
ઉપરવાસમાંથી સતત પાણીની આવક વચ્ચે સરદાર સરોવર નર્મદા ડેમમાંથી નર્મદા નદીમાં તબક્કા વાર પાણી છોડવામાં આવી રહ્યું છે. ગત રોજ 2 લાખથી વધુ ક્યૂસેક પાણી તબક્કાવાર છોડવામાં આવ્યું હતું, જેને પગલે તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને સાવચેત રહેવા એલર્ટ અપાયું હતું. ત્યારે આજરોજ ડેમમાંથી 5.45 લાખ ક્યૂસેક પાણી નદીમાં છોડવામાં આવ્યું હતું, જેને કારણે ભરૂચના ગોલ્ડનબ્રિજ ખાતે નર્મદા નદીની સપાટીમાં વધારો થયો છે.
સરદાર સરોવર નર્મદા ડેમમાંથી 5.45 લાખ ક્યૂસેક પાણી છોડવામાં આવતાં ભરૂચના ગોલ્ડનબ્રિજ ખાતે નદીની સપાટી 25 ફૂટે પહોંચી છે, જેને લઈને સાવચેતીના ભાગરૂપે 53 જેટલાં કુટુંબના 186 જેટલા લોકો અને પશુધનનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. નદીકાંઠા વિસ્તારની શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે.
ગતરોજ રાત્રે નદીની વોર્નિંગ લેવલ સપાટી વધી હતી. ત્યારે આજે સવારે 10 કલાકે નદીની સપાટીમાં સતત વધારો થયો છે. નદીની સપાટી વધીને 25 ફૂટે પહોંચી છે, જેને પગલે ભરૂચ પર પૂરનું સંકટ ઊભું થતાં પાલિકા તંત્ર હરકતમાં આવ્યું છે અને નદી કાંઠાના નીચાણવાળા વિસ્તારોમાં વસતા 53 જેટલા કુટુંબના 186 જેટલા નાગરિકો અને પશુધનનું સ્થળાંતર કરાયું છે. જે લોકોને દાંડિયા બજાર મિશ્ર શાળા ક્રમાંક-6 ખાતે સ્થળાંતર કરી તેઓ માટે વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે, જ્યારે અંકલેશ્વર તાલુકાના સરફૂદ્દીન ગામના 500 અને ખાલ્પિયા ગામના 90 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે અત્યારસુધી જિલ્લામાં 800 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે.
પૂરના સંકટ વચ્ચે નગર પાલિકાની રેસ્કયૂ ટીમ, સ્થાનિક વહીવટી તંત્ર અને પોલીસ અધિકારીઓ, સ્થાનિક નગર સેવકો સહિત આગેવાનો ખડેપગે રહી સેવાકાર્યમાં જોડાયા છે. નદી