
- પ્રેમિકા પાયલનો ગુમ થયા બાદ 19 દિવસે દશાન ગામેથી ડિકમ્પોઝ હાલતમાં મૃતદેહ મળી આવ્યો
- અંકલેશ્વર શહેર પોલીસે યુવતીના અપહરણ અને ગુમ થવામાં પરિણીત પ્રેમીની પત્ની સહિત 5 આરોપીની ધરપકડ કરી હતી.
ઝઘડિયાના પરિણીત પુરૂષ સાથે રહેતી જોલવાની પ્રેમિકા પાયલનો ગુમ થયા બાદ 19 દિવસે દશાન ગામેથી ડિકમ્પોઝ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસે લાશને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી હત્યા કે દુર્ઘટના અંગે રિપોર્ટની રાહ જોવાય રહી છે.ઝઘડિયાના સિમોદરા ખાતે રહેતો પરિણીત કિશન માનસંગ વસાવા જોલવાની 21 વર્ષીય પાયલના પ્રેમમાં પડ્યા બાદ બે મહિના પહેલા લગ્ન કરવાનું વચન આપી દાદીના ઘરેથી પોતાની સાથે લઈ ગયો હતો.
અંકલેશ્વરના અંદાડા ગામે મકાન ભાડે રાખી તે પ્રેમિકા પાયલ જોડે રહેવા લાગ્યો હતો. જોકે 25 ઓગસ્ટે પૌત્રીનો ફોન બંધ આવતા દાદી અંદાડા પહોંચી હતી પણ કિશનનું ઘર બંધ આવ્યું હતું.પૌત્રીના પ્રેમીની પત્ની કરિશ્મા કિશન વસાવા રાજપારડીથી ઇકોમાં 3 મહિલા અને 2 પુરૂષોને લઈ અંદાડા 24 ઓગસ્ટે પોહચી હતી.પતિની પ્રેમિકાને માર મારી ઇકોમાં બેસાડી તેના ઘરે જોલવા મુકવા જતા હતા. દરમિયાન દશાન ગામે પાયલ ભાગી ગઈ હોવાની વાર્તા ઘડી કાઢી હતી.દાદીએ પૌત્રી પાયલ 19 દિવસથી ગુમ થવાની અને અપહરણની ફરિયાદ આપતા અંકલેશ્વર પોલીસે કિશનની પત્ની કરિશ્મા, વાળંદ પરિવારના કમલેશ, તેની પત્ની મનીષા, વૈશાલી અને ઇકોના ચાલક અકબરની ધરપકડ કરી હતી.
દરમિયાન મંગળવારે સાંજે દશાન ગામ ખાતેથી પાયલનો ડિકમ્પોઝ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસે લાશને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપી હતી. હવે પી.એમ. રિપોર્ટની રાહ જોવાય રહી છે જે આવ્યા બાદ પાયલની હત્યા કરાઈ છે કે નહીં તેનો ભેદ ખુલશે.