા જણાવાયું હતું.જંબુસર ખાતે યોજાયેલ વિરોધ પ્રદર્શનમાં જંબુસર આમોદ તાલુકાના હોદ્દેદારો   કાર્યકરો હાજર રહ્યાં હતા.

  • સંજય પટેલ,ન્યુઝલાઇન,જંબુસર

દિલ્હી ખાતે વિરમગામના અંજુકુમારીને આઇકોનિક લીડરશીપ એવોર્ડ-2022 એનાયત

અમદાવાદ જીલ્લાના વિરમગામ ખાતે શૈક્ષણીક ક્ષેત્રે ઉત્કૃષ્ઠ કામગીરી કરી રહેલા અંજુનિકકુમારીને દિલ્હી ખાતે ઇ.ઇ.સી દ્વારા આયોજિત એજ્યુકેશન એક્સેલન્સ કોન્ક્લેવમાં “આઇકો લીડરશીપ એવોર્ડ -2022” એનાયત કરવામાં આવ્યો હતો. અંજુકુમારીએ નેશનલ લેવલ પર એવોર્ડ મેળવીને વિરમગામ સહિત ગુજરાતનું નામ રોશન કર્યુ છે. તેઓને શુભેચ્છકો, મિત્રો, શિક્ષકો, પરીવારજનો સહિતના લોકો દ્વારા ફોન, સોશિયલ મિડીયા દ્વારા શુભકામનાઓ પાઠવવામાં આવી રહી છે. અત્રે ઉલ્લેખનિય છે કે, તેઓ વિરમગામની “એમ્પાવર્ડ ફોર ગ્રેટનેસ વિમેન્સ ક્લબ” ના સ્થાપક છે જે સમાજના ઉત્થાન માટે પણ ઘણું કામ કરે છે અને શિક્ષણની સાથે સામાજીક કાર્યોમાં પણ જોડાયેલા છે.

અંજુકુમારીએ સી.એમ.એમ ભારત સાથેની વાતચીતમાં જણાવ્યુ હતુ કે, દિલ્હી ખાતે મને “આઇકોનિક લીડરશીપ એવોર્ડ -2022” ના ખિતાબથી નવાજવામાં આવી છે. ઇ.ઇ.સી દ્વારા આયોજિત એજ્યુકેશન એક્સેલન્સ કોન્ક્લેવમાં દેશભારમાંથી ૩૦૦થી વધુ શિક્ષણવિદો ઉપસ્થિત રહ્યા હતા. અત્યાર સુધીમાં મને શૈક્ષણીક ક્ષેત્રે ઉત્કૃષ્ઠ કામગીરી કરવા બાદર ૫ નેશનલ એવોર્ડ અને ૩ ઇન્ટરનેશનલ એવોર્ડ મળ્યા છે.

  • વંદના નીલકંઠ વાસુકિયા,ન્યુઝલાઇન,વિરમગામ

આમોદના માતરની વૃદ્ધા પાસે ધોળા દિવસે સોનાની કડી તથા રોકડાની લૂંટ કરનાર ઝડપાયો

આમોદ તાલુકાના માતર ગામની વૃદ્ધ મહિલાને ગામના જ યુવાને બાઇક ઉપર સવારી આપી ધોળા દિવસે મહિલાની એકલતાનો લાભ લઇ લૂંટનો કારસો રચી વૃદ્ધ મહિલાની સોનાની બે કડી તથા રોકડા રૂપિયા ૨૦૦ ની લૂંટ ચલાવી જાનથી મારી નાખવાની ધમકી આપી ફરાર થઇ જતા પોલીસે મહિલાની ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

આમોદ પોલીસના જણાવ્યા અનુસાર આમોદ તાલુકાના માતર ગામે સુંદરમ ફળિયામાં રહેતા મંજુલાબેન જયંતીલાલ ભટ્ટ ઉ.વ.૬૩ ને તેમના પતિ સામે કોર્ટમાં કેસ ચાલતો હોય તેઓ જંબુસર કોર્ટમાં ગયા હતાં.ત્યાર બાદ તેઓ જંબુસરથી આમોદ તિલક મેદાનમાં આવ્યા હતાં.જ્યાં આમોદ તિલક મેદાનમાં તેમના જ ગામનો હિતેશ રણજીત પરમાર બાઇક લઈને આવ્યો હતો અને જણાવ્યું હતું કે હું માતર જ જાઉં છું ચાલો બેસી જાઓ.ત્યાર બાદ મંજુલાબેનને પોતાના ગામના જ યુવાનની મોટર બાઇકની સવારી મળતા તેઓ બેસી ગયા હતા.અને બાઇક ચાલક હિતેશ રણજીત પરમારે તેની બાઇક સરભાણ-આજમનગર રોડ ઉપર બંધ ઓઇલ મિલ પાસે ગાડીમાં પંચર હોવાનું કહી લઈ ગયો હતો.

