
ભારતના ચૂંટણીપંચ દ્વારા આજે તા.૦૩ જી નવેમ્બર, ૨૦૨૨ ના રોજ ગુજરાત વિધાનસભાની સામાન્ય ચુંટણીઓ-૨૦૨૨ ના જાહેર થયેલા ચૂંટણી કાર્યક્રમ સંદર્ભે ભરૂચ જિલ્લામાં સમાવિષ્ટ ૫(પાંચ) વિધાનસભા મતદાર વિભાગની ચૂંટણી માટે ભરૂચ જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાના નેતૃત્વ હેઠળ જિલ્લા ચૂંટણી તંત્ર સુસજ્જ બનવાની સાથે આદર્શ આચાર સંહિતાના અમલ માટે કટિબધ્ધ બન્યું છે.
જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાએ માધ્યમો સાથેના સંવાદમાં જણાવ્યું હતું કે, વિધાનસભાની સામાન્ય ચૂંટણીઓમાં વધુમાં વધુ મતદારો લોકશાહીના આ મહાપર્વમાં ભાગીદાર બને તેવો જિલ્લા વહીવટીતંત્ર તરફથી પ્રયાસ હાથ ધરવામાં આવ્યા છે.
જિલ્લાના મતદારોની માહિતી આપતા વધુમાં જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટરશ્રીએ જણાવ્યું હતું કે, જિલ્લામાં કુલ ૧૨,૬૫,૫૮૮ જેટલા મતદારો લોકશાહીના આ મહાપર્વમાં ભાગીદાર થવાના છે.જે પૈકી પુરૂષ -૬૪૯૮૨૬ મહિલા-૬૧૫૬૯૧, ટ્રાન્સ જેન્ડર-૭૧, દિવ્યાંગ-૧૪૬૪૭ તથા ૮૦ થી વધુ આયુષ્ય ધરાવતા ૨૭૫૬૪ મતદારોનો સમાવેશ થાય છે.વધુમાં નવા ૩૦૪૪૯ મતદારો આ વખતની વિધાનસભાની ચૂંટણીમાં પોતાના મતદાનના અધિકારનો ઉપયોગ કરશે.
જિલ્લામાં મતદાન મથકોની વિગતો આપતા તેમને વધુમાં જણાવ્યું કે, જિલ્લામાં પાંચ મતદાન આદર્શ મથકો બનાવવામાં આવશે.જેમાં દિવ્યાંગજનો માટે,મહિલા દ્વારા સંચાલિત સખી મતદાન મથક,ઈકો મતદાન મથક તથા યુવાનો દ્વારા સંચાલિત યુવા મતદાન મથક વગેરેનો સમાવેશ થાય છે.વધુમાં જિલ્લામાં ૧૩૫૯ મતદાન મથકો પૈકી ૫૦ ટકા મતદાન મથકોમાં મતદાન મથકોનું વેબ કાસ્ટીંગ પણ કરવામાં આવશે.વધુમાં ઉમેદવારો, રાજકિય પક્ષો અને સંબંધિતોને જરૂરી વહીવટી કામગીરી સરળતાથી થઈ શકે તે માટે સિંગલ વિન્ડો સિસ્ટમ( એક બારી પધ્ધતિ) શરૂ કરવામાં આવી છે.
આ વખતના ચૂંટણીમાં છેવાડાના વિસ્તારમાં રહેતા મતદાર ચૂંટણીના આ મહાપર્વમાં પોતાનો પવિત્ર મત આપી શકે તે માટે આલિયા બેટ ખાતે શીપીંગ કન્ટેઈનરમાં મતદાન મથક ઉભું કરવામાં આવ્યું છે.જેની ભારતીય ચૂંટણીપંચે પણ સરહાના કરી છે. ચૂંટણી પંચ દ્વારા નિયત કાર્યક્રમ અનુસાર પ્રથમ ચરણમા એટલે કે, તા.૧ લી ડિસેમ્બર, ૨૦૨૨ ના રોજ જિલ્લાના પાંચ વિધાનસભા મતદાર મંડળની ચૂંટણી યોજાશે