
ભરૂચ જિલ્લા વહીવટી અને પોલીસ તંત્ર પણ દિવાળી વેકેશનમાં ધાર્મિક તેમજ પર્યટન સ્થળે અનિયંત્રિત ભીડ અને અનિચ્છનીય ઘટના ન સર્જાઈ તે માટે ખાસ પગલાં ભરી રહી છે. બે વર્ષ બાદ દેવઉઠી અગિયારસથી દેવદિવાળી સુધી સુપ્રસિદ્ધ યાત્રાધામ શુકલતીર્થ ખાતે પાંચ દિવસિય જાત્રા બે વર્ષ બાદ આ વર્ષે યોજવા જઈ રહી છે.બે વર્ષ બાદ શુક્રવારથી શરૂ થતાં પૌરાણિક મેળાને લઈ જિલ્લા કલેકટર અને જિલ્લા પોલીસ વડા તમામ વ્યવસ્થાઓ ઉપર જાતે સીધી જ દેખરેખ રાખી રહ્યા છે.
જિલ્લા પોલીસ વડા ડો. લીના પાટીલે પોલીસ અધિકારીઓ અને સ્ટાફ સાથે શુકલતીર્થ જાત્રા સ્થળ, નદી કિનારો, કબીર વડ અને મઢી ઘાટ સહિતના સ્થળની મુલાકાત લઈ સુરક્ષા, સલામતી અને આયોજન અંગે નિરીક્ષણ કરી જરૂરી સુચનો કર્યા હતા. ઝાડેશ્વરથી શુકલતીર્થ દરમિયાન યાત્રાના રૂટ અને મેળામાં રાઉન્ડ ધ કલોક પોલીસ બંદોબસ્ત, ફાયર બ્રિગેડ, એમ્બ્યુલન્સ, તરવૈયાની ટીમ, આરોગ્યની ટીમ, ટ્રાફિક નિયંત્રણ માટે પોલીસ જવાનો સહિતની તમામ વ્યવસ્થા કરવામાં આવી છે.જેથી કરી હજારોની મેદની વચ્ચે અરાજકતા, અનિચ્છનીય બનાવ કે કોઈ અન્ય ઘટના ન સર્જાય.
ભરૂચ એસટી વિભાગ દ્વારા શુકલતીર્થ જાત્રાને લઈ 30 થી વધુ મેળા વિશેષ બસો સંચાલનમાં મુકવામાં આવનાર છે. ભોલાવ ડેપો અને શુકલતીર્થ ખાતે માંડવા તાણી સંચાલન હાથ ધરાશે. જેમાં શીતલ સર્કલ, ઝાડેશ્વર અને ઝઘડિયા ખાતે પણ મેળા માટે બસો દોડાવવાનાં પોઇન્ટ ઉભા કરાયા છે.