જ્યાં હિતેશે મંજુલાબેનને લાત મારી પાડી દઈ તેનો એક પગ મંજુલાબેનના જમણા હાથ ઉપર તેમજ બીજો પગ ગળા ઉપર મૂકી કાનમાં પહેરેલી સોનાની બંને કડીઓ જેની કિંમત રૂપિયા ૪૦,૦૦૦ ખેંચી લીધી હતી. અને પાકિટમાંથી રોકડ રૂપિયા ૨૦૦ પણ કાઢી લઈ ધોળા દિવસે લૂંટ ચલાવી જાનથી મારી નાખવાની ધમકી આપી બાઇક લઈને ભાગી ગયો હતો.ત્યાર બાદ વૃદ્ધ મહિલા મંજુલાબેન બેભાન થઈ ગયા હતાં.થોડી વાર પછી ભાનમાં આવતા તેઓ ચાલતા ચાલતા લથડીયા ખાતાં આજમનગર રોડ ઉપર પહોંચ્યા હતાં.આમોદ પોલીસે વૃદ્ધ મહિલાની ફરિયાદ લઈ લૂંટારો હિતેશ રણજીત પરમારને ગણતરીના કલાકોમાં જ પકડી પાડી જેલના સળીયા પાછળ ધકેલી દીધો હતો.

  • વિનોદ પરમાર,ન્યુઝલાઇન,આમોદ

દેવમોગરા ખાતે બાઇક સાઇડ પર મુકવા કહેવા જતા પોલીસકર્મી પર જીવલેણ હુમલો!

સાગબારાના દેવમોગરા ગામે બાઇક રોડ પરથી હટાવવા કહેવા જતા મંદિરે દર્શનાર્થે આવેલા બાર જેટલા ઈસમોએ  પોલીસકર્મીને લાકડીના સપાટાથી ઢીકાપાટુંનો માર મારી ઇજાઓ પહોંચાડતા સાગબારા પોલીસ સ્ટેશનમાં આ બાર જેટલા ઈસમો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોધાઈ છે.

સાગબારા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મથુર ઉબડીયા વસાવા ૨૬ જૂનના રવિવારના રોજ દેવમોગરા મંદિર ખાતે દર્શનાર્થે વધુ લોકો આવતા હોવાથી બંદોબસ્તમાં હતા.  સાંજના ૭ વાગ્યાના સમયે તેઓ પોતાની ફરજ પર પોતાની ખાનગી કારમાં પોતાના મિત્ર જોડે પેટ્રોલિંગમાં હતા, તે દરમ્યાન આકડા સર્કલ નજીક આર.સી.સી રોડ પર પાંચ થી છ જેટલી બાઇક ઉભી હતી અને તે અન્ય વાહન ચાલકોને અડચણરૂપ થતા મથુર વસાવાએ પોતાની ફરજના ભાગ રૂપે તેમને આ મોટર સાઈકલ રસ્તા પરથી હટાવવા કીધું હતું. તે સમયે મોટરસાઈકલ પર સવાર આ દસ થી બાર જેટલા માણસોએ ફરજમાં રુકાવટ બની તમે પોલીસ છો તો તમે શું કરી લેવાના? એમ કહી મા – બેન સમી ગાળો બોલી એકદમ જીવલેણ હુમલો કરી દીધો હતો.

આ માણસો માંથી એક ઈસમે લોખંડનાં પંચ વડે હુમલો કરતા મથુર વસાવાને મો ના ભાગે મારતા લોહી લુહાણ કરી દીધો હતો. ત્યારબાદ આ તમામ બાઇક પર સવાર લોકો ત્યાંથી નીકળી ગયા હતા. પોલીસકર્મી મથુર વસાવાએ બે બાઈકનો નંબર લખી લઈ ડેડીયાપાડા પોલીસને જાણ કરતા ડેડીયાપાડા પોલીસે કણબીપીઠા પાસે આ પાંચ જેટલા ઇસમોને ઝડપી પાડ્યા હતા. જ્યારે અન્ય ઈસમો ભાગી છૂટયા હતા. સાગબારા પોલીસે આ તમામ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી છે.

સાગબારામાં દેવમોગરા ખાતે  આદિવાસીની કુળદેવીનું મંદિર આવેલું છે. જ્યાં મોટી સંખ્યામાં લોકો દર્શનાર્થે આવતા હોય છે ત્યારે દેવમોગરા ખાતે છેલ્લા બે મહિનામાં મારમારીની આ બીજી મોટી ઘટના બનેલી છે. ત્યારે હવે પોલીસ કર્મીઓ ઉપર પણ આવા હુમલાઓ થતા આ ચિંતાનો વિષય બની ગયો છે.

