
- બાળ તસ્કરી મુદ્દે હુમલા કેસમાં 29 સામે ગુનો
- અફવાઓથી દૂર રહેવા અપીલ
છેલ્લાં કેટલાંક દિવસોથી સોશિયલ મિડીયા પર ભરૂચમાં બાળકો ઉઠાવી જતી ટોળકી સક્રિય થઇ હોવાની વાત વાયરલ થઇ છે. જેના પગલે લોકોમાં ભયનો માહોલ ઉભો થયો છે. ત્યારે ગઇકાલે સોમવારે ભરૂચ શહેરના પશ્ચિમ વિસ્તારમાં બાળકોને ઉઠાવી જતા હોવાની શંકાએ એપીએમસી પાસે બે મહિલાઓ જ્યારે મોડી રાત્રે મદિના હોટલ પાસે એક દંપતિ પર ટોળાએ હૂમલો કર્યો હોવાની ઘટના બની હતી.
ભરૂચ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતાં હેડ કોન્સ્ટેબલ વિજયભાઇ તેમની બાઇક લઇને પોલીસવર્દીમાં મદિના હોટલ પાસેથી પસાર થઇ રહ્યાં હતાં. તે વેળાં નાળા પાસે લોકોનું ટોળું દેખાતાં તેમણે પુછપરછ કરતાં જણાયું હતું કે, બાળકો ચોરી જનારા બે જણા પકડાતાં લોકો તેમને મારે છે.
જેના પગલે તેઓ તુરંત ત્યાં દોડી ગયાં હતાં અને એક સ્ત્રી અને પુરૂષને બચાવવાની કોશિષ કરતાં ટોળાએ તેમના પર પણ હૂમલો કરી લાકડીના સપાટા મારી ઇજાઓ કરતાં તેઓ યેનેકેન પ્રકારે બહાર નિકળી તાત્કાલિક પોલીસ સ્ટેશને પહોંચી પીઆઇને ઘટનાથી વાકેફ કરતાં પોલીસકાફલો તુરંત સ્થળ પર દોડી આવ્યો હતો.
પોલીસે ટોળામાંથી યુગલને છોડાવી પોલીસ સ્ટેશને આવવા નિકળતાં ટોળાએ તેમનો પિછો કરી પોલીસ સ્ટેશન સુધી પહોંચી ગયાં હતાં અને પોલીસ સ્ટેશનમાં પણ હંગામો કર્યો હતો. જોકે, પોલીસે તેમને કંપાઉન્ડની બહાર કાઢી ગેટ બંધ કરી દીધું હતું. બાદમાં ટીમે યેનકેન ટોળાને વિખેર્યું હતું. પશ્ચિમ વિસ્તારમાં એક જ દિવસમાં બે ઘટનામાં ટોળાએ નિર્દોષો પર હિંસક હૂમલો કરતાં પોલીસે હૂમલો કરનારા બે ટોળાઓ વિરૂદ્ધ બે ફરિયાદ નોંધાવી હતી.
શહેરમાં બાળકો ઉપાડી જતી ટોળકી સક્રિય થઇ હોવાની વાત ફેલાઇ હોવાને કારણે લોકો ગભરાયેલાં છે. જેના કારણે બે બનાવમાં ૪ જણાને મારવાની ઘટના બની છે. વાલીઓ ચિંતીત બને તે સ્વાભાવિક છે પરંતુ આ બાબતે નિર્દોષોને માર મારવામાં આવ્યાં તે તદ્દન ખોટું છે. બી ડિવિઝન પોલીસ સ્ટેશને એપીએમસી પાસેના ગુનામાં 3 પુરૂષ, 5 મહિલા સહિતનું ટોળું જ્યારે મદિના હોટલ પાસે દંપતિ પર હૂમલો કરનાર 21 ઓળખાયેલાં શખ્સો સહિતના ટોળા વિરૂદ્ધ ગુનો નોંધ્યો છે.