આમ આદમી પાર્ટીના ગુજરાત એકમે સોમવારે જાહેરાત કરી કે તે ઘરેલું ગ્રાહકો માટે મફત વીજળીની માંગણી સાથે રાજ્યવ્યાપી આંદોલન શરૂ કરશે. આ અંગે AAP નેતા ગોપાલ ઇટાલિયાએ સોમવારે દાવો કર્યો હતો કે શિક્ષણ પ્રણાલીમાં સુધારો કરવા અંગે તેમની ઝુંબેશ પાર્ટીને ફળી છે અને ભાજપ રાજ્ય સરકારે શિક્ષણની ગુણવત્તા અને સરકારી શાળાઓની સ્થિતિ સુધારવા માટે ઘણા પગલાંની જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે, AAP 15 થી 24 જૂન સુધી રાજ્યવ્યાપી અભિયાન શરૂ કરશે, જેમાં ઘરેલુ ગ્રાહકો માટે મફત વીજળીની માંગ કરવામાં આવશે.
તેમણે કહ્યું કે દિલ્હીમાં 200 યુનિટ સુધી મફત વીજળી આપવાની યોજના સફળતાપૂર્વક લાગુ કરવામાં આવી છે અને AAPએ પંજાબમાં 300 યુનિટ સુધી મફત વીજળી આપવાનું વચન આપ્યું છે. તેમણે પ્રશ્ન કર્યો કે, જો આ યોજના અન્ય રાજ્યોમાં લાગુ કરી શકાય છે, તો ગુજરાતના લોકોએ શા માટે વીજળી માટે સૌથી વધુ ટેરિફ ચૂકવવા જોઈએ.
ગોપાલ ઇટાલિયાએ ભાજપ પર પ્રહાર કરતા જણાવ્યું કે, વીજળી મેળવવી એ જનતાનો અધિકાર છે. પરંતુ અમે ગુજરાતમાં જોઇ રહ્યાં છીએ કે છેલ્લાં 27 વર્ષથી ભાજપની સરકાર છે, સરકાર સતત લોકોને લૂંટતી આવી રહી છે. જેટલી વાર પણ લોકોએ ભાજપને વોટ આપ્યો તેટલી વાર ભાજપ મોંઘવારી વધારે છે. પછી ભલે તે શિક્ષણની વાત હોય કે પછી સ્વાસ્થ્યની વાત હોય કે પછી પેટ્રોલ-ડીઝલની વાત હોય કે પછી વીજળીની વાત હોય. આજે ગુજરાતમાં સૌથી મોંઘી વીજળી મળી રહી છે કારણ કે ગુજરાતમાં વીજકંપનીઓની સાથે ભાજપના નેતાઓની સાંઠગાંઠ છે.
ઈટાલિયાએ જણાવ્યું કે, ‘વીજકંપનીઓ પાસેથી ભાજપ ચૂંટણી લડવાના પૈસા લે છે. એટલાં જ માટે તમામ વીજકંપનીઓ મનમાની કરે છે અને સતત વીજળીના ભાવમાં વઘારો કરતા જઇ રહ્યાં છે અને લોકોને પીસતા જઇ રહ્યાં છે. એટલાં માટે AAPએ એક મોટું આદોલન કરવાની યોજના બનાવી છે અને 15 તારીખથી તમામ જિલ્લાઓમાં કલેક્ટરને આવેદનપત્ર આપવાનું કામ કરશે.