The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

Home Uncategorized દેડીયાપાડામાં કુમાર છાત્રાલયના ૧૦૮ માં ભવનનો લોકાર્પણ સમારોહ યોજાયો

દેડીયાપાડામાં કુમાર છાત્રાલયના ૧૦૮ માં ભવનનો લોકાર્પણ સમારોહ યોજાયો

0

આજે દેડીયાપાડામાં ભારત સેવાશ્રમ સંઘ ખાતે અંદાજે રૂા.૫૦ લાખના ખર્ચે સ્વ.ગૌરીબેન કાનજીભાઈ કાકડીયા કુમાર છાત્રાલયના ૧૦૮ માં ભવનના યોજાયેલા લોકાર્પણ સમારોહને દિપ પ્રાગટ્ય દ્વારા ખૂલ્લો મૂકાયો હતો.

જેમાં જિલ્લા પ્રભારી મંત્રી પૂર્ણેશભાઇ મોદીએ જણાવ્યું હતું કે, ૧૯૪૭ પછી દેશની આઝાદીમાં ક્રાંતિકારી મહાપુરુષોએ આપેલા યોગદાનથી વર્તમાન અને ભાવિ પેઢી માહિતગાર થાય તે હેતુથી દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી હાથ ધરી છે, ત્યારે સ્વામી દયાનંદ સરસ્વતી, સ્વામી વિવેકાનંદજી, સ્વામી પરમાનંદ મહારાજ અને ડૉ.હેડગેવાર વગેરે જેવા મહાપુરૂષો-સંતો-મહંતોએ છેવાડાના માનવી માટેની કલ્યાણકારી પ્રવૃત્તિઓ દ્વારા ભારતીય સંસ્કૃતિના જતન અને સંવર્ધન ક્ષેત્રે વિશેષ યોગદાન આપ્યું છે તેનો પણ મંત્રીએ સવિસ્તાર ઉલ્લેખ કર્યો હતો.

ગુજરાતમાં અંબાજીથી ઉમરગામ સુધીના આદિવાસી વિસ્તારમાં ભારત સેવાશ્રમ સંઘ દ્વારા ભારતવર્ષમાં અનેક જગ્યાએ આવી સંસ્થાઓની સ્થાપના-કાર્યરત કરીને અગાઉના વર્ષોમાં જ્યારે વીજળી, રસ્તા, પાણી વગેરે જેવી પ્રાથમિક સુવિધા ઉપલબ્ધ ન હતી તેવા સમયે આવા વિસ્તારોમાં શિક્ષણની જ્યોત પ્રગટાવીને આદિવાસી સમાજને બેઠો કરવા માટે કરેલા પ્રયાસો સરાહનીય છે, ત્યારે સરકાર દ્વારા પણ અંબાજીથી ઉમરગામ સુધીના આદિવાસી વિસ્તારમાં શિક્ષણનો વ્યાપ વિસ્તારવા સહિતના સર્વાંગીન વિકાસ માટે અમલી બનાવાયેલી કલ્યાણલક્ષી યોજનાઓની જાણકારી પણ મંત્રી મોદીએ આપી હતી.

મંત્રી પૂર્ણેશભાઇ મોદીએ વધુમાં ઉમેર્યુ હતું કે, સમાજમાં જરૂરિયાતમંદ વ્યક્તિઓને મદદરૂપ થવાની ભારતીય સંસ્કૃતિ એકબીજાને જોડવાનું કામ કરે છે, ત્યારે આદિવાસી સમાજમાં શિક્ષણનું પ્રમાણ વધે તે માટે કેશુભાઈ ગોટી જેવા સમાજ શ્રેષ્ઠીઓ ભારત સેવાશ્રમ સંઘના માધ્યમથી છાત્રાલય જેવી સુવિધાઓ પૂરી પાડવાનું ભગીરથ કાર્ય કરી રહ્યાં છે, જે ખૂબ જ નોંધનીય અને આવકારદાયક છે. અહીં શિક્ષણ લઇ રહેલા વિદ્યાર્થીઓને ભવિષ્યમાં આ સંસ્થાની મુલાકાત લઇ પોતાનાથી યથાયોગ્ય સહયોગ અપાય તેવી લાગણી વ્યક્ત કરી આ સંસ્થા ભવિષ્યમાં વટવૃક્ષ બને તેવી શુભેચ્છા પણ તેમણે વ્યક્ત કરી હતી.

