ભરૂચ શહેરના પશ્ચિમ ભાગમાં આવેલા વેજલપુર-નયનાચોક વિસ્તારમાં તાજેતરમાં ભક્તિ અને સંસ્કારનો અનોખો સંગમ જોવા મળ્યો હતો. અખિલ વિશ્વ સ્વાધ્યાય પરિવાર માટે વર્ષ 2026 ‘ચિત્ર – પાવન- પર્વ’ તરીકે ઉજવાઈ રહ્યું છે, જે અંતર્ગત પૂજ્ય પાંડુરંગ શાસ્ત્રીજી (દાદા) દ્વારા સ્થાપિત ‘શ્રીમદ ભાગવદ ગીતા પાઠશાળા’ અને પૂજ્ય નિર્મલાતાઈના જન્મના 100 વર્ષ પૂર્ણ થતા આ શતાબ્દી પર્વ નિમિત્તે સમગ્ર દેશમાં અનેકવિધ કાર્યક્રમોનું આયોજન થઈ રહ્યું છે.
આ પાવન અવસરે ભરૂચના નયનાચોક ખાતે સ્વાધ્યાય પરિવાર અને નયનાચોક યુવક મંડળના સંયુક્ત ઉપક્રમે માતૃ-પિતૃ પૂજનનો એક અત્યંત ભવ્ય અને ગરિમાપૂર્ણ કાર્યક્રમ સંપન્ન થયો હતો.
આ પ્રસંગે રામનવમીના પવિત્ર દિવસે ભગવાન શ્રી રામની મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ ઉમટી પડી દર્શનનો લાભ લીધો હતો. કાર્યક્રમમાં આશરે 51 જેટલા સંતાનોએ શાસ્ત્રોક્ત પદ્ધતિથી પોતાના માતા-પિતાનું પૂજન-અર્ચન કર્યું હતું, જેમાં સંતાનોએ માતા-પિતાના ચરણ સ્પર્શ કરી આશીર્વાદ મેળવતા વાતાવરણ અત્યંત ભાવવિભોર બની ગયું હતું.

ભારતીય સંસ્કૃતિમાં માતા-પિતાને સાક્ષાત્ દેવતુલ્ય અને પ્રથમ ગુરુ માનવામાં આવે છે, તે ઉમદા ભાવના આ કાર્યક્રમ દ્વારા ચરિતાર્થ થતી જણાઈ હતી. બાળકોના હૃદયમાં નાનપણથી જ આવા સંસ્કારોનું સિંચન થાય અને તેઓ પોતાની મૂળ સંસ્કૃતિ સાથે જોડાયેલા રહે તેવા ઉમદા હેતુથી આ અભિયાન સતત ચલાવવામાં આવી રહ્યું છે.
નયનાચોક યુવક મંડળ દ્વારા આ વિસ્તારમાં સમયાનંતરે આવા પ્રેરણાદાયી આયોજનો કરીને સમાજને સંગઠિત રાખવાનું ભગીરથ કાર્ય કરવામાં આવે છે. સમાજની એ નૈતિક ફરજ છે,આવા સાંસ્કૃતિક કાર્યક્રમોમાં સહભાગી થઈ નવી પેઢીને યોગ્ય દિશા બતાવે.
આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સ્વાધ્યાય પરિવારના પ્રકાશભાઈ મિસ્ત્રી સતત માર્ગદર્શન આપી રહ્યા છે અને તેઓ બાળકોના સર્વાંગી વિકાસ માટે વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરતા રહે છે. નયનાચોક યુવક મંડળના ઉત્સાહી સભ્યોએ દિવસ-રાત જહેમત ઉઠાવી આ આખા આયોજનને યાદગાર બનાવ્યું હતું. આ કાર્યક્રમમાં ઉપસ્થિત વડીલોના આંખમાં પણ હર્ષના આંસુ જોવા મળ્યા હતા, જે સાબિત કરે છે કે આધુનિક યુગમાં પણ આપણી પરંપરાઓ જીવંત છે. સ્થાનિક રહીશોએ પણ આ ભગીરથ કાર્યમાં ઉત્સાહપૂર્વક જોડાતા સમગ્ર નયનાચોક વિસ્તાર ભક્તિમય બની ગયો હતો. અંતમાં ઉપસ્થિત તમામ લોકોએ સંસ્કૃતિના જતન માટે કટિબદ્ધ રહેવાના શપથ લીધા હતા.