  • રિપોર્ટર: સર્જન વસાવા,ન્યુઝલાઇન, દેડીયાપાડા (નર્મદા)

ગારદા ગામની સીમ માંથી અજાણ્યા યુવાનની મળી લાશ, સર્જાયા અનેક તર્ક વિતર્ક

દેડીયાપાડાના ગારદા ગામે આવેલ જંગલ માંથી અજાણ્યા યુવાનની લાશ મળતાં અનેક તર્ક વિતર્કો સર્જાયા છે. ડેડિયાપાડા પોલીસે અકસ્માત ગુનો નોંધી લાશના વાલી વારસાની તપાસ હાથ ધરી છે.

દેડીયાપાડા તાલુકાના ગારદા ગામની સીમમાં આવેલ જંગલમાં લશ્કરી વડ પાસેથી તા.૨૬/૦૬/૨૦૨૨ ના અરસામાં એક અજાણ્યા યુવાનની લાશ મળી આવી છે, ત્યારે તેનો વાલી વારસો શોધવા પોલીસે તપાસ હાથ ધરી છે.

મરણ જનાર અજાણ્યો પૂરૂષ ઉ.વ. આશરે ૨૫ થી ૩૦ વર્ષનો છે, જેને કમરે ભુરા કલરનો જાંગીયો પહેરેલ છે તથા ગળામાં સફેદ ધાતુની દિલવાળા લોકેટ વાળી ચેઇન પહેરેલ છે અને આ કામે મરણ જનારના વાલી વારસો મળી આવેલ ન હોઇ જો કોઈને મરણ જનાર યુવાનને ઓળખતું હોય તો દેડીયાપાડા પોલીસ મથકમાં સંપર્ક કરવા અપીલ કરાઇ છે, આ બાબતે તપાસ કરતા પી.એસ.આઇ એ.એસ.વસાવા પોલીસ સબ ઇન્સ્પેકટર દેડીયાપાડા પોલીસ સ્ટેશનનો સંપર્ક સાધવા જણાવાયું છે.

  • રિપોર્ટર: સર્જન વસાવા,ન્યુઝલાઇન, દેડીયાપાડા (નર્મદા)

ભરૂચ ખાતે એસ.પી.ની અધ્યક્ષતામાં રથયાત્રા સંદર્ભે શાંતિ સમિતિની મળી બેઠક

ભરૂચમાં ભગવાન જગન્નાથજીની અષાઢી બીજના દિવસે નીકળનારી ભગવાન જગન્નાથજીની રથયાત્રા શાંતપિૂર્ણ રીતે સંપન્ન થાય તે માટે પોલીસ હેડક્વાટર્સ સ્થીત જિલ્લા તાલીમ કેન્દ્ર,સાયબર ક્રાઇમ પોલીસ મથક ખાતે શાંતિ સમિતિની બેઠક યોજાઇ હતી.જેમાં મોટી સંખ્યામાં શાંતિ સમિતિના સભ્યો ઉપસ્થિત રહ્યાં હતા.આ બેઠકમાં બંનેવ કોમના આગેવાનોએ સલાહ અને સુચનોની આપલે કરી હતી.

ભરૂચ શહેરમાં ૧ જુલાઈના શુક્રવારે અષાઢી બીજના દિવસે ફુરજા, આશ્રય સોસાયટી અને ઇસ્કોન ખાતેથી ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળનાર છે. જેના ભાગરૂપે શહેરમાં શાંતિપૂર્ણ માહોલમાં રથયાત્રા પૂર્ણ થાય તે માટે પોલીસ હેડક્વાટર્સ સ્થીત જિલ્લા તાલીમ કેન્દ્ર,સાયબર ક્રાઇમ પોલીસ મથક ખાતે એસ.પી.હિન્દૂ- મુસ્લીમ આગેવાનો અને પોલીસ તંત્રના અધિકારીઓની હાજરીમાં શાંતિ સમિતિની બેઠક મળી હતી. એસ.પી. ડૉ.લીના પાટિલે શહેરના અગ્રણીઓને રથયાત્રા નિમિત્તે તેના રૂટ તથા કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે સંદર્ભે બંનેવ સમાજના આગેવાનો સાથે વિચાર વિર્મશ કરી જરૂરી સુચનાઓ આપી હતી.