આ પ્રસંગે મંત્રી પૂર્ણેશભાઇ મોદી અને ભારત સેવાશ્રમ સંઘના પ્રમુખ પ.પૂ સ્વામી અમરીશાનંદજી મહારાજના હસ્તે કુમાર છાત્રાલયના દાતા કાકડીયા પરિવારના દેવજીભાઈ કાકડીયા અને વલ્લભભાઈ કાકડીયા તેમજ સહયોગી દાતા માતૃ કાશીબા હરીભાઈ ગોટી ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ કેશુભાઈ ગોટીને સન્માનપત્ર એનાયત કરવાં ઉપરાંત કર્મયોગી ટીમના સભ્યો તેમજ અન્ય મહાનુભાવો-દાતાઓ વગેરેનું અભિવાદન કરી તેમને સન્માનિત કરાયાં હતાં.
આ પ્રસંગે જાનકી આશ્રમના બાલિકાઓ દ્વારા પ્રાર્થના, સ્વાગત ગીત, યોગ, ગરબો, પિરામિડ વગેરે જેવી કૃતિઓ રજૂ કરાઈ હતી તેમજ ઉપસ્થિત દાતાઓ તરફથી આ તમામ કૃતિઓ રજૂ કરનાર બાલિકાઓ-વિદ્યાર્થીંઓને હજારો રૂપિયાના રોકડ પુરસ્કાર એનાયત કરી તેમને પ્રોત્સાહિત કરાયાં હતાં.

આ પ્રસંગે ભારત સેવાશ્રમ સંઘના પ્રમુખ પ.પૂ સ્વામી અમરીશાનંદજી મહારાજ, કેશુભાઈ ગોટી, દિપકભાઈ, મનોજભાઇ તેરૈયા વગેરેએ પ્રાસંગિક પ્રવચનો કર્યા હતાં. સમગ્ર કાર્યક્રમનું સંચાલન મનિષભાઇ વઘાસીયાએ કર્યુ હતું.

આ કાર્યક્રમમાં ગુજરાતના માર્ગ અને મકાન, વાહન વ્યવહાર, નાગરિક ઉડ્ડયન, પ્રવાસન અને યાત્રાધામ વિકાસ વિભાગના મંત્રી અને નર્મદા જિલ્લાના પ્રભારી મંત્રી પૂર્ણેશભાઇ મોદી, જિલ્લા પંચાયતના પ્રમુખ પર્યુષાબેન વસાવા, દેડીયાપાડા તાલુકા પંચાયતના પ્રમુખ તારાબેન રાઠોડ, નર્મદા જિલ્લા પંચાયતની વિવિધ સમિતીના અધ્યક્ષ શાંતાબેન વસાવા, સોમાભાઈ વસાવા, પૂર્વ ધારાસભ્ય મોતીસિંહ વસાવા, ભરૂચ દૂધધારા ડેરી અને નર્મદા સુગર ફેક્ટરીના ચેરમેન ઘનશ્યામભાઇ પટેલ, જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ શંકરભાઇ વસાવા, જિલ્લાના અગ્રણી રણજીતભાઇ ટેલર, માતૃ કાશીબા હરીભાઈ ગોટી ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ કેશુભાઈ ગોટી, ભારત સેવાશ્રમ સંઘ-સુરતના પ્રમુખ પ.પૂ સ્વામી અમરીશાનંદજી મહારાજ અને મંત્રી (દેડીયાપાડા) પ.પૂ.સ્વામી બોધમિત્રાનંદજી, દાતા પરિવાર, સંતો-મહંતો-અગ્રણીઓ સહિતના અન્ય પદાધિકારીઓ/અધિકારીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!