હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ વધુ એકવાર વરસાદની આગાહી કરી
આજથી 10 દિવસ પહેલા અપર એર સર્ક્યુલેશનના કારણે ભરઉનાળે ગુજરાતમાં ચોમાસા જેવું વાતાવરણ થઈ ગયું હતુ. રાજ્યના અનેક ભાગોમાં ચોમાસામાં પડે તેવો આંધી-વંટોળ સાથે વરસાદ તૂટી પડ્યો હતો, જેના કારણે ખેતરમાં ઉભો પાક ઢળી પડતાં ખેડૂતોને મોટો આર્થિક ફટકો પડ્યો હતો. જે બાદ છેલ્લા એક સપ્તાહથી આકાશ ખુલ્લું જોવા મળી રહ્યું છે, પરંતુ જાણીતા હવામાન નિષ્ણાંતે વધુ એક વખત ગાજવીજ સાથે કમોસમી વરસાદની આગાહી કરી છે.
પરેશ ગોસ્વામીના જણાવ્યાનુસાર, ઉત્તર ભારત તરફથી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ રહ્યું છે. જેનો ટ્રફ અત્યાર દક્ષિણ-પાકિસ્તાન અને કચ્છના ભાગ સુધી લંબાઈ ચૂક્યો છે. આ ટ્રફનો ભેજ એન્ટી સર્ક્યુલેશનમાં મર્જ થઈ ચૂક્યો છે. આ અસ્થિરતાના કારણે ગુજરાતના છૂટાછવાયા ભાગોમાં આગામી 30 માર્ચ સુધી ફરીથી વરસાદ વરસી શકે છે.
વધુમાં હવામાન નિષ્ણાંતે જણાવ્યું કે, સૌરાષ્ટ્ર,કચ્છ અને ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદની તીવ્રતા વધારે જોવા મળશે. એમાં પણ સૌરાષ્ટ્રમાં દ્વારકા, જામનગર, પોરબંદર, રાજકોટ, મોરબી જેવા જિલ્લાઓમાં સૌથી વધારે વરસાદની શક્યતા છે. તેમજ કચ્છ ઉપરાંત ઉત્તર ગુજરાતના તમામ જિલ્લાઓમાં માવઠાની સૌથી વધુ અસર રહેશે. જ્યારે ગુજરાતના અન્ય ભાગોમાં અસ્થિરતાની નહીવત અસર જોવા મળશે.