જ્યારે રથયાત્રા દરમિયાન શહેરમાં પોલીસ દ્વારા ચૂસ્ત બંદોબસ્ત ગોઠવવા સાથે રથયાત્રા શાંતપિૂર્ણ સંપન્ન થાય તે માટે સૌને અપીલ કરી હતી. આ પ્રસંગે એસ.પી.ડૉ લીના પાટિલ, ડીવાયએસપી વિકાસ સુંડા સહિતના પોલીસ અધિકારીઓ અને શાંતિ સમિતિના સભ્યો આગેવાનો હાજર રહ્યા હતા.

ભરૂચમાં અગ્નિપથ યોજના મુદ્દે કોંગેસે રેલી કાઢી કર્યું વિરોધ પ્રદર્શન

ભરૂચ જિલ્લા કોંગ્રેસ દ્વારા આજે અગ્નિપથ યોજના મુદ્દે કોંગ્રેસ કાર્યાલયથી પ્લે બોર્ડ સાથે રેલી કાઢી સ્ટેશન સ્થીત ડૉ.આંબેડકર ની પ્રતિમા પાસે સુત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું.

અગ્નિપથ યોજનાની વાતને યુવાનો માટે વિશ્વાસઘાત સમાન ગણાવી અને કેન્દ્ર સરકાર દ્વારા અગ્નિપથ યોજનાની જાહેરાત કરાઈ ત્યારથી દેશભરમાં વિવાદ ચાલી રહ્યો છે. આ મુદ્દે વિપક્ષી પાર્ટીઓ સતત સરકારને ઘેરી રહી છે. અગ્નિપથ યોજનાના વિરોધમાં આજે કોંગ્રેસના વિધાનસભાના પ્રભારી આશિષ રાય અને જિલ્લા પ્રમુખ પરિમલસિંહ રણાની આગેવાનીમાં રેલી સાથે વિરોધ પ્રદર્શન કર્યા હતા. જેમાં ભરૂચ જિલ્લા કોંગ્રેસ કાર્યકર્તાઓ દ્વારા જિલ્લા કોંગ્રેસ કાર્યાલયથી પ્લે બોર્ડ સાથે રેલી સ્વરૂપે સ્ટેશન રોડ સ્થીત ડૉ. બાબા સાહેબ આંબેડકરની પ્રતીમા પાસે સુત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું.

આ વિરોધ પ્રદર્શનમાં જિલ્લા પ્રમુખ પરિમલસિંહ રણા,સુલેમાન પટેલ,પાલીકા વિપક્ષ નેતા શમસાદ અલી સૈયદ,સલીમ અમદાવાદી,હેમેન્દ્ર કોઠીવાલા,નિકુલ મિસ્ત્રી,દિનેશ અડવાણી સહીતના કાર્યકરો,મહિલાઓ અને હોદ્દેદારો ઉપસ્થીત રહ્યા હતા.

આમોદમાં નેશનલ હાઈવે નંબર ૬૪ પાસેની ગટરો ખુલ્લી રહેતાં મોટો અકસ્માત થવાની ભીતિ

આમોદ પાસેથી પસાર થતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર ૬૪ બચ્ચો કા ઘર પાસે હાઇવે ઓથોરિટી ની ગંભીર બેદરકારી યથાવત રહેવા પામી છે જેને લઈને લોકોમાં હાઇવે ઓથોરિટી સામે રોષ જોવા મળી રહ્યો છે.નેશનલ હાઇવે નંબર ૬૪ પાસે બનાવેલી ગટરો ખુલ્લી રહેતા વાહનચાલકો તેમજ નાગરિકોમાં અકસ્માતનો ભય સતાવી રહ્યો છે.ટેલિફોન એક્સચેન્જ પાસે આવેલી શાળા પાસે પણ ગટર ખુલ્લી રહેતા નાના બાળકો સામે પણ ખતરો ઉભો થયો છે.

ખુલ્લી ગટરો ઉપરના તીક્ષ્ણ સળિયા ખુલ્લા દેખાઈ રહ્યા છે.અત્રે ઉલ્લેખનીય છે કે બચ્ચો કા ઘર સામે આવેલી ખુલ્લી ગટરમાં અઠવાડિયા પહેલા ગાય ખાબકી હતી. જેમાં ગાયને સળીયા વાગતા ઇજાગ્રસ્ત બની હતી. ત્યારે આમોદ નેશનલ હાઇવે ઉપર આવેલી ખુલ્લી ગટરો હાઇવે ઓથોરિટી ક્યારે રીપેર કરાવે છે તે જોવું રહ્યું કે પછી કોઈ ગંભીર અકસ્માતની હાઇવે ઓથોરિટી રાહ જોઇને બેઠું છે.તે નગરમાં ચર્ચાનો પ્રશ્ન બન્યો છે.

  • વિનોદ પરમાર,ન્યુઝલાઇન,આમોદ
error: Content is protected !!