આમોદ તાલુકાના ઘમણાદ ગામે છેલ્લા છ દિવસથી ખેતીની લાઈટ બંધ રહેતા ખેડૂતો હેરાન પરેશાન બની ગયા છે.આમોદ પંથકમાં ખેડુતો ચોમાસા પૂર્વે જ સિંચાઇના પાણીથી કપાસ ઉછેરતાં હોય છે.ઘમણાદ ગામના ખેડૂતોએ વીજ કંપનીના અધિકારીઓને વારંવાર ફોન કરવા છતાં સરભાણ સબસ્ટેશન તેમજ આમોદ દક્ષિણ ગુજરાત વીજ કંપનીના અધિકારીઓ ફોન ઉપાડતા નથી.જેથી ખેડૂતો વીજ કંપનીના વહીવટથી ત્રાહિમામ પોકારી ઉઠયા છે.
ઘમણાદ ગામના ખેડૂત આગેવાન વિક્રમસિંહના જણાવ્યા મુજબ છેલ્લા છ દિવસથી ઘમણાદ ગામના ૬૦ કુવાઓ બંધ છે.ખેડૂતો માટે હમણાં કપાસ ઉછેરવાનો સમય શરૂ થઈ ગયો હોવાં છતાં લાઈટો મળતી નથી.જેથી ખેડૂતો સિંચાઈનું પાણી લઈ શકતા નથી.અને લાઈટના અભાવે ખેડૂતો કપાસ ઉછેરી શકતા નથી.વીજ કંપનીના જવાબદાર અધિકારીઓ ફોન ઉપાડતા નથી જેથી આવા અધિકારીઓ સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી કરી હતી.
એક તરફ કેન્દ્ર સરકાર ખેડૂતોની આવક બમણી કરવામાં બણગાં ફૂંકી રહી છે પરંતુ વાસ્તવિકતા એ છે કે ખેડૂતોને સમયસર વીજળી મળતી નથી.તો ખેડૂતો કપાસ કેવી રીતે ઉછેરશે તે વિશે જગતનો તાત ચિંતિત બન્યો હતો.
- વિનોદ પરમાર,ન્યુઝલાઇન,આમોદ