
ભરૂચ શહેર ને અડીને આવેલા અને ભરૂચ થી દહેજ જતા માર્ગ પર છાશવારે મોટા ભારદાર વાહનોના કારણે અકસ્માત ની ઘટનાઓ અવારનવાર સર્જાતી હોય છે,નંદેલાવ ફ્લાય ઓવર બ્રિજ થી શ્રવણ ચોકડી તેમજ શેરપુરા ને જોડતા માર્ગ તરફ બેફામ અને ગફલત ભરી રીતે આવતા વાહનો ના કારણે અત્યાર સુધી કેટલાય લોકોએ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે.
આજ રોજ સવારના સમયે નંદેલાવ સ્થિત મઢુલી સર્કલ પાસે એક ખાનગી લકઝરી બસના ચાલકે બાઇક સવારને ટક્કર મારતા ૫ વર્ષીય ધ્યાની ધર્મેશ ભાઈ પટેલ નામની બાળકીનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું,તેમજ બાઇક પર સવાર મહેશભાઈ હરિભાઈ પટેલ અને માતા ડિમ્યુ બેન ધર્મેશ ભાઈ પટેલને ગંભીર ઇજાઓ પહોંચતા બંને ને સારવાર અર્થે ભરૂચ ની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.
ભોલાવ થી શ્રવણ ચોકડી તરફ જતા સમયે આ અકસ્માત ની ઘટના સર્જાઈ હતી,અકસ્માત માં બાળકીના મોત બાદ સ્થળ ઉપર મોટી સંખ્યામાં લોકોના ટોળા ભેગા થયા હતા તેમજ થોડા સમય માટે તમામ વાહનો રોકી દઈ લોકોએ ભારે હોબાળો મચાવ્યો હતો,જોકે ઘટના બાદ તાત્કાલિક ભરૂચ પોલીસ ના કર્મીઓએ સ્થળ પર પહોંચી જઈ મામલો થાળે પાડયો હતો,સ્થાનિકોએ આક્ષેપ કર્યો હતો કે આ પ્રકારે લકઝરી બસો અને ભારદાર વાહનો બેફામ બનીને અહીંયા થી બેરોક ટોક પસાર થાય છે સાથે રસ્તા માં પણ ગમે ત્યાં ગાડીઓ પાર્ક કરતા હોય છે જેના કારણે અવારનવાર અકસ્માત ની ઘટનાઓ બનતી આવે છે,ત્યારે પોલીસ વિભાગ દ્વારા આ પ્રકારની પ્રવૃતિ કરતા તમામ વાહન ચાલકો સામે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી હતી.