
ભરૂચ જિલ્લાના તાર ભૂતકાળમાં દેશ વિદેશમાં ઘટેલી આતંકી પ્રવૃત્તિ સાથે સંકળાયેલા હતા. જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે શુક્રવારે મોડી સાંજે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી ભરૂચ ની ઔપચારિક મુલાકાત લીધી હતી.
રાજ્યના ગૃહમંત્રીહર્ષ સંઘવી એ ભરૂચ ના ભોલાવ સર્કિટ હાઉસ ખાતે જિલ્લા ભાજપના આગેવાનો, સાંસદ અને ધારાસભ્યો સાથે બેઠક યોજી હતી. જેમાં કાયદો-વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખવા સહિતના મુદ્દે ચર્ચા પરામર્શ કરી હતી. ગૃહમંત્રી હર્ષ સંઘવીએ વિશેષમાં ભરૂચ જિલ્લો અતિ સંવેદનશીલ હોય. ભૂતકાળમાં દેશ-વિદેશમાં ઘટેલી આતંકી પ્રવૃત્તિઓના તાર જોડાયેલા હોય ત્યારે લો એન્ડ ઓર્ડર જાળવી રાખી, શાંતિ બની રહે તે માટે વિશેષ ચર્ચા કરી જિલ્લા મોવડી મંડળને ખાતરી આપી હતી.
ભરૂચ સાંસદ મનસુખભાઇ વસાવાએ અને જિલ્લા ભાજપ પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયાએ ગૃહમંત્રીની ઔપચારિક મુલાકાત અને બેઠક અંગેનો ચિતાર આપ્યો હતો. ગૃહમંત્રી સંઘવી પાસે રમત ગમતનો પણ સ્વતંત્ર હવાલો હોય આગામી સમયમાં ભરૂચ હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે યોજાનાર સાંસદ ખેલ કુંભ અંગે પણ વિગતવાર ચર્ચા બેઠક દરમિયાન કરી હતી.
ગૃહમંત્રીની આ બેઠકમાં સાંસદ મનસુખ વસાવા, વિધાનસભાના ઉપમુખ્ય દંડક દુષ્યંત પટેલ, વાગરા ધારાસભ્ય અરૂણસિંહ રણા, જિલ્લા ભાજપ પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયા, પૂર્વ પ્રદેશ મહામંત્રી ભરતસિંહ પરમાર, મહામંત્રી નીરવ પટેલ, વિનોદ પટેલ, ફતેસિંહ ગોહિલ, પાલિકા પ્રમુખ અમિત ચાવડા, દિપક મિસ્ત્રી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતાં.