- પુલની વચ્ચે ગાબડું જોવા મળતાં વાહનચાલકોમાં ગભરાટ
ભરૂચ જિલ્લાના આમોદ તાલુકા અને જંબુસર તાલુકાના જોડાતા ઢાઢર નદીના પુલ ઉપર ગાબડું જોવા મળતા વાહનચાલકોમાં ગભરાટ જોવા મળી રહ્યો છે.જેથી તંત્ર દ્વારા વહેલી તકે યોગ્ય કાર્યવાહી કરાઈ તેવી લોકમાંગ ઉઠવા પામી છે.
જો તંત્ર દ્વારા ઢાઢર નદીના બિસ્માર પુલનું ધ્યાન નહીં આપવામાં આવે તો મોરબી જેવી દુર્ઘટના થવાની સંભાવના વ્યક્ત કરાઈ રહી છે.આ બાબતે જંબુસર મતવિસ્તારના માજી ધારાસભ્ય કિરણભાઈ મકવાણાએ સ્થળનું નિરીક્ષણ કરી ભરૂચ જિલ્લા કલેક્ટરને ટેલિફોનિક જાણકારી આપી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે જંબુસર અને આમોદ તાલુકાને જોડતો આ ઢાઢર નદી ઉપરનો પુલ સૌરાષ્ટ્ર-કાઠિયાવાડ તરફથી સુરત-મુંબઇ આવતા-જતા વાહનો માટે ટૂંકો તેમજ ટ્રાફિક અને ટોલટેક્સથી બચવાનો મુખ્ય ધોરીમાર્ગ હોય પુલ પરથી દરરોજ હજારોની સંખ્યામાં ભારદારી વાહનો પસાર થાય છે.જેથી હાઇ-વે ઓથોરિટી વહેલી તકે પુલનું સમારકામ કરે તે ઈચ્છનીય છે.
- રિપોર્ટર:વિનોદ પરમાર,ન્યુઝલાઇન,આમોદ